ગ્લૉબલ કવિતા: ૩૮: આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

આખરી દેવતાઓ

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસમાંની એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ કડક થયો છે
દૈવી પ્રવાહીથી નહીં પણ લોહીથી.
તેણી એને પકડે છે અને ચૂસીને
વધુ કડક બનાવે છે. પેલો ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહી હતી,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને કંપકંપી ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયાં હતાં એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સંભોગથી સમાધિ તરફ લઈ જતું નિર્વસનતાનું મહાગાન

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રોએ જે ઘડીએ તન ઢાંકવાનું શરૂ કર્યું, આપણાં મન પર પણ પરદા પડી ગયા. માણસ અને પ્રકૃતિ વચ્ચે ભેદ સર્જાયો. માણસ માણસથી પણ દૂર થઈ ગયો. દુનિયામાં ઘણી જગ્યાએ મનુષ્યો ન્યુડિસ્ટ કૉલોની કે ન્યુડ બીચ ઊભાં કરીને ફરીથી પ્રકૃતિની નજીક જવાની કોશિશ પણ કરે છે પણ કોઈ સાંધો કે રેણ આ ભેદ દૂર કરી શકવા સમર્થ નથી. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. વસ્ત્રોની સરહદની પેલે પારના કોઈક કલ્પપ્રદેશની કવિતા અમેરિકાના ‘સોશ્યલ વૉઇસ’ બની ગયેલા કવિ ગાલવે કિન્નલ લઈને આવ્યા છે.

ગાલવે કિન્નલ. અમેરિકામાં રહોડ આઇલેન્ડ પર જન્મ(૦૧-૦૨-૧૯૨૭).બાળપણથી જ એડગર એલન પૉ અને એમિલિ ડિકિન્સનથી પ્રભાવિત અને એમની જેમ જ એકાંતપ્રિય અને ખાસ્સા અંતર્મુખી. એમ.એ. સુધીનો અભ્યાસ. બાર્બરા બ્રિસ્ટોલ સાથે લગ્ન. વિશ્વપ્રવાસી. યુરોપ અને મધ્યપૂર્વમાં વર્ષો ગાળ્યાં. બે વર્ષ અમેરિકન નૌકાદળમાં સેવા પણ બજાવી. ઇરાનમાં પત્રકારિત્વ પણ કર્યું. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનના પ્રોફેસર અને અમેરિકન અકાદમી ઓફ પોએટ્સના ચાન્સેલર. વિશ્વભરની યુનિવર્સિટીઓમાં કવિતા શીખવતા. કોંગ્રેસ ઓફ રેસિયલ એક્વલિટી (CORE)-વંશીય સમાનતાના સક્રિય કાર્યકર, એ માટે એકવાર જેલવાસ પણ ભોગવ્યો. વિયેટનામ યુદ્ધ વખતે સરકારનો ભારે વિરોધ કરી યુદ્ધ-કર ન ભરવાની ચળવળના પ્રણેતાઓમાંના એક. પુલિત્ઝર પ્રાઇઝ, નેશનલ બુક એવૉર્ડ જેવા અનેકાનેક ખિતાબ-અકરામોથી નવાજિત. ૮૭ વર્ષની ઊંમરે લ્યુકેમિયાના કારણે ૨૮-૧૦-૨૦૧૪ના રોજ એક યુગ અંત પામ્યો.

યુ-ટ્યુબ પર એમના પ્રભાવશાળી કાવ્યપઠનની ક્લિપ્સ સાંભળવા જેવી છે. એ કહેતા કે, ‘કોઈ કવિતા નહીં લખે, જો આ વિશ્વ સંપૂર્ણ હોય.’એમના મિત્ર સી.કે.વિલિયમ્સના મત મુજબ,‘કિન્નલની કવિતા તમારી ભીતર એક માંદગી –સિન્ડ્રોમ ઑફ ધ સિંકિંગ હાર્ટ – જન્માવે છે. તમે કવિતાની મૌલિકતા, ઊંડાઈ-પહોળાઈ, કાબેલિયત, ચાતુર્યથી ઘાયલ થઈ જાવ છો. આવી કવિતા એણે કેવી રીતે લખી? હું તો આવું કદી લખી નહીં શકુંની ઈર્ષ્યા ઘેરી વળે છે. પણ પછી તમે એના ગાઢ પ્રેમમાં ગિરફ્તાર થઈ જાવ છો.’ બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકાના સહુથી વધુ વખણાયેલા-વંચાયેલા-ચર્ચાયેલા કવિઓમાંના એ એક છે. રોજિંદી જિંદગીના અનુભવોને એ બૃહદ ફલક પર કાવ્યાત્મક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બળો સાથે સાંકળે છે. મુક્ત પદ્યશૈલીમાં એ આપણા મનોજગતના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને યથાર્થ આલેખી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને મનુષ્યજીવનના સમતુલનને એ હળવે હાથે સ્પર્શે છે.

‘આખરી દેવતાઓ’ પણ મુક્ત કવિતા છે. આ નિર્વસનતાનું, પારદર્શિતાનુંગાન છે. કપડાંના નિયમો ફગાવીને જ પ્રારંભાતી આ કવિતા છંદ-પ્રાસ કે અંતરાની કાખઘોડી વિના જ ઊભી રહી શકે છે.કવિતાનું શીર્ષક ‘આખરી દેવતાઓ’ વિચાર માંગે છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓએ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે. ઓશો રજનીશે તો સંભોગથી સમાધિ સુધી જવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો હતો.

નગ્નતાને સ્વીકારવા માટે હિંમત કરતાં પણ વધુ તો બાળસહજ નિર્દોષતા જોઈએ. નાનો બાળક જ ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી શકે. આપણે ત્યાં ‘અંજળપાણી’ની જેમ જ ‘નગ્ન સત્ય’ ખોટો શબ્દપ્રયોગ રુઢ થયો છે. સત્ય તો નગ્ન જ હોય ને? આડંબરથી પર જ હોય ને? અને સત્યનો પ્રકાશ લાધે ત્યારે માણસ વસ્ત્રોથી પર અને પાર થઈ જાય છે. ‘યુરેકા’ કહીને આર્કિમિડિઝ શહેરની ગલીઓમાં નિર્વસ્ત્ર દોડી નીકળ્યો એ એનું ગાંડપણ નહોતું, સત્યના પ્રકાશથી એ ચકાચૌંધ થઈ ગયો હતો.જૈનોમાં એક સંપ્રદાય દિગંબર છે, જેને વેદોમાં ‘વાતરશના’ કહે છે. ‘દિશાઓ છે વસ્ત્રો જેનાં તે’ એમ દિગંબરનો બહુવ્રીહિ સમાસ શાળામાં ભણતાં ત્યારે આ શબ્દના ઊંડાણનો અહેસાસ સુદ્ધાં નહોતો. જે માણસ બધું જ ત્યાગી દે છે એને વસ્ત્ર પણ બોજ લાગે છે. બધું ત્યાગી દેનાર જ ઈશ્વરની નજીક જઈ શકે છે. એ વાત અલગ છે કે લોકો વસ્ત્રો પહેરીને દિગંબર મહારાજસાહેબના આશીર્વાદ લેવા જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જે નીતિને માત્ર સારામાં સારા વસ્ત્ર તરીકે જ પહેરે છે એ દિગંબર રહે તો સારું.’ કુંભમેળામાં પણ નાગા બાવાઓનો એક વિશાળ સમુદાય છે. નાગા બાવાઓનો એક પંથ ભરૂચ નજીકના અવાખલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. કહે છે કે લાવ લુશી નામના શૈવપંથીએ વીરશૈવ નાગાઓની પરંપરા ત્યાંથી આદરી હતી. વસ્ત્રોથી આઝાદી એ અપરિગ્રહનું પ્રથમ પગથિયું છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પેટની ભૂખ એ પ્રાથમિક ભૂખ છે. નિર્વસ્ત્રતા અહીં સાહજિક અને એટલી બધી નૈસર્ગિક છે કે એ આદિમ ભાવોને પણ સીધી ઉજાગર નથી કરતી. ટૂંકા વાક્યમાં ગતિપૂર્વક કવિ કહે છે, ‘પેલી બોલાવે છે. આ ફરે છે.’ નગ્નતા આડંબરનો અવકાશ જ શૂન્ય કરી દે છે. सीधी बात। नो बकवास। આદિમભાવથી પ્રેરિત નાયિકા નાયકને બોલાવે છે. બેરીઝથી વધુ ચડિયાતું કંઈક છે એ હવે નાયકને સમજાય છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. જ્યારે બલિ આવકાર આપે છે ત્યારે એક-એક પગલાંમાં એક-એક લોકને સમાવી લેતા વામનના પગલાંને નાના અમથા માથા પર અટકી જવું પડે છે.

ઘૂંટીભેર પાણીમાં દેખાતા નાયિકાના પ્રતિબિંબને ટુકડા-ટુકડા કરતો નાયક લીલ-પાંદડાં અને કીચડ ફેંદતો આગળ વધે છે ત્યારે દૃશ્યમાન જગત વચ્ચેની આત્મીયતા છતી થાય છે. પ્રતિબિંબ ગમે એટલું સુંદર કેમ ન હોય, એનો નાશ કરીએ તો જ વાસ્તવ હાથમાં આવે. યોનિમાર્ગ ખોલીને સસ્મિત આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં નાયક પેલીની ભૂખનું પહેલાં વિચારે છે. નાયક-નાયિકા તો સાવ નિર્વસ્ત્ર છે પણ નાયિકાના મોંમાં જે બેરી નાયક મૂકે છે એ બેરીએ ધુમ્મસનું ખમીસ પહેર્યું છે. કેવું અદભુત કલ્પન! બેરી પર ચોંટેલું ધુમ્મસ હજી સૂકાયું નથી એના પરથી કલ્પી શકાય છે કે વહેલી પરોઢનો આ સમય હશે. નાયિકાને પણ ઉતાવળ નથી. પેલો વારફરતી બેરીઝ ખવડાવે છે, પેલી ખાય છે. ગ્રીક દેવતા ઇરોઝ પ્રેમનો દેવતા કહેવાય છે અને એ પ્રેમ બાબતમાં કદી ઉતાવળ કરતો દેખાતો નથી. અહીં પણ આ બે મનુષ્યોનું મિલન એ કક્ષાનું છે એ બતાવવા કવિ ઉતાવળ કરતા નથી. સંભોજ અને સંભોગ –આમેય બે પ્રવેશક અને પ્રવેશ સમાવતી સમાન ક્રિયા નથી?

આકાશમાં ચકરાવા લેતાં, મસ્તી કરતાં બે અબાબિલ આ જ બંનેનો સ્નેહ પ્રતિબિંબિત ન કરતાં હોય એમ એકની ઝપટમાં જીવડું આવી જતાં બંને આનંદવિભોર થતાં નજરે ચડે છે. મૂળ કવિતામાં Swallow શબ્દ એકીસાથે ત્રણ પંક્તિઓમાં બીજા ક્રમે આવીને મજાનું ભાવવિશ્વ રચે છે જેમાં પહેલી બે વાર Swallows ક્રિયાપદ તરીકે બેરી ગળવાની પ્રક્રિયા અને ત્રીજીવાર Swallows સંજ્ઞા તરીકે, પક્ષીના નામનિર્દેશન માટે વપરાયું છે. અનુવાદ કરીએ ત્યારે ઘણીવાર આવી નાની-મોટી ચમત્કૃતિઓ કમને પણ ગુમાવવી પડતી હોય છે. પુરુષ ઉત્તેજિત થયો છે. ગ્રીક દેવતાઓની નસોમાં ichor-ઇકરનામનું દૈવી પ્રવાહી દોડતું પણ નાયક મનુષ્ય છે. એનું લિંગ લોહીના ભરાવાથી ઉત્તેજીત થયું છે અને નાયિકા એને ઝાલીને-ચૂસીને વધુ ઉત્તેજીત કરે છે.

સેક્સનો સમાજમાં ફેલાવો જેટલો આજે છે એટલો આ પૂર્વે ક્યારેય નહોતો. પૉર્નોગ્રાફીથી મોટો કોઈ ધંધો નથી પણ એની સામે એ પણ હકીકત છે કે સેક્સની બાબતમાં આજનો સમાજ જેટલો પછાત, સંકીર્ણ અને રુગ્ણ વિચારધારાથી પીડાય છે એટલો પણ આ પૂર્વે કદી નહોતો. સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. આમેય, વસ્તુ જેટલી વધુ વેચાય એટલું એનું મૂલ્ય ઓછું. સેક્સનું વેચાણ આકાશે ગયું છે ને મૂલ્ય પાતાળે. જુઓ તો, આ નાયક શું કરે છે! પહેલાં એણે બેરી ખવડાવી હવે ઓરલ સેક્સ પામ્યા પછી એ ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. સૃષ્ટિમાં સૌનું આગમન યોનિમાર્ગેથી જ થતું હોવા છતાં, મંદિરોમાં જઈને આપણે યોનિની પૂજા કરતાં હોવા છતાં સ્ત્રીને અને સ્ત્રીના જનનાંગોને બજારકક્ષાનું જે નિમ્નસ્થાન આપણા કહેવાતા અતિમુક્ત સમાજે આપ્યું છે એ કલ્પનાતીત છે.

નાયક પણ મુખમૈથુનનો પ્રતિસાદ એનાથી આપે છે. દ્વૈત અદ્વૈતાય છે. બંનેના આ દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. દેડકો, કાગડો, અબાબિલ – બધા જ ખુશ છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યની સર્વાનુભૂતિ અને અસ્તિત્વનો એકમાત્ર અર્ક છે. પ્રણયમાં કે જીવનમાં સુખ અને દુઃખની પરાકાષ્ઠાએ અનુભૂતિની તીવ્રતા એકસમાન જ હોવાની. પ્રણયમાં દુઃખની ચરમસીમાએ ‘મરીઝ’ પણ ‘મને મારી પ્રેમાળ મા યાદ આવી’ જ કહે છે અને એ જ રીતે માત્ર પ્રેમની ક્ષણોએ જ મનુષ્ય ઈશ્વરની લગોલગ હોય છે એમ ‘બધું જ સમજાવી દેતી’માતૃતુલ્ય આંતર્દૃષ્ટિ પણ પ્રેમની ચરમસ્થિતિએ જ ખૂલે-ખીલે છે.

Last Gods

She sits naked on a rock
a few yards out in the water.
He stands on the shore,
also naked, picking blueberries.
She calls. He turns. She opens
her legs showing him her great beauty,
and smiles, a bow of lips
seeming to tie together
the ends of the earth.
Splashing her image
to pieces, he wades out
and stands before her, sunk
to the anklebones in leaf-mush
and bottom-slime—the intimacy
of the visible world. He puts
a berry in its shirt
of mist into her mouth
She swallows it. He puts in another.
She swallows it. Over the lake
two swallows whim, juke, jink,
and when one snatches
an insect they both whirl up
and exult. He is swollen
not with ichor but with blood.
She takes him and sucks him
more swollen. He kneels, opens
the dark, vertical smile
linking heaven with the underearth
and licks her smoothest flesh more smooth.
On top of the rock they join.
Somewhere a frog moans, a crow screams.
The hair of their bodies
startles up. They cry
in the tongue of the last gods,
who refused to go,
chose death, and shuddered
in joy and shattered in pieces,
bequeathing their cries
into the human mouth. Now in the lake
two faces float, looking up
at a great maternal pine whose branches
open out in all directions
explaining everything.

– Galway Kinnel

6 replies on “ગ્લૉબલ કવિતા: ૩૮: આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)”

    • ખૂબ ખૂબ આભાર આપના સુચારુ પ્રતિભાવ બદલ… મને ખુશી છે કે આપણે આવી સંવેદનશીલ બાબતોને પણ તંદુરસ્તીપૂર્વક સ્વીકારતા થયા છીએ…. આભાર.

  1. superb with class of its own. to a certain extent i am reminded poem by kalapi—–sushupt priya nu darshan your comments pl.

  2. જે નિર્ભયતાથી કવિ વર્ણવે છે, એ ગમ્યું. કોઈ આને અષ્લીલ ગણે, જો ભાવના ને ન સમજે તો!
    પુરુષ અને પ્રક્રુત્તિનો સુમેળ ખુબ સુંદર રીતે રજુ થયો.
    કાલિદાસનું મેઘ્દૂત યાદ કરાવી ગયું.
    વાહ.
    – સુરેશ શાહ, સિંગાપોર

    • સ-રસ પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર… આપની વાત સાચી છે. કવિતાની ભાવનાને ન સમજી શકનાર ચોક્કસ જ આને અશ્લિલ કાવ્ય ગણે.

Leave a Reply to Suresh Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *