ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર

ગ્લૉબલ કવિતાની આજે ગોલ્ડન જ્યુબિલી – પચાસમી કવિતા…

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે, કળા અમર છે..

ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ
અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે.

વિલિયમ શેક્સપિઅર. ભલે એ એમ કહી ગયા કે What is there in name?, પણ સાહિત્યમાં જરાય રસ ન હોય છતાં એના નામથી અજાણ્યો કોઈ શિક્ષિત ભાગ્યે જ જોવા મળશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અંગ્રેજી સાહિત્યકાર. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે. ૧૮ની ઊંમરે પોતાથી સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. એમની સમલૈંગિકતા પણ બહુચર્ચિત છે. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. શેક્સપિઅરના જીવનનો ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો –‘લોસ્ટ પિરિયડ’- પણ લગભગ અજાણ્યો છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની વિશે ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી આજે ઉપલબ્ધ છે. કહે છે કે આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા બની રહી અને શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ જીવિત ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો બનીને રહી ગઈ હોવાથી અને એના બધા સૉનેટ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં લખાયા હોવાથી આ સૉનેટ એમની જિંદગીની કથા કહે છે એમ માનવાની લાલચ થાય પણ સત્ય શું છે એ આપણે જાણતા નથી. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને આમે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટ એકતરફ સમય સાથેના અનિવાર્ય ક્ષય અને બીજીતરફ પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને સામસામે મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને હજારો નવા શબ્દો અને શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષાને ભેટ આપ્યા છે, જે સર્વસ્વીકૃતિ પામ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ નાટક મૌલિક નથી. મોટાભાગના નાટક જાણીતી-અજાણીતી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણથી રચેલા છે પણ કથાગૂંફનની નવીનતા, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અનનય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ- આ બધાથી રસાઈ રસાઈને બનેલા આ નાટક વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને લખાયા ત્યારથી આજદિનપર્યંત દુનિયામાં કોઈનીય સરખામણીમાં સૌથી વધારે વાર મંચિત થયા હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ પણ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

શેક્સપિઅરના સૉનેટવિશ્વમાં પગ મૂકતાં પહેલાં એમની શૈલી ન સમજીએ તો એમને પૂર્ણતઃ પામી જ ન શકાય. સૉનેટનો જન્મ ઇટાલીની ધરતી પર થયો પણ ઇંગ્લેન્ડમાં એને લઈ આવવાનું શ્રેય સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરેના ફાળે જાય છે. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ઠક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા રહેતી જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ સૉનેટ લઈ આવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લઈ આવ્યા જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગયાં. શેક્સપિઅરે આ અંગ્રેજી કાવ્યપ્રકારમાં હથોટી મેળવીને એવું ઊંડુ ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ તરીકે ઓળખાયું. (મિલ્ટનશાઈ અને સ્પેન્સરિઅન સૉનેટ પણ સૉનેટના અન્ય જાણીતા પ્રકાર છે)

ચૌદ પંક્તિના આ કાવ્યમાં શેક્સપિઅર ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મને એકમેકથી અલગ કરવાના બદલે બધાને એક જ સૂત્રે બાંધીને પ્રવાહિતા લાવ્યા. ત્રણેય ચતુષ્ક અને યુગ્મ ભાવજગતની દૃષ્ટિએ અલગ તારવી શકાય એ ખરું; ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ અને નિષ્કર્ષ પણ અદભુત રીતે આવે એ છતાંય સળંગસૂત્રિતા એ શેક્સપિઅરના સૉનેટનું મુખ્ય પાસુ છે. ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બધા સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer અને fair શબ્દ ત્રણવાર તો eternal બેવાર પ્રયોજાયા છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ બીજું એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મનો કોઈક મહત્ત્વનો શબ્દ સૉનેટના કોઈક શબ્દ સાથે અનુસંધાયેલ હોય છે, જેમકે પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આમ કરીને એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક એ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતનું મહત્ત્વ પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઉનાળો એક ઋતુ છે અને એ નાતે એનું નિશ્ચિત આયુષ્ય છે. શેકસપિઅર તારો રમણીય ઉનાળો એમ શબ્દપ્રયોગ કરી શક્ય હોત પણ એ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દઈને પોતાનો કક્કો ખરો કરે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના નાટ્યાત્મક સંવાદથી જ બનેલું હોય છે.

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે જ જે અહીં જોવા મળે છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

કાવ્યારંભ કવિ પ્રિયપાત્રને પ્રશ્ન પૂછીને કરે છે. કહે છે, ઉનાળાના દિવસ સાથે તને સરખાવું? ઇંગ્લેન્ડમાં રહ્યા હોય એ જ ઉનાળાના દિવસનું સૌંદર્ય અને મહત્ત્વ સમજી શકે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થાય છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. જોકે કવિ તરત જ જાહેર કરે છે કે ઉનાળા જેવી જાજરમાન માનવંતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. ઉનાળો ગમે એટલો આનંદપ્રદ કેમ ન હોય, નાજુક ફૂલોને નઠોર પવનોનો ડર રહે જ છે, વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? ઉનાળામાં સૂર્ય ક્યારેક અસહ્ય બની જાય એટલો તપે છે તો ક્યારેક સૂર્યની સુવર્ણ કાંતિ વાદળોનું ગ્રહણ લાગી જતા ઝાંખી પણ થઈ જાય છે. ભલભલા રૂપસ્વીઓના રૂપ સમયની સાથે ઓઝપાઈ જાય છે, ક્યારેક આકસ્મિકપણે જ તો ક્યારેક કુદરતના અનિવાર્ય કાળચક્રની અડફેટે ચડીને. કુદરત સતત પરિવર્તનશીલ છે અને સૃષ્ટિમાં કશું જ સ્થાયી નથી એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

પણ કવિને ખાતરી છે કે એના ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, એ શાશ્વત છે અને એનું રૂપ સમયના વાદળ કદી ઝાંખું નહીં પાડી શકશે. મૃત્યુ પણ ખોંખારો ખાઈને એવી શેખી નહીં જ મારી શકે કે લે જો, આ તારું પ્રિયજન પ્રેતાત્મા થઈને ભટકી રહ્યું છે, કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે.

અંતે શેક્સપિઅર એમની સૉનેટશૈલી મુજબ અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર નિચોવી આપે છે. કવિ વાસ્તવદર્શી છે. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ ખાતરી આપે છે કેમકે મનુષ્યના નાશ સાથે જ કળા પણ અર્થશેષ બની રહે છે. કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

4 replies on “ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર”

  1. મને ગમે છે એ કે તમે કવિ વિષે પણ ખૂબ સરસ માહિતી પીરસો છો…. કવિતાની વાત તો ખરી જ…. આમાં સોનેટ વિષે પણ વિગતવાર લખ્યું છે એ વધુ ગમ્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *