રજકણ – હરીન્દ્ર દવે

આજે ફરી એકવાર દિલિપકાકાના સંગીતનો જાદુ માણીએ..! સાથે સ્વર none other than આલાપ દેસાઈ..!! અને આલાપના તબલાના ચાહકો – આલાપના અવાજના ચાહકો – આલાપના સ્વરાંકનોના ચાહકો માટે એક સમાચાર –

આ વર્ષના ગુજરાત સમાચાર સમન્વય કાર્યક્રમમાં આ યુવા કલાકારને ‘પૂજ્ય શ્રી મોરારીબાપુ’ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે..!!

અભિનંદન આલાપ… ખૂબ ખૂબ શુભેચ્છાઓ… !!!

સ્વર – આલાપ દેસાઈ

સંગીત : દિલિપ ધોળકિયા

******

Posted on January 28, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા દિવસો પછી આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનું આ અમર ગીત સ્વર અને સંગીત સાથે ફરીથી રજુ કરું છું.

પપ્પાએ રેકોર્ડ કરાવેલી કેસેટમાં આ ગીત હતું; એટલે ઘણી નાની હતી, ત્યારથી આ ગીત સાંભળું છું. જેમ જેમ એના શબ્દોનો અર્થ સમજાયો, તેમ તેમ વધારે ગમ્યું આ ગીત. એકદમ ઉંડાણપૂર્વક ભલે આ ગીતને હું જાતે ન સમજી શકી, પણ ઘણી વાર શબ્દોનો જાદુ એવો હોય છે કે ગમવા માટે એ સમજવા જરૂરી નથી હોતા. અને હા, લતાજીનો સ્વર અને શ્રી દિલિપભાઇનું સંગીત આ ગીત માટે ‘સોને પે સુહાગા’ જેવું લાગે છે.

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલિપ ધોળકિયા

21 sun1

.

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

– હરીન્દ્ર દવે

(કવિ પરિચય)

ડૉ.વિવેક ટેલર ના શબ્દોમાં આ કવિતાનો ભાવાર્થ :
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે ‘ચ’ નથી(વિવે-ચ-ક), એ બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને આ કાવ્યને જોવાની કોશિશ કરીએ.

આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે… એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી…
પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.

અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે…સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ…

આ સિવાય પણ કોઈ અન્ય રીતે આ કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
-વિવેક

56 replies on “રજકણ – હરીન્દ્ર દવે”

  1. i would use these lyrics to beautifully word the many struggles faced by a sadhak during his journey on spiritual path!! touching indeed if I view in this way.

    Regards,

    • (૧)
      *એક રજકણ સૂરજ થવાને શમણે*
      ===============
      હરિન્દ્ર ભાઈ દવે નું આ કાવ્ય પ્રથમ વાર જોતાં તે
      નિરાશાવાદી લાગતું પણ જ્યારે માનવી મન અને એનાં વિકાસની વાત આવે ત્યારે વિધાયક દૃષ્ટિ થી એને સમજવા જઈએ, તો એનું વિશ્લેષણ અલગ થઈ શકે છે.કોઈ પણ વિચાર ને વિવિધ પાસાઓ થી જોઈ શકાય છે. હરિન્દ્ર ભાઈ ની ઘણી રચનાઓ ને મેં માણી છે. એમાં નકારાત્મકતા ને લગભગ તો સ્થાન નથી હોતું, એટલે જ નકારાત્મક લાગતી આ રચના ને સોએક વખત ગણગણતાં એનાં પાસાઓ ને સમજવા, એનાં ઊંડાણ માં જવા નો સહેતુક પ્રયત્ન કર્યો છે.
      વિશ્વ ની અંદર વસતી જીવ સૃષ્ટિમાં અબજો જીવો માં કેવળ માનવ વસ્તી નો પણ વિચાર કરીએ તો અબજો માનવીઓ માં એક માનવનું કદ રજકણ જેવડું જ ગણી શકાય.એને રજકણ નાં રુપ માં કલ્પી ને સ્ફુરેલી આ રચના ને એ જ રીતે જોવાનો પ્રયત્ન કર્યો છે.
      એ રજકણ ને પણ સ્વપન જોવાનું બધાની જેમ સ્વાતંત્ર્ય છે. એટલું જ નહીં પણ તેવું સ્વપ્ન જોવું વિકાસ માટે આવશ્યક પણ છે. અને એટલે જ પ્રભુએ ઈચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે. એ સ્વપન નાં કદ નું કોઈ ચોક્કસ માપદંડ નથી.પણ એ માટે વ્યક્તિ ને વૈચારિક સ્વાતંત્ર્ય તો છે.એનાં પર ભૌતિક પરિસ્થિતિ કે કોઈ અમુક કુળનો અધિકાર પણ નથી. નહિંતો શબરીનું શું ગજું હતું કે ભગવાન રામ એની કુટીરે આવે!!! અને સત્યકામ જાબાલ પણ ગુરુકૃપા પામી ને મહાન આર્ષદ્રષ્ટા થયોજ ને – એક રજકણ!!
      હરિન્દ્ર ભાઈ જે રજકણ ની વાત કહે છે એ રજકણની આંખમાં શમણું છે તે શમણું સૂરજ થવાનું છે. रामो भूत्वा रामम् यजेत। कृष्णो भूत्वा कृष्णम् यजेत। એમ सूर्यो भूत्वा सूर्यम् यजेत। એ સ્વપ્ન જીવન વિકાસ ને માટે ની કેડી પણ બની શકે અને કાલ્પનિકતા ની, સ્વપ્ન ની વાસ્તવિકતા પણ બની શકે.
      આપણું વૈદિક વાંઙમય-વેદ-શ્રુતિ,સ્મૃતિ એમની ધારણાં તેજપૂજક બનવા માટે છે. સૂરજ મુખી ફુલ પણ સૂર્ય નું આકર્ષણ સૂચવે છે એટલે આ તેજ ને ઉપાસવા નું સ્વપ્ન ખોટું તો નથી જ બસ એ સ્વપ્ન નું દૃઢ સંકલ્પ માં પરિણમવું જરુરી છે.
      धियोयोनप्रचोदयात् પ્રાર્થી ને, બુદ્ધિ, કે જે જીવન વિકાસ નું સાધન છે એ બુદ્ધિ નું તેજ ભણેલો અભણ જ્ઞાની અજ્ઞાની બધા સૂર્ય પાસે જ માગે છે!!! હા, માગનારા બધાજ સરખી તિવ્રતાવાળા નથી હોતા.

