કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

આ ૨ જાન્યુઆરીએ આપણે દિલીપકાકાને ગુમાવ્યા – અને એ જ દિવસ એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની પહેલી પુણ્યતિથી. તો આજે એમનું આ ગીત માણીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

One reply

  1. કવિશ્રી રાજેન્દ્ર શાહને સ્મરાંણજલી અને સલામ…………

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *