પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

6 replies on “પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા”

  1. રચી પ્રપંચ ચૌદ લોક કીધા, સંસારની માયાને પ્રપંચ કહી નરસિંહ મહેતા પોતાનું જ્ઞાન પ્રગટ કરે છે અને આડકતરી રીતે તેનાથી દુર રહેવા સુચવે છે.

  2. ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે …
    Ati sundar rachna… eto Narsinh Maheta ni j hoi…!!!

  3. કવિશ્રી નરસિંહ મહેતાને શ્રધ્ધાસુમન સાથે સ્મૃતીવંદના, આશિતભાઈને પણ અભિનદન……આપનો આભાર……………

  4. જાગીને જોઉં તો જગત દીસે નહિ,
    ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

    samajva ma atyant aghri pan taddan sachi vaat aatla sahela rupe fakta 2 line ma aaj sudhi koi sahitya ma lakhayai nahi hashe !! but its a bad luck of narsinh mehta that he was born in wrong place where his great work is not cared …..sorry if it hurts anybody.

  5. વાહ…આશિત દેસાઇ એ ગાયુ છે કે જાણે નરસિંહ મહેતા જ ગાતા હોય ..
    .કે જે ભાવ થી લખ્યુ છે..એજ અનુભૂતિ

Leave a Reply to Rajesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *