ગ્લૉબલ કવિતા: ૩૪ : वाक्यानी – લાલ દીદ (અનુ. વિવેક મનહર ટેલર)

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’

An idol is but a lamp of stone, a temple is but a lump of stone.
From crown to sole each is of but the one stuff.
O learned Pandit! What is this to which thou offerest worship?
Bring thou together a determined mind and thy vital airs.

When the sun disappeared, then came the moonlight;
When the moon disappeared then only mind remained;
When mind disappeared, then naught anywhere was left;
Then whither did earth, ether and sky go off together?

Whatever work I may do, the burden of the completion thereof lieth on myself,
But the earnings and the collecting of the fruits thereof are another’s.
If in the end, without thought for their fruits, I lay these works as an offering before the Supreme Self,
Then, where’er I may go, there is it well for me.

વાખ્યાની

નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યો કાયમ મેં આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?
સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

-લાલ દીદ
(અંગ્રેજી અનુવાદ: જ્યૉર્જ ગ્રિઅરસન, લાયનલ બાર્નેટ)
ગુજરાતી અનુ. વિવેક મનહર ટેલર

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

ઉપર અલ્લા, નીચે લલ્લા !

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. આખરે ૨૬ની ઊંમરે ગૃહત્યાગ કરીને લલ્લાએ પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્ન રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા જાતે કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, કાળક્રમે ભાષામાં ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી પણ છંદોલય અને લલ્લા માટેનો સ્નેહાદર લેશમાત્ર બદલાયા નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી.

યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવ શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપે છે:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર પણ આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. ‘હું કોણ છું’નો સનાતન પ્રશ્ન લલ્લા ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું જાતને ઓળખી ન શકી. આ દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. પણ આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે એ તથ્ય જ વિસરાઈ ગયું. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’

બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, ઈશ્વર પથ્થર છે, મંદિર પણ પથ્થર છે. માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ગુજરાતમાં સોનીનો ધંધો કરતો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર અખો કેટલી હદે સમાન વિચાર ધરાવે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

ત્રીજા વાખમાં પણ લલ્લા void in to voidની જ વાત કરે છે. યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. સૂર્ય અદૃશ્ય થયો તો ચાંદો પ્રકાશ્યો. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. અહીં, વ્યક્તિગત આત્મા અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે.

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા જ માથે છે તો એનું ફળ બીજાને મળે એ કેમ ચાલે? વાલિયો લૂંટારો લૂંટ-ખૂન કરે અને પેટ પરિવારનું ભરાય? આપણા આ કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વરસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાનરીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી. કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

7 replies on “ગ્લૉબલ કવિતા: ૩૪ : वाक्यानी – લાલ દીદ (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. લલ્લાનું જીવન અગર ભારતના
    મેદાની પ્રદેશમાં વિત્યું હોત, તો
    તે મીરાં કરતાંય મહાન ગણાઈ હોત..!

    વિવેક ભાઈ,
    આપના થકી અમે ઘણું મેળવી રહ્યા છીએ..!
    અમારા જ્ઞાન-વર્ધન માટે ભગવાન
    આપને હમેશા સ્વસ્થ, સલામત અને સક્રિય રાખે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *