શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે – અશરફ ડબાવાલા

પોતાથી અલગ થઇને બીજું શું કરી શકે;
માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !

કાગળની સાથે વાત ગમે ત્યારે થઇ શકે
શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે.

છે મ્હેલનો હુકમ કે એને દેશવટો દ્યો
દરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે

જે બહારના લય તાલમાં ઝૂમી જનાર છે
ઢોલકમાં જઇ અવાજ નહિ સાંભળી શકે

દ્વારો પવનથી ઊઘડે એવા બધા વિચાર
સાંકળના ખૂલવાને નહિ સાંકળી શકે.

 

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *