ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી

pearl.jpg

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

9 replies on “ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી”

  1. ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
    દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય

    MAJA AAVI GAYI……..

  2. “પરિશ્રમેણ એવ હિ સિધ્યન્તિ, કાર્યાણિ ન મનોરથૈઃ ;
    ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ .”

    ( મહેનતથી જ કાર્યો સફળ થાય છે, માત્ર વિચાર કરીને બેસી રહેવાથી નહીં. સુઇ રહેલા સિંહના મોં માં હરણ કાંઇ આવીને પડતું નથી. )

  3. ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
    દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

    સુંદર શબ્દો …

  4. લગભગ ૨૭ વરસો પહેલા જલન સાહેબ મારે ઘરે ભુજ આવેલા અને તેમનિ ઘનિ ગઝલો સમ્ભલાવેલિ. તે યાદ કરાવિ દિધુ.
    ઉત્તમ ગઝલ ચ્હે.

  5. માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
    કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

    આનો અર્થ સમજાવશો…

  6. અંધારા જેની જિંદગીને વીંટળાય છે
    વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

    ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
    દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

    ખુબ જ સરસ…

  7. પીઁછી ફર્યા વિના આકાર થાય છે?
    અદ્ભૂભૂત વિચાર !

Leave a Reply to કુણાલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *