મળવા જેવા માણસ : શ્રી મહેન્દ્ર મહેતા – Article by પી. કે. દાવડા

1093752_10201825730906471_1361400182_oશ્રી મહેન્દ્ર મહેતા – જે આમ તો મારા માટે, અમિત માટે અને Bay Areaમાં વસતા મારા જેવા ઘણા બધા ગુજરાતીઓ માટે – વ્હાલા મહેન્દ્ર અંકલ. એમના વિષે આ આર્ટિકલ લખાયો છે એ જાણીને ખૂબ જ આનંદ થયો. ટહુકો ફાઉન્ડેશન દ્વારા અહીં Bay Areaમાં ગુજરાતી સંગીતના જે પણ થોડા કાર્યક્રમો પ્રસ્તુત થયા છે – એ મહેન્દ્ર અંકલ અને મીરા આંટીની સહાય અને પ્રોત્સાહન વગર શક્ય જ નો’તા! એમના વિષે વધુ વાંચો શ્રી પી.કે.દાવડાના શબ્દોમાં..

********

મહેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૧ માં ભાવનગરમાં એક શિક્ષણ પ્રેમી કુટુંબમાં થયો હતો. એમના દાદા ભાવનગરમાં શિક્ષક હતા. એમના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈ, ભાવનગરની પારસી સંસ્થાએ એમને કરાંચીમાં ગુજરાતિ શાળા સ્થાપવા અને ચલાવવા માટે મોકલ્યા હતા અને એ કામ એમણે સફળતા પુર્વક કર્યું હતું. એમના દાદી પણ નીડર અને સાહસિક હોવાથી એકલા ભાવનગર અને કરાંચી વચ્ચે આવવા-જવાનું કરતા અને સગા-સંબંધીઓને પણ લઈ જતા. એમના કાકા પણ આજીવન શિક્ષક હતા અને ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન હોવાથી આનંદશંકર ધ્રુવે તેમને બનારસ બોલાવ્યા હતા. ગુજરાતના ખૂબ જ જાણીતા કવિ ઉમાશંકર જોષી મહેન્દ્રભાઈના કાકાના મિત્ર હોવાથી જ્યારે પણ ભાવનગર આવે ત્યારે એમના કાકાને મળવા આવતા.

મહેન્દ્રભાઈના પિતા ઈલેક્ટ્રીકલ-મિકેનીકલ એંજીનીઅર હતા. પોતે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોવાથી સ્વભાવિક રીતે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષા આપવા માટે શક્ય તે બધું જ કર્યું. મહેન્દ્રભાઈના પિતા ૧૪ વર્ષ સુધી બિમારીથી પથારીવશ હતા, ત્યારે એમની માતાએ બાળકોના અભ્યાસમાં બાધા ન આવે એટલા માટે એકલા હાથે એમની ચાકરી કરી. આ શિક્ષણપ્રેમી કુટુંબનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મહેન્દ્રભાઈનો શાળાનો અભ્યાસ મહદ અંશે ભાવનગરમાં થયો હતો. ૧૯૫૩ માં એમના પિતાને બોમ્બે પોર્ટ ટ્ર્સ્ટમાં નોકરી મળવાથી છેલ્લા ત્રણ વર્ષનો અભ્યાસ મુંબઈની શાળામાં થયો. ૧૦મા અને ૧૧મા ધોરણમાં જાણીતા કવિ જગદીશ જોષી એમના ગુજરાતીના શિક્ષક હતા. જગદીશ જોષી એ જમાનામાં Stanford માંથી M.A. ની ડીગ્રી લઈ આવેલા, તેમ છતાં ઉચ્ચ હોદ્દાવાળી અનેક નોકરીઓની ઓફર્સ ઠૂકરાવીને કુટુંબદ્વારા ચલાવાતી શાળામાં ગુજરાતિ અને અંગ્રેજીના શિક્ષક બની રહ્યા. જગદીશભાઈની મહેન્દ્રભાઇ ઉપર આની જે અસર થઈ એ એમના શબ્દોમાં કહું તો ,” જીવનમાં પૈસા કે હોદ્દો કરતા નિષ્ઠા વધારે અગત્યના છે, ઉપદેશથી નહિ પણ પોતાના વર્તનથી જગદીશભાઈએ શિખવ્યું.” મહેન્દ્રભાઈનો સાહિત્ય પ્રેમનો પાયો પણ અહીં વધારે મજબૂત થયો.

S.S.C. માં ઉત્તિર્ણ થઈ, મહેન્દ્રભાઈ એ મુંબઈની જયહિંદ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ઘણાં ઉચ્ચ માર્કસ સાથે,૧૯૬૦ માં ઈંટર સાયન્સ પાસ કર્યું. મુંબઈની ત્રણ પ્રતિષ્ઠિત કોલેજો એટલે V.T.T.I., I.I.T. અને U.D.C.T. આમાંથી કોઈપણ એક કોલેજમાં એડમીશન મળે એટલે સમજવું કે એ વિદ્યાર્થી મુંબઈ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાંથી ટોપ બે ટકામાંથી છે. મહેન્દ્રભાઈને આ ત્રણે કોલેજમાં એડમિશન મળ્યું. આમાં સૌથી વધારે આકર્ષક ભવિષ્ય આપે એવી કોલેજ I.I.T. હોવાથી મહેન્દ્રભાઈએ I.I.T. માં સિવિલ એંજીનીઅરીંગમાં એડમિશન લીધું. ૧૯૬૪ માં B.Tech.(Civil) ની ડીગ્રી મેળવી અને વધારે અભ્યાસ કરવા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. ૧૯૬૪ માં એમને Stanford University માં Partial Scholarship સાથે એડમીશન મળ્યું. અહીં એમણે રેકોર્ડ સમય, માત્ર નવ મહિનામાં M.S. (Structural) ની ડિગ્રી મેળવી લીધી.

૧૯૬૫ માં મહેન્દ્ર્ભાઈ પાસે M.S.(Structural)ની ડીગ્રી અને ખીસ્સામાં માત્ર ૧૪ ડોલર રોકડા હતા. તરત નોકરી ન મળે તો ઘરેથી પૈસા મંગાવવા પડે, જે કરવાની એમની ઈચ્છા ન હતી. ૧૪ ડોલરમાં ત્રણ અઠવાડિયા ગુજારો કરવા બાદ એમને Southern Pacific Railway માં નોકરી મળી. અલબત આ ત્રણ અઠવાડિયા એમને મિત્રોએ થોડી મદદ કરેલી. મહેન્દ્રભાઈ મિત્રોની આ મદદને આજસુધી ભૂલ્યા નથી. Southern Pacific Railway ના બ્રીજ વિભાગમાં આઠ વર્ષ નોકરી કરી પણ પછી Descrimination થી નારાજ થઈ આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. નોકરી છોડવાના ત્રણ દિવસમાં જ વિશ્વ વિખ્યાત Earthquake Engineering માં નિષ્ણાત John Blume & Associate માં નોકરી મળી ગઈ. આ કંપનીમાં સાત વર્ષ કામ કર્યું એ દરમ્યાન એમને આ ક્ષેત્રનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો એટલું જ નહિં પણ એમને Structural Engineer તરીકે સ્વતંત્ર રીતે કામ કરવાનું લાયસેંસ પણ મળ્યું. ત્યારબાદ એક વર્ષ માટે San Francisco ની એક કંપનીમાં ચીફ એંજીનીઅર તરીકે કામ કર્યું.

આ દરમ્યાન ૧૯૭૦ માં મહેન્દ્રભાઈના લગ્ન કુટુંબે પસંદ કરેલી મીરા સાથે થયા. મીરાબહેન ગુજરાતના ખૂબ જ જાણીતા જસ્ટીસ બાલકૃષ્ણ ત્રિવેદી અને સમાજ સુધારક શાન્તિલાબહેનના પુત્રી હતા. મીરાબહેન પાસે M.A., LLB ઉપરાંત જર્નાલીઝમનો ડિપ્લોમા હતા. એમણે શાસ્ત્રીય સંગીત, કથક અને મણીપુરીના શિક્ષણ ઉપરાંત સાહિત્ય શોખ પણ નાનપણથી જ કેળવેલો. ૧૮ વર્ષની ઉમ્મરમાં જ કેટલીક કવિતાઓ ઉપરાંત “કલાપ્રણય” નામે એક નવલકથા લખી, ક.મા.મુનશીના હાથે ઈનામ મેળવેલું. આમ મહેન્દ્રભાઈ અને મીરાબહેનના લગ્ન એક “રબને બનાઈ જોડી” જેવા સાબિત થયા. મહેન્દ્રભાઇની ત્યારબાદની બધી સામાજીક પ્રવૃત્તિઓમાં મીરાબેનનો ખૂબ જ મોટો ફાળો હતો.

૧૯૭૨ માં એમની એકમાત્ર પુત્રી કલા નો જન્મ થયો. કુટુંબની શિક્ષણ પરંપરા જાળવી રાખીને કલાબહેને પણ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ મેળવી.

મહેન્દ્રભાઈએ San Franscisco માં એક વર્ષ કામ કર્યા બાદ, Los Angles ની એક કંપનીમાં મેનેજર તરીકે આઠ વર્ષ કામ કર્યું. ૧૯૮૮ માં આ કંપનીમાંથી સ્વેચ્છાએ છૂટા થયા, અને California Government ની Division of State Architect, Sacramento Office માં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કરી, પ્રમોશન મેળવી San Diego ની ઓફીસના વડા તરીકે ગયા. અહીં એમણે પ્રચલિત કાર્યપધ્ધતિમાં ફેરફાર કરી, કોઈપણ પ્રોજેકટમાં કામ કરતી બધી જ એજંસીસ જેવી કે School Districs, Architects અને Contractors વચ્ચે સમન્વય સાધી, સાથે મળીને પ્રોજેકટને સફળ બનાવવાનું કાર્ય કર્યું. ૨૦૦૬ માં એમણે કામકાજમાંથી નિવૃતિ લીધી અને પૂરો સમય સામાજીક પ્રવૃતિઓમાં ગાળવાનું શરૂ કર્યું.

આ નાના લેખમાં એમના સામાજીક યોગદાનને આવરી લેવું શક્ય નથી. એમણે અને મીરાબેને સાથે મળીને જે અનેક કામો કર્યા છે એમાંથી થોડાનો ઉલ્લેખ કરવો હોય તો, Indians For Collective સંસ્થા શરૂ કરવામા સક્રીય મદદ, Ali Akabar College of Music ને મદદ અને એના બોર્ડમાં સક્રીય સેવા, ૧૯૮૪ માં Indian Cousel General ને Festival of India ના આયોજનમાં સક્રીય મદદ, સાહિત્ય અને સંગીતના ૨૦૦ થી વધારે કાર્યક્રમોનું આયોજન, India Currents અને બીજી સંગીત, સાહિત્ય અને કળા સંસ્થાઓને પ્રોત્સાહન અને મદદ વગેરેનો સમાવેશ કરી શકાય.

સંગીતના કાર્યક્રમોમાં નોંધપાત્ર, ઉસ્તાદ અલીઅકબરખાન, પંડિત રવિશંકર, નીખીલ બેનરજી, હરિપ્રસાદ ચોરસિયા ઝાકીર હુસેન, સ્વપન ચોધરી, પુરષોત્તમ ઉપાદ્યાય, રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ અને બીજા અનેક કલાકારો ના કાર્યક્રમ યોજ્યા. સાહિત્યના કાર્યક્રમોમાં, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, મકરંદ દવે, નિરંજન ભગત, સુરેશ દલાલ અને બીજા ઘણા સાક્ષરો ને નોતર્યા અને તેમના કાર્યક્રમ યોજ્યા.

સ્થાનિક કલાકારો માટે તેમને હમેશ કુણી લાગણી રહી, કલાકરો ને પોતાના ગણી તેમને સહાયભૂત થવા અને પ્રોત્સાહન આપવા હમેશાં તત્પરરહ્યા.

૨૦૧૩માં મહેન્દ્રભાઈ દ્વારા આયોજીત “સભા ગુર્જરી” કાર્યક્રમમાં, અમેરિકામાં વાર્તાલાપ આપવાનો સર્વપ્રથમ અવસર મને મહેન્દ્રભાઈએ જ આપેલો. એ વાર્તાલાપ પછી જ મને બીજા કાર્યક્રમોમાં વાર્તાલાપ આપવાના અવસર મળવા લાગ્યા.

૫ મી એપ્રીલ, ૨૦૧૪ માં મીરાબહેનનું અવસાન થતાં, મહેતા-દંપતી દ્વારા ચાલતી, કેલિફોર્નિયાના Bay Area ના ગુજરાતીઓ માટેની સાહિત્ય અને સંગીતની પ્રવૃતિને મોટી ક્ષતિ થઈ છે, પણ મને ચોક્ક્સ ખાત્રી છે કે મહેન્દ્રભાઈ થોડા સમયમાં જ સ્વસ્થ થઈ, મીરાબેનની સક્રીયતાની યાદોને સહારે ફરી કાર્યાન્વિત થઈ Bay Area ના ગુજરાતીઓની સેવામાં લાગી જશે.

-પી. કે. દાવડા

7 replies on “મળવા જેવા માણસ : શ્રી મહેન્દ્ર મહેતા – Article by પી. કે. દાવડા”

  1. સ્થાનિક કલાકારો માટે તેમને હમેશ કુણી લાગણી રહી, કલાકરો ને પોતાના ગણી તેમને સહાયભૂત થવા અને પ્રોત્સાહન આપવા હમેશાં તત્પરરહ્યા.

  2. very happy to meet shri mahendrabhai mehta on paper he has good academic background and very active on other fields also i am sorry to hear about pujya meeraben who pased away may her soul rest in peace

  3. મને કહેતા દુખ થાય ચ્હે કે બેન મેીરાનુ થોડા સમય પહેલા નિધન થયુ ચ્હે.પ્રભુ તેના આત્માને શાંતિ આપે.

  4. ઘણા વર્શો પછી બે અરિઆમા ‘રવિન્દ્ર સન્ગીત’ કાર્યક્રમ વખતે મળવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો.ખુબ આનંદ થયો હતો .સાચેજ મળવા જેવો મઅણસ છે.

  5. શ્રી દવડાજી દ્વારા શ્રી મહેન્દ્રભાઈની સિદ્ધિઓ વિશે જાણ્યું. એમનું નામ અને એમના ઉત્તમ યોગદાનથી હું અજાણ હતો. હવે કોઈકવાર ફોન દ્વારા સંપર્ક થઈ શકશે. દાવડાજી એમના ઈ મેઈલ દ્વારા ઘણી વ્યક્તિઓને પ્રકાશમાં લાવે છે. એમને હાર્દિક ધન્યવાદ.
    પ્રવીણ શાસ્ત્રી.

  6. શ્રી પી.કે.દાવડાના શબ્દોમાં / થી મળી લીધુ….
    કોક વાર રુબરુ મળીશુ એવી આશા……

    ********

Leave a Reply to k Cancel reply

Your email address will not be published. Required fields are marked *