નિરંજન ભગત પર્વ – ૧

Niranjan-Bhagat

આવતી મે ૧૮ના દિવસે – આપણા ગુર્જરભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ. આ જ નિમિત્તે ટહુકો.કોમ પર આપણે થોડા દિવસ માણીએ નિરંજન ભગત પર્વ. આવતા થોડા દિવસ આપણે માણીશું એમના કાવ્યો, અને એમના વિષે થોડી વાતો.

અને આજે શરૂઆત કરીએ – કવિ વિષેની થોડી વાતોથી – કવિ સાથેના સંવાદ સાથે.

(વિડિયો અને પરિચય માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.

‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.

‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

છંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો કલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

9 replies on “નિરંજન ભગત પર્વ – ૧”

  1. Thanks to”TAHUKO” for taking very good initiative and congratulation to our respectable Bhagarsaheb

  2. Very good initiative as always by “TAHUKO”. At least I will have an opportunity to know more and refresh some memorable poems from Respectable poet of Gujarat. Congratulations and Thanks to “TAHUKO”.

  3. Param Pujya Bhagatsheb ne Sadar Pranam
    Sathe Janma Diwas ni shubhkamna .
    Tahuko na stutya abhigam badal abhar abhinandan

  4. ટહુકો સમયસરનો મળ્યો ફળ્યો
    તમને સફૂને અને ભગત્સાહેબને નમસ્કાર

  5. કવિ શ્રી નિરંજન ભગત ના ૯૦ મા જન્મદિવસે તેમને સવન્દન અભિનંદન!
    આ નિમિત્તે નિરંજન ભગત પર્વની ઉજવણી માટે ‘ટહુકો’ ને શુભેચ્છા અને અભિનંદન!

    દિનેશ પંડ્યા

Leave a Reply to Bihari Mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *