Category Archives: મધુસુદન કાપડિયા

કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)

વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!

કાવ્યાસ્વાદ ૧૦ : સ્તુતિનું અષ્ટક – ન્હાનાલાલ કવિ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

*******

સ્વર : રવિન નાયક અને સાથીઓ
કવિ : ન્હાનાલાલ દલપતરામ કવિ

કાવ્યાસ્વાદ ૮ : વૈષ્ણવજન તો તેને કહીએ – નરસિંહ મહેતા

સ્વર – લતા મંગેશકર

આસ્વાદ – મધુસુદન કાપડિયા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

– નરસિંહ મહેતા

કાવ્યાસ્વાદ ૭ : એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ

સ્વર – સંગીત : ??

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

કાવ્યાસ્વાદ ૬ : ભણકારા – બલવંતરાય ઠાકોર

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે,
ઊચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.

માથે જાણે નિજ નરિ જુવે કાન્તિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઈ સૌન્દર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ-પદે,વાય આ વાયુ તેવો ,

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય,નવે બીનના તાર મંદ,
તેમાં આ શી-રજનિઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,

પુષ્પે પાને વિમલ હિમમોતી સરે,તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શી સેહની !

(જોડણી બ.ક. ઠાકોરની)

કાવ્યાસ્વાદ ૫ : વાતો – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાને પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે:
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે ,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઇ જશે.

અને કૈં તારા, જો, નભથી છુટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊંભું છે આજે, જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા,

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હ્રદયમાંહી શમી જતો

– પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ ૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

પાણીએ,પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે:
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું ;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાયે વ્રત થાતાં :
આનંદઘેલા હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યુ,

– પ્રહલાદ પારેખ