ગ્લૉબલ કવિતા : ૭૫ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert


પ્રિય મલિસા:
હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને એના બચ્ચાની વાર્તા જાણીતી છે. હંમેશ મુજબની ચડસાચડસીમાં બિરબલે અકબરને કહ્યું કે પ્રાણીમાત્ર માટે પોતાની જાતથી વધીને બીજું કશું હોઈ શકે જ નહીં અને મા પણ આમાં અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા માટે એક હોજમાં બિરબલે એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને પાણી ભરાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પાણી વધતું ગયું એમ એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી એના નાક સુધી પહોંચી ગયું ત્યારે જીવ બચાવવા વાંદરી બચ્ચાને ફેંકી દઈને બહાર કૂદી જાય છે. આવી જ એક ઘટનામાંથી પસાર થયા બાદ વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. પારાવાર તકલીફોમાંથી પસાર થનાર મા-બાપ ક્યારેક પોતાના સંતાનોને કોસતા પણ હોય છે. આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ ‘પ્રિય મલિસા’ કવિતામાં આવી જ વાત લઈને આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. એને તમે સ્ત્રી ગણશો કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? એ પોતાની વેબસાઇટ ઉપર પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના એ એક અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. એમણે કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. હાલમાં એ ટક્સન, અરિઝોનાના રાજકવિનું બહુમાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT)નું રાષ્ટ્રકક્ષાનું સર્ટિફીકેટ ધરાવે છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર તમને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ એ કરે છે. સામાજિક ચેતનાના નાનાવિધ અભિયાનો સાથે એ સંકળાયેલા છે. એ એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે કે એ બધાના નામ જ લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાઈ જાય. આમાનું મોટાભાગનું આપણા માટે તો પરગ્રહની વાત જેવું જ લાગે એમ છે, પણ આ માણસ આ જિંદગી જીવે છે અને એ પોતાની જાતને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતો નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં એ સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગીપ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ બનાવવાનું કામ કરે છે, જે વાત એમના આ સંગ્રહમાં નજરે ચડે છે. એમની રચનાઓ ખૂબ જ વ્યક્તિગત લાગે છે, વ્યક્તિની લાગે છે અને એ છતાં એ કબૂલાતનામું બનતી નથી. એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એમની કવિતા સતત ટુકડાઓમાં વિયોજિત થતી અને સમાંતરે જ પુનર્ગઠિત થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગી શરીરમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી સાવ અલગ ઊઠતો સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષ્યવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે. સમાજનો કચડાયેલો વર્ગ પણ પોતાની રીતે કળાસાધના કરે જ છે. જેમ આપણી ભાષામાં દલિત વર્ગ ખાસ પ્રકારની દલિત કવિતાઓ રચે છે, એમ વિશ્વના દરેક દેશોમાં દરેક વર્ગના મનુષ્યો પોતાના સમાજ-વર્ગને રજૂ કરતી કવિતાઓ લખતા હોય છે. જે લોકો અ-જાતીય કે દ્વિ-જાતીય છે, એ લોકો પણ પોતાના સમાજને રજૂ કરતી રચનાઓ કરતા હોય છે. આ ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવા લોકો જે પોતાની જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે. લિંગપરિવર્તન કરાવનાર લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

– આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી અડખેપડખે બેસવા દીધા નથી. પાશ્ચાત્ય દેશોમાં તો આવા લોકોની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં આવા લોકોને હજીપણ સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં મળે એવું દેખાતું પણ નથી. સર્જનહારની ભૂલ આ લોકો માટે જનમકેદની પીડા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલો બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. આ કવિતા માટે કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે જેથી સામેલ તમામ કોઈક નવું બની શકે.’ આજ શીર્ષકથી એમણે એક બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે, એ આખી કવિતાને શીર્ષકને બાદ કરતાં ચૌદ પંક્તિઓ અને ચાર અંતરામાં વહેંચી દે છે. રચનાસ્વરૂપ પર ધ્યાન આપીએ તો આ રચના ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ – એમ સૉનેટને મળતી આવે છે. આખી કવિતા એક ન બનેલી વાત ઇચ્છવાની અનિશ્ચિતતાની છે એટલે કવિએ પોતાની જાતને છંદ અને ઘણુખરું વ્યાકરણમાં બાંધવાનું સ્વીકાર્યું નથી. કવિતા સ્વચ્છંદમાં વહે છે કેમકે એની ગતિ પણ એ તરફની જ છે.

જીવનના કોઈ એક તબક્કે મા એની દીકરી મલિસાને કહે છે કે કાશ! તું જન્મી જ ન હોત! (તો આ ઉપાધિઓ સહન કરવાનો વારો જ ન આવ્યો હોત.) જો અને તો પર કોઈની જિંદગી જીવાતી નથી એ બધા જાણે છે ને એ છતાંય બધા જો અને તો પર જ જીવ્યે જતાં હોય છે. માના આ પ્રલાપની વચ્ચે મલિસા પોતાની જાતને ટુકડા-ટુકડામાં અભિવ્યક્ત કરે છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ સમયે એવું કોઈ હશે જે સુસંગતતાથી વિચારી શકે? ટૉલ્બર્ટ જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -જેમાં મનુષ્યની છિન્નભિન્ન ચાલ્યે રાખતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની નેમ હોય છે- પ્રકારની કથનશૈલી પ્રયોજે છે. મા સામેના એના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માના બળાપા સામે ડઘાઈ ગયેલા સંતાનના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કોશિશ કર્યા વિના જ, એમાંથી કોઈ અર્થ તારવવાની સ્પષ્ટ ચેષ્ટા કર્યા વિના જ આપણી સામે રજૂ કરે છે.

માના એકવાક્યી નિસાસાની વચ્ચે બાળક આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ) કરે છે, જેની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે. મારી માએ એકવાર કહ્યું હતું… પછી એ કહે છે કે મા એના બાળપણની. આખી કવિતામાં કવિ એકમાત્ર બાળપણ શબ્દને ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે, જેના પરથી સમજી શકાય છે કે જે રીતે શબ્દ, એમ જ એમનું બાળપણ પણ અડધેથી ચીરાઈ ગયું છે. બાળક જે જે બોલે છે એ તમામના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની મા નથી, એક માણસની મા પણ નથી, ત્રીજા અંતરામાં એ ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે મા કોઈની પણ મા રહેતી નથી. એક તરફ માનું વાક્ય આગળ વધે છે કે તું જન્મી જ ન હોત તો સારું થાત તો બીજી તરફ બાળકનો એકાલાપ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે. એક તરફ મા જે એક વાક્ય બોલે છે એ મૂકીએ તો કાવ્યાંતે બાળકની એકોક્તિનું અર્ધવાક્ય અને માનું અર્ધવાક્ય ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી તો બીજું શું છે? માના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

બાળકની એકોક્તિના નામે કવિ જે નાના-મોટા ટુકડાઓ આપણને આપે છે એ દરેકના પોતપોતાની રીતે અલગ-અલગ અર્થ કરી શકાય એમ છે. પાણી પાણી થાક્યું છે, અર્થાત્ મા સંતાનથી થાકી ગઈ છે કેમકે સંતાન એ આખરે તો માનો જ અંશ છે. મા જો પાણી છે, તો સંતાન પણ એ જ પાણીનું ટીપું છે. માના બળાપાની સામે પણ બાળક શાંત છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ એ હાથની ભાષા તમારા આખા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, તમે શું સાંભળશો જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે કેમકે જે તમારી મા છે એ તો કોઈ દીકરીની કે અર્થવિસ્તાર કરીએ તો કોઈપણ મનુષ્યની જ મા નથી કેમકે કઈ મા ઇચ્છે કે સંતાન જન્મ્યું જ હોત તો સારું થાત? આપણું શરીર જ્યારે આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે શું ડર ન લાગે? સ્ત્રી તરીકે જન્મ્યા પછી ખબર પડે કે અંદર માહ્યલો તો પુરુષનો આવી ગયો છે અથવા એનાથી વિપરીત હોય તો શું ડર ન અનુભવાય? જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં ઉપર-ઉપરથી તો વહેતો જ રહે છે પણ જેને તમે તમારા મૂળ કહી શકો એને હચમચાવવાનું ચૂકતો નથી. એ વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હશે કેમકે મા કોણ છે? તું તો નહીં જ. કારણ તેં તારી જાતને બીજા કોઈમાં વિકસીને મારી નથી નાંખી. મા તો પોતાના બાળકના જન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ અહીં એવું નથી એટલે જ સંતાન દિલગીર છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે.

મા શા કારણે વ્યથિત છે એ કવિ કહેતા નથી. કવિતા કદી બધું કહે નહીં પણ એક સામાન્ય લાગતા બળાપાની સામે બાળકના ચિત્તતંત્રમાં થતા ખળભળાટને આપણી સામે મૂકીને કવિ આપણને કહેવા માંગે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલતાં પહેલાં વિચારવું ઘટે. બાળક ખરેખર બાળક નથી હોતો, એ નાનો વયસ્ક જ હોય છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *