તું તારા દિલનો દીવો થા ને…. – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – મહામનુ, માંગે શું ચિનગારી – યાદ છે? (યાદ હોય કે ના હોય, એકવાર ક્લિક કરીને ફરી સાંભળી લેવા જેવું છે 🙂 ) કંઇક એ જ ભાવવાળું આ કવિ શ્રી ભોગીલાલ ગાંધીનું કાવ્ય માણીએ – એ પણ અંકિત ત્રિવેદીના આસ્વાદ સાથે. (આભાર – ગુજરાત સમાચાર)

તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

***************************************************

આસ્વાદ – અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા

ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી હોતાં! અજવાળું તો આપણી અંદર પ્રગટવું જોઇએ. આ શરીર માટીનું કોડિયું જ છે. એને અજવાળાનું ખોળિયું બનાવતાં આવડવું જોઇએ. અજવાળું હાથઉછીનું નથી મળતું. વળી, એનો રંગ સુખમાં અને દુઃખમાં એક જ હોય છે! કવિ ભોગીલાલ ગાંધીનું આ કાવ્ય બાળપણમાં પ્રાર્થનામાં સમૂહમાં ગવાતું હતું ત્યારથી હાડકામાં કોતરાઈ ગયેલું છે. દીવો થવાનું તો કવિ કહે જ છે પણ દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.

બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતને ઘસીને ચંદનની જેમ કે પછી ફૂલોને નીચોવીને અત્તરની જેમ અંતરને સુગંધથી તરબતર રાખવાનું છે. સંઘર્ષ કરીશું તો સફળતાને વરીશું. જાતમહેનત જેટલી વફાદાર એટલી જ આપણી પ્રતિભા વઘુ ચેતનવંતી બનશે. આ બઘું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે. ‘પારકી આશ સદા નિરાશ’ – વાળી કહેવત એમનેમ નથી આવી. આપણે જાતે જ પગભર થવાનું છે. આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે. તપના તાપથી જીવનનો સંતાપ દૂર રહે છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. એ સફળતાનો મરજીવો છે.

ઓશિયાળા થઇને બીજાના સહારે જીવન જીવતા રહેવું એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતા શોધીને એને વળગીને જીવન વિતાવવું વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે. સાંત્વનાનું સફરનામું છે. જેને આંતરપ્રવાસ કરવો છે એવા યાત્રિકનો નકશો છે. કેટલીક કવિતાઓ કોઇપણ ઉંમરે, કોઇપણ સમયે આપણને નવા નવા અર્થો સાથે નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જે આપણને ફરીથી જીવવાનું જોમ અને હતાશામાંથી મુક્તિ આપે છે. આપણે મોટેભાગે બીજાને કારણે જ દુઃખી થઇએ છીએ. અને સુખી આપણે કારણે જ થતાં હોઇએ છીએ. જેમાં ભાગ પાડવાના છે તેમાં આપણે ભાગ નથી પાડતાં! અને જેમાં નથી પાડવાના એમાં દુઃખી થઇને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર આપણે નાનકડી સળીની જેમ પ્રગટતા શીખીને આપણી જાતને વફાદાર રહેવું પડશે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિતાને કવિ રણછોડની ઓળખાણ થાય છે. એમના પદનું જાણીતું મુખડું છે… એનાથી જીવનના હકારની કવિતાનો અંત કરું છું…

દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે…

13 replies on “તું તારા દિલનો દીવો થા ને…. – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’”

  1. વર્ષાબેન,
    ભૂલો કોણ નથી કરતું? પણ એનું ” ગીલ્ટ( દોષભાવ ) પોતાના પર સંપૂર્ણપણે થોપી દઈ વધુ લાંબા સમય-કાળ સુધી એક ભારનીજેમ વેન્ઢારવાનું સહી નહિ…”વન હેસ તો મુવ -ઓન…” સમય અને સંજોગ, કર્મ ઉપરાન્ત કારણ-રૂપ હોઈ શકે અમુક ઘટનાઓ માટે !!!

    “કૂડા કામ ક્રોધને પરહરો રે,” કોઈ પત્યે ધિક્કાર-ભાવ લગીરેય ન્ રાખવા….જે આપણી વ્યથાઓ-બૂરા અનુભવોને…દ્વિગુણિત કરી શકે…
    આ સલાહ નથી…જાત-અનુભવોનું તારણ છે કદાચ…વિચાર-દિશા,દૃષ્ટિકોણ બદલાય પણ ખરા કારણ કે શબ્દમાં તાકાત છે… અને તે ગમે ત્યાંથી આવે શકે!!! એક ઈશ્વરીય ” ગુપ્ત સંકેત’ જ હોઈ શકે…જો ખૂલ્લું મન… ઉપલબ્ધ હોય તો!!!ના ગમે તો ન્ સ્વીકારવું… ઓકે?

    -લા’કાન્ત / ૨૮-૮-૧૨

    તાક. ઃ ઉપર અગાઉ પ્રતિભાવો અપ્યાજ છે…જયશ્રીબેન…. અંકિતે સરસ છણાવટ અને તારણ-સંદેશ આપ્યા છે… આવું અવનવું પ્રેરક
    વહેંચતા-મૂકતા-મોકલતા રહો છો. “શેરિંગ એન્રીચીસ ” ઇટ એડસ્ સમથીંગ ઇન્ ઉસ ” આઈ સ્ત્રોન્ગલી બીલીવ !!! એટલ્ર ખૂબ ખૂબ આભાર

  2. Dear friends,

    I really like this website.thank you very much.
    I want doha and chhand if you able to then send my email id.

    nani amathi vaat lakhu chu,

    jivanana safar maa bhul dhani kari bethi chu.
    jangala maa pan ek divo pragtavi bethi chu.
    varsha survaia

  3. જીવન જીવવાની કળા શીખવતી સુંદર રચના.
    અંકિત ત્રિવેદીનો આસ્વાદ પણ ગમ્યો.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  4. તમને તે વળી ભય શેનો, સમજુડા ભાયા?
    કાં ખુદમાં સમજની કમી હશે? ભાયા,
    કાં ખુદ વિષે હશે ખોટી યા વધુ માયા !
    બેમાંથી એક કારણ કે ખામી હશે ડાયા,
    ==============================================
    ” ચાલે છે. ”
    શરૂ થયો નથી તોય અહી એક પ્રવાસ ચાલે છે.
    કશે પહોંચવાનો ક્યાં કોઈ સ્વ-પ્રયાસ ચાલે છે ?,
    અહીં ગતિ જ છે,બહુ આ વાણી વિલાસ ચાલે છે.
    દશે દિશાઓ સ્વયં આમ મારી આસપાસ ચાલે છે
    ‘અટકવું’ જરી, ગતિનું અકળ અદૃશ્ય રુપ હશે?
    નથી જણાતું કે કેટલા ગતિમાં આ શ્વાસ ચાલે છે?
    દશે દિશાઓમાં સતત એક સાથે સફર ચાલે છે
    સાવ સ્થિર છું, મારામાં રાસ-રમઝટ ચાલે છે.” લા’કાન્ત / ૨૧-૮-૧૨

  5. ગીત વાન્ચીને સાયગલના એક ગીતની પન્ક્તિ યાદ આવીઃ ડાન્ડ ઉઠા લે માન્ઝી બન જા વો હૈ કિનાર યે હૈ ધારા. હલ્લેસુ ઉઠાવ અને તુજ નાવિક બની જા. તારી નૈયા તારે જ પાર કરવાની છે. અન્કિત ત્રિવેદીનો આસ્વાદ બેનમુન.

  6. સ્કુલ્ના દીવસો યાદ આવિ ગયા. ૭મા ધોરણમા આ શીખવાડેલુ.

  7. સરસ કવિતા અને સરસ આસ્વાદ, આપનો આભાર,………….

  8. Thanks for posting this song. This was one of the prayers at my school. I was searching this since a long time and havent been able to find it. Thanks again Jayshree.

Leave a Reply to s.vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *