Category Archives: કાવ્યાસ્વાદ

ગ્લૉબલ કવિતા : ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd


ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)


મહાસાગરમાં ડૂબકી માર્યા વિના મોતી મળે ખરું?

પુરુષાર્થનું મહિમાગાન આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. મહેનત વિના આસાનીથી મળી જતી વસ્તુની આપણને ભાગ્યે જ કોઈ કિંમત હોય છે, પણ જીવ-જાન એક કરી દીધા પછી જે હાથ આવે એ તો અમૂલ્ય જ લાગવાનું. કવિતા બાબતે વિશ્વમાં બે પ્રમુખ વર્ગ પ્રવર્તે છે. એક વર્ગંનું માનવું છે કે કવિતા સમજવાની પળોજણ જ નકામી છે. અર્થ સમજવાની કડાકૂટ કર્યા વિના નિર્ભેળ કાવ્યાનંદ માણવાની હિમાયત તેઓ કરે છે. તો બીજો વર્ગ આકાશ-પાતાળ એક કરીનેય કવિતાના ભાવ અને અર્થ બંને સમજવાનું અનુમોદન કરે છે. આપણે કયા પક્ષમાં છીએ એ એક કવિતાની મદદથી સમજીએ…

બર્નાર્ડ પેટ્રિક ઓ’ડાઉડ. જીવનકાળ ૧૧ એપ્રિલ, ૧૮૬૬ થી ૦૧ સપ્ટેમ્બર, ૧૯૫૩. રાષ્ટ્રવાદી કવિ, ઉદ્દામ સમાજવાદી, વકીલ, સંસદીય મુસદ્દાકાર અને પત્રકાર. તેઓ ઈશ્વરદત્ત બક્ષિસ પ્રાપ્ત બાળક હતા. મિલ્ટનની પેરેડાઇઝ લૉસ્ટ કેવળ આઠ વર્ષની વયે એમણે વાંચી નાંખી હતી. સત્તર વર્ષની વયે તો એક શાળાના આચાર્ય બનાવાયા. એમની કવિતાઓમાં સાહજિકતા કરતાં જ્ઞાનદર્શન વધુ જોવા મળે છે. કાવ્યવિધાના તેઓ નિપુણ કસબી હતા, પણ એમની કાવ્યકળા બાબતે એકાધિક મંતવ્યો પ્રવર્તે છે. અંગ્રેજી કવિતામાં સહુથી પ્રચલિત છંદ આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) છે, પણ ઓ’ડાઉડે બહુધા મધ્યકાળથી સોળમી સદી સુધી પ્રયોજાતો હેપ્ટામીટર (ચૌદ શબ્દાંશ) છંદ પ્રયોજ્યો છે. એમની ઘણી રચનાઓ અઘરી-અટપટી અને ક્યારેક દુર્બોધ પણ ભાસે છે. પણ આ જ દુર્ગમતા પુરુષાર્થી ભાવકને અલૌકિકતાની અનુભૂતિ પણ કરાવે છે. દેખીતી ગદ્યાળુતા પણ ઊંડે ઉતરીએ તો પ્રેમમાં પડી જવાય એવી છે.

‘ઑસ્ટ્રેલિયા’નું કાવ્યસ્વરૂપ પેટ્રાર્કશાઈ સૉનેટનું છે. અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDE CDE પ્રકારે ચુસ્ત પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. સૉનેટમાં કવિએ એમના પ્રિય હેપ્ટામીટરના સ્થાને પ્રચલિત પેન્ટામીટર જ ખપમાં લીધું છે. છંદોબદ્ધ અનુવાદ મૂળ રચનાથી વધુ પડતા છેટા જવાની ફરજ પાડે એમ હોવાનું અનુભવાતા સૉનેટનો પદ્યાનુવાદ કરવાના સ્થાને ગદ્યાનુવાદથી જ કામ ચલાવ્યું છે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૦૦માં લખાયેલ સૉનેટનું શીર્ષક એનો કેન્દ્રવર્તી વિચાર પણ છે. આ એક મુદ્દે ઑસ્ટ્રેલિઅન કવિઓ મુખ્ય અંગ્રેજી કાવ્યધારાથી અલગ તરી આવે છે. ઑસ્ટ્રેલિઅન કવિઓ કવિતાઓમાં દેશની ઓળખ ઉપસાવવાની વધતી-ઓછી કોશિશ કરતા આવ્યા છે. સમયાંતરે બદલાતી રહેતી પ્રમુખ કાવ્યધારાની અસર તો હોવાની જ, પણ એની સમાંતરે જ દેશની ઓળખ રજૂ કરવાનો એકધારો વ્યાયામ અછતો રહેતો નથી. દેશ-કાળ તરફની કવિઓની આવી મનોગ્રસ્તતા જો કે જાણીતી છે. માર્ગારેટ એટવુડના પુસ્તક ‘સર્વાઇવલ: અ થિમેટિક ગાઇડ ટુ કેનેડિઅન લિટરેચર’ મુજબ અમેરિકાની સરખામણીમાં કેનેડિઅન કવિતાઓમાં કેનેડાના ભૂપ્રદેશની લાક્ષણિકતાઓ અને હવામાન તથા જનજીવન-જનમાનસ પર એની અસરોનું આલેખન વધુ માત્રામાં અને લગાતાર જોવા મળે છે. પણ ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો દેશનો ઇતિહાસ આ કાવ્યધારાથી થોડો અલગ જણાય છે.

પચાસ-સાંઠ હજાર વર્ષ પૂર્વે દરિયાઈ માર્ગે દક્ષિણ-પૂર્વી એશિયામાંથી જેઓ ઑસ્ટ્રેલિયા આવ્યા હતા, એમના વંશજો આદિમ જાતિ (ઍબોરિજનલ) કહેવાય છે. સત્તા અને સંપત્તિભૂખ્યા બ્રિટિશરોની નજરમાંથી ઑસ્ટ્રેલિયા પણ બચ્યું નહોતું. અઢારમી સદીના અંતભાગમાં બ્રિટિશરોએ ત્યાં પોતાની વસાહતો જમાવવા-વધારવાનું આદર્યું હતું. આ સૉનેટની રચનાના થોડા સમયમાં પહેલી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ કોમનવેલ્થ ઑફ ઑસ્ટ્રિલિયાની સ્થાપના થઈ. બ્રિટન સાથેના અંતિમ સંવૈધાનિક સંબંધ તો ૧૯૮૬માં ખતમ થયા હતા. હજી આજેય ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ ત્રીજા ઑસ્ટ્રેલિયાના વડા છે. ૧૯૯૯ની સાલમાં ઑસ્ટ્રેલિયાને સંવૈધાનિક રાજતંત્ર અથવા ગણતંત્ર બેમાંથી એકની પસંદગીની તક અપાઈ હતી, ત્યારે સોમાંથી પંચાવન લોકોએ બ્રિટિશ સર્વોપરિતા સ્વીકારવું પસંદ કર્યું હતું. કવિતામાં પોતાના દેશની ઓળખ ઉપસાવવાની મથામણ કરતો દેશ પ્રજાસત્તાક બનવા પૂરો તૈયાર નથી એ વાત વિરોધાભાસી નથી?

સમય નામનો નાવિક અવકાશના મહાસાગરને ફેંદી કાઢીને એમાંથી પૃથ્વી પર જે આખરી દરિયાઈ-વસ્તુ ઉસેટી લાવ્યો એને ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાવીને કવિ કાવ્યારંભ કરે છે. હજારો વર્ષ સુધી ઑસ્ટ્રેલિયા મુખ્ય જગતધારાથી અળગું રહ્યું હતું. છેક અઢારમી સદીના અંતભાગથી પાશ્ચાત્ય જગત સાથે એનો સીધો સંપર્ક થયો. ઍબોરિજિનલ લોકો સંખ્યા અને મહત્ત્વ –બંને રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા અને બ્રિટિશરો કાયમી ઘર કરી ગયા. વીસમી સદીનો પહેલો સૂર્યોદય એક દેશ તરીકે ઑસ્ટ્રેલિયાનો પહેલો સૂર્યોદય હોવાથી ઘણાં કવિઓએ ઑસ્ટ્રેલિયાને નવજાત શિશુ તરીકે જોયું છે. ડબ્લ્યુ. સી. વેન્ટવર્થ એને ‘બ્રિટનનું આખરી જન્મેલ શિશુ’ કહ્યું, તો હેનરી કેન્ડેલે એને ‘પ્રભાતના ગાયક’નું બિરુદ આપ્યું. કવિઓએ ઑસ્ટ્રેલિઆને સંસ્કૃતિ અને સંભાવનાઓના વણવપરાયેલ સ્રોત તરીકે જોયું છે. બર્નાર્ડ પણ એને અંતરીક્ષમાંથી ઉસેટી લાવવામાં આવેલ આખરી ચીજ તરીકે જુએ છે. આ નજરિયો બહારથી આવીને સ્થાયી થયેલ લોકોનો છે, મૂળ આદિમ જાતિના લોકોનો નહીં. બર્નાર્ડ ઑસ્ટ્રેલિયાને સમયના નક્શા પર અસ્તિત્ત્વમાં આવેલ આખરી પ્રદેશ, નવીનતમ ખંડ તરીકે આલેખી એની સાથે પ્રશ્નાલાપ આદરે છે. આખું અષ્ટક ઑસ્ટ્રેલિયાને પૂછાતા પ્રશ્નોથી બનેલ છે.

કવિ ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સરગાસોનું વહેણ છે, જ્યાં હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડેલોસ છે? આગળ વધતાં પહેલાં આ સંદર્ભોને સમજી લઈએ. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ સરગાસો સમુદ્ર દુનિયાનો એકમાત્ર સમુદ્ર છે, જેની એકેય તરફ જમીન નથી. એની સીમાઓ ચારે તરફના સમુદ્રોના પ્રવાહોથી બની છે. આ સમુદ્રની સપાટી ઉપર સરગાસમ નામની શેવાળ પથરાયેલ છે. દરિયાના તળિયે જ વિકસતી શેવાળોથી વિપરીત આ શેવાળ સપાટી ઉપર વાનસ્પતિક રૂપથી પ્રજનન કરી વિકસે છે. કોલમ્બસ સાથેના એક નાવિકને આ શેવાળ દ્રાક્ષના ઝુમખા જેવી દેખાઈ હતી, પરિણામે દ્રાક્ષ માટેના પોર્ટુગીઝ શબ્દ ઉપરથી સમુદ્ર અને શેવાળ બંનેનું નામકરણ થયું.

બીજો સંદર્ભ છે હેલ્સિયન શાંતિ. ગ્રીક પુરાકથા અને ઓવિડના મેટામોર્ફોસિસ મુજબ હેલ્સિયન એટલે પૌરાણિક કલકલિયો (કિંગફીશર), જે શિયાળામાં અયનકાળ દરમિયાન સમુદ્રની સપાટી ઉપર માળો બાંધી બચ્ચાં મૂકે છે. પક્ષીની વિશેષ શક્તિના કારણે આ સમયગાળામાં હવા અને સમુદ્ર અસામાન્ય રીતે એકદમ શાંત-સ્થિર રહે છે. આજે હેલ્સિયન શાંતિ અને સ્થિરતાનું પ્રતીક ગણાય છે. કવિએ ઑસ્ટ્રેલિયાને અદ્વિતીય લેખાવવા માટે આ બંને અદ્વિતીય પ્રતીકોનું સાયુજ્ય રચ્યું છે. પશ્ચિમથી આવીને ઑસ્ટ્રેલિયામાં પોતાનો માળો બાંધનાર વિદેશીઓ ત્યાંની આદિમ જાતિ માટે ઘાતક પુરવાર થયા હતા, એનો સંદર્ભ પણ કવિએ સાથે સીવી લીધો છે.

હવે કથક ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે? ગ્રીસમાં અવેલ ડિલોસ ટાપુ એપોલોનું જન્મસ્થળ ગણાય છે. હકીકતમાં ખરા સૂર્યદેવ ટાઇટન હેલિઓસ છે, પણ મોટાભાગના લોકો એપોલોને જ સૂર્યદેવ ગણીને ચાલે છે. આપણા કવિ પણ આમાંથી બાકાત નથી. ભૌગોલોક દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયા ઊગતા સૂર્યના દેશ ગણાતા જાપાન કરતાંય વધુ પૂર્વમાં હોવાથી ઑસ્ટ્રેલિયાને સૂર્યદેવના વંશજોનો પ્રદેશ લેખાવે છે ત્યારે એમનો પોતાના દેશ પરત્વેનો પક્ષપાત અછતો રહેતો નથી.

વળી કથક પોતાના દેશને સવાલ કરે છે કે શું એ તેલથી ભરેલો અને કાપીને સરખી કરેલ વાટવાળો દીવો છે કે પછી દલદલી ખોજમાં જડેલા ભૂતના ભડકા? એક તરફ કવિ દેશના અક્ષુણ્ણ અને અખૂટ ખનીજ અને તેલના ભંડારની વાત કરીને દેશની આંતરિક સમૃદ્ધિ તરફ ઈશારો કરે છે, તો બીજી તરફ કળણ અને ભૂતના ભડકાની વાત કરીને ક્ષણભંગુર અને માયાવી ગુણવત્તા તરફ અંગૂલિનિર્દેશ કરી સર્જકની તટસ્થતાનું પ્રમાણ આપે છે. સુધારેલ વાટ સાથેનો દીવો અને તેલથી ભરેલ શબ્દપ્રયોગ ઑસ્ટ્રેલિયા સુસ્થિરતા, સુવ્યવસ્થા અને સુનિશ્ચિતતાનો દેશ હોવાનો સંકેત આપે છે. ‘ભૂતના ભડકા’ પ્રયોગ દેશની ભૌગોલિક વિલક્ષણતા પણ ઇંગિત કરે છે. દેશના દક્ષિણ ખૂણે આવેલ તાઝમાનિયા દક્ષિણ ધ્રુવીય આભા (સધર્ન લાઇટ કે અરૉરા ઑસ્ટ્રેલિસ) માટેનો વૈશ્વિક મંચ છે. કવિએ દળદળી ખોજ સાથે ‘વિલ-ઓ’-વિસ્પ’ શબ્દ પ્રયોગ કર્યો છે. કળણ યાને કે ભીનાશવાળા કાદવની સપાટી ઉપર જૈવિક સડાને પરિણામે ફોસ્ફેટ અને મિથેન જેવા કુદરતી વાયુઓ પેદા થાય છે, જેના ઑક્સિડેશનના કારણે કદ, રંગ અને આકારમાં સતત બદલાતી રહેતી સ્ફુરદીપ્ત (ફૉસ્ફોરેસન્ટ) પ્રકાશજ્વાળાઓ નજરે ચડે છે, જે અંધારી રાતે ભૂતિયા પ્રકાશ કે ભૂતના ભડકાનો ભાસ જન્માવે છે. પેરેડાઇઝ લોસ્ટ (પુસ્તક નવ)માં મિલ્ટને ‘વિલ-ઑ’-ધ-વિસ્પ’નો સ-રસ પ્રયોગ કર્યો છે. ઉજ્જ્વળ-ચમકીલા વચનના આકર્ષણથી ઇવ ફોસલાઈ-લોભાઈ ગઈ હતી, પણ મૃગજળ જેવું વચન કદી સાચું ન પડ્યું અને આખરે ઇવનું પતન થયું. દલદલ અને કીચડમાં જોવા મળતું ભૂરું-સફેદ વિલ-ઓ-ધ-વિસ્પ્સ રાત્રે ગંદકીની ઉપર મંડરાય છે અને સદૈવ પહોંચબહાર જતું પ્રતીત થાય છે. કાળક્રમે આ ભૂતના ભડકા અપ્રાપ્ય આભાસ, જૂઠાં સ્વપ્નો, મિથ્યા આશાઓ, ભોળી માન્યતાઓ અને વિધ્વંસક ખતરાના પર્યાયવાચી બની ગયા. હકીકતમાં એ કોઈ દુર્ભાવનાપૂર્ણ આત્માઓનું પ્રતિફળ નથી, પણ સાધારણ રાસાયણિક પ્રક્રિયા જ છે. કવિ દેશને સવાલ કરે છે કે શું એ ભૂલાવામાં નાંખનાર કે હાથતાળી દઈ છટકી જનાર મૃગજળિયો દેશ તો નથી ને?

વળી કવિ એના દેશને પૂછે છે કે શું એ ધનકુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર માત્ર છે કે તારા ચહેરા તળે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે? કાવ્ય લખાયું એ સમયે ઑસ્ટ્રેલિયાને દેશ જાહેર કરવા માટેની પ્રક્રિયા જોરમાં હતી. એટલે એ સમયે આખો દેશ દેશના ભવિષ્ય વિશે ચિંતિત હોય એ સ્વાભાવિક છે. કવિના આ સવાલો પણ જે-તે સમયના ઑસ્ટ્રેલિયા-સ્થિત બૌદ્ધિકોની દેશ વિશેની પ્રમુખ માન્યતાઓનું પ્રતિબિંબ જ છે. લોકોને ચિંતા હતી કે શું આ દેશ ભ્રષ્ટ અને અયોગ્ય રીતે અર્જિત ધનસંપત્તિનો દેશ બની રહેશે કે હજારો વર્ષ સુધી ચાલનારું સ્વર્ગ અહીં રચાશે? ૦૧/૦૧/૧૯૦૧ના રોજ કૉમનવેલ્થ ઑફ ઑસ્ટ્રેલિયાની સ્થાપનાર્થે સેન્ટેનિઅલ પાર્કમાં સાંઠ હજાર જેટલા લોકો એકત્ર થયાં હતાં. આ પ્રસંગના સંભારણારૂપે ફેડરેશન સ્ટૉનની ઉપર ચૌદ મીટર ઊંચો પ્લાસ્ટર ઑફ પેરિસનો ગુંબજદાર મંડપ બનાવાયો હતો, જે બે વરસમાં નાશ પામ્યો. આ મંડપ ૧૯૮૮માં ફરી બનાવાયો ત્યારે ગુંબજની નીચે બર્નાર્ડના આ સૉનેટમાંથી મોટા અક્ષરે ‘મેમન ઓર મિલેનિઅલ ઇડન’ પ્રશ્ન લખવામાં આવ્યો છે. આ પ્રશ્ન એ સમયના નવજાત દેશ વિશેની ફિકર અને અવઢવ બંને પ્રગટ કરે છે. બર્નાર્ડનું આ સૉનેટ ઑસ્ટ્રેલિયામાં સમૃદ્ધ ભવિષ્યની શોધમાં આવેલ ઇન્ગ્લેન્ડનું ઑસ્ટ્રેલિયા વિશેનું માનસચિત્ર રજૂ કરે છે એમ કહેવામાંય કંઈ ખોટું નથી. એક તરફ ઉજ્જ્વળ ભાવિની સુનિશ્ચિતતા દેખાતી હતી, તો બીજી તરફ છેતરામણી અનિશ્ચિતત્તાઓનો ડર પણ સતાવતો હતો. વસાહતીઓના આ માનચિત્રમાં નિવાસી આદિમજાતિના વિચારો કે અભિગમોનો સંપૂર્ણપણે છેદ ઊડાડવામાં આવ્યો છે.

સૉનેટના અષ્ટકમાં સવાલો અને શંકાઓની જે બૌછાર હતી એ ષટકમાં વિધાન-વાક્યો અને કંઈક અંશે સુનિશ્ચિત આશાઓ અને વિશ્વાસનું રૂપ ધારે છે. દુનિયા એ સમયે પણ ઘાતકી હતી અને મનુષ્યોના સ્વાર્થના પરિણામે અનેક પ્રજાતિઓ લુપ્તપ્રાય થવા આવી હતી. અન્યત્ર લુપ્ત થતી જતી પશુ-પક્ષીઓ અને જળચરોની પ્રજાતિઓ ઑસ્ટ્રેલિયામાં નિર્ભીક થઈ રમણે ચડે છે, પરિણામે ઑસ્ટ્રેલિયાના વનમાંથી અલૌકિક સંગીત-સૂરાવલિઓ જન્મે છે. એક રીતે કવિ ઑસ્ટ્રેલિયાને મહાદ્વિપીય સંગ્રહાલય, જ્યાં ભૂતકાળને વર્તમાનસ્વરૂપે સાચવી રાખવામાં આવ્યો હોય એ રીતે જોતા હોવાનુંય અનુમાની શકાય. આ પરિપ્રેક્ષ્યમાં આદિમ એબોરિજિનલ લોકો અહીં દૃષ્ટિગોચર થાય છે.

દેશની સ્થાપના થઈ એ સમયના હકારાત્મક શુકનો દેશના ઉજ્જવળ ભાવિ સાથે ભળી જઈને એવું પ્રતીત કરાવે છે, કે આજ જેટલી સરસ છે, આવતીકાલ પણ એટલી જ ગૌરવાન્વિત હશે. દેશના કપાળે ક્રોસ અને પગ પાસે કુંવારો- અછૂતો મદદગાર સમુદ્ર જાણે કે વાવવામાં આવ્યા છે. આ વાવણીમાંથી જે ઊગશે એ સર્વોત્તમ જ હશે એવી ભાવના શુકનિયાળ સંકેતોના ભવિષ્યકથન સાથેના સંમિશ્રણની વાતમાંથી પ્રગટે છે. આકાશ અને સમુદ્ર વચ્ચેનો વિશાળ વ્યાપ આ વાતને વળી અધોરેખિત કરે છે.

આજે લગભગ સવાસો વરસ પછી ખ્યાલ આવે છે કે સહસ્ત્રાબ્દિઓનું આયુષ્ય ભોગવનાર ઇડન-સ્વર્ગ ચહેરા તળેથી પ્રગટ જ થયું નથી, ધનકુબેરે દેશના જનમાનસ પર કબ્જો કરી લીધો છે, અન્યત્ર લુપ્ત થઈ ગયેલ જાતિઓ અહીં પણ નામશેષ થઈ રહી છે, માથા પરના અકાશમાં વિરાજમાન ક્રોસ ધૂમ્ર-ધુમ્મસ (સ્મૉગ)માં ગાયબ થઈ ગયો છે, અને બચેલ તેલના કૂવાઓ પર નજર કરીએ તો કુંવારા મદદગાર સમુદ્રના ભવિષ્યનો ખ્યાલ આવશે. સૂર્ય-દેવના વંશજ કદી જન્મ્યા જ નહીં.

બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. જી. એમ. હોપ્કિન્સ અને એલિયટની સમજવામાં અઘરી કવિતાઓ તરત યાદ આવે. બર્નાર્ડના આ સૉનેટનો સાંપ્રત સમયમાં ઘણા લોકોએ વિરોધ પણ કર્યો છે અને જે રીતે શેક્સપિઅર વગેરે અનેક સર્જકોનું તત્કાલિન સાહિત્ય આજના સરળ-સહજ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, એ રીતે બર્નાર્ડના સૉનેટનું સરળીકરણ કરી રજૂ કરવાની કોશિશ પણ લોકોએ કરી છે. જો કે સરવાળે આ પ્રયત્નો અને વિરોધ બિનપાયેદાર અને બિનઅસરદાર જણાય છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

ગ્લૉબલ કવિતા : ૨૩૫ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh


ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી જરા,
ને જીરવી લે દ્રાક્ષ પણ હિમપાતને વરસોવરસ;
હરિયાળી ફૂલે-ફાલે, ને પાકેય નિષ્ફળ જાય ના,
ક્યારેક પાસાં સૌ પડે પોબાર, છો ઊંચું હો લક્ષ.

ક્યારેક લોકો પાછી પાની પણ કરી દે યુદ્ધથી;
ઈમાનદારોને ચૂંટે, ને રાખે એ દરકાર કે
કોઈ અજાણ્યો પણ ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જન્મનો જે હેતુ હો એ સર કરે.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે ધાર્યું હો કરવા, એ પૂરું કરવા મળે;
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)


મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

કયા મા-બાપને પોતાનું બાળક પોતાના પેંગડામાં પગ નાંખે એ ન ગમે? સંતાનની પ્રગતિ તો સહુને ગમે, ખરું ને? સંતાન પોતાને ઓવરેટક કરી જાય તો મા-બાપની છાતી ફાટફાટ થાય. પણ આ જ વાત કળાના ક્ષેત્રમાં અલગ પરિણામ આણે છે. સર્જક જન્મદાતા હોવા છતાં ક્યારેક એને પોતાનું જ સંતાન- પોતાનું જ સર્જન પોતાને અતિક્રમી જાય એ ન ગમે એવું બનતું હોય છે. રચનાની આભા સામે સર્જક તો ઠીક, સર્જકનું અન્ય તમામ સર્જન સુદ્ધાં વામણું બનીને રહી જાય ત્યારે આવો અણગમો ખાસ જોવામાં આવે છે. જો કે સર્જન સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે એ કાળાતીત-અમર થઈ જાય છે. ચાલો, આજે આપણે આવી જ એક કવિતાની વાત કરીએ.

શીનાઘ પ્યુ. કવયિત્રી, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. ૨૦-૧૨-૧૯૫૦ના રોજ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે જન્મ. હાલ પતિ સાથે શેટલેન્ડ રહે છે. નિવૃત્તિ સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે,’ હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું.’ શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેના ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એમની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે, જરાક ઉત્ખનન કરતાં જ કંઈક અણધાર્યું જ હાથમાં આવી ચડે એવી. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ તેઓ એંગ્લો-વેલ્શ કવિ કહેવાય પણ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લેતી એમની રચનાઓને જોતાં એમને વિશ્વનાગરિક ગણવા વધુ ઉચિત કહેવાય.

પ્રસ્તુત કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. અસંખ્ય લોકો માટે આ કવિતા આશાનું કિરણ બની છે. ડગલે ને પગલે લોકોએ એને ટાંકી છે. શાળાઓના અભ્યાસક્રમ, પરીક્ષાઓ, શોકસભાઓમાં -આ કવિતા ક્યાં નથી વપરાઈ અને ક્યાં નથી વપરાઈ રહી એ સવાલ મોટો થઈ પડે એમ છે. ‘न भूतो न भविष्यति’ લોકપ્રિયતા પામેલી આ કવિતાને એના સર્જક જો કે બેહદ નફરત કરે છે. તેઓ બ્લૉગ પર લખે છે કે, ‘આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં.’ કવિતા નીચે નામ લખવાનું રહી જાય તો કવિ હોબાળો મચાવી દે એવા જમાનામાં શીનાઘ પોતાનું નામ આ કવિતા નીચે ન લખવા ભારપૂર્વક કહે છે. તેમના મતે આ તેમનું પ્રતિનિધિ કાવ્ય નથી. એ એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. લોકોએ કવિને ઝાટ્ક્યા પણ છે કે, ‘તમારે જ કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી તમારી પાસે. લખો એવી કવિતા જે આને ટપી જાય.’ – કહો તો, કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે? સાચે, લોકોથી મોટો વિવેચક કોઈ નથી. શીનાઘ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!!!

આ જ રીતે આર્થર કોનન ડોયલ શેરલોક હૉમ્સથી વાજ આવી ગયા હતા. એમને મન એમની ઐતિહાસિક નવલકથાઓનું સાહિત્યિક મૂલ્ય વધુ હતું. હૉમ્સની લોકપ્રિયતાથી હારી-કંટાળી-થાકીને લેખકે એક વાર્તામાં આખરે શેરલોકને મારી નાખ્યો. પણ વિરોધનો એવો તો પ્રચંડ જુવાળ ઊઠ્યો કે લેખકે મજબૂર થઈ એને પુનર્જીવિત કરવાની ફરજ પડી. અગાથા ક્રિસ્ટી પણ ‘હરક્યુલ પોઇરો’થી આવી જ રીતે હેરાન-પરેશાન હતાં, કેમકે પ્રકાશકો એ સિવાય કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત રહેતા. ફ્રાન્ઝ કાફ્કાને પણ સળગાવવાના રહી ગયેલ અધૂરાં લખાણ- ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. હવે સમજાયું ને કે શીનાઘને પણ આ રચના સાથે શા માટે લવ-હેટનો સંબંધ છે!

એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડીને કોકેનના વ્યસનથી મુક્તિ અપાવવાની આશાએ એમણે આ કવિતા લખી હતી, એટલે સ્વાભાવિકપણે તેઓ સર્જનકાળે પૂરતા ગંભીર નહોતાં. ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ આખરી બંધને બાદ કરતાં કવયિત્રીએ ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલ રશિયન અનુવાદ શીનાઘને પોતાની મૂળ રચના કરતાં વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અને અપૂર્ણાન્વય (enjambment) ને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

‘ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે આ વાત રોજમરોજની કે કાયમની નથી પણ કદીમદીની છે. કવિતા આમ તો વિધેયાત્મક્તા અને આશાની કવિતા છે, પણ એ ‘હંમેશા’ નહીં, ‘ક્યારેક’ જ પરિપૂર્ણતામાં પરિણમે છે. એટલે પહેલી નજરે હકારાત્મક લાગતી રચના આમ તો નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ ઇશારો કરે છે, પરંતુ લોકોને તો પહેલી નજરે દેખાતી ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત જ વધુ સ્પર્શી છે. જીવનમાં Roses roses all the way ભાગ્યે જ હોય છે, પણ ક્યારેક એવુંય બને કે ચીજો બદમાંથી બદતર નથી બનતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને હિમપાતનું જોખમ કવિતામાં સ્થાન મેળવે છે. કવિએ ગ્રેપ્સના બદલે મસ્કાડેલ શબ્દ પ્રયોજ્યો છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. બીજો અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ કરાયો છે, જોકે વિકીપીડિયાને એનો વિરોધ છે. કવિ કહે છે, ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને જીરવી જાય એવુંય બને. હવામાન સામેની લડાઈમાં ક્યારેક વરસોવરસ દ્રાક્ષ વિજયી નીવડે, ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે, પાક પણ નિષ્ફળ ન જાય, માણસ ઊંચુ નિશાન તાકે અને સફળ થાય. બધું થઈ શકે પણ ક્યારેક, કાયમ નહીં! જીવનમાં સૌ પાસાં પોબારા પડે એવુંય બને, પણ ‘ક્યારેક’, હં કે!

કવિનો આશાવાદ આટલેથી અટકતો નથી. વ્યક્તિગત સફળતાઓથી આગળ વધીને તેઓ સમાજ અને સમસ્ત દુનિયાને પણ સાંકળી લે છે. ઇતિહાસમાં કદાચ એકેય પાનું એવું નહીં હોય, જેના પર યુદ્ધના લોહિયાળ છાંટા ઊડ્યા ન હોય! પણ કવિને તો એવો દિવસ નજરે ચડે છે, જ્યારે માણસજાત યુદ્ધથી પાછી પાની કરે. ક્યારેક આમ થશે એવી કવિને આશા છે. ક્યારેક લોકો ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે એવીય આશા છે. વાસ્તવિક્તા તો એ છે કે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓમાં પ્રામાણિક માણસને શોધવો એ રાતના અંધારામાં ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર કે ખકુસુમવત્ કાર્ય છે. પણ શીનાઘને તો લોકો સામે ચાલીને પ્રામાણિક માણસોને મત આપીને ચૂંટી કાઢતા હોય એવું રામરાજ્ય દૃષ્ટિગોચર થાય છે. વળી કવિ આપણને એ યુટોપિયામાં લઈ જાય છે, જ્યાં લોકો કોઈ અજાણ્યો માણસ પણ ભૂલથીય ગરીબીમાં સબડે નહીં એની દરકાર કરતા હોય. સગાં ભાઈ-બહેન મિલકત માટે કાપાકાપી પર ઉતરી આવતા હોય એવા ઘોર કળિયુગમાં લોકો સાવ અજાણ્યા માણસો અજાણતાંય નિર્ધન ન રહી જાય એની કાળજી લેતાં હોય એવો સોનાનો સૂરજ કવિને ક્યારેક તો ક્યારેક પણ ઊગતો દેખાય છે. વળી, કવિનો આશાવાદ તો માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને ત્યાં સુધી લંબાય છે. આપણી ચોપાસ એવા સેંકડો માણસ નજરે ચડશે, જેઓ બનવા કંઈ માંગતા હોય અને બની કંઈ ગયા હોય. જિંદગી કોને કયા રસ્તે ઢસડી જશે એ કોઈ કહી શકતું નથી. પણ કવિ એ કલ્પદ્વીપ દેખી રહ્યાં છે, જ્યાં દરેક માણસ પોતાની મનોકામનાઓ પૂરી કરી પોતે જે બનવા સર્જાયા હોય, એ જ બને છે.

આગળની પંક્તિઓમાં પણ આ આઠ પંક્તિઓની પુનરોક્તિ જ સંભળાય છે. ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા અને બરફાચ્છાદિત કાયમી દુઃખના મેદાનને ક્યારેક સમયનો સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ હોય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ આ કવિતા ટાઇપ કરતી વખતે કવિથી ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. ટાઇપ કરી દેવાયા પછી કવિને મૂળ વિચાર કરતાં આ ભૂલ વધુ ગમી ગઈ એટલે એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર મારા કી-બૉર્ડને આ રીતે સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કવિતામાં જે સુખની વાતો કરાઈ છે એ હકીકતે કોની પર લગાડેલા ગોળ જેવી છે. વાસ્તવમાં તો જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ જ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની શક્યા નથી, મોટાભાગની કોશિશો વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને ધાર્યું થયું હોવાના સુખ-સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ અર્ધપંક્તિ કવિતાની સફળતાની ગુરુચાવી બની ગઈ. કવિ કહે છે, જીવનમાં જે બધી જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને ફળે! સામી વ્યક્તિ માટે મહત્તમ સુકામનાઓ વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે સફળતાપૂર્વક કંડારાઈ ગઈ.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહેશે. જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળેબેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

સર્જકની સર્જન પરની માલિકી આમેય અલ્પજીવી જ ગણાય. કેવળ સર્જનની પળે જ સર્જક સર્જનનો સ્વામી ગણાય. એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા નથી કે એ પરાયા થઈ ગયા નથી. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું ને! શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠાં પડી જાત છે અને આપણે આ કવિતાને આશ્લેષમાં લેવા દોડતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૨૩૩ : ચોરી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકી માંઈ જાગે રે…

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….

આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

– જીવણ સાહેબ


કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ…

પૂર્વજ વાંદરા રહ્યા એટલે ગુંલાટી મારવાનું આપણા લોહીમાંથી કદી ગયું જ નહીં. સીધા રસ્તે જવાનું કહેવામાં આવ્યું હોય અને આડો રસ્તો અજમાવી ન જુએ એ વળી મનુષ્ય કેવો! જે વસ્તુ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય એ કરવાનું મન પહેલું ન થાય તો જ નવાઈ. ખોટું કંઈ નથી. અવળચંડાઈ આપણી સહજ પ્રકૃતિ જ છે. પૂર્વજોમાંથી જ ઉતરી આવી છે. સીધાના બદલે ઊલટા હાથે કાન પકડવાનું જ આપણને સહુને કદાચ વધારે ફાવે છે. માનસશાસ્ત્રના અભ્યાસુઓ મનુષ્યોની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને ધાર્યું ન કરાવે તો જ નવાઈ, કવિતાની વાત કરીએ તો મનુષ્યની રગ-રગથી વાકિફ સમર્થ કવિઓ આ ગુણધર્મનો સદુપયોગ કરવાનું કદી ચૂક્યા નથી. આ પરિપ્રેક્ષ્યમાં દાસી જીવણની એક કવિતા જોઈએ.

દાસી જીવણ. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે ચમાર જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસ દિવાળીના દિવસે જન્મ અને ૧૮૨૫માં દિવાળીના દિવસે જ જીવતા સમાધિ લીધી. કબીરપંથમાંથી ઊતરી આવેલ રવિભાણ પરંપરાના સમર્થ સંતકવિઓમાં તેઓ એક. પોતાને રાધાનો અવતાર ગણી કૃષ્ણની ભક્તિ કરતા હોવાથી તેઓ જીવણદાસના બદલે દાસી જીવણ તરીકે પંકાયા. લોકો કહેતા: ‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર; દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.’ ચૌદ ભુવનના નાથના પટરાણી હોવાની રુએ તેઓ ખુદને શણગારોથી સજાવતા પણ. સત્તર ગુરુ બદલ્યા પછી ભીમસાહેબ, જેઓ ભાણના શિષ્ય ખીમ અને એમના શિષ્ય ત્રિકમના શિષ્ય હતા, સાથે ભેટો થયો અને મેળ પડ્યો. સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર ઉભય ભક્તિમાર્ગનો સમન્વય એમની રચનાઓમાંથી વહેતો અનુભવાય છે. એમની કૃતિઓ નારીહૃદયની સુકુમાર વેદના અને પ્રભુવિરહની પીડાની છોળ વડે આપણને ભીંજવે છે.

કાવ્યારંભે ‘ચોરી’ શીખવવાની વાત વાંચીને સ્વાભાવિકપણે જ આશ્ચર્યાઘાત અનુભવાય. પણ આ તો સમર્થ કવિની તરકીબ છે. કવિતા આમેય સામાન્ય જનમાનસનો કપ ઑફ ટી નથી. એટલે કવિતાનો ઉપાડ જો હૂક લગાવી બાંધી ન દે તો બનવાજોગ છે કે વાચક કવિતા કોરાણે મૂકી ચાલતો થાય. પ્રથમ પંક્તિ આકર્ષક હોય, ભાવકને આશ્ચર્યનો આંચકો આપવા સક્ષમ હોય અથવા વશીભૂત કરી શકે તો ભાવક અવશ્ય કુતૂહલવશ અટકી જશે. પછી કવિતા વાંચ્યે જ છૂટકો. પ્રસ્તુત રચના આનું ઉત્તમ દૃષ્ટાંત છે. કવિ કહે છે, ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી.’ ગુરુનું કામ તો જ્ઞાન આપવાનું, ભક્તિ-મોક્ષનો માર્ગ દેખાડવાનું, પણ અહીં તો કવિ કહે છે કે ગુરુએ મને ચોરી શીખવાડી. વળી, ગુરુ પણ સામાન્ય નથી, સદગુરુ છે. સદગુરુ તે વળી ચોરી શીખવાડે?ચોંકાવનારી પંક્તિથી કાવ્યનો ઊઠાવ થાય છે. હવે તો આખી કવિતા વાંચ્યે જ છૂટકો. સદગુરુ કયા પ્રકારની ચોરી કરતા શીખવાડવાના છે એ સમજીએ. બીજી પંક્તિમાં ઘટસ્ફોટ થાય છે. ગુરુજીએ ચોરી કરવા માટે ગણેશિયો ઘડાવ્યો છે. ગણેશિયો એટલે ઘરફોડ ચોરી કરવા માટે વપરાતું સાધન. પણ આ ગણેશિયો જ્ઞાનનો છે. મતલબ, આ કાયારૂપી ઘર, જેમાં આપણો આત્મા કેદ છે એમાં જ્ઞાન વડે ખાતર પાડવાનું છે અને આધ્યાત્મિક ઉન્નતિનું રહસ્ય પામવાનું છે. વાહ ગુરુજી! ઉમદા ચૌર્યકર્મ શીખવવાના આપ તો…

કવિતાના ધોરીમાર્ગે ચાલી નીકળતાં પહેલાં થોડું આડવાટે ફરી લઈએ. હિન્દુ તત્વજ્ઞાન અનુસાર મનુષ્યદેહ કેવળ અસ્થિ-મજ્જાનો બનેલ એક પિંડ નથી. આપણા આત્મિક દેહમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેમાં પ્રાણશક્તિનો પ્રવાહ વહે છે. આ બોત્તેર હજાર નાડીઓ, છ ચક્ર અને નવ દ્વાર મળીને એક ઘર –કાયા- બને છે. સપ્તધાતુપૂરિત આ નગરીને ‘પુરી’ પણ કહે છે. ૭૨,૦૦૦ નાડીઓમાં ચૌદ વધુ અગત્યની અને એમાંય ત્રણ સવિશેષ –ઈડા, પિંગલા અને સુષુમ્ણા. યોગ કુણ્ડલ્યુપનિષદ મુજબ ડાબી બાજુએ સ્થિત ઈડા યાને ચંદ્રનાડી ભૂતકાળ અને ભાવાવસ્થા સાથે સંકળાયેલ છે, જ્યારે જમણી નાડી પિંગલા યાને સૂર્યનાડી આપણી કાર્યશીલતા અને ભવિષ્ય સાથે સંલગ્ન હોવાનું મનાય છે. આ બેની મધ્યમાં સુષુમ્ણા નાડી છે, જે બધામાં શ્રેષ્ઠ મનાય છે. શ્વાસ ડાબે-જમણે જવાના બદલે એકસમાન ચાલે એ નાડી તે સુષુમ્ણા. તેનો પ્રવાહ કરોડરજ્જુના નીચલા છેડે (વિષુવ અને કુલાધ સહિત)થી આરંભાઈ આજ્ઞાચક્ર(ભ્રૂકુટિમધ્ય) પર્યંતનો છે. તે શરીરના સાતેય મૂળ ચક્ર – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર- સહિત કુલ્લે પચ્ચીસ ચક્રોને જોડે છે. યોગદર્શનાનુસાર આપણી માનસિક શક્તિનો દશમો ભાગ જ વપરાય છે. બાકીની શક્તિ સુષુપ્તાવસ્થામાં રહે છે. જ્યારે દેહની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે. આમ થાય ત્યારે અલખના ધામભેગા થવાય. (સુરત નુરત ને ઈડા પિંગલા સુષુમણા ગંગ સ્નાન કીજે. – ધીરો)

કવિ કહે છે, પવનરૂપી ઘોડા પર સવાર થઈને ગુરુએ શીખવાડેલ ચોરી કરવા જવાનું છે. પવન એટલે પ્રાણ એ તો સમજાય પણ ઊલટી ચાલે ચલાવવાની સલાહ કેમ ભલા? પ્રાણરૂપી અશ્વ પર સવાર થઈ એને અવળચાલે ચલાવવાનો છે અને ગંગા-જમુનાના ઘાટ ઉલ્લંઘીને અલખના ઘરે પહોંચવાનું છે. ઘોડાની ઊલટી ચાલ વિશે વિચારતાં પહેલાં તો સહજ સમજાય કે અધ્યાત્મની ભાષામાં સામાન્ય મનુષ્યની ગતિ અધોગામી હોય છે, જ્યારે ઈશ્વરપ્રાપ્રિ માટે મનુષ્યે ઉર્ધ્વગામી ગતિ કરવી પડે, એના તરફ આ ઈશારો હશે. પણ જીવણદાસ કબીરપંથી હતા. કબીર કહી ગયા: उलटी गंगा जमुन मिलावउ। बिनु जल संगम मन महि न्हावउ॥‘ હઠયોગમાં ઈડા નાડીને ગંગા અને પિંગળાને યમુના તરીકે ઓળખાવાઈ છે. ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવવને ઊલટી-ગંગા કહેવાય છે. ઊલટી-ગંગાનું તાત્પર્ય એ છે કે સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી. આમ તો યમુના ગંગામાં મળે છે, પરંતુ સંતોના કહેવા મુજબ જેઓ ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવે છે તેઓ (મોહ)જલ વગરના ત્રિવેણી-સંગમમાં સ્નાન કરે છે. રૈદાસ પણ આ મતલબનું કહી ગયા: ‘ઊલટી ગંગા જમુના મૈં લાવૌં, બિન હી જલ મજ્જન હૌં પાવૌં.’ સાધનાના મૂળમાં જે નીચે છે, જે અધોમુખ છે, તેને ઊર્ધ્વમુખ કરીને ઉપર લઈ જવાનું પ્રયોજન હોય છે. ઈડા-પિંગળાના માધ્યમથી બહારની તરફ પ્રવાહિત થતી શ્વાસધારાને પ્રાણાયમ વડે ઉલટાવીને બ્રહ્માંડમાં ચડાવવામાં આવે છે, જેના કારણે સમાધિ લાગે છે. સમાધિઅવસ્થામાં શ્વાસ ઈડા- પિંગળાના સ્થાને તેમની મધ્યમાં આવેલી સુષુમણા નાડીમાં પ્રવાહિત થાય છે. ઈડા, પિંગળા અને સુષુમણા એકાકાર થાય છે, જેને ‘અવધૂતી સ્થિતિ’ કહે છે. ઈડા, પિંગળા અને સુષુમણા (અર્થાત્ ગંગા, યમુના અને સરસ્વતી)ના એકીકરણને ત્રિવેણીસંગમ પણ કહે છે. સંતો આ નિર્જળત્રિવેણીમાં જ સ્નાન કરવાનું કહે છે.

બે પંક્તિમાં કેવી અદભુત વાત કવિ કરી ગયા! બે જ પંક્તિમાં પ્રાણશક્તિની મદદથી કુંડલિની શક્તિ જાગૃત કરી આત્માની ઉન્નતિ કરી પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચવાનો માર્ગ સૂચવી દીધો. છે ને ગાગરમાં સાગર! એ જમાનામાં પદ્ધતિસરનું શિક્ષણ તો કંઈ હતું નહીં. અને એમાંય પશુઓનાં ચામડાં ઉતારનાર ચમારના ઘરે જન્મ લેનારના ભણતર વિશે તો સમજી જ શકાય છે, જીવન જ એમનો સાચો શિક્ષક હશે. ગુરુઓની સંગતિમાં રહીને જમાનાની નાડપરખમાં પીએચડીનેય આંટી જાય એવું ભક્તિજ્ઞાન પ્રાપ્ત કરનાર આવા સંતકવિઓનો ભારતવર્ષમાં કદી તોટો પડ્યો નથી. અદભુત ગુરુશિષ્ય પરંપરાના પરિપાકરૂપે સદીઓ સુધી થતી રહેલ જ્ઞાનવર્ષામાંથી આપણે આવી બે-ચાર બુંદ સાચવી-સમજી શકીએ તોય ઘણું.

અલખનું ઘર કેવું છે? સુષુમ્ણા જાગૃત થતાં એકસમાન શ્વાસની ધમણ ચાલી રહી છે અને પ્રાણશક્તિનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં ઠેરઠેર જ્ઞાનની વીજળી અને આતમજ્યોતનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. અનહદ નોબત વાગી રહી છે. અનહદ નાદ એ આપણી ભીતરનો અવાજ છે. યોગી દુનિયાના અવાજોને પાછળ મૂકી પોતાની ભીતર ઉતરે છે. જેમ જેમ વધુને વધુ ઉંડે પહોંચાય તેમ તેમ બહારના અવાજો કપાતા જાય છે અને ભીતર નિરંતર ચાલ્યે રાખતો અનહદ નાદ સ્પષ્ટ થતો જાય છે. દયારામે કહ્યું હતું: ‘અજપા જપો અનહદ સુણો, પોપલાં સઘળાં વ્યર્થ.’ શાસ્ત્રોમાં દસ પ્રકારના નાદ વર્ણવાયા છે: ચિણિ, ચિંચિણી, ઘંટનાદ, શંખ, તંત્રા, તાલનાદ, વેણુ, મૃદંગ, ભેરીનાદ. આવા દસ પ્રકારે શબ્દના નાદ સાંભળવા યોગીઓ પરમાત્માને પણ ભૂલી જાય છે, પરંતુ નાદ તો કેવળ એક શ્રવણાવસ્થા જ છે. ખરી આધ્યાત્મિક યાત્રા તો ત્યાંથી પ્રારંભાય છે. આમ નોબત એટલે નગારું પણ સંતો જે નોબતની વાત કરે છે એ પાંચ નોબત અથવા પાંચ શબ્દોની વાત છે. ખ્વાજા હાફિઝ કહી ગયા:

खामोश ओ पंज नौबत बिशनौ जि आसमाने,
क-आं आसमां बैरुं जां हफ़्त ई शश आमद|
(પાંચ નોબત સાંભળ, એ આકાશમાંથી, જે છ દિશાઓ અને સાતમા આકાશથી ઉપર છે)

આવી જ વાત રૂમીએ પણ કરી હતી: ‘ब-हफ़तम चरख़ नौबत पंज याबी, चूं ख़ैमा जि शश जिहत बरकंदा बाशी।’ (આ પાંચેય નોબત સાતમા આસમાને પહોંચીએ ત્યારે સંભળાશે. જ્યારે આપણે છ દિશાઓના તંબૂ ઉપાડી ત્યાં લઈ જઈશું.) કબીર કહી ગયા: ‘पंचे सबद अनाहद बाजे, संगे सारिंगपानी॥ कबीर दास तेरी आरती कीनी, निरंकार निरबानी॥’ (પ્રભુના સાક્ષાત્કારથી પાંચેય શબ્દો તથા અનહદ નાદ ગૂંજી રહ્યા છે. દાસ કબીર આમ તારી આરતી કરે છે, હે નિરાકાર!) ગુરુગ્રંથદર્પણમાં પણ ‘पंचे सबदपंज ही नाद; पंज किसमां दे साज़ां दी आवाज़’ (પંચ શબ્દ, પાંચ જ નાદ, પાંચ પ્રકારના યંત્રોનો અવાજ)ની વાત કરવામાં આવી છે. દાદૂ દયાલ પણ ‘પંચૌ કા રસ નાદ હૈ’ એમ કહી ગયા છે. અનહદ અને નોબતમાં વધુ ઊંડે ઉતરવાના બદલે આપણે એટલું સમજીએ કે સદગુરુ પ્રાણના અશ્વને ઊલટી ચાલે ચલાવડાવી આપણને અલખના ધામ સુધી પહોંચાડે છે, જ્યાં પ્રાણશક્તિના પ્રકાશ રેલાઈ રહ્યો છે અને અનહદ નાદ ગૂંજી રહ્યા છે. ચૈતન્ય સાથેનો આ સાધકનો પ્રથમ સાક્ષાત્કાર છે. चित्शक्ति विलास થાય છે. ચિદાકાશમાં સદૈવ જાગૃત ચૈતન્યનો પ્રકાશ પથરાય છે.

મરમી ગુરુએ શિષ્યને જ્યાં લાવી આણ્યો છે એ ઈશ્વરને ધામ પહોંચવા માટેની શેરી વસમા માર્ગવાળી અને સાંકડી છે. ઈશ્વરપ્રાપ્તિનો પંથ તો વિકટ અને વસમો જ હોવાનો. સાંકડી શેરી એટલે આપણું સંકુચિત મન. સત્વ, રજસ્ અને તમસ્ – આ ત્રિગુણથી નિર્મિત ચિત્ત ચંચળ પદાર્થ છે. સદગુરુ ચિત્તની પાંચ ગલીઓ- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-માં હાથ ઝાલીને મુસાફરી કરાવે છે. આ તમામ ચિત્તવૃતિઓ સાંકડી જ છે. ચિત્તવૃત્તિ શૂન્ય બને ત્યારે જ સહજ સમાધિ લાગે છે. શૂન્યાવસ્થામાં તમામ સંકડાશ અને દુર્ગમતાનો લોપ થાય છે. બ્રહ્માંડ સાથે પ્રાણ એકાકાર થાય છે. ચિતિશક્તિ મહામાયાનો સંબંધ સોળ નિત્ય કળાઓ સાથે છે. આ કળાઓનો સંબંધ મંત્ર સાથે, મંત્રનો સુષુમ્ણા સાથે, સુષુમ્ણાનો માતૃકાઓ સાથે છે. આમ, સુષુમ્ણા-ઇડા-પિંગલા સાથે સંબંધિત 14 મુખ્ય અને 72 હજાર અન્ય નાડીઓ થકી સૂર્ય-અગ્નિ-ચંદ્ર ગ્રંથિઓ અને સાત ચક્રો ભેદી નૃસ્વરૂપ પિંડ સાથે અને બ્રહ્માંડ સાથે સંસિદ્ધ થાય છે. કવિ કહે છે કે આટલું ઉપર પહોંચવા માટે નામસ્મરણ જ એકમાત્ર નિસરણી છે. એના સહારે જ સાધનાના સોપાનો ક્રમશઃ સર કરીને પરમેશ્વરના મહેલ સુધી પહોંચી શકાય છે.

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે, પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે…. પ્રભુધામ સુધી પહોંચી ગયા. હવે અંદર પ્રવેશ કેમ કરવો એની કૂંચી કવિ આપણને હાથ આપે છે. મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને ઘણી વાતો કરે છે, એમાંની એક શીલ વિષયક છે. બૃહસ્પતિએ રાજ્યભ્રષ્ટ ઈંદ્રને કરેલ આત્મજ્ઞાનના ઉપદેશથી સંતોષ ન થતાં એમણે એને શુક્રાચાર્ય પાસે મોકલ્યો. શુક્રાચાર્યથી પણ સંતુષ્ટ ન થયેલ ઈંદ્રને તેઓએ પ્રહ્લાદ પાસે મોકલ્યો. બ્રાહ્મણવેશે પ્રહ્લાદની લાંબી સેવાચાકરીના અંતે પ્રહ્લાદ એને જ્ઞાન આપે છે કે ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની એકમાત્ર ગુરુચાવી શીલ એટલે કે સત્ય અને ધરમાચરણ છે. વરદાનમાં ઈંદ્રે શીલ જ માંગી લેતાં શીલની સાથોસાથ ધર્મ, સત્ય, વ્રત અને શ્રી –આ તમામ ઈંદ્રને પ્રાપ્ત થયા. આ છે શીલ યાને સદાચાર કે સદ્ચરિત્રનો ખરો મહિમા. બીજી કૂંચી છે સંતોષ. જે મળે એમાં સંતૃપ્તિ અનુભવે એ જ આધ્યાત્મના માર્ગે ઉન્નતિ કામી-પામી શકે. ભગ્વદ્ગીતાના પંદરમા અધ્યાયના પ્રથમ પાંચ શ્લોકમાં જગતને ઉર્ધ્વમૂલ અને અધોશાખાવાળા અશ્વત્થ વૃક્ષનું રૂપક આપતાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે એનાં મૂળ સર્વશ્રેષ્ઠ પરમાત્મામાં છે અને શાખાઓ નીચે સંસારરૂપે છે. અનાસક્તિરૂપી મજબૂત શસ્ત્રથી એનું છેદન કરી આદ્ય પુરુષના શરણે જવામાં જ ખરું શાણપણ છે.

निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्।।૧૫.૫।।

(જેઓ માન અને મોહરહિત થઈ ગયા છે, જેમણે આસક્તિથી થનાર દોષોને જીતી લીધા છે…. …એવા મોહરહિત જ્ઞાનીજન જ એ પરમપદ (પરમાત્મા)ને પ્રાપ્ત કરી શકે છે.) સંતકવિએ ચોરીની વાત માંડી છે એટલે એ ઈશ્વરના મહેલમાં શીલ અને સંતોષના ખાતર દેવાનું કહે છે. શીલ અને સંતોષના બાકોરાંમાં થઈને જ આ ઘર ફોડી શકાય. જો કે આટલી તૈયારી પણ કંઈ પૂરતી નથી. પ્રેમ નીતરતાં હૈયે પ્રવેશ કરવાનો છે. અને આ પ્રેમ એટલે જેને આપણે બુદ્ધની કરુણા કહીએ છીએ એ. વયષ્ટિ નહીં, સમષ્ટિ માટેની પ્રેમદૃષ્ટિ. પ્રેમલક્ષણા ભક્તિનું પ્રમુખ ઘટકતત્ત્વ. આટલી તૈયારી સાથે ઘરમાં પ્રવેશીશું તો પેસતાંવેંત જ કથીરને કંચન બનાવનાર પારસમણિ હાથ લાગશે. એને ત્યાં બધું તમારા સ્વાગત માટે ખુલ્લું જ પડ્યું છે. ઘરમાં કોઈ તિજોરી-તાળાં નથી. એકવાર ઘરમાં ઘુસ્યા નથી કે તમામ ખજાનો તમારો. ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. મોક્ષ લાધશે.

પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે ગુરુ સંત ભીમદાસની રાહબરીમાં કરવામાં આવેલ ચોરીમાં આ વખતે સાધક કશું ઓછું-અધૂરું નહીં, પણ પૂરેપૂરું પ્રાપ્ત કરે છે. આ વખતે સાધકનો ફેરો ફોગટ ગયો નથી. અધ્યાત્મનો આખેઆખો ખજાનો હાથ લાગે છે. અગમનિગમના તમામ રહસ્યોનો પર્દાફાશ થઈ ગયો છે. ચૈતન્યની ઉચ્ચતમ અવસ્થાએ, સાક્ષાત્કારની લગોલગ પહોંચી શકાય છે. પણ આ બધું કેવળ ગુરુચરણમાં પૂર્ણતયા સમર્પિત થવા માત્રથી, ગુરુ ઉપરના અહર્નિશ વિશ્વાસમાત્રથી થઈ શક્યું છે. કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ… બે-બે પંક્તિના કાંઠાઓ વચ્ચે સંતકવિએ કેવળ નદી નહીં, જ્ઞાનના આખાને આખા મહાસાગર સમાવી લીધા છે એ સમજાય તો આપોઆપ નતમસ્તક થઈ જવાય એવી આ રચના છે.

ગ્લૉબલ કવિતા : ૨૩૧ : રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

ચિતના ચંદરવે સીવેલ ઋતુઓનું રંગધનુ…

કાચના પ્રિઝમમાં સફેદ પ્રકાશ એક તરફથી દાખલ થતાં બીજી તરફ સાત રંગ –જાનીવાલીપીનારા- છૂટાં પડતાં દેખાય એ પ્રયોગ આપણામાંથી મોટાભાગનાંઓએ શાળામાં કર્યો જ હશે. અજવાળાંના રંગની આ કહાની છે. રાતના કાળા રંગની કહાની વળી એનાથી સાવ વિપરિત. બ્લૉટિંગ પેપર જેવું અંધારું સાતેય રંગોને વાદળી પાણી ચૂસી લે એમ ગાયબ કરી દે છે. રંગ એટલે દૃશ્યમાન પ્રકાશની નિયત તરંગલંબાઈ. અલગ-અલગ તરંગલંબાઈ મતલબ અલગ-અલગ રંગ. સફેદ અને કાળા રંગ પાસે કોઈ નિયત તરંગલંબાઈ જ ન હોવાથી એમનું રંગ તરીકે વર્ગીકરણ થતું નથી. પણ છોડો એ વાત. તમને થશે કે કવિતાના ક્લાસમાં વળી રંગ અને ભૌતિકવિજ્ઞાન ક્યાંથી આવી ચડ્યાં? તો એનું કારણ પ્રદ્યુમ્ન તન્નાની આજની કવિતા છે, જેમાં કવિ ચિત્તના ચંદરવા ઉપર સરી જતી ઋતુઓના રંગોને સ્મૃતિની સોય વડે સીવવા બેઠા છે. ચાલો, વિશ્લેષણના પ્રિઝમમાંથી કાવ્યકિરણ પસાર કરતાં સર્જાતું ઋતુઓનું આ રંગધનુ આપણે નિહાળીએ…

‘રત્ય’ એટલે ઋતુ ગણવી કે રાત એ સવાલ કાવ્યારંભે જ જન્મે છે. સૌરાષ્ટ્રી બોલી તથા શબ્દકોશ મુજબ તો રત્ય એટલે ઋતુ, પણ કવિતામાં આવતા સંકેત રાતને અર્થ તરીકે સ્વીકારવા પ્રેરે છે. ઋતુ હોય તો વીતે, રાત સરે. રંગોની ઓસરતી છોળ, ચિતનો ચંદરવો, ઊજાગરો વગેરે રાતના સંદર્ભ યાદ અપાવે છે, પણ દા’ડી ને રેણના અલગ ઉલ્લેખ હોઈ રત્ય એટલે ઋતુ જ માની લેવાનું મન પણ થાય. અન્ય એક કવિતા ‘દોહ્યલી રત્ય’માં કવિ લખે છે:

ઝીણાં મોટાં કોડી કાજ આડે સઈ! દંન તો લઈએ ગાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!

અહીં તો પરણ્યો પડખે ન હોય તો દિવસ તો પસાર કરી લેવાય પણ રૂપાળી રાત મુશ્કેલ થઈ પડે છે, એ જોતાં રત્યનો અર્થ રાત જ સ્પષ્ટ થાય. જો કે લોકબોલીમાં રત્યના સંદર્ભ ઋતુ તરીકે જ પ્રાપ્ત થાય છે:

૧. શ્રાવણ આયો હે સખી! ઝાડવે નીર ઝરંત;
અણ રત્ય મહિયર મોકલે, મારો કઠણ હૈયારો કંથ.

૨. અસીં ગિરિવર જા મોરલા, કંકણ ચુણ પેટ ભરોં,
રત્ય આવઈ ન બોલજેં, ત હૈયા ફાટ મરોં

કવિને મન શું અભિપ્રેત હોય એ તો કવિ જ જાણે. રાત કહીએ તો સમયપટ ટૂંકો થઈ જાય પણ ઋતુ કહીએ તો સમયખંડ વિસ્તરી જાય એટલે આપણે રાત મનમાં રાખીને વિસ્તૃત અર્થ ઋતુ ગણીને આગળ વધીએ. શીર્ષક પરથી કાવ્યબાની પણ તળપદી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ બાનીના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં તળપદી ભાષા જે રસાળતાથી પ્રદ્યુમ્ન તન્નાની કવિતાઓમાં ઊતરી આવી છે એવું વાગેશ્વરીનું વરદાન તો ગુજરાતમાં વસતા ઘણા દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. પ્રદ્યુમ્ન તન્નાનું ગુજરાતી કોઈપણ નિવાસી-ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે. ‘રત્ય’ કાવ્યમાં ગીતનું પરંપરાગત સ્વરૂપ કવિએ અપનાવ્યું છે. મુખડું દોઢવેલી પંક્તિઓનું અને ચાર પંક્તિઓ તથા બેકી કડીઓમાં ચુસ્ત પ્રાસ મેળવી પૂરકપંક્તિ (ક્રોસલાઇન)ના તંતુ ધ્રુવપંક્તિ સાથે બાંધી આપતા ત્રણ બંધ. ષટકલનો મજબૂત લય ગીતને અનવરુદ્ધ ગતિ બક્ષે છે. અર્થ અને શબ્દની પરવા કર્યા વિના ગીત ખુલ્લા અવાજે બે’કવાર લલકારીએ તો શબ્દાર્થની પળોજણમાં પડતાં પહેલાં જ હૈયું છાકમછોળ તરબોળ થયા વિના ન રહે એની ગેરંટી. જેટલીવાર વાંચો એટલીવાર કવિતા મનોમસ્તિષ્કનો વધુને વધુ કબજો કરતી પ્રતીત થશે.

‘ક’કાર, ‘ર’કાર અને ચિતના ચંદરવાના ‘ચ’કારની વર્ણસગાઈ સાથે ઊઘડતું ગીત પ્રારંભે જ હૂક લગાવી ભાવકને બાંધી લે છે. સામું કોઈક રૂડી ઋતુના સરી ગયા હોવા વિશે કંઈક બોલ્યું હશે, જેના જવાબમાં સવાલથી કાવ્યનો ઊઘાડ થાય છે. કોણ કહે છે કે રૂપાળી ઋતુ સરી ગઈ? સામાની ઉક્તિનો વિરોધ તો છે પણ મીઠો. પ્રદ્યુમ્ન આમેય વહાલા વિરોધના કવિ છે. અનેક દાખલા જડી આવે, પણ ‘હિસાબ’ નામક એક વ્રજગીતમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા’ કહીને ગોપી જે પ્રેમાળ ચાલાકીભરી ફરિયાદ વિરોધસહ નોંધાવે છે એ ચૂકવા જેવું નથી. ‘વેશ,’ ‘શેણે,’ ‘વડચડ’ વગેરેમાં પણ કવિની આ રીતિ દૃષ્ટિગોચર થાય છે. સૃષ્ટિની રેતશીશીમાંથી ઋતુઓ સરતી રહે છે, પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી, કારણ ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ પહેલાં જ કવિએ ચિત્તના ચંદરવામાં એને ભરી-સંઘરી લીધી છે. ‘અમે’ માટે જેમ ‘અમીં,’ એમ ‘પહેલાં’ માટે કવિએ જે ‘મોર્ય’ શબ્દ લોકબોલીમાંથી સેરવી આણ્યો છે, એ મન મોહી લે એવો મધમીઠો છે. છોળ્ય સાથે મોર્યનો આંતર્પ્રાસ પણ ગીતના ઉઠાવને વધુ રણઝણતો કરે છે. ચંદરવો એટલે માંડવા ઉપર બાંધવાનું ભરત ભરેલું લૂગડું. ભાત-ભાતના રંગોના ટુકડાઓને એક કાપડ પર સીવી લેવાથી જે કેલિડોસ્કૉપ સર્જાય એ ચંદરવો. કવિએ પોતાના ભાતીગળ ચિત્તના ચંદરવા ઉપર સૃષ્ટિના રંગોના સ્મરણોના ટુકડાઓ ટાંકી લીધા છે. કઈ રીતે ટાંક્યા છે એની વાત લઈ ગીત આગળ સરકે છે.

આપણે ત્યાં માથેરાન એની લાલ માટીના કારણે અન્ય તમામ ગિરિમથકોથી નોખું પડી જાય છે. પણ કવિ અહીં મધુવનની મજીઠી લાલ માટીની વાત કરે છે. આગળ ચિત્તના ચંદરવાની વાત આવી હતી એના પરથી સમજાય છે કે લાલ માટીવાળું મધુવન એ હૈયાની વાત છે. મજીઠ જેમાંથી નૈસર્ગિક લાલ રંગ મેળવાય એવી એક વનસ્પતિનું મૂળિયું છે. મજીઠિયો લાલ રંગ દાસી જીવણની યાદ અપાવે:

‘ચોળ મજીઠી ચૂંદડી, માંઈ કસુંબી રંગ; અળગા રઈ વાતું કરો, અભડાશે માંઈલા અંગ રે.’

મીરાંબાઈ પણ કેમ વિસરાય?: ‘ફાટે પણ ફીટે નહીં, લાગ્યો મજીઠી રંગ’

દિલની રાતી જમીન પર ઉમંગથી જાતજાતની ભાત કવિએ આળેખી છે. સાંઈકવિ મકરંદ દવે આ માટે આમ લખે છે: “ચિત્તનું એક જ પોત અને તેના પર અનેકરંગી ઋતુ-ઋતુની આળખેલી ભાત. ‘ચિત્ત-ચૈતન્ય વિલાસ તદરૂપ.’ અહીં મધુવનનો મોરલો અને પેલો ‘એ રસનો સ્વાદ જાણનારો જોગી’ શુક જે વાતો કરે છે એને ધરાઈને સાંભળીએ તો જીવનમાં રંગ રહી જાય.” ચારે તરફ કેવડાની મહેંક મહેંક થતી કુંજ છે અને એની વચ્ચે મોર અને પોપટ વાતે ચડ્યા હોય એમ ટહુકાઓની રસલ્હાણ કરે છે. ચિત્તના મૂળે મજીઠી રંગના કપડાંને ચંદરવાકરાર કરવા કવિ એમાં શું શું ગૂંથે છે એ જોવાની મજા છે. ‘એ જી’ના હલકારે ભાવકને એકતાંતણે લયના હિલ્લોળે હિંચકાવતા કવિ એક એક દોરામાં ઉલ્લાસ અને ગૂંજી રહેલ ગીતોની કડીઓ પરોવવાની વાત કરે છે. દોરો અને પરોવવાની વાત પર ગૌરાંગ ઠાકરનો એક શેર અચૂક યાદ આવે:

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.

ચિતના ચંદરવામાં તો વળી આભલાંય ટાંક્યા છે. પણ આ આભલાં કંઈ જેવાંતેવાં નથી. આ આભલાંમાં કવિએ આકાશ ટાંક્યું છે. અને આકાશમાં દિવસ-રાત ટાંક્યાં છે. કપડાં પર આભલાં કે સિતારા ટાંકીએ ત્યાં આમ તો વાત પૂરી થઈ જાય પણ કવિ એનું જ નામ જે દુનિયા અટકી જાય ત્યાંથી આગળ વધે. આભલું એટલે આમ તો નાનકડો અરીસો અથવા ધાતુમાંથી બનાવેલ ગોળ ટીપકી, જે પહેરેલ કપડાં કે ચંદરવામાં રંગરંગીન કપડાંની વચ્ચે અનેકાનેક પ્રતિબિંબો સર્જીને પોશાકને હોય એથીય અદકેરો મનમોહક બનાવે. આભલું ટંકાઈ જાય એટલે દરજીનું કામ પૂરું. આભલાંનો એક અર્થ તે આકાશ પણ ખરો જ તે. પણ કવિ તો આભલું ટાંકી દીધા પછી એમાં આકાશ અને આકાશ ટાંકી દીધા પછી એમાં રાત-દિ પણ ટાંકે છે. દિવસોની અંદર કવિ અજવાળાં ભરે છે અને રાતમાં ચાંદનીનાં મદભર્યાં ઘેન. આંખે ઘેન ભરાય એટલે ઊંઘ આવવા માંડે. પણ કંઈક અદકેરું ન કરે તે વળી કવિ શેના? એ ઘેનની અંદર ઉજાગરો ઘોળે છે અને તેય વળી ગમતીલો. કવિના કલ્પનોની ગાડીમાં જો કે બ્રેક જ નથી. આભલાંમાં આકાશ, એમાં રાત-દિ, એમાં અજવાળાં-ચાંદની, એમાં ઉજાગરા અને છેવટે ઉજાગરામાં ગુલાલની ઝડી કવિ ભરે છે. લ્યો! કરો ગમતાંનો ગુલાલ હવે.. આમ ટાંકણમાં ટાંકણ, એની અંદર ટાંકણ એમ કેટલીયે પરત કવિ ઊભી કરે છે! દેખીતી ભાત તો ઝીણી થતી જાય છે પણ આકાશ અને રાત-દિવસના ઉલ્લેખ એને અસીમકરાર આપે છે. કવિતાનો ચંદરવોય આવો જ નહીં?! એક પડળમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું અને ચોથામાં વળી… અનંત સંભાવનાઓ… એ જ તો છે કવિતા!

જુઓ, ‘ઝબુકિયાં’ ગીતનો ચંદરવો:

રાત જાણે ગેબી ચંદરવાની ભાત
કે ભાત કરે ઝબુકિયાં!
ભાત મહીં ઠેર ઠેર આભલાંનાં ઢેર
કે ઢેર કરે અનગળ ઝબુકિયાં!

રાત-દિવસ અને ઉજાગરા-ઘેનની વાતે ‘વૈશાખી રેણ’ની બે’ક કડી પણ અત્રે સ્મરવા જેવી:

દા’ડો તો જાણે નેણ રાતાં ઉજાગરે
ને રાતલડી જાણે આંખ્ય ઢળી મીઠે ઘેન!

ચિત્તના ચંદરવે પ્રકૃતિ કે સમાજ પાસેથી ઝીણું-મોટું જે કંઈ મળે એને માણીને-સ્વીકારીને ભીતરમાં ભરી લેવાનું છે. કવિ થવાની આ પહેલી શરત છે. વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનો સંસ્પર્શ અહીં અનુભવાશે: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) કવિ પણ ઓસરતી રાતે સર્જેલી અનુભૂતિઓના નાના-મોટા તમામ આયામ પૂર્ણતયા માણી-પ્રમાણીને ચિત્તમાં સંઘરી લેવા કહે છે. કલાપીએ કહ્યું’તું એમ, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.’ હૈયાના ચંદરવાનું પોત તો પાટણના પટોળાથીય વધીને છે, નથી એ ફાટનાર કે નથી કદી ફીટનાર. એવું ને એવું એ જળવાઈ રહેનાર છે. એમાં જરા સરખોય ઘટાડો કદી પણ થનાર નથી. આ જ અનુભૂતિનો ઊભરો ક્યારેક કવિતા બનીને કાગળ પર રેલાશે ને!

દિવસ પછી રાત અને રાત પછી દિવસના સમયચક્ર પર સવાર થઈ અનવરત ચાલ્યે રાખતા ઋતુચક્રના રંગો સ્મૃતિપટ પર એક પછી એક અંકાયે રાખે છે. ઇન્દ્રિયો ખુલ્લી રાખીને આપણી આસપાસ રમણા કરતી પ્રકૃતિનું આકંઠ પાન કરવાનું રાખીએ તો આ એક એવો ખજાનો છે, જે કદી ખૂટનાર નથી. મરઘી પહેલી કે ઈંડું પહેલુંની પળોજણમાં રત રહી જે રીતે માણસ બંનેનો ચાર્મ માણવાનું ચૂકી જાય છે, એ જ રીતે પહેલું શું ને બીજું શું એ ઉખેળીને ખોટી થવા સામે કવિને વિરોધ છે. કહે છે, આપણે શા માટે પ્રથમનો કેડો શોધવામાં ખોટી થવું? જેમ દિવસ પછી રાત અને રાત પછી ફરી દિવસ આવવાનું નક્કી જ છે, એમ જ જે ઋતુ ગઈ છે, તે ફરી આવનાર છે જ. બધું ફરી-ફરીને પ્રગટે જ છે. ‘શ્રાવણી સાંજે’માં કવિ જાણે આ જ વાત કહે છે: ‘ભરી ભરી ઠાલવું ને ફરી ભરું માટ.’ શંકરાચાર્યના ‘पुनरपि जननं पुनरपि मरणं’નો રણકો પણ કાવ્યાંતે ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. એવોય અર્થ કરી શકાય કે ઋતુરમણામાં જે –જે જોયું-અનુભવ્યું એનાથી અભિભૂત થઈને એને જ વશવર્તીને એની જ આંટી ફરી-ફરી ઉખેળ્યા કરવાની કે પછી પહેલાં જેવી ઋતુ-ઋતુના વળવળાંક વાળી વાત પ્રગટે ત્યારે વાત એમ કરીને મન મનાવતા રહેવાનું? ચૌદમાંથી બાર પંક્તિઓમાં મોણ નાંખીને વાત કર્યા પછી જે રીતે સૉનેટ આખરી બે પંક્તિઓમાં ચોટ આપે છે એ જ રીતે પ્રસ્તુત ગીત પણ ભાવકને ક્રમશઃ અર્થાનુભૂતિમાં વહાવ્યે રાખી આખરે પરાકાષ્ઠાએ લઈ જઈને શમે છે…

મકરન્દ દવે કવિના સમગ્ર સર્જન (oeuvre)ની ઓળખ આ રીતે આપે છે: “મેઘાણીના સમગ્ર સાહિત્ય-સર્જનને જે એક જ ગીતમાં સમાવી શકાય, એ છેઃ ‘રાજ! મને લાગ્યો કસુંબીનો રંગ’. પ્રદ્યુમ્નનાં સારાંયે ગીતોની ધ્રુવકડી સાધવી હોય કે તેને નખચિત્રમાં સમાવવાં હોય તો આ સંગ્રહનું કાવ્ય ‘રત્ય’ બસ થઈ પડે એમ છે.” અને એ જ મકરંદા આ જ અંદાજમાં કવિના અન્ય એક ગીતની નાડ પણ પકડે છે: “ઋતુએ ઋતુમાં જાગી ઊઠતી રંગરંગની છોળ ‘રત્ય’ની જેમ એક જ કાવ્ય –‘છોળ’-માં નીખરી આવે છે. આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે.” તો, અંતે ‘છોળ’માં ભીંજાઈને છૂટા પડીએ:

અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઉપર ભૂરાં આભ ને નીચે સોનલવરણાં ખેત,
વચમાં વ્હેતું જાય રૂપેરી વ્હેણ વળાંક લેત;
જાંબળી આંકે રેખ આઘેરા ડુંગરિયાની ઓળ!
આઘેરી ડુંગરિયાની ઓળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઊતરે ઓલ્યું રાન-સૂડાનું ઝૂમખું લેતું ઝોક,
અહીંતહીં ખડમોરની વળી કાબરી ભાળું ડોક;
દીસતું નહિ તોય રે એના ગાનથી જાણું કોક,
પીળચટા થોર વાડની પાછળ સૂર ઝરે ચંડોળ!
ઝીણેરા સૂર ઝરે ચંડોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

હળવી વાયે દખણાદીની ફૂલગુલાબી લે’ર
દૂર પણે ઓ ડોલતો લીલો અમરાઈનો ઘેર;
માંહ્યથી મીઠી મ્હેકની હારે ઊડતી આણી મેર,
જળ-થળે ઝાંય રેલતી આવે ચૂંદડી રાતીચોળ!
હીરાગળ ચૂંદડી રાતીચોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

ગ્લૉબલ કવિતા : ૨૩૦ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડતાં, ને વન ચાલતાં,
અંજીર ઊગતાં કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગામાં મારી જ
ફિરકી લે કાયમ શેતાન!

મારો ભૂખે અને કોરડે,
કરો હાસ, છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

વખત હતો મારોય, મૂર્ખાઓ!
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવી કોઈ ગાળ ખરી? મતલબ, ગાળ પણ આપી દેવાય અને માથે આળ પણ ન આવે… યાદ આવે છે આવી કોઈ ગાળ? ગધેડો! ખરું ને?! કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહો. નકામો કહેવો છે? ગધેડો. મજૂર કહેવો છે? ગધેડો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો લાખ ગાળોની એક ગાળ છે. એકદમ હાથવગી. જો કે લાખ ડીફણાં મારતાંય અળવીતરું ન ચાલે અને કહ્યું કરે એવું પણ આ એક જ પ્રાણી છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. પ્રશ્ન થાય કે ઈશ્વરે મજાક બનીને રહી જાય એવું આ પ્રાણી શા માટે બનાવ્યું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર ચેસ્ટરટન જેવા પંડિત કવિ આખી કવિતા એના માનમાં શા માટે લખે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. પાંચ વર્ષની વયે પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ અગોચરથી પ્રભાવિત. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવી. રુઢિચુસ્ત ખ્રિસ્તી. એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી સંકુચિતતા વધુ ગાઢી બની. પતિ-પત્નીને આજીવન બંનેના ધર્મપંથ અલગ હોવાનો વસવસો રહ્યો. કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. ચિત્રકામનો રસ શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થયો. ૬ ફૂટ, ૪ ઇંચ તથા ૧૩૦ કિલોગ્રામની કદાવર કાયાનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. ચેસ્ટરટને એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને કહ્યું હતું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. બર્નાર્ડ શૉએ જવાબ આપ્યો: ‘તમને જોઈને લાગે છે કે દુકાળનું કારણ તમે જ છો.’ મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે એ ભૂલી જાય તો પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવતા. જીવનના આખરી પાંચ વર્ષોમાં એમની બીબીસી રેડિયોટૉક્સ ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ પુસ્તકો, ૨૦૦ વાર્તાઓ, ૪૦૦૦ નિબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ‘વિરોધાભાસના રાજકુમાર’ ચેસ્ટરટન માટે ટાઇમ મેગેઝીને કહ્યું: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે- પણ કાળજીપૂર્વક ઊલટાવી નાંખ્યા બાદ!’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન સાધન. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં શિરમોર.

‘હાથ કંગન કો આરસી ક્યા’ જેવું શીર્ષક કાવ્યપરિચય આપવા સ્વયંસંપૂર્ણ છે. કવિએ ‘અ ડૉન્કી’ના સ્થાને ‘ધ ડૉન્કી’ લખ્યું હોવાથી સમજાય છે કે કવિતા સમગ્ર ગર્દભજાતિને આવરી લેનાર છે. બૅલડ (કથા-ગાથાકાવ્ય)ના માસ્ટર કવિએ બૅલડ-મીટર પ્રયોજ્યું છે, જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં એકી પંક્તિઓમાં આયંબિક ટેટ્રામીટર અને બેકીમાં આયંબિક ટ્રાઇમીટર વપરાય છે, તથા બેકી પંક્તિઓમાં પ્રાસ મેળવાય છે. કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. નાનીઅમસ્તી કવિતામાં ચેસ્ટરટનની સમસ્ત વિરાટ કાયા દૃષ્ટિગોચર થાય છે: ‘વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોનો ઉપાલંભ.’ ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ પ્રારંભિક અવગણના પછી કાવ્યાંતે હાથ લાગતું સત્ય આપણને દિગ્મૂઢ કરી દે છે.

આત્મકથનાત્મક કાવ્યવિધાનો હાથ ઝાલી ચાલતી કવિતામાં ગધેડો શરૂમાં પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલતાં હશે, અંજીર ઝાડના બદલે કાંટાળા છોડ પર ઊગતાં હશે અને ચંદ્ર લોહી જેવો રાતો હશે ત્યારે હું જન્મ્યો હોઈશ. બ્લડમૂનથી આપણે સહુ પરિચિત છીએ. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક એ જોવા મળે છે. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામતનો ઈશારો ગણાયો છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ ચેસ્ટરટને પણ બ્લડમૂનની ભયાવહ એંધાણીઓને જ ગધેડાના જન્મ સાથે સાંકળી હોવી જોઈએ. દુનિયા આખી તળેઉપર થઈ હશે ત્યારે ગધેડો જન્મ્યો હોવાની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં રહેલ ગધેડાની છબીને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

અંગ્રેજી શબ્દ ‘Ass’ લેટિન ‘Asinus’ પરથી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ થાય છે. અંગ્રેજી ‘Arse’માંથી ‘આર’ ખડી પડતાં ‘Ass’નો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એ પહેલાં ૧૫૫૦માં ‘Asshead’ શબ્દ વપરાયો હતો. અવગણાયેલા પ્રાણીને સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માટે ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી શબ્દ વાપરે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ ક્રૂર ‘ઍસ’ની સરખામણીમાં ‘ડૉન્કી’ સૌમ્યોક્તિ છે. સર્વાન્ટિસની ‘ડૉન કિહોટે’માં સાંચો પાંઝા ડેપલ નામના ગધેડાને વાહન બનાવે છે. એન્ડી મેરીફિલ્ડ ‘વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’માં લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ ખાસ અનુભૂતિ છે, એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન. તમે સ્વને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે.

ગધેડો આત્મનિંદા ચાલુ રાખે છે. પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. કહે છે, મારું માથું રાક્ષસ જેવું છે, ભૂંકવું ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન ફક્ત મારા એકલાની જ ફિરકી ઉતારે છે. હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું ધરતીનો ઉતાર છું. –આમ લગભગ આખર સુધી સુધી ગધેડો પોતાની જાતને હીણી ચિતરવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ રહો! આ ચેસ્ટરટનની કવિતા છે. ચેસ્ટરટન વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો સ્વયંની ભર્ત્સના કરી રહ્યો છે કે સદીઓથી ઉપેક્ષિત રહી હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરી આપણને ચાબખા મારી રહ્યો છે? કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી દલિતોના હક પર તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનના ગધેડાની ભૂંડી ભૂંક એટલે દુનિયાના ખૂણે-ખૂણે પથરાયેલા શોષિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ.

કાવ્યાંતે એટલે જ ગધેડાનો સૂર બદલાય છે. કહે છે, હું ભલે ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્ય સાચવતાં બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે આપણને નથી આવડતું!) એ તડ ને ફડ વાત કરે છે. પોતાના વિશે બોલતાંય એકે શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારેય નિર્મમતાથી ડંકે કી ચોટ પર કહેવું છે એ કહે છે. સીધું જ આપણને ‘મૂર્ખાઓ’નું સંબોધન ચોપડાવે છે. પોણી કવિતા સુધી પોતે પહેરેલી પાઘડી અચાનક આપણને પહેરાવે છે. કહે છે, એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાં ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો. ‘હર કુત્તે કા દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો.

ચાલો, ફરી બાઇબલ ઊઘાડીએ! ઈસ્ટર પહેલાંનો રવિવાર ‘પામ સન્ડે’ તરીકે ઉજવાય છે અને પછીનું અઠવાડિયું પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે જેરુસલેમમાં ઈસુની વિજેતા તરીકેની પધરામણીને વધાવી. નગરમાં પ્રવેશવા ઈસુએ પોતાની જેમ જ ન્યાતબહાર પ્રાણી પર પસંદગીનો કળશ ઢોળતાં સાથીઓને એવી ગધેડી શોધી લાવવા સૂચના આપી, જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત, સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. માદા ગર્દભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે રાજા સફેદ ગધેડી ઉપર બેસીને નગરપ્રવેશ કરશે. નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકોએ પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કર્યું. ઈસુએ સ્વયંને ઈઝરાઈલનો રાજા ઘોષિત કર્યો અને બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવાયા.

આ સિવાય પણ ગર્દભ વિશેના અસંખ્ય સંદર્ભો મળે છે. જુઓ: ઈસુથી હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન ઈઝરાઈલનો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર સવાર થયો હતો. જેકબના પુત્ર જુદાહને આપેલ આશીર્વચનમાંય ગધેડાનો સંદર્ભ છે. બલામ નામના મસીહા વાતો કરતા ગધેડા પર સવારી કરતા. દેવદૂતની તલવારથી ગધેડો બલામને બચાવેય છે. વર્જિન મેરી પણ પેટમાં ઈસુને લઈને ગધેડા પર બેસીને બેથલેહેમ આવ્યાં હતાં. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઊંચું અંકાયું છે. જૂના-નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર, હોંશિયાર પ્રાણી, ડહાપણનો ભંડાર, અને પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ એના પર જ ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો ઈઝરાઈલમાં પોતાના પર સવાર ઇસુપ્રવેશના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે લોકો એમના સ્વાગત માટે તાડપત્રો લઈ સજ્જ ઊભા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુના જેરુસલેમપ્રવેશ પર ચોતરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એકમાત્ર ગર્દભ જ હોવાપણાંના અર્થો ભૂલીને કેવળ ઈસુસંગાથની ક્ષણોને આકંઠ માણે છે. લોકોનું ધ્યાન ઉત્સવ અને ઉજવણી તરફ છે, ગર્દભનું કેવળ ઇસુસ્પર્શ સુખમાં. બે સંદર્ભ ખૂલે છે: એક, ઈસુ જેરુસલેમમાં અને આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશી ભીતરી કોલાહલ શમાવે છે. બીજું, ગર્દભ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર સવાર થઈ ઈસુ એને કાબૂમાં રાખી દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. એ કહે છે, નાનામાં નાની વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડીએ તમને ગધેડો કહેનારા મૂર્ખા સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ એકસમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. ચેસ્ટરટન ગધેડાને માધ્યમ બનાવીને જે કહે છે એ વાત આપણે પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

ગ્લૉબલ કવિતા : ૨૨૭ : રાત્રિને… – જોસેફ બ્લેન્કો વાઇટ

To Night

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White


રાત્રિને…
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું નામ તારું,
દેવો દ્વારા થઈ ખબર તારા વિશે પેલવેલી;
દેખીને એ થરથર નહીં કાંપી ઊઠ્યો હશે શું-
– તેજસ્વી આ છતર ઊજમાળું અને આસમાની?

ને તોયે લ્યો! હિમ-યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહાજ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
જુઓ, સૃષ્ટિ મનુજ-નજરે કેવી તો વિસ્તરી ત્યાં!

છૂપાયું છે તુજ કિરણમાં આવડું અંધિયારૂં,
વિચારી શું શકત કદી, હે સૂર્ય! કોઈ શું આવું?
જંતુ-માખી-પરણ સઘળું દૃષ્ટ કિંતુ અમોને
કીધા છે તેં અગણિત ગ્રહો-રત્નથી અંધ કેવા!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)


મૃત્યુ – જીવનના અજવાળામાં છૂપાઈ રહેલું અંધારૂં?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જ્ઞાન હોય એ વસ્તુ આપણને ડરાવી શકતી નથી પણ અપૂરતી અથવા શૂન્ય જાણકારી ડર જન્માવે છે. ઈશ્વર, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે આપણે કંઈ જાણતા ન હોવાથી આપણે બીએ છીએ. મનમાંથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. ગુનો આચરવાની એક ક્ષણ પૂરતો માણસ તમામ ડરોથી મુક્ત હોય છે. ડર પરત ફરતાં જ એ પરિણામ કે પ્રાયશ્ચિતનું વિચારે છે. અંધારાનું પણ આવું જ છે. કાળમીંઢ અંધારામાં કોની છાતીના પાટિયા ન બેસે, કહો તો?! ટીપુંભર પ્રકાશેય પહોંચી ન શકે એવા, સગો હાથેય કળી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી બીધા વિના પસાર થવાય ખરું? મૃત્યુ પણ આવો જ ડર છે. અફર અને નિશ્ચિત હોવા છતાં બિલકુલ અકળ હોવાના કારણે જ મૃત્યુ સહુને બીવડાવે છે. મૃત્યુનો અનુભવ કહેવા-વહેંચવા કોઈ પરત ફરી શકતું નથી. મૃત્યુ વિષયક આપણું તમામ જ્ઞાન કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ અંધારામાં લપેટીને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પૅનિશ પણ કર્મે સ્પૅનિશ-અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પૅનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પૅન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પૅનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગતાં કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે ચડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા, જે એમની રચનાઓમાં પ્રતિબિંબાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી લખેલા ‘લેટર્સ ફ્રોમ સ્પૅન’ પુસ્તકમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો એમણે પર્દાફાશ કર્યો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવતા. સરળ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બની છે.

પ્રસ્તુત રચના કોઈ કળાકારની એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ ગઈ હોવાનંિ ઉત્તમ ઉદાહરણ છે. સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે પણ આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

‘નાઇટ એન્ડ ડેથ’ તરીકે પણ જાણીતું આ સૉનેટ પ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાયેલ પેટ્રાર્કશાઈ સૉનેટ છે. કવિના પોતાના હસ્તાક્ષરમાં એનું શીર્ષક ‘ટુ નાઇટ’ જોવા મળે છે. અષ્ટકમાં a-b-b-a/ a-b-b-a પ્રમાણે ચુસ્ત પેટ્રાર્કશાઈ પ્રાસવ્યવસ્થા છે, પણ ષટકમાં c-d-c-d-e-e મુજબ અંગ્રેજી ભાષામાં પાછળથી દાખલ થયેલ પેટ્રાર્કશાઈ પ્રાસગુંથણી છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. શીર્ષક અગોચર તરફની કાવ્યગતિ માટે આપણને તૈયાર કરે છે. રાત્રિને સંબોધીને કવિ મૃત્યુ વિશે વાત કરે છે. રાતનું અને મોતનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. અંધારા અને અટકળની બાબતમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

યુરોપમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં કળાના ક્ષેત્રમાં ‘રોમેન્ટિસિઝમ’ ચરમસીમાએ હતું. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા-ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ આ રચનામાં એની ઝાંય સાફ વર્તાય છે. રૉમેન્ટિસિઝમના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ વળી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા ડરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જેના પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હીમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ યાદ આવે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. આજ પૂર્વે આદમે કદી રાત જોઈ નથી. સ્વર્ગમાંથી નિકાસિત થઈ પૃથ્વી પર આવ્યા બાદની સર્વપ્રથમ રાત્રિ સાથેના આદમના અક્ષુણ્ણ સાક્ષાત્કારથી કાવ્યારંભ થાય છે. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર દિવ્ય અહેવાલો દ્વારા, દેવો મારફત રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે. રાત સાથે કોઈ જ પૂર્વપરિચય ન હોવાથી એ સ્વાભાવિકપણે ડર અનુભવે છે કે દુનિયાને ક્રમશઃ ગળી રહેલું અંધારું એને પણ ગળી જશે. પ્રથમ રાત્રિએ જ આદમને અંતનો અહેસાસ થયો છે. એટલે જ ઉજાસ અને આસમાની રંગથી ભરેલી ભવ્યાતિભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે જાણે કે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યાસ્તની સાથે જ અંધારી રાત રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અગણ્ય તારામંડળ લઈને પધારે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને આદમને સર્જનની વિશાળતાનો પહેલવારુકો અહેસાસ થાય છે. દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં સૃષ્ટિ મનુષ્યની દૃષ્ટિ ઊઘાડે છે અને વિકસાવે પણ છે. કુદરતની આ જ તો કરામત છે અને કુદરતની કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘હે સૂર્ય!’ કહીને સીધું જ પૂછે છે કે, ‘તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે.’ જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાનામાં નાની વસ્તુઓ પણ સૂર્યના અજવાળામાં છૂપી રહી શકતી નથી. દિવસના અજવાળામાં દૃષ્ટિનો વ્યાપ સમષ્ટિને આવરી લે છે. પણ આકાશમાં જુઓ તો કશું નજરે ચડતું નથી. ચંદ્ર-ગ્રહો-તારાઓ-નક્ષત્રો-આકાશગંગા –આ તમામ આકાશની ભૂરી તેજસ્વી છતમાં હાજર હોવા છતાં સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આંખોથી એ રીતે ઓઝલ રહે છે, જાણે અજવાળાંએ એમના અસ્તિત્વને ભૂંસી ન નાંખ્યું હોય! રાતના તમામ રત્નો યથાતથ જ છે. માત્ર અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ ગયાં છે. આમ, અજવાળાંની અંધારી બાજુ અને અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ‘ખરા’ અંધાપાને કવિ ચાક્ષુષ કરે છે. કેવું અદભુત! કવિતા અહીં પૂર્ણ થઈ હોત તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકી હોત. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ તો અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને બીજું જ નિશાન તાકવા ઇચ્છે છે.

ચૌદમાંથી બાર પંક્તિ રાત્રિના નામે છે અને બે જ પંક્તિ મૃત્યુના નામે છે પણ કાવ્યાંતે સમજાય છે કે ચૌદેચૌદ પંક્તિઓ કેવળ મૃત્યુના જ સંદર્ભે છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો ખબર નથી જ પણ એ જ્યાં લઈ જાય છે ત્યાંથી પરત પણ આવી શકાતું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. મૃત્યુની તરફેણમાં દલીલ કરતાં કવિ કહે છે કે જો સૂર્યપ્રકાશ આપણને છેતરીને નભછતરમાં હાજર અલૌકિક રત્નમંડળોથી નાવાકિફ રાખી શકે તો જીવનનો પ્રકાશ મૃત્યુરૂપી અંધકારને છતો ન થવા દે એમાં નારાજગી શા માટે? પ્રકાશ ખુદ ઊઠીને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે ન છેતરે? દિવસના ભરઅજવાળામાં જેમ તારાઓનું અસ્તિત્વ છે જ, એ જ રીતે જીવનઅજવાસમાં પણ મૃત્યુ સદૈવ હાજર જ છે. જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ શકતા નથી. તો આવામાં જિંદગી સાથે ઝઘડો શીદ કરવો? કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

મનુષ્ય સ્વભાવગત આપણે દેખાય એ જોવામાં મશગુલ થઈ જતી વખતે ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની આપણને દેખાતી બાજુને જ એકમાત્ર બાજુ ગણી લેવી એ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એને નકારતા રહેવું એ આપણી પ્રકૃતિ છે. જાણે આવવાનું જ ન હોય એમ મૃત્યુને આપણે અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજના આદમીને આવરી લે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા : ૨૨૫ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.

Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર તમે પ્રિયજનનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચતા વીતી રહેલી ક્ષણોને અઢેલીને બેઠા છો… સમય અહીં જ થીજી જાય એવી બૂમ હૃદયના અંતરતમ ખૂણેથી ઊઠતી હોય, પણ ક્ષિતિજ પર સૂરજ એમ આથમી રહ્યો છે, જાણે પીગળતું આઇસક્રીમ ન હોય! ખરું ને? આઇસક્રીમ પણ ગમે એટલું વહાલું કેમ ન હોય, લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડશે. ખરી મજા એને માણવામાં જ છે, સાચવવામાં નહીં. જિંદગીનુંય આવું જ છે. વૉલેસ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા. ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં ન જીતી પણ પ્રગટ થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરીને નીચલા વર્ગની ગણી આશીર્વાદ આપવા આવ્યા નહીં. વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. કહેવાય છે કે વૉકિંગ લિબર્ટી હાફ ડોલર અને મર્ક્યુરી ડાઇમની મોડેલ એલ્સી હતી. વૉલેસ કરતાં ઉમરમાં દાયકાભર નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન તો છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન અલગ-અલગ શયનકક્ષમાં એક મકાનમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે કાયમ થ્રી-પીસ સુટમાં સજ્જ રહેતી અંતર્મુખી સ્વભાવની સવા છ ફૂટની આ પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક, પણ મૃત્યુના વર્ષેક પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ મળી નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાઓથી પ્રચુર છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકતી કલ્પનાશક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની અભૂતપૂર્વ પ્રતિભા એમને ઉફરા તારવે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહેતા. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાઈ હોવા છતાં કવિએ મીટરમાં નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વધુ રસિક બની છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવાયા નથી. આ કવિતાને વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા અને ઉત્તમોત્તમ કૃતિ –એમ બેવડા પુરસ્કાર મળ્યા છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘ઍલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી હતી. પ્રસ્તુત રચનાને આ વર્ગમાં મૂકી શકાય. આ વર્ગની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી અવળી ચાલે છે. ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવા સિવાય તિર્યકતા અને માર્મિકતા એનાં પ્રધાન લક્ષણ છે. પ્રસ્તુત રચનામાં પણ ઘણું સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારનું છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજારો શહેનશાહોના નામ આપણે સાંભળ્યા હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ હોવાની વાત બેવડાવે પણ છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપીએ.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને બરફ ખાવાનો ઈલાજ સૂચવતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબોને ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ એમની શોધ હતી. રોમન રાજાઓ ગુલામો મારફત પહાડો પરથી તાજો બરફ મંગાવી અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવ્યો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો. ભારતમાં આઇસક્રીમના પગરણ મોઘલ સામ્રાજ્યથી મંડાયા. ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે, અને કવિએ એને એકમાત્ર શહેનશાહ કેમ કહ્યું હશે!

કવિતા બે બંધની જેમ ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. પહેલો બંધ આપણને રસોડામાં તો બીજો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધે છે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) વગેરે અસામાન્ય શબ્દપ્રયોગો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ out of the box શબ્દ વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. વૉલેસે પોતે કહ્યું હતું કે, ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને અસામાન્ય પોશાક ધારણ કર્યો હોવા છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજાયા હોવાનું સમજાય છે. ખાદ્યપદાર્થને ‘કામાતુર’ કહીને કરાયેલ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

વૉલેસ કી-વેસ્ટ તથા હવાના ટાપુઓ પર અવારનવાર રહ્યા હોવાથી કવિતામાં ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય થાય છે. ઘરમાં લાશ હોય એ સમયે થતા સામાજિક મેળાવડો એટલે ‘વૅક’ (wake). ક્યારેક આ પ્રસંગોએ જાગરણ થતું હોવાથીય આ નામ પડ્યું હોઈ શકે. આવા પ્રસંગોએ આઇસક્રીમ ઘરોમાં બનાવાતું. દરેક ઘરમાં મૃત્યુપ્રસંગે જોવામાં આવે છે એમ જ અહીં પણ કોઈક ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લઈને હુકમબરદારી કરાવે છે. સૌપ્રથમ એ કાગળ વાળીને સિગાર બનાવવામાં નિષ્ણાત કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન કરે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં સિગારની ઘણી ફેક્ટરીઓ હતી. નજીકની ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે ‘કામાતુર દહીંઓ’ને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને એમના રોજિંદા પોશાકમાં જ હાજર રહેવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ પન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળાં કપડાં પહેરવાની પ્રથા છે. સંભાષક મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદો પહેરવેશ રાખવા જણાવે છે. ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો વેશ્યા થાય છે. કવિને કદાચ બંને અર્થ અભિપ્રેત છે. વેશ્યા અથવા એ કક્ષાની છોકરડીઓ એમ અર્થ કરીએ તો રોજિંદા પોશાકની પરિભાષા બદલાઈ જાય, પણ કવિ એ જ ઇચ્છતા હોવાનું સંભવ છે. છોકરાઓને શોકસભામાં બુકે લાવવાના સ્થાને વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા છે. અખબાર, ગયો મહિનો, ફૂલ –તમામ અલ્પાયુ. બધા રૂપક આઇસક્રીમની જેમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. સામસામે આવી ઊભેલા વાસ્તવ અને કલ્પનામાં કવિ કદાચ વાસ્તવને ઊંચુ સ્થાન આપે છે. સરળ ભાષામાં કહીએ તો ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો એમ કવિ કહે છે. ‘લાગવું’ એ આભાસી જીવનનું પ્રતીક છે તો ‘હોવું’ એ મૃત્યુની નક્કર હકીકત. કેમકે આખરે તો ક્ષણોમાં પીગળી જનાર આઇસક્રીમ યાને મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ સેક્સ, ફૂલો અને અખબારની જેમ અલ્પજીવી આનંદ છે. આઇસક્રીમ વળી ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ક્રૂર ટાઢક પણ અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ શો હોય? ઠંડો જ ને! રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે ને! આમ, બધી રીતે આઇસક્રીમ રૂપક યથાર્થ છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાના દૃશ્ય બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. એકાધિક વાંચન વિના કવિતા સમજવી કદાચ શક્ય જ નથી. બીજો અંતરો પહેલાને ખોલવાની ચાવી છે. સંભાષકની હુકમદારી ચાલુ જ છે. એ મૃતકને ઓઢાડવા કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો આપણને પહેલવહેલો અંદેશો મળે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરે છે. મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું એ ચાદર કાઢવાની છે. ભરતકામનો શોખ મરનારની વય વધુ હોવાનોય ઈશારો કરે છે. આમ, ઉમર વિશે પણ કવિતામાં પહેલીવાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. ચહેરો ઢાંકતી ચાદરના રૂપકમાં રસોડાના હલ્લાગુલ્લા પર કરવાનો ઢાંકપિછોડો પણ વર્તાય છે. ચાદર પણ મૃતકની આર્થિક સ્થિતિ જેવી જ છે. મોઢું ઢાંકો તો પગ ઊઘાડા રહી જાય એવી ટૂંકી. પગ માટે ‘હૉર્ની’ વિશેષણ વપરાયું છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો છે. આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડીનેય હૉર્ની કહેવાય. વિશેષમાં, કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો અર્થ કામાતુર થાય એ યાદ કરવું પણ અનિવાર્ય બને. આંટણવાળા કઠણ પગ ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ. કઠણ પગ મૃતકના રસોડાની ગતિવિધિ તરફના ઠંડો અને મૂંગો પ્રતિભાવનાય સૂચક. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં ભાતીગળ જીવનની અપૂર્ણતા સૂચવે છે. ટૂંકમાં, ભાવક માટે અનેક અર્થઘટનની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

કવિતા આપણને આજમાં જીવી લેવા (Carpe Diem) કહે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની દ્વિધામાં અટવાયેલ હેમ્લેટની યાદ પણ આવે, અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટનું ઉચ્ચારણ: ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ પણ યાદ આવે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાશે એ હકીકત અફર છે. આસપાસનું જીવન મૃત્યુ પછી પણ અટકવાનું નથી. તો મોતના શોકનો દંભ શીદ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી કેમ ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવન અને એકલવાયા મૃત્યુના ચિંતન જગાવે છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. શરૂમાં ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે આપણને લોભાવતું આઇસક્રીમ ભાગ્ય આપણને અંતે જ્યાં લઈ જનાર છે એ મૃત્યુના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’ અસ્તુ!