  2. કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દો , આદરણીય શ્રી દિલીપભાઈ ધોળકિયા નું સ્વરાંકન , લતા મંગેશકર જેવી મહાન હસતી એ ગાયેલ રચના માટે કઈ કહેવું એટલે મારો પનો ટૂંકો પડે. ખુબ જ અદભૂત. ખરેખર બચપણ માં સાંભળેલું કૈંક અત્યારે પ્રગટ થયું . આંખ માં થી હર્ષ ના આંસુ આવી ગયા. અને વિશેષ તો આલાપ દેસાઈ ના કંઠે થી સાંભળી ને આંસુ ની માત્રા માં વધારો થયો. જયશ્રી બેન, ખુબ ખુબ આભાર .

  3. સરસ!!એક નહીં પણ અનેક વખતે સાંભળીએ એટલીવાર અલગ અલગ દ્રષ્ટિકોણ થઈ ગૂઢાર્થને પામીએ એટલી સુંદર રચના બંને સ્વરાંકન અતિ મન ભાવન છે. અધ્યાત્મિક દૃષ્ટિકોણથી એક અનેરો આનંદ..પરમાનંદ લૂંટાવી શકે એવી અનુભૂતિથી પરમાત્મયોગનો એક સેતુ રચી જાય છે. સર્વ ગીતકાર ગાયક અને પ્રસ્તુતકર્તા બધા જ ધન્યવાદને પાત્ર છે.અસ્તુ..એક રજકણ…

    • (૩)
      *જલ ને તપ્ત નજર થી શોષી ચહી રહે ઘન રચવા,
      ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગર ને મન વસવા,*
      —————————————
      એ છે એક રજકણ, પણ એની ઝંખના બિંબ બનવાની છે. એને પ્રતિબિંબ – આભાસ માં નથી ઢળવું. પૂર્ણત્વ માટે ની એની ઝંખના છે.
      એટલે જે બિંબ – સૂર્ય કરે છે એજ કરવા એ ચહે છે. નાના બાળકો પોતાના પિતાને જોઈ જોઈને એનાં જીવન માં પોતાને ઢાળી ને એજ અભિનય કરવાની કોશિશ કરતા હોય છે. ટાટા પરિવાર નો એક છોકરો પોતાનાં પિતાને માટે આવતી ટપાલ માં સેંકડો પત્રો જુએ. એને થાય મને કે કેમ કોઈ પત્ર નથી આવતા? પછી ટપાલ મોકલવાનો અને ટપાલ આવવા નો ક્રમ એને ખબર પડી. એટલે એ પોતે લખેલા પોષ્ટકાર્ડ ટપાલ માં નાખી આવતો!!! બસ એને પણ ટપાલ આવવા લાગી!!!! મૂળ વાત એ છે કે તણખલાને બિંબ બનવું છે, એટલે બિંબ જે કરે છે તે એને કરવું છે.
      ચંદ્ર પણ સાગર ને પોતાની તરફ આકર્ષિત કરે છે ખેંચે છે, પણ એ પરપ્રકાશિત છે, પણ રજકણને તો બિંબ બની ને જળને ખેંચવું છે!!! એટલે સૂર્ય ની ઉષ્ણતા તપ્ત નજર થી આપી ને જળ ખેંચવા ની એને ચાહના છે, એ હજી કરી નથી શક્યો. પણ એ જળ થી ઘન માં રુપાંતર કર ને એને આકાશે મુકવાની આકાંક્ષા છે.ધ્યેયશીલ ની આંખો માં વ્યગ્રતા નો તાપ હોવો જરૂરી છે.
      બીજી પણ એક વાત છે, જેની દૃષ્ટિ માં એકજ લક્ષ્ય હોય કે જેને હાંસલ કરવા માટે સર્વ શક્તિ હોમી દેવા તેયાર હોય એની નજર ની ગરમી અલગ જ હોય છે. એનાં માથા ની ગરમી આંખ માં ઉતરતી હોય જાણે!!!
      અને જે પૂર્ણબિંબ હોય તે જ કોઈનાં મનમાં વસી શકે. પછી તે મહાસાગર હોય કે જનસાગર. આ વાતની સમજ પણ એ રજકણ ને છે. એટલે જ એ બિંબ થવાનું પસંદ કરે છે.

    • (૪)
      *વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મુંઝવણે…
      એક રજકણ*
      ========
      પ્રત્યેક જીવ અશક્ત છે. અને માનવ તો સૌથી અશક્ત. ગાયનું વાછરડું જન્મતાં ને તરત જ ઉભું રહી શકે,જ્યારે માનવ નું સંતાન તો દશ મહિને કે વરસે ઉભું થાઈ શકે. પશુઓના બચ્ચાંને જન્મજાત તરવા ની આવડત હોય, પક્ષીઓ નભ માં ઉડી શકે! પણ માનવનાં બાળક ને માટે એ બધું અઘરું છે.
      એટલે જ ઉગમણે ઉડવા માટે નો હેતુ સિદ્ધ થશેકે? આ દહેશત થી એ વિચાર વમળ માં અટવાય છે. એણે સાહસ તો કર્યું છે પણ અસીમ ઇચ્છા શક્તિ ની સામે કર્તૃત્વ શક્તિ સિમિત છે, એટલે આગળ વધવા ફરીને પ્રયત્ન કરવો કે એ સમણું પડતું મુકાવું? આ દ્વિધા માનાં વમળમાં એ મુંજાય છે.
      *કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછતાય.* આ કાવ્ય માં પણ પડવું આખડવું અને ફરીફરીને થી કરવું આ કરોળિયા નું કૌતુક છે.
      એ રજકણ સિદ્ધ નથી પણ સાધક છે. સિદ્ધ થયેલા જ્ઞાનેશ્વરે પણ કેટલો મોટો સંકલ્પ કરેલો!! “अवघाची संसार सुखाचा करिन आनंदे भरिन तीनि लोक” ત્રણે લોક માં આનંદ પહોંચાડવા નો-દુખ,દર્દ,ચિંતા અને ઉદ્વિગ્નતા વિસારી દેવાનો સંકલ્પ જ્ઞાનેશ્વરે કરેલો. જ્ઞાનેશ્વર સિદ્ધ હતા.સમગ્ર સંસાર ને સુખ થી ભરવાની સિદ્ધિ પ્રાપ્ત ન થઈ તો પણ જ્ઞાનેશ્વર ને ઉદ્વિગ્નતા ન આવી. પણ સામાન્યોએ તો મૃત્યુ પછી પણ જીવન છે, આ શાસ્ત્રસિદ્ધ સિદ્ધાંત ઉપર નો અટૂટ વિશ્વાસ કેળવવો જરુરી છે. એ વિશ્વાસ, જેને આત્મવિશ્વાસ અને ઈશવિશ્વાસ ની બે પાંખ છે. જેની પાસે એ બન્ને સાથે નથી હોતાં,એ વમળ માં ચકરાય છે, કણણ માં ખૂંપી ને નાશ પામે છે, કર્ણ ની જેમ.

    • (૫)
      *જ્યોત કને જઈ જાચી દિપ્તી,
      *જ્વાળા કને જઈ લ્હાય*
      ================
      પછી શું થાય? ધાર્યું મેળવવાની મક્કમતા હોય તો સૂર્ય બનવાના સમણાં તરફ લઈ જાય એવા તત્વ ને શોધે!!! એવું તત્વ કે જે સૂર્ય નાં ગુણો ધરાવતું હોય એ તત્વ ને એ મળે છે યાચવા માટે!!! થોડુંક ઉછીનું મળશે તો બાકી નું કરી લઈશ એ મનોવૃત્તિ થી એ રજકણ જ્યોત પાસે જઈ ને દિપ્તી યાચે છે.
      સૂર્ય તેજ નું અંબાર છે. એની ગેરહાજરી માં જગત ને પ્રકાશ આપવાનું કામ દિપકે સ્વયં ઉપાડી લીધું છે.જેમાં તેજ આપી શકવાની ક્ષમતા હોય એ સ્વયં સ્વકર્તૃત્વ થી કાર્ય ઉપાડી લે છે, અને તેજ નું અંશ હોય એજ જગત પ્રકાશિત કરવા ને પોતાની શક્તિ વાપરે, પણ લાદેલું કરે એમાં તેજ ન હોય. એટલે જ રજકણ જ્યોત પાસેથી દિપ્તી ની યાચના કરે છે. માગવું અને યાચવું આમાં ફરક છે. યાચવા માં અંતર નો વલોપાત મુખ પર છતો થાય, સાધક જેની પાસે યાચે છે એનાં સ્થાન અને વૈશિષ્ઠ્ય માટે એ યાચનાર ને આદર હોય છે. એ જ્યાં માગવા ગયું છે એ જ્યોત નો સ્વભાવ પણ ઉર્ધ્વગામી છે,અને રજકણ ને પણ ઊંચે જવું છે.
      યાચનારે આપનાર ની શક્તિઓ તાગી લીધી હોય છે. બળ્યા વગર કોઈ પ્રકાશ આપી શકાતું નથી, એટલે રજકણે જ્વાળા પાસે થી લ્હાય – બળવા માટે કદાચ એકાદ ચિનગારી, બળવા ની રીત-શિક્ષણ માગ્યું છે.એને ખબર છે કે રુંવેરુંવે સળગવું પડશે,તો ધારેલું હાંસલ થશે. હરિન્દ્ર ભાઈ ની *માધવ ક્યાંય નથી* આ નવલીકા માં નારદ અને ઉદ્ધવ નો સંવાદ આ જ રીત નો છે. નારદ ની કૃષ્ણ ને મળવાની ઉત્કંઠા જોઈ ને ઉદ્ધવ નારદજી ને કહે છે, “દેવર્ષિ, આપની કૃષ્ણ મિલન માટે ની આ ઉત્કંઠા,આ ઝુરવું મને શિખવો ને, તો હું પણ કાંઈ માણસ ના ઘાટ માં આવી શકું.” ઉદ્ધવ નો કહેવાનો ભાવાર્થ કેટલો ઊંડો છે!! માણસની આકૃતિથી માણસ નહીં પણ પ્રભુ માટેની ઉત્કંઠા થી, પ્રભુ મિલનની ખેવના થી ઝુરતો હોય, તે માણસ. ઉદ્ધવ આ ખેવના વૃજભૂમિ માંથી ગોપીઓ પાસેથી લઈ આવ્યા છે અને તે એટલી ઉત્કટ છે છે નારદ પાસે અનાયાસે જ એ ભાવના પ્રકટ થઈ જાય છે.
      ધ્યેય સિદ્ધિ માટે જીજ્ઞાસા, જીજીવિષા,પુરુષાર્થ અને તે માટે ઉત્કટ યુયુત્સુ વૃત્તિ હોવી જરુરી છે અને તે આ રજકણ ને હોય એમ લાગે છે.

    • (૬)
      *ગતિ માંગી ઝંઝાનીલની ને,
      રુપ ગગન થી ચ્હાય*
      ==============
      એ ઉતાવડિયો પણ થયો છે. અનિલ એટલે પવન અને ઝંઝા એટલે અતિશય વેગીલું પવન. આ પવનનો સંબંધ પણ દરિયા ની સાથે છે, પણ એને તો ઝંઝાનીલની ની સહાય થી બસ સૂરજ ના સમોવડિયા થવું છે!!!!
      મેં પહેલાં પણ આ ઈશારો કર્યો છે કે જનસાગર હોય કે મહા સાગર એનાં દિલ માં વસવાનું એનું સપનું છે. એને સાગર ને શોષી ને ઘન (વાદળ) બનાવવા ની મંછા છે, એને બિંબ બની ને સાગર ને મન વસવા ની ઝંખના છે, એને પોતાના માં દિપ્તી લાવવી છે, એનાં માટે રોમેરોમ સળગવું પડે તો એ માટે પણ એ તૈયાર છે!!!! અને એ એટલો રધવાયો થયો છે કે એ ઝંઝા પર સવાર થઈ ને પણ સૂરજ નીં ઉંચાઈએ જવા ઈચ્છે છે!!! અને એને ગગન નું રુપ જોઈએ છે!!!!!! માનવ માત્ર ને જ નહીં પણ, “ગગન ગાજે, મોર ગહેકે કેવા મીઠા નાદે! ” પક્ષીઓ ને પણ વિહંગવા ને ગગન જ વધુ ગમે છે ઉંચે ને ઉંચે જવાનું આહ્વાન ગગન આપે છે!!! કવિઓ ને શાયરો ને લેખકો ને ગગન ગમે છે ને!! મહાકવિ કાલિદાસ નાં યક્ષ નો પ્રિયતમા માટે નાં સંદેશ નો વાહક પણ મેઘ જ છે ને? એ મેઘમંડળ નું વસ્તીસ્થાન અનંત છે, વિશાળ ગગન છે. સમગ્ર વિશ્વને ચેતન આપનાર જલ-જીવન આપતા વાદળો નું નિવાસ સ્થાન ગગન એ અનંતમાં પથરાયેલું ગગન દરિયાનાં વિશાળ જલરાશી માં પ્રતિબિંબિત થતું રહે છે. દરિયા નાં દિલે વસતા આકાશ નું મહાસાગર ઉપર ઝળુંબી ને રહેવાનું એ મુગ્ધ કરતું દર્શન, કવિઓ માં શૃંગાર રસ ઉદિપિત કરે છે! એ આકાશ નું રુપ મળે તો એ પણ એ રજકણ ને કદાચ મહાસાગર નાં દિલે વસાવી શકે!!!
      ગગન ને ક્ષિતિજે મળતી ધરતી નું અંશ છે રજકણ, અને માનવી એ ધરતી નો પુત્ર છે પાર્થ, એટલે પણ ગગન નું આકર્ષણ હોઈ શકે.
      સૂર્ય સમગ્ર આકાશને પોતાનાં પ્રકાશથી આલોકિત કરતો રહે છે એટલે પણ આકાશ મારફત સૂરજ થવાનું શમણું સાકારિત કરવા નો ઉદેશ પણ હોઈ શકે.
      પણ એ હવે ખરેખરો મુંઝાયો છે. એટલું જ નહીં એ બધાની પાસે ટળવળી રહ્યો છે.પણ એ કેવળ યાચક નથી પ્રયત્નશીલ પણ છે.

    • (૭)
      *ચકિત થઈ ઝાંખે સૌ એને ,
      *ટળવળતી નિજ ચરણે*
      *==============
      એટલે જ જ્યોતિ, જ્વાલ, ઝંઝારુપ અનીલ(વાયુ) એ બધા, એ રજકણ ને ચકિત થઈ ને ઝાંખી રહ્યા છે. જે સ્પષ્ટ ન સમજી શકાતું હોય એને ‘ઝાંખી થવી’ એમ કહેવાય છે. પણ એ બધા એ રજકણ ને વ્યંગ માં કે ઘૃણા થી નથી જોતા, ચકિત થઈ ને આશ્ચર્ય થી જુએ છે!! અનુકંપા થી જુએ છે. કેમ કે એ ગુણ કમાવી ને બેઠેલા છે અને રજકણ એમનાં ગુણો પર આકર્ષિત થઈ ને શ્રદ્ધા થી યાચે છે. એમનાં ચરણો માં પડી ને ટળવળે છે.
      પ્રયત્ન કરી ને પણ નિજ ની શક્તિ થી દૂર નું પામવા પ્રયત્ન કરનાર સાધક ની કથની આ રજકણ માં મને તો દેખાય છે. કેમકે શ્રદ્ધાળુઓ જ્યારે કોઈ પણ દૂર નાં શ્રદ્ધાસ્થાને પગપાળા જવા ની માનતા માને ત્યારે જેટલું એ માનતા માનવાનું સહેલું છે, એટલું તો ચાલી ને જવાનું કાંઈ સહેલું નથી. વાહન માં જતાં પણ થાકી જવાય એવા હજાર કિલોમીટર નાં છેટે રહેલું માતાજી આશાપુરા નું ધામ મઢ ચાલી ને જતા શ્રદ્ધાળુ ને એ હજાર કિલોમીટર નો પંથ પણ એક એક ડગલું ચાલી ને જ કાપવાનું થશે. એ ક્યારે કપાય?આ વિચાર જ મનને મોળું પાડી દે. એ સ્થળે જતા એ પદ યાત્રાળુની ચાલી ને થતી, શ્રમિક તન અને અલ્પ શારીરિક શક્તિની સામે હજાર કિલોમીટર નું પંથ કાપવા જતાં યાત્રાળુની મન:સ્થિતિ પણ આવી જ થતી હશે!!!
      હરિન્દ્ર ભાઈએ એક રજકણને મહામેરુને ઉપાડવાનું સાહસ કરતું ચિતર્યો છે. જેનાં શબ્દ કોશમાં અશક્ય શબ્દ જ નથી એનાં માટે એ કદાચ મુશ્કેલ હશે પણ અશક્ય નથી.
      ભૌતિક આધ્યાત્મિક કે કોઈ પણ સાધકને પ્રેરક બને એવું આ કાવ્ય છે. કેમકે એ રજકણ નાં રુપ માં વ્યક્તિ ને કલ્પીએ તો એનાં સંકલ્પ અને સિદ્ધિ વચ્ચે નો પંથ ખૂબજ લાંબો અને કઠિન તો છે જ,પણ પગલે પગલે પંથ કપાય……
      અસ્તુ.

  4. ગીત તો અદભુત્ છે જ! પણ સાથે જે picture ની પસઁદગી પણ અદભુત્ જ છે!
    જયશ્રીબેન, picture selection તમે જ કરો કે?

  5. શ્રી હરિન્દ્ર દવે સાહેબની જ એક પુસ્તિકા છે – “માધવ ક્યાંય નથી” ….. ગુજરાતી સાહિત્યની આ વિરલ વિભૂતિની અવિસ્મરણીય રચના છે.

  6. મારુ ખુબ ગમતુ લતા મન્ગેશકરનુ ગુજરાતી ગીત! આભાર ટહુકો!

  7. મારુ સૌથી પ્રિય ગીત લતાજીના પ્રિય સ્વરમા.બસ જિઁદગીના એવા સત્યનો સ્વીકાર જે પરસ્પર વિરોધાભાસી છે.ગતિમાઁ જીવન છે એટ્લે જ ઇચ્છા અને અભીપ્સા છે અને પૂર્ણ તરફ -ઉર્ધ્વ તરફ ગતિ હોવી સહજ છે,અને મૂઁઝવણ ,અપૂર્ણતાને કારણે ગતિનુ રુઁધાઇ જવુઁ પણ સ્વાભાવિક છે.આપણે તો બસ માણવાનુ-હયાતિ–ને.હ્.દ ને -એમની રચનાને ઘટક ઘટ્ક પિવાની મજા છે.

  8. મિત્રો, આ રચનાના ગાયકની પણ આપણે સરાહના કરવી જોઈએ. આલાપને સુન્દર ગાયકી માટે અને પરમ આદરણીય શ્રી આશિતભાઈને આટલી સુંદર તાલિમ માટે હાર્દિક અભિનંદન. આલાપ ઉત્ત્તરોત્તર ગાયકીના શિખરો સર કરે તેવી શુભકામના.

  9. હુ માનુ ચ્હ કે ડો.ટૅલર ના પ્રમાણે ત્રિજો અભિપ્રય બરાબર લાગેચ્હે.કવિ ને કોઈ ને દુખ પહોડવા મા જારા પણ રસ નથિ. માણસે પુરતો પ્રયત્ન કરવો જોઇએ. આમ કરવા થિ ઇસ્વર નિ નજિક જવાઇ ચચ્હે
    પ્રફુલ રાણા

  10. આ ગીત સુન્દર છે. સાથે સાથે લતાજીનુ ગાવાનુ પણ લાજવાબ છે ગીત સાભળીને એક શેર યાદ આવ્યો… બને ઇતને નાદન કી તુમારી મહેફિલમે આ બેઠે, જમીકી ધુલ બનકર આસમાસે દિલ લગા બેઠે. ….એક રજકણનુ સૂરજ થવાનુ શમણુ પણ કૈક આવુ જ છે.

    • (૨)
      *સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે,
      *પલક માં ઢળી પડે આથમણે
      *===================

      સૂર્ય નું ઉગમ સ્થાન પૂર્વ કહેવાય છે. અને આરાધ્ય જે દિશામાં હોય એ તરફ નાં પ્રયાણ માં શરુઆત નાં ડગ ભરતાં આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. પણ એ તરફ કદમ પણ ભરવાનું ન વિચારતા અન્ય જીવો કરતાં એક રજકણ નું એ સાહસ બિરદાવવા જેવું તો છે જ.
      ઉર્ધવ ગતિનાં એ પ્રયાસો કરવાવાળા ને નીચે બેસાડી દેવાવાળા તત્વોનું અસ્તિત્વ પણ આ સંસારમાં છે. એટલે સંઘર્ષો તો આવે જ, એટલું જ નહીં મહાનલ પોતે પણ એની પાસે આવવા માટે પ્રયત્ન કરનાર જીવ ની યોગ્યતા તપાસવા પરીક્ષા પણ લે!!!અંતરાય પણ ઉભા કરે પોતાનાં એ ઉપાસક ની ઉપાસના નાં માર્ગ માં!!!
      એ પરીક્ષાઓ, કે વિઘ્નો થી થાકીને પણ આથમણે ઢળી પડતાં એ રજકણ ની દિશા તો સૂર્ય તરફની જ છે. સવારનાં ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पुर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।। કહી ને હું પૂર્ણ છું આવું ભગવાન પાસે બેસી ને કહેનાર વ્યક્તિ ને સાંજ સુધી પોતાની શક્તિ મર્યાદા ખબર પડતાં अविनयमपनय विष्णो… કહી ને પોતાની પૂર્ણ હોવા માટેની ખુટતી શક્તિ માટે એ સૂર્ય સિવાય કોને કહેશે? અને અત્યારે અનેક પ્રયત્નો પછી થાકી ને એની ઢળવા ની દિશા આથમણે જ તો છે.

  11. આ ગેીત અનેક વાર સમ્ભલુયુ ચે. હુ પન એક સુરજ ને ૮ વર્શ થે પ્રેમ કરુ ચ્યુ… એઅજ એઅક રજ્ક્ક્કન બનિ ને..ખબ્ર નથિ શુ આન્જમ આવશે રજ્ક્કન નો ? પુન હામ ચે….પ્રેરેના આ સુન્દેર ગેીત થિ મલ્તિ રહિ ચે મલ્તિ રહેશે…. આભાર્

  12. લતાજિ એ આટ્લુ સુન્દર ગાયુ!!!!… બીજા કોઇનુ ગાયેલુ.. તેની સરખામણીમા સહેજ્ ઉણુ લાગે…

  13. ગીત તો ખુબ જ સુંદર છે, પણ આલપ ને અભિનંદન બહુ નાની ઉંમરે એવોર્ડ્ મળી રહ્યો છે તેની કાબેલિયત માટે તે સારુ.GOD BLESS YOU

  14. આ ગીત દરેક વખતે એક વિશેષ ભાવાર્થ લઈને આવતુ હોય એવુ અનુભવી શકીએ છે……વારંવાર સાંભળવાનુ ગમે એવુ છે, આભાર

  15. અદભુત ગીત જેટલી વાર સાભળીએ એટલી વાર નવુજ લાગે.કવિ કાલિદાસે શકુન્તલા

    માટે શાકુન્તલમા કહ્યુ છેનેકે ” ક્ષણૅ ક્ષણે યન નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાઃ”ક્ષણે ક્ષણે

    જે નવિનતા અર્પે તેજ સાચી સુન્દરતા. આગીતમા કવિએ જે વ્યક્ત કર્યુછે તેની સાથે મને

    ગની દહીવાલાની એક રચના ” ભિખારણ ગીત મઝાનુ ગાય” યાદ આવેછે એકાઈ પભુ પાસે

    એવીજ અપેક્ષા રાખેછેકે-મને અતલસ અમ્બરના ચીર્, ચાદો અને સુરજ પોતાના અમ્બોડા

    માટે અને પછી ની પન્ક્તિમા કવિએ સરસ લખ્યુછેકે ” એનીલટિએ લટિએ લીખો બબ્બે

    હાથે ખણતી જાય, ભિખારણ ગીત મજાનુ ગાય.” આપણ સરસ કાવ્ય છે, મળૅતો

    કોઇકવાર મુકવા વિનતિ.

    • Please keep writing. Your comments are good to go through. And it gave me a reason to search for a new song!

  16. આ ગેીત , આ કલાકાર , આ કવિ , બહુજ અદ્ભ્ત , ગુજ્રરાતિ સાહિત્ય ના પરમ પદ પર વેીરાજ્માન , જેીવન સન્ગેીત ના જાદુ સ્માન , સબ્દો બહુજ ખુતે ને સમ્ય વેીતેી જાય ……………આ…ગેીત બદલ આબ્ભાર ….સબ્દ તુન્કો પદે ,તો પન , આભાર ,,,,,,,,અત્લે આભિનદન સહ ……………….ધન્યવાદ ………………………………………

  17. ક્યાક સાંભ્ળ્યું હતું કે આ ગીત હરીન્દ્ર દવે એ તેઓને જ્યારે એમ.એ. મા પ્રથમ વર્ફ ન આવ્યો ત્યારે લખ્યું હતું.શું એ વાત સાચી છે ?
    આ ગીત દિલીપભાઈના ના સ્વરમા સાંભળવું એ એક લ્હાવો છે.જ્યારે દિલીપભાઈએ લતાજી ને આ ગીત ગવા વિનંતી કરી ત્યારે લતાજી એ કહ્યું કે તેમની પાસે રીહર્સલ કે પ્રેકટીસ નો સમય નથી માટે તે બન્ને જ્યારેમળે ત્યારે દિલીપભાઈએ તે ગીત સંભલળાવવું.આવું દસ બાર વખત થયું.દિલીપભાઈ ગાય અને લતાબાઈ સાંભળે.ત્યારબાડ રેકોડીંગ નુ< નક્કી થયું.લતાજી કહે “દિલીપભાઈ તમે ૧૨ વાર ગીત ગાયું અને દરેક વખતે જુદી જુદી હરકતો, મુરકી લીધી ! હવે હું તેમાથી મને સૌથી વધુ ગકી તે આજે હું લઈશ”.અને આમ આ અદભુત સ્વરાંકન રેકોર્ડ થયુ એમ કહેવાય છે.

  18. અદભુત ગીત રચના અને લતદિદિનો સ્વર, વાહ!!! આભાર આભાર આભાર

  19. જયશ્રીબેન,
    રોજ સવારે એક નવા ટહુકા સાથે તે તારીખના ગત બે ટહુકા કરી આપ અતિસુંદર કાર્ય કરો છો. ગુજરાતી રસિકજનો એક સાથે ત્રણ કાવ્યોની મઝા તો માણે જ છે પણ સાથે સાથે ત્રણ વર્ષના વિચારોની આપલે પણ કરી શકે છે. આ કાવ્યને હું અધ્યાત્મની દ્રષ્ટિથી જોઉં છું તો એમ લાગે છે કે આમાં જડ તત્વોની શક્તિનો વિવાદ દરેકની આત્મકથા રૂપે કવિએ વર્ણવ્યો છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  20. ગાયેલા શબ્બ્દ અને લખેલા શબ્બ્દ {બિજા ફકરામા} જુદા મલમ પડેલા સભળ્યા

  21. This is uniqe combination of words (shabda), Notes (Sur / swar), rythm (taal) with expressions (Bhav) given by Lataji. Like many others, I heard this song since childhood. With maturity, I can now go through the philosophy of the song which is aptly made clear by Dr. Vivekbhai.Thanks. I was searching for lyrics since long. “Tahuko” fulfilled my wish. This song is very close to my heart & will remain so.

  22. એક રજકણ સૂરજ થવાને શમણે,… સુંદર વિચારો સાથે જીવનની વાસ્‍તવિક્તાને યથાર્થ સ્‍વરુપે હરિન્‍દ્રભાઇએ જે નિરુપણ કરેલ છે તે જ્ઞાન-વિચારોનું ઉંડાણ હ્રદયસ્‍પર્શી અને આનંદદાયક લાગે છે.

  23. I have tried to read all comments.It may help to fully appriciate this song/poem,if some well known facts are recalled.Shri Harindra Dave studied at Shamaldas college,Bhavnagar.He wanted to persue academic carrier.Due to reasons unknown he was given a few marks less than required to get class required for selection.This gave a rude shock and hurt.He felt he was treated as insignificant as a suspended particle in air-rajkan!.So he says look what happens to a rajkan if it aspires to become as bright as sun!It is thrown back to earth to be crushed under feet of the ruthless .It is wellknown that he came to mumbai rose to show his real caliber and rise above many.His novel,”Madhav Kyany nathi madhuvan ma” was also reviewed harshly, but people liked it there many editions to prove its place.Many may not know that Kanaiyalal Munshi dictated” Krishnavtar” in english to Shri Jyotindra Dave in the begining and then to Harindra Dave!.If a reader does not read “forward” carefully, he would not at suspect that this is translation-what a translation.I hope readers will enjoy better this Lata’s unforgetable song.

    • I read Krishnavtar, 1,2,3 which has all seven parts combined in three volumes published in 2015, the latest one. I had read the “foreword” (Prastavik) earlier. After I read your comments, I again read it. The “foreword” does not mention this. However, there is a footnote, saying that the “forward” reproduced is from the last (seventh) book. It may have been mentioned in earlier editions, however. I would be interested if I can get a copy of such a “foreword”. If you can, please do so at chetrshah@gmail.com.

  24. રજકણે સુરજ થવાનુ સપનુ ના જોવાઈ, દીવો મશાલ પણ ના બની શકે, રજકણે જો સુરજ થવાનુ હોય તો તેણે આકાશ મા ઉગવુ પડે છે,

  25. લતાદીદીનુ આ અવિસ્મરૈણિય ગીત કહી શકાય.
    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 29 2007

  26. જયશ્રી,
    ફરી પાછુ એક ભૂલ તરફ ધ્યાન દોરું ? સંગીતકાર નું નામ દિલિપ ‘ઠોલકિયા’ નહી પણ “ધોળકિયા” છે.

  27. અરે વાહ જયશ્રી! ૭ મહિના પછી તેં આ ફરી આજે મુક્યું તો પણ એકદમ નવું જેવું જ લાગ્યું!! મને લાગે છે આપણે આપણી જુની પોસ્ટનું સમયાંતરે પુનરાવર્તન કરવું પડશે! મઝા આવી ગઇ…

  28. Excellent work in our mother tongue. Hope I can write in gujarati and help your adventure.

    Bharat

  29. માનનીય ડૉ.શ્રી વિવેકભાઇએ વિચારેલો ત્રીજો અર્થ મારી સાથે સંમત છે.

  30. ‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે ‘ચ’ નથી(વિવે-ચ-ક), એ બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને આ કાવ્યને જોવાની કોશિશ કરીએ.

    આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
    ( વિવેકભાઇના શબ્દો – કવિતાનો ભાવાર્થ અહીંથી લઇને આ ગીતની સાથે જ રજુ કર્યો છે)

  31. આ સરસ રચના છે, મારી પાસે આની ઓડીયો કદાચ લતા મંગેશકરનાં સ્વરમાં છે. જો મળ્શે તો જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

    સિદ્ધાર્થ

  32. મારી દ્રષ્ટિએ….
    જીવનની એ પળો વિશે છે જે ચડતી પડતી અનુભવે છે… ક્યારેક ઉત્સાહિત છે, તો ક્યારેક ગ્લાનિવત છે. ક્યારેક સપનાંથી થનગનતી છે, તો કયારેક નિરાશાવત છે.
    બીજી રીતે જૂઓ તો લાગે કે એક કન્યાની કુમારાવસ્થાની ઉર્મિઓ આલેખાઇ હોય…
    વધુમાં તો આપણા વિવેકભાઇ જ એમાં વધારે પ્રકાશ પાડી શકે….

Leave a Reply to Amit Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *