‘હરિને સંગે’ – અગસ્ત્ય ફાઉન્ડેશન (અમર ભટ્ટ) ના નવા આલ્બમનું લોકાર્પણ – મે ૩, ૨૦૧૪ (અમદાવાદ)

અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આપણી ભાષાની, આપણને અંદરથી અજવાળતી કેટલીક કવિતાઓની સંગીતમય પ્રસ્તુ તિનું આલબમ ‘હરિને સંગે’ કવિ શ્રી ચંદ્રકાંત શેઠ અને પદ્મશ્રી ડો.કુમારપાળ દેસાઈ દ્વારા તારીખ ૩/૫/૨૦૧૪ ને શનિવારે વિશ્વકોશ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વિમોચિત થશે.

વાનકુવર કેનેડા સ્થિત ડૉ.રાજેશ દેસાઈ અને ડૉ.સુરેન્દ્ર પટેલની ઈચ્છાથી આ આલબમ તૈયાર થયું. ડૉ.સુરેન્દ્ર પટેલનાં માતુશ્રીનું અવસાન થયું એ પછી મા સરસ્વતીની સેવા થાય અને કૈંક અવનવું કામ થાય એમાં એમને પોતાનું યોગદાન આપવું હતું. એમના પરમ મિત્ર ડૉ.રાજેશ દેસાઈએ વિચાર આપ્યો કે ફિલસૂફીથી ભરપૂર આપણો ભવ્ય સાહિત્યિક વારસો સાંગીતિક સ્વરુપે રજૂ થાય અને આદ્ય કવિથી અત્યાર સુધીના કવિઓની કવિતા જો ગવાઇને રેકોર્ડ થાય તો એક અદ્ભુત દસ્તાવેજ તૈયાર થાય. એમના સૂચનથી અમર ભટ્ટે આ આલબમ તૈયાર કર્યું છે. એનઆરઆઈઓના માતૃભાષાપ્રેમનું અને સંસ્કૃ તિપ્રેમનું આ ઉત્તમ ઉદાહરણ છે.

photo

સાચી કવિતા આપણાં ચિત્તને ઉજાગર કરે જ છે. અહીં આદ્ય કવિ નરસિંહથી લઈને અનુઅધુનિક કવિઓએ રચેલી કેટલીક દિલમાં દીવો પ્રગટાવે એવી કવિતાઓની સંગીતમય રજૂઆત છે. મધ્યકાલીન કવિઓમાં નરસિંહ, મીરાં,દયારામ- પંડિત-ગાંધીયુગનાં કવિઓમાં ન્હાનાલાલ, સુન્દરમ, ઉશનસ, આધુનિક કવિઓમાં ચંદ્રકાંત શેઠ અને રમેશ પારેખ અને અનુઅધુનિક કવિઓમાં હરીશ મીનાશ્રુ અને મિસ્કીન છે. પસંદ કરાયેલાં કાવ્યોમાં સામાન્ય તાર- ‘કોમન થ્રેડ’ એ આધ્યાત્મિક સંસ્પર્શ કે પરમ તત્ત્વનો સંદેશ કે એની સાથેનું અનુસંધાન છે. સ્વરાંકન- સંકલન અમર ભટ્ટનાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય,ઓસમાણ મીર,અમર ભટ્ટ, ગાર્ગી વ્હોરા અને ઐશ્વર્યા મજમુદારે આ રચનાઓ ગાઈ છે. તમામ રચનાઓ એક જ સૂરમાં- સ્કેલમાં રેકોર્ડ કરવામાં આવી છે, જે આલબમ પાછળનો મધ્યવર્તી વિચાર વ્યક્ત કરે છે. આલબમનો કવર ફોટો વકીલ અને સુખ્યાત ફોટોગ્રાફર દિવ્યેશ સેજ્પાલનો છે,જે પણ આ વિચારને આગળ કરે છે.

‘હરિને સંગે’ શીર્ષક નરસિંહ મહેતાના અમર પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ માંની આ પંક્તિમાંના શબ્દોમાંથી લેવાયું છે -‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે’. કબીરપંથી કવિ હરીશ મીનાશ્રુના આ પદના શબ્દો જુઓ- ‘સાધો, હરિ સંગે હરીફાઈ’- હરિ સાથેની હરીફાઈમાં અંતે કોણ જીતે? ઈન્ટરનેટ ઉપરથી મીરાંનું આ પદ મળ્યું-‘ હેરી મ્હાં દર્દે દિવાની,મ્હારાં દરદ ન જાણ્યાં કોય’, જેનું સ્વરાંકન રાગ દેશી ઉપર આધારિત છે. સુંદરમની રચના ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી’ ભજની દીપચંદી ઠેકામાં છે. અનુઆધુનિક કવિ મિસ્કીનની આ રચના ‘દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે’માં પરમ તત્ત્વને પામવા ભીતર પ્રવેશવાની વાત ગઝલના સ્વરુપમાં છે, જે રાગ ભટિયાર પર આધારિત છે.દયારામની રચના ‘નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ પણ અનોખા અંદાજમાં રજૂ થઇ છે. કવિ ન્હાનાલાલની રચના-‘હરિ આવોને’માં હરિને આવવા માટેનું ઇજન છે,જેનું તાલનું વજન ગરબા સ્વરુપનું છે. કવિ રમેશ પારેખે મીરાંની મનોદશામાં પહોંચીને આપેલા કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’નું ગીત ‘હું મારી મરજીમાં નૈ, હરિજી મુંને એવી મોહાડી ગયા સૈ’, માટે પણ જુદા જ વજનવાળો ઠેકો ઉપયોગમાં લીધો છે. કવિ ઉશનસના આ ગીતમાં,તળપદા શબ્દોમાં, જિંદગીનો સંદેશ છે- ‘અષાઢે તણખલું ના તોડીએ જી, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી, પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી’. કવિ ચંદ્રકાંત શેઠના ગીત ‘ગોદ માતની ક્યાં?’ ‘મા’ની ગેરહાજરીમાં એનું મહિમાગાન છે. બોટાદકરની પ્રખ્યાત રચના- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ- ના જેવી જ સક્ષમ આ રચના છે. તબલાંના તાલ વગર પણ લય સાથે એનું સ્વરાંકન આંખો,મન, હૃદય જરુર ભીનાં કરશે.

Attachment-1

વાદ્યસંગીતનિયોજન અમિત ઠક્કરે ભાવાનુરુપ કર્યું છે. આજકાલ વાદ્યોનો ‘સિન્થેટીક સાઉન્ડ’ સાંભળવા મળે છે ત્યારે અહીં મૂળ વાદ્યો વપરાયાં છે. તાલવાદ્યનો પણ વૈવિધ્યસભર ઉપયોગ સંજય સેજ્વલકરે કર્યો છે.

ટૂંકમાં, સંગીતનું કામ શાંતિ આપવાનું છે એ પાયાની વાતનો ખ્યાલ આ આલબમમાં રખાયો છે. રસિક ભાવકોને આ આલબમ જરુર સંતર્પક લાગશે.

12 replies on “‘હરિને સંગે’ – અગસ્ત્ય ફાઉન્ડેશન (અમર ભટ્ટ) ના નવા આલ્બમનું લોકાર્પણ – મે ૩, ૨૦૧૪ (અમદાવાદ)”

  1. How I can buy it???
    Is it available in USA or only in India ????
    Astoo
    Om shanti. Shanti. SHANTIHI

Leave a Reply to k Cancel reply

Your email address will not be published. Required fields are marked *