ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે
પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, અંદર દબાવતી
વાળની ખુલ્લી લટને, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
કિચૂડાટ સાથે ધસમસે છે
સૂકા પાંદડાઓ ઉપરથી ને હું નમીને સસ્મિત પસાર થાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

The young housewife

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams
સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ લખવાનો અધિકાર કોનો?

પુરુષવાદી સમાજના વાડામાં કેદ ગૃહિણીની આ કવિતા પહેલાના, અને આજના – તમામ સમયગાળામાં સ્ત્રીઓનું સ્થાન અને પુરુષોની નજર પર પ્રકાશ ફેંકે છે. કવિ એક તબીબ હતા અને હોમ-વિઝિટ્સ પણ કરતા હતા, એ પશ્ચાદભૂ પણ આ કવિતા સમજવા કામ આવે એમ છે.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ. અમેરિકાના ન્યુ જર્સીના રુધરફૉર્ડ વિસ્તારમાં કળા અને સાહિત્યપૂર્ણ વાતાવરણવાળા પરિવારમાં જન્મ. (૧૭-૦૯-૧૮૮૩થી ૦૪-૦૩-૧૯૬૩) પિતાએ શેક્સપિઅર, દાન્તે, બાઇબલથી પરિચિત કરાવ્યા પણ વિલિયમનો મુખ્ય રસ ગણિત અને વિજ્ઞાન. હાઇસ્કૂલમાં પહેલીવાર એમને ભાષામાં રસ પડ્યો અને પ્રથમ કવિતા પણ એ સમયે જ લખી. જડ આદર્શવાદી અને પરિપૂર્ણતાવાદી મા-બાપનો ખાસ્સો પ્રભાવ રહ્યો. આ જ પ્રભાવ હેઠળ એ મેડિસીન ભણ્યા. તબીબ બન્યા. ચાળીસ વર્ષ સુધી તબીબ તરીકે સેવા બજાવી. તબીબ તરીકે ખૂબ સંવેદનશીલ, માયાળુ અને સામાજીક. પણ પુરુષવાદી અભિગમથી સાવ મુક્ત ન થઈ શક્યા. ઇંગ્લેન્ડની શુદ્ધ અંગ્રેજી કરતાં અમેરિકાની ઉડઝુડિયા અંગ્રેજી જ એમને ગમતી અને એ રીતે એ સાચા અર્થમાં અમેરિકન કવિ બનીને જીવ્યા. જીવનના છેલા બે દાયકામાં હૃદયરોગ અને લકવાના ઉપરાછાપરી હુમલાઓનો ભોગ બન્યા. પણ આ બિમારીઓમાં એમની સર્જનશક્તિ વધુ ખીલી ઊઠી. આખરી ઘડી સુધી તેઓ સર્જન કરતા રહ્યા.

કીટ્સ અને વ્હિટમેન એમના પ્રિય. કીટ્સને તો એ ભગવાન ગણતા. પણ મેડિકલ કોલેજના પહેલા જ વર્ષથી એઝરા પાઉન્ડ સાથેની દોસ્તી અને કવિતાનો એમના પર ભારે પ્રભાવ રહ્યો. એમણે પોતે પાઉન્ડ સાથેની મુલાકાતથી જિંદગીના બે ભાગ થયાનું – ઇસુ પહેલાં (B.C.) અને પછી (A.D.) જેવો ફરક થયાનું કબૂલ્યું છે. ઇમેજીસ્ટ અને મોડર્ન પોએટ્રી મુવમેન્ટમાં એમણે ખૂબ આગળ પડતું ને નોંધપાત્ર કામ કર્યું. એમનું સોળ જ શબ્દોનું ‘ધ રેડ વ્હિલબરો’ કાવ્ય ઇમેજિસ્ટ કવિતાની ખરી ઓળખ ગણાય છે. એલિયટની સફળતાથી એમને તકલીફ પણ થઈ અને એમની કવિતામાં વળાંક પણ આવ્યો. કવિતામાં છંદો સાથેના પ્રયોગ, તરોતાજા અમેરિકન ભાષા, ઇમેજીઝમ, રોજબરોજના પ્રસંગો અને સામાન્ય માણસની જિંદગીના પ્રામાણિક આલેખનના કારણે એમની કવિતા અલગ તરી આવે છે. એ કહેતા, ‘બધા નિયમોને ભૂલી જાવ, બધા બંધનો ભૂલી જાવ, જેમ ખાવાનું, બોલવાનું, એમ લખવાનું પણ માત્ર એના આનંદ ખાતર જ હોવું જોઈએ.’ કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, નાટક ક્ષેત્રે પણ ખૂબ પ્રભાવક ખેડાણ કર્યું.

પહેલી નજરે કવિતામાં સાવ સાદું દેખાતું દૃશ્ય જરા હળવા હાથે ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની અને સ્ત્રી-પુરુષના સામાજીક દરજ્જાની ખરી અને ખારી ભાતો ઉપસી આવે છે. કવિતાના આંચકા આપતા મૂડને અનુરૂપ કવિએ કવિતામાં દરેક પંક્તિમાં છંદના અનિયમિત આવર્તન પ્રયોજ્યા છે. ક્યાંય પ્રાસ મેળવ્યા નથી. ત્રણ અંતરા અને ત્રણેયમાં પંક્તિની સંખ્યા પણ અનિયમિત. ત્રણેય ફકરામાં વાત મોટા ફલક પર શરૂ થઈ ફકરાના અંત લગીમાં કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય એ રીતની ગતિ જોવા મળે છે. ગૃહિણીના દામ્પત્યજીવનમાં છંદોલયનો અભાવ, પ્રાસહીનતા, અને અનિયમિતતા નિર્દેશવા કાવ્યસ્વરૂપ મદદરૂપ થાય છે.
‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી તાજું છે. શરૂઆતનું દામ્પત્યજીવન તો સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઊડાડી દે એવા પ્રેમના વાવંટોળ જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ આ એક જ શબ્દપ્રયોગ દંપતિમાંથી સ્ત્રી અને પુરુષને અલગ કરી દઈ શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

નવું કશું નથી. પૂર્વ હોય કે પશ્ચિમ, ગઈ કાલ હોય કે આજ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કદી ઓગળી નથી. સ્ત્રી હંમેશા ભોગવવાનું સાધન જ રહી છે. જીવનના રંગમંચ પર भोज्येषु माता, कार्येषु दासी, शयनेषु रंभा આ બધા કિરદાર સ્ત્રીઓએ જ ભજવવાના લખાયા છે. શૃંગારશતકની શરૂઆતમાં જ ભર્તૃહરિ લખે છે:

स्मितेन भावेन च लज्जया भिया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षणैः।
वचोभिरीर्ष्याकलहेन लीलया समस्तभावै: खलु बन्धनं स्त्रियः॥

(સ્મિતથી, ભાવથી, લજ્જાથી, અર્ધકટાક્ષભરી નજરવાળા મુખ સાથે પાછા વળીને, વચનથી, ઈર્ષ્યાથી, કલહથી, લીલાથી – સમસ્ત ભાવથી સ્ત્રીઓ ખરેખર બંધન છે)

સ્ત્રી જ બંધન? સ્ત્રી જ સમસ્યા? ઈવે સફરજન માંગ્યું: આદમે કામેચ્છાવશ તોડી આપ્યું, સીતાએ સુવર્ણમૃગ માંગ્યું: રામ દોડ્યા, ગૌતમઋષિએ પતિધર્મ ન નિભાવ્યો, ઈન્દ્ર સ્ખલન કરવા આવ્યો: અહલ્યા તણાઈ ગઈ – બધામાં સ્ત્રીઓ જ દોષી? ભર્તૃહરિ સ્ત્રીઓને अविनयभुवनम् (અવિનયનું ધામ), नरकपुरमुखम् (નરકપુરનું મુખ) કહી એમની કુટિલ વાંકી ભ્રમરોને નર્કદ્વાર ઊઘાડનારી કૂંચી (कुटिला भ्रूलता कुन्चिकेव) કહી ઓળખાવે છે. એક શ્લોકમાં એ કહે છે:

किं गतेन यदि सा न जीवति प्राणीति प्रियतमा तथापि किं।
इत्युदीक्ष्य नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम्॥

(જો એ જીવતી ન હોય તો જવાથી શું અને (વિયોગ છતાં) જીવતી હોય તોય (ઘરે જવાથી) શું? એમ વિચારીને મેઘમાળા જોઈનેય પથિક સ્વગૃહે પાછો ફરતો નથી.) પણ શું વિયોગમાં પ્રાણ માત્ર સ્ત્રીના જ જવા જોઈએ? પુરુષનું શું? આ પ્રશ્ન સદા અનુત્તરિત જ રહ્યો છે. આદિ શંકરાચાર્ય પણ પુરુષમુખી સમાજથી અળગા થઈ શક્યા નથી. કહે છે: ‘नारीस्तनभरनाभीदेशं दृष्ट्वा मा गा मोहावेशम्।’ (નારીના સ્તનનો ઉભાર અને નાભિપ્રદેશ જોઈને મોહાવેશમાં ન આવતો.) ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં મિલ્ટન પણ પ્રખર પુરુષવાદથી પીડાતા જોવા મળે છે. ‘Not equal, as their sex not equal seem’d’ કહીને એ કહે છે, ‘Hee for God only, and shee for God in him.’ પુરુષ ઈશ્વર માટે પણ સ્ત્રી માટે તો પુરુષ જ ઈશ્વર? એકને ગોળ ને એકને ખોળ? વાહ રે સંસાર!

કવિતા ભણી વળીએ. પતિ કામે નીકળી ગયા બાદનો સમય છે. કવિતા લખાઈ એ જમાનામાં સ્ત્રીઓ ઘર બહાર પાતળી નાઇટી પહેરી આવતી નહીં. નાયિકા નાઇટી પહેરીને પતિના ઘરની લક્ષ્મણરેખા પાછળ આઝાદીના બે’ક શ્વાસ ભરી રહી છે અને કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની કેદમાં છે.

પહેલા ફકરામાં ‘husband’s house’ તેમ બીજામાં ‘uncorseted’ શબ્દ આંચકો આપે છે. Corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર દોરીથી ખૂબ કસીને પહેરતી. ઘરમાં કોર્સિટ પહેરવાનો રિવાજ નહોતો પણ ઘર બહાર કોર્સિટ વિના નીકળવું મોટી વાત ગણાતું. ગૃહિણીએ આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે? પણ મુક્તિ બંધનની ઉપસ્થિતિ પણ તો સાબિત કરે જ છે ને?

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. ‘અંદર દબાવતી’ શબ્દ પર પંક્તિ પૂરી થાય છે. અંદર દબાવતી? શું? પાતળા નજીવા ગાઉન, કોર્સિટની ગેરહાજરી પછી સેક્સ્યુઆલિટી તરફ આ ત્રીજો ઈશારો છે. Enjambment-run off શૈલી પ્રયોજીને બીજી પંક્તિમાં ઘટસ્ફોટ કરે છે કે ગૃહિણી વિખરાઈ ગયેલી લટોને અંદર દબાવે છે. પતિની ગેરહાજરીમાં ‘અયોગ્ય’ વસ્ત્રપરિધાન અને ફેરિયાઓ સાથેના એના વિનિમયને જોઈને નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું. ચારિત્ર્ય સ્ખલન? શું ગૃહિણી ફ્લર્ટ છે?

છેલ્લા ફકરામાં કચડાતાં સૂકાં પાંદડાં. આગલી પંક્તિમાં ગૃહિણીની સરખામણી ખરેલા પાંદડા સાથે કરીને તરત જ કવિ ગાડી નીચે કચડાતા સૂકાં પાંદડાંનો નિર્દેશ કરે છે. નાયકનો કામભાવ? સ્ત્રીની ઉપર ચડી જવાની સનાતન પૌરુષીવૃત્તિ? એ જ રીતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં સૂકા પાંદડાના કિચૂડાટ સમજવા જેવો છે. પુરુષ દુષ્કર્મ કરે તો સમાજમાં અવાજ ઊઠતો નથી પણ સ્ત્રીનું દુષ્કર્મ ચિત્કારી ઊઠે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નાયક પસાર થતી વખતે નમે છે કેમકે બંને જણ કદાચ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આખી કવિતામાં એક sexual tension અનુભવાતું રહે છે. સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ પુરુષ લખે છે. સીતા એકલી રહી એટલો સમય રામ પણ એકલા રહ્યા, પણ અગ્નિપરીક્ષા માત્ર સીતાની જ થઈ.

અંતે, સ્ત્રીની નજરથી આ કવિતા જોવામાં આવે તો? નજરથી જ સ્ત્રીમાત્રને નિર્વસ્ત્ર ‘ફીલ’ કરાવતા આવા પુરુષો વિશે સ્ત્રીનો શો અભિપ્રાય હોઈ શકે? રસ્તા પર ધ્યાન આપવાના બદલે પોતાના કોર્સિટ વિનાના નાઇટી ઉપર ધ્યાન આપી સ્મિત આપી પસાર થતા પુરુષ માટે કયું કેરેક્ટર સર્ટિફિકેટ ગૃહિણીને આપવું હશે? સ્ત્રી જાણે છે:

मैं सच कहूंगी मगर फ़िर भी हार जाउँगी,
वो जूठ बोलेगा, और लाज़वाब कर देगा। (પરવીન શાકિર)

11 replies on “ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ”

  1. Sir,I’m ,Gujarati, my father was Gujarati poet,song writer, recently ,shri vinodjoshi published a book on my father’s creation.

  2. ખુબ જ સુન્દર અનુવાદ તથાઆસ્વાદ. કવિ નો પરિચય તેનેી માનસિકતા જાણવા ઉપયોગેી.

    – ઉલ્લાસ ઓઝા

  3. અફસોસ હોય તો એટલોજ ” તેના પતિની” પતિએ”ગૃહીણી ” ન બનાવી શક્યો અને તે “તાનાપતિ” ની ” ગૃહીણી ન બની શાકીપાયો જ ખોટો
    ” ગૃહિણી” જેવો યથાર્થ શબ્દ અંગ્રેજી માં કયો?

  4. ખુબ સુંદર આલોચના – મનને ચગડોળે ચડાવે – ગૂઢર્થ દર્શાવે.
    આભાર.
    કવિનો પરિચય ગમ્યો.

Leave a Reply to ketan yajnik Cancel reply

Your email address will not be published. Required fields are marked *