મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ – રાજેન્દ્ર શુક્લ

આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!

અને મનોજભાઇ એમના પોતાના શબ્દોમાં જ કહે છે ને –

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.

આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

.

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

– રાજેન્દ્ર શુક્લ (18 જાન્યુઆરી, 2004)

11 replies on “મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ – રાજેન્દ્ર શુક્લ”

  1. સુન્દર ગઝલ…..પણ ……સાથે તબલા ની ખોટ હતી.

  2. સરસ ગઝલ!માણવી ગમી.અને અમરભાઈનો અવાજ સોનામાં સુગંધ ભળી.
    સપના

  3. bhaishri,
    bhuj saras gayno apva badal dhanyvad.
    sabhalya pachhi ak santos thay chhe.ane gamani mati ni sugandh aave chhe.tamane save kari sakay tevu karavani – motu dil rakh vani budhdhi aape tevi paramatmane prarthana.
    Mahilesh Baxi

  4. મનોજપર્વ ઉજવણીની ખુબ ….વધામણી !
    શબ્દસ્થ કવિઓ અને સ્વરસ્થ સ્વરકાર-ગાયકોને કોણ સંભારે છે ?!!
    લગે રહો જયશ્રીબેન………

    આભાર…ધન્યવાદ !

  5. મનોજ ખંડેરિયાની ગઝલોનું પર્વ
    બારેમાસ,આઠેય પ્રહર ઉજવીએ તોય ન ધરાઈએ…..જયશ્રીબેન!
    ગુજરાતી ગઝલના સળંગ લીલોતરીથી ભર્યા-ભાદર્યાં બાગનો ટહુકો- મનોજ ખંડેરિયા- સદાય ગુંજતો રહેશે અને દેખાય કે ન દેખાય પણ એ એની ગઝલોના માધ્યમે આપણી સાથે જ રહેશે.
    અને છે જ.

Leave a Reply to Tejas Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *