Monthly Archives: November 2009

યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

મનડું વિંધાણું રાણા… – મીરાંબાઇ

ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !

સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??

.

———————–
Posted on September 19, 2008

સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

———————

If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra

પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

ભૂલી જા – મનોજ ખંડેરિયા

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા

જીવ કર મા ધમાલ ભૂલી જા
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા

જો સુખી થવું જવું હોય તારે
તો જે થતાં સવાલ ભૂલી જા

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા

એ નથી પંહોચવાની એને ત્યાં
તેં લખી તી ટપાલ ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા

રાસ તારે નિરખવો હોય ખરો
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા

બે લખી ગઝલ મોથ શું મારી
એ તારી ક્યાં કમાલ ભૂલી જા

– મનોજ ખંડેરિયા

રેડિયો 07 : મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કવિ શ્રી વિનોદ જોશીનું આ ગીત.. આજે એમની પાસે જ સાંભળીએ. કારેલું.. અને સાથે ગુલાબજાંબુ… અને એ પણ એક જ ગીતની પ્રથમ પંક્તિમાં… છે ને મઝાની વાત.!! (ઘણીવાર આ પ્રથમ પંક્તિ અમુક લોકોને એકદમ બંધબેસતી હોય છે.. 🙂 )

આમ તો આ ગીત આશિત દેસાઇ ખૂબ સરસ રીતે સંગીતબધ્ધ કર્યું છે, જે ભવિષ્યમાં ટહુકો પર ચોક્કસ સાંભળશું જ, પણ આજે કવિનો શબ્દ અને કવિનો સ્વર.. બીજું કંઇ નહી..!!

કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી

.

સ્વર: રેખા ત્રિવેદી
સંગીત :સુરેશ જોશી

.

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

(આભાર : લયસ્તરો)

મંદિર તારું વિશ્વ રૂપાળું – જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’

Happy Children’s Day… સૌને બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સાથે ઘણી જ જાણીતી આ પ્રાર્થના.. માયા દિપકના સ્વરમાં..!

(…..  Photo: eHow.com)

* * * * *

સ્વર : માયા દિપક
સંગીત : કમલેશ ઝાલા

.

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.

નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

(આભાર : અમીઝરણું)

સંવેદનના બિંદુ પર… -એષા દાદાવાળા

(ગ્રીનરી… Lassen Volcanic National Park, CA…. Sept 09)

* * * * *

જોઈએ છે એક ઝાડ!
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ!
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું!
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!

– એષા દાદાવાળા

સુ.દ. દ્વારા આ કાવ્યનો આસ્વાદ:

એષા દાદાવાળા સુરતમાં રહે છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. સર્જકતા અને પત્રકારત્વને હંમેશાં આડવેર નથી હોતું એનું આ એક ઊજળું ઉદાહરણ છે. વૈયકિતક અને સામાજિક સંવેદના કેવળ અંગતના સ્તર પર ન રહેતાં પૂરેપૂરા સંયમથી બિનઅંગત તરફ જઈને સ્વથી સર્વ સુધી પહોંચી શકે એવી છે. સંવેદના અને સંયમનો અહીં સહજ સંગત વર્તાય છે.

એષા અછાંદસ લખે છે. ઉમાશંકર જોશી કહેતા કે અછાંદસ શબ્દમાં પણ છંદ શબ્દ તો છે જ. આ વિધાનમાં કોઈ ચતુરાઈ નથી, પણ એમાં એક ઊડી વાત સમાઈ છે. અછાંદસને પણ એનો એક ગદ્યલય હોય છે.

આ કવયિત્રીની કવિતા વાંચતા વાંચતા કયારેક એમ પણ થયા કરે કે એ લખે છે કવિતા, પણ કેટલીક કવિતામાં તો નરી વાર્તાનાં બીજ છે. કોઈ એનો અર્થ એમ ન માને કે એ વાર્તાની અવેજીમાં કવિતા લખે છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંવેદનના એક બિંદુ પર રહીને કવયિત્રી કાવ્યનો ઘાટ ઉતારે છે.

જો આવું સંવેદનનું બિંદુ કોઈ વાર્તાકારને મળ્યું હોત તો એ કદાચ વાર્તાનો ઘાટ ઉતારત. અહીં બોલચાલની ભાષાના લયલહેકાની પણ કવયિત્રીને સહજ સૂઝ અને પરખ છે.

તાજેતરમાં આ કવયિત્રીનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ કવયિત્રીની કવિતા વિપિન પરીખના ગોત્રની છે અને છતાંયે કયાંય એનું અનુકરણ કે અનુરણન નથી. કોઈકે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એને અભ્યાસની સામગ્રી મળી રહે એટલી માતબરતા બન્ને પક્ષે છે.

પ્રત્યેકની કવિતા સ્વયમ્ પ્રકાશિત છે અને છતાં અજવાળાની અનેક ઝાંય જોવા મળે. કાવ્યની પ્રથમ પંકિત જાણે કે જાહેરાતની ભાષાની હોય એવી લાગે. જોઈએ છે-એ અખબારી આલમનો જાહેરાતના પ્રથમ શબ્દો છે. આમ પણ અંગત રીતે આપણે બધા એક યા બીજા સ્વરૂપે માગણ જ છીએ. કશુંક ને કશુંક જોઈતું જ હોય છે એ રીતે આપણા દરેકમાં એક ‘જોઈતારામ’ બેઠા છે.

કવયિત્રી સિલ્વિયા પાથને એક જ પુરુષમાં પિતા, પતિ અને રોમેન્ટિક પ્રેમી જોઈતા હતા. આ તો લગભગ અશકય વાત છે. પિતાની છત્રછાયા જોઈતી હતી, પતિની સલામતી જોઈતી હતી અને પ્રેમીની રોમેન્ટિક મોસમ જોઈતી હતી.

આ ત્રણે વાસ્તવિક જીવનમાં ન મળ્યું એટલે એણે આત્મહત્યા કરી અને મરણમાં એને જાણે ત્રણ પુરુષ મળ્યા. આ તો એક આડ વાત થઈ. કવયિત્રીએ કાવ્યમાં એક ઝાડની માગણી કરી છે. કાવ્યમાં હોય છે એમ અહીં પણ ‘કહીં પે નિગાહે, કહીં હે નિશાના.’ વાત ઝાડની છે પણ આડકતરી રીતે આપણી ભાષાનું વૃક્ષ મૂળથી ઊખડી જાય છે એની તરફનો ઈશારો છે.

આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે. પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું, સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ. એટલે કે બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું.

પાછું ઊચું. ઊચાઈ પણ માપસરની અને માફકસરની. બધું ટેલરમેઈડ હોવું જોઈએ. વૃક્ષની ઊચાઈ બીજા માળે આવેલા ફલેટની બાલ્કની સુધી. આપણી ભીખારી વૃત્તિ પણ કેટલી બધી શરતથી બંધાયેલી હોય છે. ઝાડ હોય એટલું જ બસ નથી એ ઘટાદાર હોવું જોઈએ, જેનાથી બાલ્કનીની વ્યૂ સુધરી જાય.

નવી પેઢીને-નવા જનરેશનને અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને વૃક્ષની ઘટા અને છટાને આધારે એને ગ્રીનરી પર એસે લખાવી શકાય. કાવ્યમાં અંગ્રેજી શબ્દનો જે ઉપયોગ કર્યો છે અથવા કરવો પડયો છે એ આપણી આદતનું પરિણામ છે.

આપણે હવે કેવળ ગુજરાતી નથી બોલતા, કેવળ અંગ્રેજી નથી બોલતા પણ ગુજરેજી બોલીએ છીએ. આવા જ કેટલાક અંગ્રેજી શબ્દો છે-પાનખર પ્રૂફ, બાલ્કની, વ્યૂ, મીડિયમ, ગ્રીનરી, એસે.

ઉમાશંકર જોશીએ લખ્યું:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી.

આપણે આપણી માતૃભાષાનું ગળું દાબી દીધું છે. ખરેખર તો સંસ્કૃત આપણું ભોંયતળિયું છે. ગુજરાતી આપણી ડ્રોઇંગરૂમની અને શયનખંડની ભાષા છે.

અન્ય પ્રાંતિય ભાષા એ આપણો ઝરુખો છે અને અંગ્રેજી આપણી અગાશી છે. આ એક આદર્શ પરિસ્થિતિ ગણાય. પણ અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા અને હજીએ આપણે રોજને રોજ વધુને વધુ ઝુકતા રહ્યાં.

આજ કવયિત્રીએ ગીતો પણ લખ્યા છે છતાં પણ ગદ્ય કાવ્યમાં એમને વિશેષ ફાવટ છે. ‘ગર્ભપાત’ નામનું એક અન્ય કાવ્ય જોઈએ:

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

અહીં સંત જનમ્યા હતા પારણે પારણે – અશરફ ડબાવાલા

હું તો મારી તરસ લઇને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે,
એની ફરિયાદે ક્યાં જઇને કરવી હવે, એનાં ગીતો બધે માંડવે માંડવે.

મારા જીવતરની ચાદર મેં વેચી દીધી, મૃત્યુ પાણીના ભાવે જ લઇને ગયું;
શ્વાસે શ્વાસે વણી’તી મેં ચાદર અને ભાત પાડી હતી તાંતણે તાંતણે.

એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યાં છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.

આવી ઘટનાને અવસર પણ કહેવો કે નહિ એની અટકળમાં રાત પછી ઢળતી રહી;
મને સપનાની ડાળથી તોડી હવે એણે શણગાર્યો છે પાંપણે પાંપણે.

તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.

– અશરફ ડબાવાલા