ગ્લૉબલ કવિતા : ખાતરી : એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને તેજસ્વી કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું મોકળું હૃદય, બક્ષે છે આદિ કર્મ.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

“અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.”

– સમજી શકાય છે કે ગામડાંથી શહેર તરફની ગતિ લખનાર પચાવી શક્યા નહોતા. આ લખનાર, એડવિન મૂર આ સ્થળાંતરને “ઇડનથી નરક” તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર મૂરના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. એડવિન મૂર સ્કૉટલેન્ડના ઓર્ક્ની ટાપુઓ પર ખેતમજૂરને ત્યાં જન્મ્યા. (૧૫-૦૫-૧૮૮૭ થી ૦૩-૦૧-૧૯૫૯) બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં જ મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંની ફેક્ટરીમાં કરવી પડેલી નોકરી જેવી નોકરીઓ અને હતાશાઓએ પણ સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. કવિતા ઉપરાંત એમણે વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

“જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે તે જોઈએ. સુલતાન ફિલ્મના એક ગીતથી શરૂઆત કરીએ. “जग घूमेया, थारे जैसा ना कोई” થી શરૂ થઈ “जैसी तू है वैसी रहना” સુધી આ કવિતા પહોંચતી હોવાનું અનુભવાય છે.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટને કહ્યું કે તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી. પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રૈણ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

કવિ પણ એ જ કહે છે કે મારી વહાલી! હા, તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. હું વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ. આવામાં જ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बंजारे को घर’ની જેમ સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.

આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં એટલે હવે કવિને ખાતરી થાય છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાર્થ જ સ્વીકારી લેવાય એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે કહ્યું, रम्याणी वीक्ष्य। (સર્વમાં સુંદરતા જ જોવી.) સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

6 replies on “ગ્લૉબલ કવિતા : ખાતરી : એડવિન મૂર”

  1. Vivekbhai Your own poetry as well translation done by you takes me to other world..no words..

  2. ભાઈ વિવેક , તમારી કવિતાઓ વાંચું છુ અને તમારા શબ્દો મને બીજી જ દુનિયા માં લઇ જાય છે . “અરીસો ” તો અપ્રતિમ છે . એમી લુપ્ત થતી ચકલીઓ બદ્દલ બેનમૂન લખ્યું છે . આપણે ખુબ શુભેચ્છા .

  3. ખરેખર બહુ જ સુંદર લખાણ છે. કવિતા તો સારી છે જ, પણ, તમારી છણાવટ ખરેખર માણવાલાયક અને મમળાવવાલાયક છે. આપનો ખૂબ જ આભાર !

  4. હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
    ને જે અસુન્દર રહી તેહ સર્વને
    મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
    વીશેષ કહેવામાં વિવેક નથી જળવાતો

Leave a Reply to nayana bhuta Cancel reply

Your email address will not be published. Required fields are marked *