નયણાં – વેણીભાઈ પુરોહિત

સ્વર અને સંગીત : અનિલ ધોળકિયા

.

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાનીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)

9 replies on “નયણાં – વેણીભાઈ પુરોહિત”

  1. ગીત ની કડી આગળ પાછળ ગવાઈ છે. સુધારી શકાય એમ ના હોય તો ગીત સાઈટ પર થી તરત હટાવી દેવું જોઈએ.

  2. કેમ છો જયશ્રીબેન્,

    સૌ પ્રથમ તો ગુજરાતી કવિતની સરવાણી વહેવડાવવા મટે ખૂબ ખૂબ આભાર. ટેક્નોલોજીનો માતૂભાષા માટે આટલો સુંદર ઉપયોગ પ્રશંસાને પાત્ર છે.
    તમે ગીત ડાઊનલોડની સુવિધા નથી આપતા તે સમજી શકાય તેમ છે. પરંતુ ઍ ગીત ક્યાંથી મળી શકે તે બતાવવામાં તો તમને કોઈ વાંધો ન હોવો જોઈઍ. આથી તેના શક્ય પ્રાપ્તીસ્થાનની વીગતો પણ મૂકવા વિન્ંતી છે.

  3. હાય, હાય, આવું તે ગવાતું હશે? બીજી કડીની પ્રથમ પંક્તિ અને પહેલી કડીની પંક્તિ, અદલાબદલી થઇ ગઇ છે. જો વેણીભાઈ સાંભળે તો બેહોશ થઈ જાય. સારું છે કે તેઓ નથી રહ્યા.

  4. યશવન્ત સિ મહેતા ૨૨-૦૪-૨૦૦૮ સિરિયસ કેપિટ્લ્ સ ર્વિસિસ્
    ‘પાન્દ્ડુ લિલુ ને રન્ગ રાતો’
    પાન લિલુ જોયુ ને તમે યાદ આવ્યા

  5. ઊંચી મેડી તે મારા સંતની રે… આ ભજન મુક્વા વિનન્તિ.

    વિજય ઝાલા

    યુ.કે.

  6. આ ગીત ઘણુ જ સરસ છે. પણ આ જ ગીત શ્રી સ્વ. મનહર સોની, નવસારી વડે સૌપ્રથમ સ્વરાન્કન થયુ છે, જે આ બ્લોગ પર મુકવા જેવુ છે, જે આપ નીચે ના સરનામે મેળવી શકશો.

    શ્રીમતિ ભારતી ચિતરન્જન નાટેકર,
    કન્યાવિધ્યાલય અસ્તાન, બારડોલી, જિ- સુરત.
    મોબાઈલઃ ૦૯૮૯૮૦૧૯૫૭૧

Leave a Reply to Tushar Anand Cancel reply

Your email address will not be published. Required fields are marked *