વાંક મારો નથી – ગની દહીંવાલા

દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.

થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.

એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.

હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.

કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.

એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.

-ગની દહીંવાલા

5 replies on “વાંક મારો નથી – ગની દહીંવાલા”

  1. કશુંજ અમર નથી તો દુઃખ કેમનું હોઈ શકે?આ દુનિયામાં
    જન્મયો એ વાંક મારો નથી.

  2. થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
    બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
    એથી આગળ વધી કહું તો મારાથી તું –
    બેફિકર હોય તો વાંક મારો નથી.
    ખુબ જ સરસ ગઝલ
    દુઃખ કયારેય પન અમર નથી હોતુ, તેનિ હદ હોય જ કેમ કે
    તેની સાથે સુખ કતાર મા ઉભુ જ હોય
    હા પન રાહ જોવિ આવશ્યક બની રહે

  3. ગનીભાઇ !વાઁક તકદીરનો જ કાઢવો રહ્યો !
    દુનિયામાઁ કોણ દોષ દેવા જેવુઁ છે ?આભાર
    તમારા મનની વ્યથા ઠાલવવા બદલ !!

Leave a Reply to maitri vayeda Cancel reply

Your email address will not be published. Required fields are marked *