ગ્લૉબલ કવિતા : તારા પગ – પાબ્લો નેરુદા

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેતરફા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*
“મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?”

– આ લખનાર વિશેની એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી, થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી મોકલી હતી. ફિલ્મ જોયા પહેલા કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિઅય્સર નેફ્ટાલ્લી રેયસ બસોઆલ્ટો. વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકાના ચીલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. રાજકારણમાં શરૂથી અંત સુધી ઊંચા વગદાર હોદ્દા પર સતત સક્રિય રહ્યા. રાજકીય કારણોસર એમણે જીવ બચાવવા દેશ છોડીને ભાગવુ પણ પડ્યું હતું. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. નેરુદાની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું. પણ હજીય એવું માનવામાં આવે છે કે રાજકીય કારણોસર ડોક્ટરને હાથો બનાવીને ઇન્જેક્શન આપી એમની હત્યા કરવામાં આવી હતી.

નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાછાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, “પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, કોલસાના થેલાઓ, પીપડાઓ અને ટોપલીઓ, સુથારના ઓજારપેટી માટે હાથા અને દાંડાઓ… એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના “ખરાબ સ્વાદ”થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.”

‘ખરાબ સ્વાદ’ની વાત શરીરના સંદર્ભમાં કરીએ તો ‘પગ’ યાદ આવે. ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ ચારેતરફ વેરાયેલી મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. આપણે ત્યાં પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ છે. ‘ચરણસ્પર્શ’ હજી આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. કેવટે કહ્યું, ‘પગ મને ધોવા દ્યો રઘુરાય.’ ચરણસ્પર્શથી શિલા અહલ્યા થઈ. કૃષ્ણના મનુષ્યાવતારનો અંત પગની પાનીમાં તીર વાગવાથી થયો હતો. વામને ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રી પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્-ભાગવતમાં એક શ્લોક છે:

प्रणयकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि ।
चरणपंकजं शन्तमं च ते रमण न: स्तनेष्वर्पयाधिहन् ॥
(માટે મનોવ્યથાનો નાશ કરનાર હે રમણ! આપનું ચરણકમળ, જે પ્રણામ કરનારાઓને કામનાઓ અર્પણ કરનારું છે; બ્રહ્મદેવે પૂજેલું છે, પૃથ્વીને શોભાવનારું છે, આપત્તિકાળમાં ધ્યાન ધરવા યોગ્ય છે અને અત્યંત સુખકારક છે તેને આપ અમારાં સ્તનો ઉપર મૂકો (અને કામજ્વરને શાંત કરો).

આ છતાંય ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. પણ નેરુદા પગની કવિતા લઈ આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं। इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे।“ આપણે ત્યાં પણ વિખ્યાત લોકગીત છે, ‘“હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?”’ નેરુદા પણ પ્રિયતમાના પગના વખાણ કરે છે. કવિતાની પહેલી પંક્તિ જ પ્રશ્ન ઊભો કરે છે: ‘જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું.’ ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કવિનું ધ્યાન આજે ચહેરા પર છે જ નહીં. કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિ તો પગના પ્રેમમાં છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોદોર દોસ્તોએવસ્કી (લેખક),એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી.

કવિ પગ પર ધ્યાન આપે છે કેમકે આ પગ ભલે નાના અને સખત કેમ ન હોય, એના મરોડદાર હાડકાંઓ જ પ્રિયાને આધાર આપે છે અને મીઠું લાગે એવું વજન પણ ઉપાડે છે. ‘ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.’(ગની દહીંવાળા) પ્રિયતમાનું વજન ઉપાડી લેતાં પગ એકરીતે તો પ્રિયતમાને જ ઈંગિત કરતાં લાગે છે. પ્રિયતમા પણ મરોડદાર નાની કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

કવિતાની શરૂઆતમાં ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ કવિ પ્રિયતમા તરફ ફેરનજર કરે તો છે જ. નાજુક કમર અને કમરની નજાકત ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ, ક્યાંક દૂર ચાલી ગયેલી આંખોના સ્થાને ખાલી ખાડા, પહોળું મોં અને રાતા કેશ. આખી કવિતામાં પ્રિયતમાના સૌંદર્યના જ રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે.

પણ ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. સુન્દરમ્ નું એક મુક્તક યાદ આવે:

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને સૃષ્ટિમાં જે કંઈ હો અસુન્દર,
મૂકું કરી સુંદર ચાહી ચાહી !

કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’ પણ આજે એ લલચામણા સ્તન, સ્તાનાગ્રો, કમર, આંખ, સ્મિત – આ બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે કેમ કે એ પગ ત્રણેય લોકમાં ચાલ-ચાલ કરે છે, જ્યાં સુધી કવિને શોધી નથી લેતા ત્યાં સુધી. મનોજ ખંડેરિયા યાદ આવે:

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. પવન અને પાણી પર ચાલવાની વાત કવિ કરે છે. અશક્ય અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. નેરુદા એક જગ્યાએ કહે છે, ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું… તારા પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે.

12 replies on “ગ્લૉબલ કવિતા : તારા પગ – પાબ્લો નેરુદા”

  1. Reading this poem on beloved”s feet I remembered a couplet by Galib :Jahan tere naxe kadam dekhte hai/ khayanba khayaban iram dekhte hai (wherever I behold your footprint,on that every square/point I find the heaven !
    I also like here to cite two lines of our poet Balmulund Dave: : Joyi vahli jyarthi tara pag ni hina / Aej amarun Makka ne aej amaru Madina !

  2. Nice poem and article. Thanks. I have visited Pablo Neruda’s home in Valparaiso, Chile. Very touching place he selected to live.

  3. વિવેક જી ,
    ઓરીજીનલ કવિતા કરતા અનુવાદ અથવા ભાવાનુવાદ , વધારે સુંદર લાગે છે…એવું લાગે છે કે ઓરીજીનલ કવિતા ગુજરાતી માં છે, સુંદર છે, પણ એનો ફાલતું અનુવાદ અંગ્રેજી માં કરેલ છે….મરોડદાર હાડકા વાળા પગ , સામે…hard little leg with arched bone….જામતું નથી …
    any way English language is prose language…all western language is such…i was a professor of chemistry in Mithibai college…Not possible to teach in Gujarati…
    આ હિસાબે ગુર્જીએફ્ફ ને અમેરિકા માં ધ્યાન શીખવાડવામાં બિચારા ને કેટલી તકલીફ થઇ હશે….
    મારું ગુજરાતી પણ સારું નથી , પણ તમે કવિ વિષે અને કવિતા વિષે જે વિવરણ આપ્યું છે , તે બહુ જ સુંદર છે …વાંચવાની મજા આવે છે…જેટલો અનુવાદ સારો છે , તમે પણ તેટલા જ સારા છો…
    નયના-જીતું …

  4. સત્ય પ્રગટ થાય છે અંતિમ ક્ષણોમાં, કાવ્ય હિલયુ અંતિમ પંક્તિઓમાં બધુજ સુંદર છે પણ તારી અંદર રહેલા મને અને મારી અંદર રહેલી તને પરસ્પરનો સાક્ષાત્કાર થયો અને કસ્તુરી મૃગ ની ભ્રાન્તિ દૂર થઇ

Leave a Reply to Team Should Creative Cancel reply

Your email address will not be published. Required fields are marked *