બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!!

****

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

15 replies on “બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા”

  1. ખુબ સરસ ,મનોજ્ભાઇ ને રુબરુ સામ્ભલતા હોઇએ એવુ લાગ્યુ…

  2. સુંદર ગઝલ. કવિશ્રી મુખોમુખ થઈ ગયા. ચિનુકાકાની ભરપૂર દાદ પણ સાંભળી શકાય છે.

  3. જન્મો-જન્મની સંકડાશમાંથી બહાર આવવું એટલે ૮૪ લાખ જીવાયોનીમાં આવનજાવનમાંથી મુક્તિ મેળવવી. ફકત સિધ્ધગતી મેળવવાની આકાંક્ષા ધરાવનારાઓ માટૅજ આ શક્ય છે! ખુબ જ માર્મિક વિચારો ! અભિનંદન !

  4. Jayashriben aa gazal pan na sambhalay navoo midiaplayer down load karyu pan nonstop garaba pan nathee chalata ane saraswati prarthana pan nahee.amook chale chhe amook nahee aavoo kem thatoo hashe .aa gazal na shabdo saras che.jyan jyan problem chhe tyan play na button nee jagyae matra chokadee noo nishan re chhe.
    thanks.

  5. આ મારુ પ્રવ્રુતિમાથી નિવ્રુતિનુ પહેલુ અઠવાડિયુ છે, અને આ ગઝલનો એકેએક શબ્દ જિવન માટે ખુબજ યોગ્ય લાગે છે…..
    હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
    છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
    ક્યા બાત હે!

  6. હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
    છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું…

  7. મનોજભાઈની ગઝલ તેમના અવાજમા સાંભળી મઝા આવી ગઈ.
    દરેક શેર ગહન.

  8. સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
    કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.
    ક્યા બાત …મનોજ સાબ્….!

  9. કવિશ્રી મનોજ ખંડેરિયાના પઠનમાં એમની જ ગઝલ સાંભળીને એક અલગ પ્રકારનો રોમાંચ અનુભવાયો.
    એમની ગઝલ વિષે કોઇપણ શબ્દ ઉચ્ચારો,ટૂંકો જ પડવાનો.
    કયા શેરને અલગ તારવવો..!
    આખેઆખી ગઝલ અને ગઝલકાર બન્નેને સો સો સલામ.

  10. કવિશ્રી મનોજ જાણે હાજરાહજુર હોય એવુ લાગ્યુ અને એમને રુબરુ જ જાણે સાંભળતા હોય એવુ લાગે છે…. સ્વ. કવિશ્રીને શ્રધ્ધાપુર્વક વંદન અને આપનો આભાર…….

  11. awesome :

    હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
    હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

Leave a Reply to Ekta Cancel reply

Your email address will not be published. Required fields are marked *