ગ્લૉબલ કવિતા – અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડેન

અજાણ્યો નાગરિક

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને એને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો;
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એનાવિચારોમાં બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિકઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે અને કારણ કે એ ગુમનામ હતો, રાજ્યસરકારે એને દફન પણ કર્યો છે અને એની કબરની ઉપર આરસની તકતી પણ લગાવી છે. આ તકતીની ઉપર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર એક અજાણ્યા નાગરિકની એકમાત્ર જાણકારી-ઓળખ બનીને રહી ગઈ છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી નફ્ફટ ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા સતત લંબાયે રાખે છે અને આપણા અહેસાસના અક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડેનસાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ.શબ્દોના આકાશ નીચે વસી શકે એ તમામ કાવ્યપ્રકારોમાં ખેડાણ કરી શકવાની એમની ક્ષમતા એમના વિશાળ સર્જનમાંથી ટપકતી જોઈ શકાય છે. સમસામયિક પ્રવાહો, સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાનું સંમિશ્રણ ઓડેનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનીકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડેનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિગણાય છે.

જન્મ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે 21-02-1907ના રોજ. 29-09-1973ના રોજ વિએના ખાતે નિધન. ઓક્સફર્ડ ખાતે અભ્યાસ. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. 1930માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. 1939માં અમેરિકા સ્થળાંતર કર્યું. ત્યાં જ ચેસ્ટન કોલમેનના પ્રેમમાં પડ્યા અને ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા. ઑડેનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ એમના પર વર્તાય છે. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડેનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

અજાણ્યો નાગરિક એ કવિની જાણીતી રચનાઓમાંની એક છે. 1939માં ઇન્ગ્લેન્ડથી અમેરિકા સ્થળાંતરિત થયા બાદની તરતની રચનાઓમાંની આ એક છે. આપણે ત્યાં આજે જેમ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે એવું જ અમેરિકામાં સોશ્યલ સિક્યુરિટી નંબરનું છે. સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે 1932માં લખાયેલ નવલકથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને સામા પક્ષે વૈજ્ઞાનિકો અને ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ એવું તો આબેહૂબ રજૂ થયું છે કે કાંપી જવાય. સાડા આઠ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથા ભયનું લખલખું ફેલાવી દે છે. તો સામા પક્ષે ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડેનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરન કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો ન ભૂતો, ન ભવિષ્યતિ જેવી છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠિંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ ઑડેનની આ કવિતાની જેમ જ સમયના વહેણમાં ક્યારેક ગુમરાહ થવું-થવું કરતા સમાજના જહાજને સાચી રોશની પૂરી પાડે છે.

આ અજાણ્યો નાગરિક મારા-તમારામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. સરકાર માટે આપણી શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ અંકશાસ્ત્રથી થાય છે એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હેસિયત જ નથી. આ આમ આદમીની જિંદગી સંતના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને હવે સંતનું અસ્તિત્ત્વ શક્ય નથી. માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી માણસની જાત-કિંમત નક્કી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે.

તમારા દ્વારા અપાતા અભિપ્રાયો પણ સરકારને સુસંગત હોય તો જ એ સામાન્ય છે. બાળકોનો જન્મ હોય કે શિક્ષણ, તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલા આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ એણે નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

શું આપણે આઝાદ છીએ? શું આપણે ખુશ છીએ? કોઈને આ વાતની કંઈ પડી છે ખરી?! બળદ ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં એની ઓળખ અ-જાણ્યાથી વિશેષ છે જ નહીં આ વિરોધાભાસ, આ કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે એ જ આ કવિતાનો પ્રાણ છે.

*

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was asaint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of hisgeneration.
And our teachers report that he never interfered with theireducation.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden

8 replies on “ગ્લૉબલ કવિતા – અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડેન”

  1. બહુ સુંદર ચિંતન કર્યું છે…..અને જે વ્યક્તિને જો કોઈ સરકારી એવોર્ડ કે સરકારી માનપત્ર ન મલ્યા હોય, એ વ્યક્તિ કોઈ પણ સરકાર માટે માત્ર એક નાગરિક કે બહુ બહુ તો નંબરથી ઓળખાય..

  2. Vivek ji,
    (Guj. Font ma problem chhe! Etle aa font thi lakhu chhu.)

    Thoda j samay ma, Gujarati bhasha ma vaishvik kaksha nu Vivechan vachavu e vyasan bantu jay chhe!

    Thoda j gyan ni labdhi thata, Dahapan khoi besta apna ekandar Gurjar-Bharatiyo vachche tame Vishva gurjari ni je ahalek jagavi chhe ane te pan lok bhogya shaili ma, te ananya chhe!
    Jyare ‘Santaru’ ke ‘Safarjan’ etle shu? ne ‘Chhapan’ etle ketla? no rog gamda sudhi vakaryo chhe tyare sva-bhasha par Abhiman thay tevu Abhinandaniy Abhiyan tame chalavi chho..!

    Tamara par Gira Gurjari ni krupa kayam rahe, Dhanyavad..!

    Jojo, Suresh joshi jeva aghara na thai jata..!

    • આપનો ખૂબ ખૂબ આભાર… મારી લાયકાતથી વધીને બહુમાન આપે કરી દીધું છે… આને હું મારી નૈતિક જવાબદારી અને દીવાદાંડી ગણીને સાવચેતીપૂર્વક આગળ વધીશ…

      મિત્રો આટલી લાગણીથી મારી કોલમ વાંચે છે એનાથી વધીને બીજો શું પુરસ્કાર હોઈ શકે?

      આભાર…

  3. Dear Vivekjee…
    Nice poetry, and good translation…Thanks.
    Of course, Politicians and so called religious teachers ( SANT) , they are the mafias of society…but they can rule on only fast asleep people…of course, the majority people are living under the sleep only. ; but they have got freedom to awake…and for that nothing is required…no conditions…
    If Krishnamurti or Gurdjieff , can become free , why we can not…?
    Dr. Frankel has written , he was free even in concentration camp of Hitler…
    Any way once again thanks for POETRY…
    JEETU_NAYANA.

    • ખૂબ જ મજાનો પ્રતિભાવ…

      આવા બે-ચાર વિચારપૂર્ણ પ્રતિભાવ મળતાં રહે છે એ જ લખવા પાછળનું સારું પ્રેરકબળ છે…

      ખૂબ ખૂબ આભાર….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *