પૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

– કૃષ્ણલાલ શ્રીધરાણી

14 replies on “પૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી”

  1. નમસ્કાર,
    બહુ સરસ કવિતા છે ‘પૂજારી તું પાછો જા.’
    આ કાવ્યનો રાગ મળી શકે તો સોનામાં સુગંધ ભળે…

  2. Awesome……reminds a poetry from gitanjali

    He is where the tiller is tilling the hard ground
    And where the pathmaker is breaking stones.
    He is with them in sun and in shower
    And his garment is covered with dust
    Put off thy holy mantle
    And even like him come down on the dusty soil. ..

  3. કોલેજમા હતા ત્યારે આ કાવ્ય વાન્ચ્યુ હતુ તે યાદ તાજી થઇ. મન્દિરો બન્ધાવ્વામા અમુક દમ્ભી લોકોનો સ્વાર્થ હોય છે તે સાવ સાચુ છે. એમા આસ્તિક નાસ્તિકના સવાલને જોડવાનુ બરાબર નથી.

  4. શિવાલયના
    “ઘંટ”ની વ્યથા..!!

    હવે ક્યાંથી સહેવાય
    મારૂં મનડું મુંઝાય
    અમે લટક્યા’તાં સાંજ ને સવારમાં..!!
    કદી દેજો આ કથની અખબારમાં
    .
    કોઈ પંપાળી જાય
    કોઈ અફળાવી જાય
    કોઈ અવગણતું, ઉંડા વિચારમાં
    જાય સીધો એ તારા દરબારમાં…..કદી
    .
    કો’ક સુખમાં અકળાય
    કો’ક દુ:ખણાઓ ગાય
    કો’ક અટવાયું ક્યાંક કોઇ પ્યારમાં
    પછી ઉભે સૌ લાંબી કતારમાં…કદી
    .
    શિશ તમને ઝુકાય
    સહેજ નંદી પુજાય
    બાકી નજરૂંઓ હોય છે બજારમાં
    રખે ચંપલ ચોરાય, પલકવારમાં….કદી
    .
    જાત ઉંધી ટીંગાય
    વ્હાણ વર્ષોના વાય
    તોય આઘો હું તારા પરસારમાં
    જાણે કાંકરી હો મીઠા કંસારમાં….કદી
    .
    આમ સંતો કહેવાય
    કામ શઠના સહુ થાય
    નામ પંકાતું મારૂં સંસારમાં..?!?!
    કેવો બદલો તેં દીધો વ્યવહારમાં….કદી

  5. મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
    ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
    ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો
    હમણા સાઉથ્ ઈન્ડીયામાં મંદિરોમાં દર્શન કરવામાં થયેલા અનુભવો પરથી લાગે છે કે કવિ સાચું કહે છે.
    Entrance Fee ના આપો તો દર્શન ના થાય!

  6. હજ્જારો વર્ષોથી વર્ણ પ્રથાના વર્ગીકરણથી સમાજમાં કામ અને ફરજ વહેંચાયેલા છે ક્ષુદ્ર,વૈશ્ય, બ્રહ્મ અને ક્ષત્રિય જે આજે બહુ મહત્વ ધરાવતું નથી,છતાં એક ચોક્કસ વર્ગની બીજા પ્રત્યેની દ્રષ્ટિ અને વિચારસરણી બદલાઈ નથી! વળી શ્રમનું મહત્વ કે જશ બીજા લઈ જાય?

    માળી,મજુર,લોહાર અને ખાસતો ખેડૂતજ ખરા પુજારી છે- જે ઇશ્વર-દત્ત કર્તવ્ય બજાવે છે!ગીતા નો નિષ્કામ કર્મયોગ જ સાચી ભક્તિ-આરાધના અતિ સામાન્ય માણસ (ક્ષુદ્ર તો નહીં જ) શિખવી જાય છે!

    છેવટે તો ભોજન વિના ભજન નહીં ગોપાલા એ નિયમાનુસાર

    ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
    ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
    પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

  7. One who toils is and can be called a real” Poojari ” and not any one else. THE TEMPLES, CHURCHES, MOSQUES AND OTHER PLACES OF WORSHIPS MIGHT HAVE THEIR OWN IMPORTANCE AND RELEVANCE IN THE SOCIETY, BUT CERTAINLY NOT AT THE COST OF WELFARE OF THESE REAL ” POOJARIES “. A GOOD AND MEANINGFUL POEM.

  8. કવિ બે મુદ્દા કહે છેઃ મન્દિર અને માણસ જેમ કે ખેડૂત.
    માણસ નો મુદ્દો બરાબર છે. મન્દિર ન મુદ્દા વિશે કહુઃ

    મૂર્તિ પૂજા એ ભક્તિ યોગ નો એક ભાગ છે. ગીતામા ભક્તિ યોગ ને ભગવાને ઉત્તમ કહ્યો છે.
    તે કારણે આપણા ધર્મ પ્રેમી પૂર્વજો એ ખૂબ મહેનતે અને ખર્ચે દેશમા હજારો મન્દિરો કર્યા છે.
    તો આપણે ભક્તિ ભાવ થી મન્દિરો મા ભગવન ના કે પોતના ઈષ્ટ દેવના દર્શન અને ત્યા સતસન્ગ કરી એ
    તો તે પૂર્વજો જ્યા હોય ત્યા રાજી થશે અને આપણને આશીષ આપશે.

    બાકી કોઈ નાસ્તિક હોય તેમા આપણે કોઈ ને વાન્ધો કે દુખ નથિ.
    પણ બીજા ને નાસ્તિક કરવાનો પ્રયત્ન કોઈ ન કરે તો સારુ.

    પણ કવિની રચના સુન્દર છે.

    જ્ય શ્રી ક્રિશ્ન
    સુરેશ વ્યાસ

  9. મને યાદ છે ત્યાં સુધી આ રચના કવિ સૂદરમની જ છે.

  10. હુ આ કવિતા ઘણા વખતથી ખો ળતો હતો. જોઇ ઘણો આનન્દ થયો. આભાર.

  11. બહુ વર્ષો અગાઉ આ ગેીતનો મેઁ વર્ગમાઁ અભ્યાસ કરેલો,
    તે તાજુઁ થયુઁ.કવિને સાદર પ્રણામ.શ્રેીને નમસ્કાર અમિતસહ.

  12. વાહ… સરસ ગીતરચના…

    સાચો પૂજારી તો ખેડૂત જ અને સાચી પૂજા ખેતી… એ જમાનામાં આ મિજાજની કવિતા એ મોટું સાહસ ગણાય…

Leave a Reply to ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા Cancel reply

Your email address will not be published. Required fields are marked *