ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

8 replies on “ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન”

  1. https://www.youtube.com/watch?v=a3g1nivv0-A woh subah kabhi to aayegi
    hmm
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    in kaali sadiyon ke sar se
    jab raat ka aanchal dhalkega
    jab dukh ke baadal pighlengen
    jab sukh ka saagar chalkega
    jab ambar jhoom ke naachega
    jab dharti naghme gaayegi
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    hmm aaa
    jis subah ki khaatir yug yug se
    ham sab mar mar kar jeete hain
    aaa aaa
    jis subah ki amrit ki dhun me ham
    jahar ke pyaale peete hai
    bhooki pyaasi roohon pe
    ek din to karam farmaayegi
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    aaa hmm aa
    Maana ke abhi tere mere
    armaanon ki keemat kuch bhi nahin
    mitti ka bhi hai kuch mol magar
    insaano ki keemat kuch bhi nahin
    insaanon ki izzat jab jhoote
    sikko me na toli jaayegi
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    wo subah kabhi to aayegi
    aaa hmm…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *