માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
કારમાં કેવાં કામણ ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.
માનવીના રે જીવન !

– મનસુખલાલ ઝવેરી

(આભાર – રીડગુજરાતી.કોમ)

 

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *