Category Archives: અછાંદસ

ગ્લૉબલ કવિતા : ૨૩૯ : હત્યા – મહેમૂદ દરવીશ

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

હત્યા

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)


વિવેચન – પ્રાણપોષક કે પ્રાણઘાતક?

‘वाक्यम् रसात्मकम् काव्यम्।‘ (રસસભર વાક્ય કાવ્ય છે.) આઠસો-નવસો વર્ષ પૂર્વે સાહિત્યદર્પણમાં વિશ્વનાથે કવિતાની આ વિભાવના આપી હતી. વિશ્વભરમાં વિદ્વાનો પ્રારંભકાળથી લઈને આજદિનપર્યંત કવિતાને વ્યાખ્યાયિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. વ્યક્તિએ વ્યક્તિએ કવિતાની વ્યાખ્યા અલગ છે,પણ એક વાત સુનિશ્ચિત છે કે રસ એ કવિતાનો આત્મા છે. શબ્દ કવિતાનું ઉપાદાન છે અને શબ્દોને આપણે અર્થો આપ્યા છે, એટલે શબ્દોની બનેલી કવિતામાંથી અર્થનું અવગાહન કરીને આપણે સતત કાવ્યાર્થ સમજવાની કોશિશ કરતાં રહીએ છીએ. આની સામે એક બહુ મોટો વર્ગ એવો પણ છે જે અર્થની માયાજાળમાં પડવાના બદલે કેવળ કવિતાને અનુભવવાની હિમાયત કરે છે:

કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૌન હોવી જોઈએ.
કવિતા શબ્દહીન હોવી જોઈએ, જે રીતે પંખીઓની ઊડાન.
કવિતા સમયમાં સ્થિર, ઊંચે ચડતા ચંદ્ર પેઠે ગતિહીન હોવી જોઈએ.
કવિતાનો અર્થ નહીં પણ હોવું જરૂરી છે. (આર્ચિબાલ્ડ મેકલિશ)

મહેમૂદ દરવીશની આવી જ એક કવિતાની આજે આપણે વાત કરવી છે.

મહેમૂદ દરવીશ. પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય કવિ. ૧૩ માર્ચ, ૧૯૪૧ના રોજ જન્મ. છ વર્ષના હતા ત્યારે ઈઝરાઈલે એમના ગામને ધ્વસ્ત કરી નાંખ્યું હોવાથી લેબેનોન ભાગવું પડ્યું. થોડા સમય બાદ પાછલા બારણે પરત ફરીને વરસો પોતાના જ વતનમાં નિર્વાસિતોની જિંદગી ગાળી. જેલવાસ પણ ભોગવ્યો. ઓગણીસ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક. અભ્યાસ માટે ૧૯૭૦માં રશિયા ગયા અને ૧૯૭૩માં પેલેસ્ટાઇનની આઝાદીની ચળવળમાં જોડાયા. ઈઝરાઈલે પ્રવેશબંધી ફરમાવી. બે લગ્ન. બે છૂટાછેડા. ત્રીસ કાવ્યસંગ્રહ. આઠેક ગદ્યના પુસ્તકો. ૧૯૮૪ અને ૯૮માં બે હાર્ટસર્જરી બાદ ત્રીજી સર્જરીના ત્રણ દિવસ પછી ૦૯ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે નિધન. માતૃભૂમિ એમની કવિતાના કેન્દ્રસ્થાને રહ્યું. ઈઝરાઈલના વિરોધી અને પેલેસ્ટાઇનના સમર્થક પણ યહૂદીવિરોધી નહોતા. ઘણી કવિતાઓ વિવાદના વંટોળે ચડી હતી. પ્રતિકારના કવિ તરીકે જાણીતા. તેઓ કહેતા:

હું લોકોને નફરત નથી કરતો.
હું કોઈ પાસેથી ચોરી નથી કરતો.
તેમ છતાંય
જો હું ભૂખ્યો રહીશ
તો હું મારું સમસ્ત હડપી જનારનું માંસ ખાઈ લઈશ.
મારી ભૂખ અને મારા ક્રોધથી
સાવધાન રહેજો.
ગુજરાતી અનુવાદ મૂળ અરબ કવિતાના કેથરીન કોભમે કરેલ અંગ્રેજી અનુવાદ પરથી કરેલ હોવાથી કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે ટિપ્પણી સંભવ નથી. શરૂમાં અરેબિક કાવ્યશાસ્ત્રને વળગી રહી સિત્તેરના દાયકામાં દરવીશે મુક્તકાવ્ય તરફ ઉડ્ડયન કર્યું હોવાથી મૂળ રચના અછાંદસ હોવાનું માની શકાય. અનુવાદમાં ક્યાંય પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, અવતરણચિહ્ન અને વિસર્ગ વગેરે વિરામચિહ્નો યથોચિત વપરાયા છે. મૂળ રચનાના અભાવમાં આ બાબતેય મૌન જ ઉચિત જણાય છે. અનિયત પંક્તિલંબાઈવાળા નાના-મોટા બે ભાગમાં કવિતાને વહેંચી નાંખવામાં આવી છે. કુતૂહલ જન્માવે એવું શીર્ષક બાંધ્યા બાદ ઘણીવાર કવિ કાવ્ય પતવા આવે ત્યાં સુધી રહસ્ય અને ભાવકનો રસ -ઉભયને જાળવી રાખે એવી કાવ્યપ્રયુક્તિ સામાન્યતઃ જોવા મળે છે, પણ એથી વિપરીત, અહીં શીર્ષક વડે ભાવકનું ધ્યાન સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ કવિ પહેલી પંક્તિમાં જ રહસ્યોદ્ઘાટન કરી નાંખે છે કે ‘હત્યા’ કોની છે. જરા અનૂઠી પણ કદાચ વધુ પ્રભાવક કાવ્યરીતિ આને ગણી શકાય, કારણ કે કવિએ આ ‘હત્યા’ને કઈ રીતે અંજામ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી આપણને જકડી રાખે છે.

‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ના એકરાર સાથે કથક કાવ્યારંભ કરે છે. ‘વિવેચકો મને મારી નાંખે છે’ કે ‘વિવેચકો મને કાયમ મારી નાંખે છે’ કહેવાના બદલે ‘ક્યારેક’ શબ્દપ્રયોગ કરીને કવિ વિવેચકોની હત્યા કરવાના પાપમાંથી બચી ગયા છે એ નોંધનીય છે. વિવેચકોની સામે સર્જકોની આ ફરિયાદ કાયમી છે. કારણ કે મોટાભાગના વિવેચકો કવિતાના સુનિશ્ચિત સ્વરૂપ કે રૂપકોના ખ્યાલથી પૂર્વગ્રસિત હોવાથી અલગ કે નવીનને સ્વીકારવામાં તેઓને બહુ તકલીફ પડે છે. વિવેચકોની આ મથરાવટી પાછળ આપણી શિક્ષણવ્યવસ્થાનો જો કે મોટો ફાળો છે. કવિતા સાથે આપણો પરિચય તો ગળથૂથીથી જ થાય છે. માના દૂધની સાથોસાથ જ બાળક જોડકણાં-હાલરડાં-ગીતો ધાવીને મોટું થાય છે. એને કોઈ ગીતોના અર્થ સમજાવતું નથી, અને એય કાને પડે છે એનો નિર્ભેળ આનંદ જ લે છે. પણ શાળા નામનું પ્રસૂતિગૃહ પગ મૂકતાવેંત બાળકમાં વિવેચક જન્માવે છે. પદ્ય હોય કે ગદ્ય, શિક્ષણનો એકમેવ હેતુ સારગ્રહણ જ હોય છે. શાળાના અભ્યાસક્રમનું અવિનાભાવી ઘટકતત્ત્વ તે કોઈપણ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર અથવા સર્જક શું કહેવા માંગે છે એની સમજૂતી જ છે. કવિતાનો વિશુદ્ધ આનંદ માણતાં શીખેલ શિશુ વિદ્યાર્થી બનતાં જ હેત્વાર્થ શોધવાના ગદ્ધાવૈતરામાં જોતરાઈ જાય છે. કળા ખાતર કળા (l’art pour l’art – art for art’s sake)ના સિદ્ધાંતથી માહિતગાર થવાય ત્યાં સુધીમાં તો કવિતાને તોલી-જોખીને માણવાના મનાંકનો ઘર કરી ગયાં હોય છે.

વિવેચન જો કે જેટલું બિનજરૂરી છે એટલું જ જરૂરી પણ છે. વિવેચન ક્યારેક કવિતાની હત્યા કરે છે તો ક્યારેક કવિતામાં છૂપાયેલ અને ધ્યાનબહાર રહી જતી વિશિષ્ટતાઓ ઉપસાવીને ભાવકના કાવ્યાનંદને અનેકગણો કરવામાં સહાયક પણ બને છે. ચર્ચિલે કહ્યું હતું: ‘શક્ય છે કે આલોચના સ્વીકાર્ય ન હોય, પણ એ આવશ્યક છે. જે કામ માનવશરીરમાં પીડા કરે છે એ જ કામ એ કરે છે; એ વસ્તુના અસ્વાસ્થ્યકર વિકાસ તરફ ધ્યાન દોરે છે. સમયસર ધ્યાન આપવામાં આવે તો ખતરો ટાળી શકાય છે; પણ દુર્લક્ષ સેવવામાં આવે તો તો જાનલેવા વ્યાધિ વિકસી શકે છે.’

વિવેચના એ મનુષ્યસ્વભાવનું અંતર્નિહિત તત્વ છે. પ્રસંશા કે ટીકાના બે શબ્દો આપણે ઉચ્ચરીએ એય વિવેચન જ છે ને! કેવળ ગુણદર્શન કરાવવું કે કેવળ દોષ તારવવાને વિવેચન ન કહેવાય. સાચું વિવેચન રચના અને રચનાકાર પરત્વેના રાગદ્વેષથી પ્રેરિત થયા વિના રચનાના ગુણ-દોષનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે એ છે. કવિતા લખાવી શરૂ થઈ એ જ દિવસથી વિવેચનની પણ શરૂઆત થઈ હશે. ચોવીસસો-પચ્ચીસસો વર્ષ પૂર્વે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ વગેરેને આલોચનના પ્રણેતા કહી શકાય. એરિસ્ટોટલે તો ‘પોએટિક્સ’ લખીને વિવેચનને શાસ્ત્રનો દરજ્જો આપ્યો હતો. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ઈ.પૂ. બીજી સદીમાં ભરતથી લઈને સત્તરમી સદીમાં જગન્નાથ સુધી કાવ્યની વિભાવના, હેતુ અને આત્મા બાબતે નોંધપાત્ર વિચારણા થતી આવી છે. ગુજરાતીમાં નર્મદે ‘ટીકા’ અને ‘ટીકાવિદ્યા’ સંજ્ઞા પ્રયોજી સાહિત્ય-સમાલોચનાના શ્રીગણેશ કર્યા હતા. Criticism ના પર્યાયરૂપ ‘વિવેચન’ શબ્દ નવલરામ પંડ્યાએ આપ્યો.

ચોક્કસ પ્રકારની કવિતા અને ચોક્કસ પ્રકારના રૂપકો ઇચ્છતા ટીકાકારો ક્યારેક પોતાની હત્યા કરતાં હોવાના અરોપ સાથે કવિએ કાવ્યારંભ કર્યો છે. અને કવિ જો મુખ્ય માર્ગે ચાલવાના બદલે આડમાર્ગ પર ભટકતા નજરે ચડે તો આ આલોચકો કવિએ રસ્તા સાથે દગો કર્યો હોવાના આરોપ એના પર મૂકે છે. એક જમાનામાં ગઝલનો અર્થ પ્રેયસી સાથેની ગુફ્તેગૂ એમ થતો હતો, અને ગઝલમાં પ્રિયતમા-સાકી-સુરા અને બુલબુલની ભરમાર રહેતી હતી. પણ આજની ગઝલ સર્વસમાવિષ્ટા કે સર્વગ્રાહી બની છે. ભાષા હોય કે રૂપક, વિષય હોય કે અભિવ્યક્તિ –આજની ગઝલમાં તમામનો સ્વીકાર છે, પણ એક સમયે સૉનેટભક્તિ એવી તો ચરમસીમાએ હતી કે સૉનેટ ન લખનારનો કવિ તરીકે સ્વીકાર પણ નહોતો થતો. સૉનેટના જમાનામાં જે કવિઓએ ગઝલ લખવી શરૂ કરી હતી, એમના પર દાયકાઓ સુધી પસ્તાળ પાડવામાં આવી હતી અને ક્યાંય સુધી ગઝલને કવિતાનો દરજ્જો આપવામાં કહેવાતા સાહિત્યસ્વામીઓને મોટો વાંધો હતો. ગઝલને ઉતરતો કાવ્યપ્રકાર ગણી અછૂત-વ્યવ્હાર પણ કરાતો. ટૂંકમાં, સમીક્ષકોએ ગણી લીધેલા ધોરીમાર્ગથી હટીને અલગ ચીલો ચાતરવાની કોશિશને વિવેચકો મુખ્યધારા સાથેનો દ્રોહ જ ગણવાના.

તમે જો કોઈ તુચ્છ વસ્તુમાંથી સત્ત્વ શોધી નાંખશો તો એમાં છિદ્રાન્વેષીઓ સાહિત્યમાં સ્થપાયેલ સ્થિરતા-જડત્વનો ત્યાગ કર્યો હોવાનું જોશે. ગુલાબી રંગનું ગુલાબ જોવા ટેવાયેલી નજરોને જો તમે વસંત ઋતુમાં પીળું ગુલાબ દેખાડશો તો એમાં તેઓ માતૃભૂમિના લોહીના લાલ રંગની ઉણપ શોધશે. અને પારંપારિક ભાષાથી જરા અળગા હટીને યદિ આપ કંઈક નવું- કંઈક સંકુલ- કંઈક આધિભૌતિક રૂપક કે વાત લઈને સામે આવશો તો તેઓ ચમચો નાંખીને સૂપ હલાવીએ એમ અર્થને હલાવવાની, અર્થ તારવવાની કોશિશ કરશે. આનાથી વિપરીત અગર આપ કાન સીધો પકડશો, તો તેઓ માથા પાછળ હાથ લઈ જઈને અવળેથી પકડવાની પદ્ધતિની હિમાકત કરશે. ઉદાહરણ તરીકે જો તમે એમ ગણગણશો કે મા એ આખરે મા છે. જ્યારે એ પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એ લાકડીની જેમ જ કરમાઈને સૂકાઈ જાય છે, ત્યારે સૂર્ય પૂર્વમાં ઊગવા સમી સ્ફટિકસ્પષ્ટ વાતને તેઓ તિર્યક નજરે જોશે અને કહેશે કે ના, મા તો ખુશીથી ઝૂમી રહી છે, બાળકની અંતિમક્રિયામાં નાચી રહી છે, કારણ કે એના માટે તો પુત્રની અંતિમવિધિ પણ લગ્નવિધિ જ છે. મતલબ, તમે કંઈ પણ કરશો, વાંકદેખા ટીકાકારો તો વાંક જ કાઢવાના. ‘અન્યોની આલોચના કરનાર ઘણીવાર જેઓ પોતાનામાં શી ઉણપ છે એ જ પ્રગટ કરતાં હોય છે.’ (શેનન એલ. આલ્ડર)

મેઘાણીએ કહ્યું કે, ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ કવિતામાં પણ જે લોકો અણદીઠેલી ભોમકા તરફ મીટ માંડે છે એ જ સાચા અર્થમાં યુવાન છે, એને જ નવ્યકવિ કહી શકાય. પણ સમાલોચકોને તો ત્યાંય વાંધો પડવાનો. જો તમે નહીં જોવાયેલ-જોયેલ જોવા માટે આકાશ તરફ ઊંચે મીટ માંડશો તો તરત જ તેઓ કવિતા પોતાના મૂળ ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે કહીને તમને વખોડશે. એમની પરિભાષામાં સારો અને સાચો કવિ એ જ જે એમણે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓમાં જ શબ્દ ગોઠવે. દાયકાઓથી કેળવાયેલી એકવિધ રસરૂચિ કે મર્યાદિત સમજને વશવર્તીને રચના કરે એ જ કવિ ગણાય. બહુધા વિવેચન એ ઘોડાની આંખ પર પહેરાવેલા ડાબલાં બનીને રહી જતું હોય છે, જે ઘોડાની દૃષ્ટિને સતત મર્યાદિત રાખે છે. આંખે ડાબલાં બાંધેલ ઘોડાની જેમ કવિને એક લીટીમાં ગતિ કરવાની ફરજ પાડે એનું જ બીજું નામ વિવેચન.

સારો કવિ પોતે જે કહેવા ઇચ્છે છે એ વાતને અધોરેખિત કરવા માટે પુનરોક્તિનો સહારો લે છે. અહીં કવિ ‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ વાક્યનો પુનરોચ્ચાર કરે છે. વિવેચકો સારા સારા કવિઓની કારકિર્દીનો ભોગ લેવામાં નિમિત્ત બનતા હોય છે એ કડવી હકીકત કહેવા માટે પુનર્કથનરીતિનું હથિયાર આખી કવિતામાં એક જ વાર વપરાયું હોવાથી વધુ અસરદાર બન્યું છે.

કાવ્યાંતે કવિ એક સુખદ હકીકત તરફ અંગૂલિનિર્દેશ કરે છે. તેજસ્વી કવિની કારકિર્દીનું ગળું રૂંધી નાંખતા વિવેચકો રુગ્ણ માનસિકતા અને સંકુચિત નજરની મર્યાદાને લઈને કવિને જે રીતે વાંચવો જોઈએ એ રીતે વાંચવામાં વિફળ રહેતા હોય છે, પરિણામે ખરો કવિ અને ખરી કવિતા એમના વાંચનના અત્યાચારમાંથી છટકી જાય છે. કવિ વિવેચકોની આ ગેરસમજણ અથવા સમજણના અભાવ બદલ એમનો આભાર માનીને નવી કવિતાની શોધમાં પરોવાઈ જાય છે. આખી કવિતામાં આ ભાગ સૌથી અગત્યનો છે. વિવેચનના આગ્રહી સર્જકો પણ બહુધા અંદરખાને તો વખાણ જ ઇચ્છતા હોય છે. અને એટલે જ વિવેચકો એમના સર્જન ઉપર હાવી થવામાં સફળ થતા હોય છે. સાચો કવિ તો સદૈવ આલોચનાથી પર જ હોવાનો. આલોચકોની સાચી કવિતા વાંચી ન શકવાની નબળાઈને જ તેઓ પોતાની તાકાત બનાવે છે. અને સાચી કાવ્યસાધનામાં જ રત રહે છે. જે કવિ વિવેચન-(અ)વિવેકના નીરક્ષીર પારખી શકે છે એ જ નવી કવિતાને શોધી શકે છે.

અંતે, ફેડી જુડાએ કરેલ અંગ્રેજી અનુવાદના આધારે દરવીશની જ ‘યુવા કવિને’ રચનાના કાવ્યાંશ માણીએ:

અમારી રૂપરેખાઓ પર વિશ્વાસ ન કરશો, ભૂલી જાવ એને
અને તમારા પોતીકા શબ્દોથી શરૂઆત કરો.
જાણે કે તમે પ્રથમ વ્યક્તિ હો કવિતા કરનાર અથવા તો અંતિમ કવિ.

જો આપ અમારા કામને વાંચો, તો અમારી શેખીઓનો વિસ્તાર કરવાને નહીં,
પરંતુ પીડાના પુસ્તકમાં
અમારી ભૂલોને સુધારવા માટે વાંચજો.

કોઈનેય પૂછશો નહીં: હું કોણ છું?
તમે જાણો જ છો કે તમારી મા કોણ છે.
જ્યાં સુધી બાપનો સવાલ છે, ખુદના બાપ ખુદ બનો.
..
ફંટાવ, તમારી પૂરી તાકાતથી, નિયમથી ફંટાવ.

પ્યારમાં કોઈ સલાહ ન હોય. એ અનુભવ છે.
કવિતામાં કોઈ સલાહ ન હોય. એ પ્રતિભા છે.

ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

થાય છે – પન્ના નાયક

યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !

– પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

જો કોઈ નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્તિમ
રાતી ચંદ્રની કિનાર જો

કોઈ નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને એ જ મુખત્રિકોણ પર
પરત ફરતી હોય જો કોઈ

નદી હોય
આનાથીય વધુ બહાદુર
જેમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે
દર્દના ઉછાળા, આવેશ સાથે જો કોઈ નદી

હોય
વધુ પુરાતન
આ ઈવની પુત્રી
કેઇન અને એબલની માતા કરતાં જો કોઈ નદી હોય

આવી બ્રહ્માંડમાં જો
ક્યાંય પણ આ ઉદ્દામ જળ કરતાં
વધુ શક્તિશાળી
જળ હોય, તો
પ્રાર્થના કરો કે તે
સુંદર અને વફાદાર અને પુરાતન
અને માદા અને બહાદુર
પ્રાણીઓમાં થઈને પણ વહે

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્રાવ ની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ્સ. કેલેન્ડર સાથે લગ્ન ન કરી લીધાં હોય એમ પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી જીવનના લગભગ ત્રણ-સાડાત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર પાંચેક દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી પણ અનિયત અને અનિવાર્ય રક્તસ્રાવ નો શિકાર બને છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી ફરજિયાત પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ પ્રાકૃતિક એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ આ કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર. મા ધોબણ હતી પણ કવિતા લખતી. ઓછું ભણેલ મા-બાપે પણ બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતાં રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. લૂસીલને બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરના રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને તેઓ સરળ ભાષામાં લાઘવ સાથે ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’

કવિતાનું શીર્ષક ‘ઋતુસ્રાવ ની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યતઃ કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્રાવવિશે છે અને ત્રીજું એ ઋતુસ્રાવ નું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી? પણ સાફ વાત છે કે કવયિત્રીએ હાથમાં લીધેલ વિષય હજારો વર્ષોથી સાફ દેખાતો હોવા છતાં દુનિયા સતત આંખ આડા કાન જ કરતી આવી છે. કદાચ એટલે જ લૂસીલ આ ‘અસ્પૃશ્ય’ ડાયરામાં પગ મૂકતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિકના પાંચ દિવસની પ્રતિમા કંડારી ન હોય એમ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. મુક્ત માસિકસ્રાવ ની જેમ જ કવિતા છંદ મુક્ત વહે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી અહીં પ્રાસની કેદ પણ નથી. લગભગ દરેક અંતરો ‘જો કોઈ નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્રાવ(Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્રાવસ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થાય તો ફલીકરણ થઈ ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલિનીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયાનો પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પૅડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત એ વાતની સાબિતી છે કે હજી આપણા લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારી નથી. એકવીસમી સદીમાં આ વસમી હાલત હોય તો પ્રાચીન કાળની તો કલ્પના જ કેમ કરવી? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવાયા. ઇતિહાસકારો બહુધા પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી પણ જૂજ જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ઋતુસ્રાવ નું લોહી કેટલીક દવાઓમાં વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સે ઓછું કે વધુ માસિક આવવાને બિમારી ગણી છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ- થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્રાવ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો સમાજ હજીય એટલો પછાત અને ધર્મ એટલો બિમાર-બિસ્માર છે કે મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં હજુ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

એ માહિતી પણ ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પૅડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો, તો ગ્રીક સ્ત્રીઓ ઊનનો પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્રાવપહેરેલાં કપડાંમાં જ થવા દેતી હતી. માસિકસ્રાવકપડાંમાં થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. માસિક માટેના દુઃખદાયક તંગ પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પૅડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટૅમ્પૂન બજારમાં મૂક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે ખરી ક્રાંતિ થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટૅમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ વળીએ. કવિતાની શરૂઆત ‘જો’થી થાય છે. ‘જો’ ભાવકને શરત સાથે જોડે છે. કવયિત્રીએ માસિકને નદી, માફ કરજો, સુંદર નદી કહી છે. સંસારમાં આ નદી અનન્ય છે; એની કોઈ જોડ નથી. કવયિત્રીએ પોતાની ખાતરીની વિશ્વસનીય પ્રતીતિ કરાવવા શરતી ‘જો’ વાપર્યો છે. નદી જે રીતે વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે, એ જ રીતે માસિકની નદી સાથે પણ ગર્ભધારણની ફળદ્રુપતા જોડાયેલી છે. લોહીની નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં એને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. એ લોહીની બની છે અને સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. માસિકની નદીની પ્રસંશા કરતાં લૂસીલ પડકાર ફેંકે છે કે દુનિયામાં આના કરતાં વધુ સુંદર અને ચંદ્રની રક્તિમ રાતી કિનાર કરતાં વધુ તેજસ્વી હોય તો બતાવો. ચંદ્રનો ઉલ્લેખ યાદ અપાવે કે માસિક પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સંકળાયું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે. અંતના આરંભની નિશાની ગણાતો ‘બ્લડ મૂન’ એક નવો જ વિષય છે પણ કવિએ કેવળ ચંદ્રની રાતી કિનારની જ વાત કરી હોવાથી આપણે એને જતો કરીએ.

બીજી કોઈપણ નદી એકવાર છોડી દીધેલા સ્થળે પાછી આવતી નથી, પણ માસિકની નદી દર મહિને નિયત સ્થાને પરત ફરે છે. કેવી વફાદારી! કહો, છે કોઈ બીજી નદી આવી વફાદાર, જે માહોમાહ એના મુખત્રિકોણ પર પરત ફરતી હોય? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી લઈને અસહ્ય સુધીના દુઃખાવામાંથી પસાર થાય છે, પણ સ્ત્રીઓ એને ચુપચાપ સહેતી રહે છે.
માસિક દરમિયાન જે રીતે લોહીના ગઠ્ઠા અને/અથવા સ્રાવઆવતા રહે છે, એ જ રીતે અસહ્ય દુઃખાવો પણ ઊછાળા સાથે આવતો જ રહે છે. બહાદુર વિશેષણ નદી માટે વપરાયું હોવા છતાં સમજાય છે કે એ સ્ત્રીઓ માટે જ વપરાયું છે. વળી, માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતાં કેમકે તેઓ માનતાં કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને ઉદ્દામ પાણી અન્યત્ર ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. શીર્ષકથી લઈને આખી કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યાં, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે. આ નદી એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે, એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે સમુચી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ અને દુનિયાના તમામ પુરુષોએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા છે, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું છે; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્રાવ નો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા: ૨૧૯: મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich


મને યાદ છે જ્યારે

મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા
દરરોજ તેઓ એનું શિખર થોડું વધુ
કાપતા જેથી અમને અમારું અનાજ ઉગાડવા માટે
થોડો વધુ સૂર્યપ્રકાશ મળે, અને જ્યારે તેઓએ
શિખર પૂરતું કાપી નાંખ્યું જેથી કરીને ભરઉનાળે અમને
સૂર્ય એક વધારાની મિનિટ માટે મળી શકે, જે
સ્વાભાવિકપણે, અતિશયોક્તિ જ છે, ત્યારે
એમને લાગ્યું કે તેઓએ કશુંક નક્કર કરી બતાવ્યું છે, અને અમને
સૂર્યને તિરાડમાં ઢળતો અને
અદૃશ્ય થતો જોવા બોલાવ્યા.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ વરસમાં એક દિવસ વધારાનો
મેળવવા માટે એમણે એ જ ખાડો ખોદવાનું ચાલું રાખ્યું.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ વધારાનો મળશે,
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવાની તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો જ ખાડો હતો, એમનો જ પ્રકાશ હતો; લોકો નસીબદાર હતા
કે તેઓ એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

-જ્યારે ખોદતાં ખોદતાં એક ઝરણું ફૂટ્યું અને પાણી ધસી આવ્યું,
એક ધોધ બનીને, જેણે ખીણ અને શહેરને લગભગ ડૂબાડી જ દીધા,
એક સુંદર તળાવ સર્જાયું- ઊંડું,
શીતળ, અને બીજે ક્યાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓ જેઓ એમના પર્વત પર
જંગલી જીવન ગાળતાં હતાં, હર્ષોલ્લાસ કરવા લાગ્યાં અને
વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બન્યાં. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ.: વિવેક મનહર ટેલર)

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

સુપરમેન કયા બાળકને ન ગમે? ફિલ્મો અને કૉમિક્સનો સુપરમેન તો બાળકોને થોડો મોડેથી મળે, પણ એક સુપરમેન તો એમની જિંદગીમાં એમનો જન્મ થાય ત્યારથી સાથેને સાથે જ હોય છે. કોણ? તો કે પપ્પા! દુનિયામાં કોઈપણ બાળક માટે પહેલો સુપરમેન પપ્પા જ હોવાના. સાવ સૂકલકડી કેમ ન હોય, પણ બાળક માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોય. મૂછ કે સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી પપ્પાના પેંગડામાં પગ ઘાલવાની દીકરાની મથામણ કાયમ જ રહેવાની. દુનિયામાં ભાગ્યે જ કોઈ દીકરો ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ કહ્યા વિના મોટો થયો હશે. અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એટલે દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું બાપનું ચિત્ર! જોઈએ…

માઇકલ હેટિચ. જન્મ ૧૯૫૩માં બ્રુકલિન, ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો. ઢગલાબંધ પુરસ્કારોથી નવાજીત. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં અવારનવાર ઉપસ્થિતિ. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર છતાં પૂર્ણતયા આધારભૂત છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કવિતાનું શીર્ષક ‘મને યાદ છે જ્યારે’ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે. શીર્ષક અને શીર્ષસ્થ પંક્તિ માત્ર એક નથી, એકાકાર છે. શીર્ષકથી જ કાવ્યારંભ થઈ જાય છે. આશ્ચર્ય થાય પણ ખ્યાલ આવે છે કે કવિતા બાળકની સ્વગતોક્તિ હોવાથી શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય! કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં ભાવ અને વિચારના કૂદકાઓ પણ જોવા મળે છે. હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે છંદોલયનાં બંધન ફગાવી દીધાં છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર બંધમાં વહેંચાયેલી આ કવિતામાં દરેક બંધમાં પંક્તિસંખ્યા તથા લંબાઈ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કાવ્યરીતિ આત્મકથનાત્મક છે પણ કવિની આત્મકથા હોય એ જરૂરી નથી. પ્રથમપુરુષ એકવચન સ્વરૂપે આપણી મુખામુખ થતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા. આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. આત્મકથનાત્મક કવિતાનો કથક કવિ પોતે હોય, અથવા એ કવિએ પહેરેલું મહોરું પણ હોય અથવા કવિએ કોઈનામાં પરકાયાપ્રવેશ પણ કર્યો હોઈ શકે. સેફો, એમિલી ડિકિન્સન, પરવીન શાકિર, મીનાકુમારી જેવા અનેક કવિઓની કવિતામાં આવતા ‘આઇ’ તેઓ પોતે જ હતા. પણ કવિતામાં કવિને કે કવિની જિંદગી શોધવાને બદલે કવિતા શોધવી જ વધુ હિતકારી છે. આપણે પણ એ જ કરીએ.

‘મને યાદ છે જ્યારે/મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા’થી કાવ્યારંભ થાય છે. કવિતાની ગાડી નિયત પાટા પર ચાલતી હોવાનું અનુભવાય એ પહેલાં તો કવિ ‘દરરોજ તેઓ એનું શિખર વધુને વધુ કાપતા’ કહીને એને ‘ડિરેલ’ કરી નાંખે છે. પ્રારંભે જ આપણો ભેટો અવાસ્તવ સાથે થાય છે. પણ વાત અહીં અટકતી નથી. કવિ કહે છે, કે એમના પિતા રોજ પર્વતનું શિખર થોડું વધારે એટલા માટે કાપતા હતા કે જેથી કરીને અનાજ ઊગાડવા માટે થોડો વધુ સૂર્યપ્રકાશ મળે. ધત્ તેરી કી તો! ભીંતમાં ભોડું ભટકાડવાનું મન થાય છે ને! હવે તો ફરજિયાત આખી કવિતા વાંચવી જ રહી…

પણ આ અતિશયોક્તિ એક દીકરાની પોતાના બાપ માટેની સ્વગતોક્તિ હોવાથી અવાસ્તવિક લાગતી નથી. કહ્યું છે ને, બાપના કપાળે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલ કપડાં પહેરી શકો છો… પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી… આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે… રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદા સદૈવ આપણા સ્મરણમાં રમે છે પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુનાને ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ આવતું નથી કેમકે બાપ આ કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં માત્ર મા જ નહીં, પિતા પણ પ્રાણ ત્યાગે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ નિરાંતવા મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

બહુ ભારી થઈ ગયું, નહીં? પણ હકીકત છે કે માની સરખામણીએ પિતાના ગુણગાન ગવાયા જ નથી. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. ખરેખર બાની સરખામણીમાં બાપાને પા ભાગનું માન પણ ભાગ્યે જ મળ્યું છે. પણ પપ્પાનું ટી-શર્ટ બંધબેસતું આવે એ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોય છે. આપણો કથક પણ આવો જ એક દીકરો છે. એ પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને કુટુંબીજનોને સૂર્ય થોડા વધુ સમય માટે મળે. રોજેરોજના પુરુષાર્થ બાદ એક દિવસ એવો સૂર્ય પણ ઊગે છે જ્યારે પિતાને લાગે છે કે પોતે શિખર પૂરતી માત્રામાં કાપી શક્યા છે અને આ કારણોસર એના પરિવારને ઉનાળામાં, જ્યારે દિવસ આમેય લાંબો જ હોય, એક મિનિટ જેટલા સમય માટે વધુ સૂર્યપ્રકાશ મળી શકશે, ત્યારે એ સહુને પોતાનું મહાકાર્ય જોવાને આમંત્રે છે. ગામ અને અસ્તાચળ વચ્ચેથી પર્વતના શિખરનો એટલો ભાગ દૂર કરી દેવાયો છે કે સૂર્યપ્રકાશ ગામ ઉપર નિયત કરતાં એક મિનિટ વધુ પડે.

હેટિચને જાણકારી હતી કે કેમ એ તો ખબર નથી, પણ આપણને ‘માઉન્ટન મેન’ દશરથ માંઝી યાદ આવ્યા વિના કેમ રહે? ૧૯૫૯ની સાલમાં લાંબા અંતરના લીધે સારવાર મેળવવામાં થયેલ વિલંબના પરિણામે દશરથે પત્નીને ગુમાવવી પડી. પરિનામે વઝીરગંજ અને પોતાના ગામની વચ્ચેની પહાડીને કાપીને રસ્તો બનાવવા એણે કમર કસી. માત્ર છીણી-હથોડી લઈને ગામે આપેલ પાગલકરાર સાથે બાવીસ-બાવીસ વર્ષના અથાક પુરુષાર્થના અંતે ટેકરીને કાપીને એણે પચ્ચીસ ફૂટ ઊંડો, ત્રીસ ફૂટ પહોળો અને સાડી ત્રણસો ફૂટ લાંબો રસ્તો એકલા હાથે કંડારી નાંખ્યો. એના ગામથી વઝીરગંજ વચ્ચેનું પંચાવન કિલોમીટરનું અંતર ઘટીને માત્ર પંદર કિલોમીટર થઈ ગયું. ન માત્ર એને પદ્મશ્રીથી નવાજાયો, ટપાલખાતાએ ટિકિટ પણ બહાર પાડી. ૨૦૧૫માં કેતન મહેતાએ માંઝી નામે ફિલ્મ પણ બનાવી.

એક મિનિટ જેટલા વધારાના સૂર્યપ્રકાશ માટે પર્વત કાપવાની વાત અતિશયોક્તિ લાગે. કથક પોતે સ્વીકારે પણ છે કે. આ વાત સ્વાભાવિકપણે અતિશયોક્તિ જ છે. પણ કવિતા અટકતી નથી. બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. સૂર્ય ભલે ઉત્તરાયણ કે દક્ષિણાયણ કરે પણ એક દિવસમાં કંઈ સ્થાન બદલાઈ ન જાય. અહીં તો આખી કવિતા જ અસંભવના ખભે ઊભેલી છે એટલે બીજા દિવસે સૂર્ય એના સ્થાનેથી હટી ગયો હતો. પણ પિતાજી મહેનત ત્યાંને ત્યાં જ ચાલુ રાખે છે. બુંદની સફળતા સાગર તરફ દોરી જાય છે. વધારાની એક મિનિટ મળતાં પુરુષાર્થ વધારાનો દિવસ મેળવવા તરફ ગતિ કરે છે. પિતા સંતાનને આશા બંધાવે છે કે પર્વત બે ભાગમાં કપાઈ જશે તો પહેલા કદી નહોતા એવા લાંબા કલાકોવાળો એક આખો દિવસ વધારાનો મળશે.

શહેરના લોકો પણ એમને “પિતા” જ કહેતા. પિતા શબ્દ અવતરણચિહ્નમાં મૂકાયો છે. કદાચ આ બાબત પણ બાળકની સ્વપ્નસૃષ્ટિની જ નીપજ હોય. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ એમાં કશું અસ્વાભાવિક નથી. પિતા મદદ લેવાની ના કહે છે, કેમકે આ એમનો, માત્ર એમનો જ ખાડો હતો. આ પ્રકાશ પણ એમના એકલાના ઉદ્યમનો જ પરિપાક હતો. પણ તેઓ ગામ આખામાં ગમતાનો ગુલાલ કરવા તૈયાર છે એય બાળકને અનુભવાતું પિતાસહજ યથોચિત ઔદાર્ય જ ને!

વધારાના સૂર્યપ્રકાશની અડખેપડખે કવિ હવે રાતને આણે છે. ખોદાયું તો માત્ર પર્વતનું શિખર જ છે. પણ ઢંકાઈ રહેલ આકાશ ઊઘાડું થતાં રાત્રે નવા તારાઓ પણ દેખાય છે. ખોદકામથી નવું ઝરણું ફૂટ્યું. શેનું? આશાનું?! ધસમસ પાણીએ ધોધ બનીને ગામ અને ખીણને લગભગ ડૂબાડી જ દીધાં. છેવટે પાણી ઠરીઠામ થતાં સુંદર, ઊંડું, શીતળ તળાવ સર્જાયું, જે બીજે ક્યાંય જોવા ન મળે એવી અલૌકિક માછલીઓથી ભરપૂર હતું. દીકરાની નજરે બાપની મહેનત કેવો રંગ લાવી રહી છે એ જુઓ! એક મિનિટ, એક દિવસ, લાંબા કલાકો, નવા તારા, નવું ઝરણું, ધોધ, તળાવ અને અસાધારણ માછલીઓ- બાપ નામનો ચમત્કાર શું નથી કરી બતાવતો! પશ્ચિમી પર્વત અહીં ‘એનો’ (પપ્પાનો) પર્વત બની જાય છે! પર્વત પર જે પ્રાણીઓ જંગલી જીવન ગાળતાં હતાં એ બધાં આ નવપલ્લવિત સૃષ્ટિ જોઈ હર્ષોલ્લાસ કરવા માંડ્યાં. વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બની ગયાં. ‘મને યાદ છે જ્યારે’થી શરૂ થયેલી સ્મરણગાથા વર્તમાનમાં આવીને વિરમે છે. પ્રાણીઓના ભૂતકાળના હર્ષોલ્લાસ સાથે કથક, પરિવારજનો અને ગ્રામ્યજનો –સહુ આજેય હર્ષોલ્લાસ કરતાં જોડાય છે. પપ્પાએ કરેલો ચમત્કાર શાશ્વત બન્યો છે.

કવિતા બે સ્તરે વિહરે છે. એક, મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. અન્યાર્થ ન શોધીએ તોય કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. ખરી કવિતા ઘણીવાર બે શબ્દો કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં હોય છે અને ભાવક જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. પરીકથાની સપાટીની નીચે, બીજા સ્તરે, બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ છે ખરી કવિતા. ઉપલક સ્તરે જે પરીકથા છે એની કમાલ એ છે કે પરીકથા હોવાની ખબર હોવા છતાં આપણને વાસ્તવિક લાગે છે. અતિશયોક્તિ હોવાનું સ્વીકાર્યું હોવા છતાંય યથાર્થ લાગે છે. આ જ સર્જકનો જાદુ છે. અને આ બધું એટલા માટે સાચું લાગે છે કે આપણે સહુ આવા માઉન્ટન મેન-સુપરમેનની છત્રછાયામાં જ મોટા થયાં છીએ. પિતા માટેની આપણી યથેચ્છ કલ્પનામાં યથોચિત રંગ ભરાતાં હોવાથી રચના દિલની વધુ નજીક, વધુ પોતિકી લાગે છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતા સુધી પહોંચે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ આવેશપૂર્ણ રીતે, વધુ હર્ષોલ્લાસ કરે છે!

ગ્લૉબલ કવિતા : ૨૧૬ : પ્રેમ પછી પ્રેમ -ડેરેક વૉલ્કોટ

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott


પ્રેમ પછી પ્રેમ

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે આવકારશો તમારા પોતાના દરવાજે
તમારા પોતાના અરીસામાં, આવેલ તમારી જાતને,
અને બંને જણ સ્મિત કરશો પરસ્પરના આવકાર પર,

અને કહેશો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યા છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો હતો
બીજાઓ માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી નીચે ઉતારો પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીનો ઓચ્છવ કરો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)


જાત સુધીની જાતરા…

સામાજીક પ્રાણી હોવાના નાતે મનુષ્ય આજીવન અન્યોન્યના સંપર્કમાં રહે છે. સંપૂર્ણપણે એકલવાયી જિંદગી તો કદાચ માનવસભ્યતા જ્યાં પહોંચી જ નથી એવા આંદામાનના જારવા પણ નથી જીવતા. આપણાથી સાવ અલિપ્ત હોવા છતાંય જંગલમાં તેઓ સમૂહમાં જ જીવે છે. શું કારણ હોઈ શકે? અન્યોને આપણે સાંગોપાંગ ઓળખી શકતા નથી એટલે સાથે રહેવાનું પાલવતું હશે? અને જાતને નખશિખ જાણતા હોવાથી શું આપણે એકલા નથી રહી શકતા? બની શકે. એક વાત એય કે જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને શું ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી સર્વથા સર્વાંગે વાકેફ હોવાના કારણે જ કદાચ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે ખરું? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. માતા આચાર્યા. પિતા ચિત્રકાર. એક વર્ષની વયે પિતાને ગુમાવ્યા. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી. ચિત્રકાર પિતામાં જે અધૂરું રહી ગયું એ ડેરેકના મતે એમનામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની વયે પહેલી કવિતા. અઢારમા વર્ષે ઉછીના બસો ડૉલરથી પ્રથમ કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને ઉધારી ચૂકવીય દીધી. બીજા વર્ષે બીજો કાવ્યસંગ્રહ. જીવનકાળ બૉસ્ટન, ન્યુયૉર્ક અને લુસિયા વચ્ચે વહેંચાયેલો રહ્યો. પરિણામસ્વરૂપે કરેબિઅન-લોકલ વત્તા આંતરરાષ્ટ્રીય-ગ્લૉબલ ફ્લેવરના મિશ્રણથી એમના સર્જનમાં નવી જ સોડમ પ્રકટી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ‘ઓછા અશ્વેત’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવાળાઓએ એમના પર પસ્તાળ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતના આરોપ મૂક્યા જેને ખૂબ ચગાવાયા. ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને એની કિંમત ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન. ત્રણવાર છૂટાછેડા. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે ૧૭-૦૩-૨૦૧૭ના રોજ.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર પણ. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતા મુક્ત પદ્ય-અછાંદસ છે પણ વોલ્કૉટની પ્રિય યતિ(caesura)નો પ્રયોગ ધ્યાનાર્હ છે. એ કહેતા કે, યતિનો અયોગ્ય પ્રયોગ, રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પગ તોડે, એના જેવો હોય છે. અહીં, એકાધિક અલ્પવિરામ અને પંક્તિની વચ્ચોવચ્ચ આવતા પૂર્ણવિરામ ચિહ્નો વડે કવિતાની ગતિ નિયત માત્રામાં અવરોધીને કવિ ભાવકને ઝડપભેર દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિથી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળીને ગતિ વધારે છે. જીવનની ગતિ સાથે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે. શીર્ષક પણ વિચારતાં કરી દે એવું છે. આપણે જે અર્થમાં ‘એક પછી એક’ કે ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ વિશે કવિ શીર્ષકની મદદથી ઈશારો કરતા હોય એમ બની શકે?હશે, આપણે તો કવિતાના પ્રેમમાં પડીએ, ચાલો…

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’થી કાવ્યારંભ થાય છે. મતલબ આ સમય આવવાનો જ હોવાની ખાતરી છે. માણસ જાત સાથે મુખામુખ થાય એ સમય દરેકની જિંદગીમાં આવે જ છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનમાં વાહવાની દોડમાં ને ચાહવાની હોડમાં આપણે જાત લઈને ભાગીએ તો છીએ, પણ આ દોડ અને હોડ –બેમાંનું કંઈ જ સ્વ તરફનું હોતું નથી. અને સ્વને પામ્યા વિના તો સર્વ સુધી જવાય જ કેમ? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. પોતાના દરવાજે પોતાને આવેલ જોઈ આપણે ચોંકતા નથી, કેમકે આ સમય આવનાર હતો જ, તે આજે આવ્યો છે. જે દરવાજાને અજાણ્યાઓ માટે ખૂલવાની આદત પડી ગઈ હતી, એ આજે જાત માટે ખૂલ્યો છે, એટલે ઉત્તેજિત ન થવાય તો જ નવાઈ. આ ઉત્તેજનાને સંતાડવાની પણ નથી. પૂર્ણાવેશસહ આપણે આપણને આવકારવાના છે. દરવાજે જ નહીં, આજે આટઆટલા વરસો પછી અરીસામાં પણ આપણે આપણને પહેલવહેલીવાર જોયા છે. આજ સુધી અરીસામાં શરીરનું પ્રતિબિંબ જ દેખાતું હતું, આજે જાત દેખાઈ છે. આપણી નજર સામે દેખાતા શખ્સ સુધી પહોંચી શકી છે. સામાન્યરીતે અંદર ઊભેલી વ્યક્તિ બહારથી આવનારને આવકારો આપે પણ અહીં બહાર-અંદર બંને આપણે જ છીએ, માટે બંનેએ જ પરસ્પરને સસ્મિત આવકાર આપવાનો છે.

પરસ્પરનું સ્વાગત કરીને બંને અન્યોન્યને કહેશે કે બેસો. આરોગો. ચા-પાણી કરો. ખ્રિસ્તી ધર્મ અને બાઇબલના સંદર્ભ દૃષ્ટિગોચર થાય છે. ‘Love thy neighbour.’ ‘Eat. Drink.’ વાઇન, બ્રેડ વિ.માં પણ બાઇબલના નિર્દેશ સ્વયંસ્પષ્ટ છે. સત્તરમી સદીની જ્યૉર્જ હર્બર્ટની ‘લવ(૦૩)’ કવિતા યાદ આવે, જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને બાજનજરે પારખી લે છે અને સમજાવે છે કે અહીં આવવા લાયક માનનીય અતિથિ સ્વયં તું છે. નાયકને પોતે કઠોર, કૃતધ્ન લાગે છે, પણ પ્રેમ કુનેહપૂર્વક એનો હાથ ઝાલીને, સસ્મિત સમજૂતિ સાથે શંકાઓનું નિરસન કરે છે. પ્રેમ પીરસે છે. નાયક જમે છે. દરવાજો, અરીસો અને પ્રેમને પણ બાઇબલના ઉપલક્ષમાં જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેતપણાં સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી એ રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો કવિ બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા ઇચ્છતા હોય એમ પણ વિચારી શકાય.

કવિતા દ્વિતીય પુરુષ સંબોધન સ્વરૂપે છે. કથક આપણી સાથે સીધા સંવાદમાં છે. પણ પ્રત્યુત્તરનો અવકાશ નથી. તમે-તમારુંની કથનરીતિના કારણે દરેક ભાવકને કવિ પોતાની સાથે જ ગુફ્તેગૂ કરતા હોવાનું પ્રતીત થાય છે. આખી કવિતા ‘યુ’ અને ‘યૉર’ના તોરમાં ચાલે છે. ક્યાંય ‘આઇ’ પ્રયોજાયો નથી, તોય ‘આઇ’ જ કેન્દ્રસ્થાને હોવાનું સમજાય છે. અંગ્રેજી ‘I’ (હું) લેટિન ‘ઇગો’ પરથી આવ્યો છે. ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતીકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. બિમારીની હદ સુધી વકરેલી આત્મરતિને અંગ્રેજીમાં narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાં જડે છે. યુવાન નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રાખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે.)

આજીવન મૃગજળ પાછળ દોડવામાં ‘મને ક્યાંય જડી ન મારી જાત’ જેવા આપણા હાલ છે. પણ સમય આવ્યો છે, તો જીવનભર જેનાથી અજાણ્યા રહી ગયા, એને ચાહવાનું ફરી શરૂ કરીએ. ત્રાહિત વ્યક્તિનેય આપણે ‘અજાણ્યા છો? ભલે!/તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-/લાવો તમારો હાથ, મેળવીએ!’ (નિરંજન ભગત) કહી શકતાં હોઈએ તો આ તો આપણી પોતાની જાત છે. ભલે આજ સુધી અજાણી રહી, પણ હવે એને પ્રેમ કરવાનો છે. ન માત્ર એની યોગ્ય આગતા-સ્વાગતા, સરભરા કરવાની છે, એને તમારું હૃદય પણ પાછું આપવાનું છે, કેમકે આ અજાણ્યા શખ્સે તમને જિંદગીભર એકધારું ચાહ્યા છે. તમારું જ દિલ છે. તમારે તમારું દિલ ફરીથી તમારા જ દિલને આપવાનું છે. લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) આખું જીવન આપણે આજે આંગણે આવેલ આ અજાણ્યા શખ્સને બીજાઓ માટે અવગણ્યે રાખ્યો હતો. આપણી તો ‘अतिथि देवो भवः’ની સંસ્કૃતિ. આપણે તો ‘એ જી, તારા આંગણિયાં પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે’ (દુલા ભાયા કાગ) ગાનારા. લાઓ-ત્ઝુએ કહ્યું હતું, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’ માર્ક ટ્વેઇનની વાતમાંથી પણ આ જ સૂર ઊઠે છે: ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ તમને તમારી જાતથી વધુ બીજું કોણ ઓળખી શકે? આપથી વધીને આપને કોણ ચાહી શકે? એકમાત્ર આપણો ‘સ્વ’ જ આપણા ‘સર્વ’ને સુવાંગ પિછાને છે. રાલ્ફ એલિસને કહ્યું હતું: ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ આજે આ સમય આવી ગયો છે. દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈ આજ લગ અજાણ્યા રહી ગયેલ સ્વને પુનઃપ્રાપ્ત કરવાનો સમય સાંપડ્યો છે, તો એનો સદુપયોગ કેમ ન કરીએ? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હવે શું મોઢું ધોવા જશો?

ના, તમારા હૃદયે તમને પળપળ ચાહ્યાં છે. હવે, તમારે એ ચાહનો પડઘો પાડવાનો સમય આવી ઊભો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. આદરમાન આપો. એની વર્ષોની ભૂખ-પ્યાસ ભંગો. એને સાચા અર્થમાં સંતૃપ્ત કરો. મનની અભરાઈ જૂની યાદો, જૂના સંબંધો, જૂના સમીકરણોથી ભરી પડી છે. નામ અભરાઈ છે પણ એ ભરાઈ-ઉભરાઈ રહી છે. ઘણો કચરો ભર્યો પડ્યો છે. પ્રેમપત્રો, ફોટોગ્રાફસ, વિહ્વળ હૃદયે લખેલ વ્યાકુળ નોંધો અને એવું ઘણું છે, જેને તમે વર્ષોમાં કદી ફેર જોવા-માણવાની તસ્દી સુદ્ધાં લીધી નથી પણ મનની અભરાઈ પર એણે કબ્જો કરી રાખ્યો છે. કોઈપણ જગ્યા ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી નવાને અવકાશ પણ કેમ મળે? આજે સમય આવ્યો છે તો જૂનું બધું ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. અરીસામાં હવે પ્રતિબિંબ નહીં, તમે સાક્ષાત્ દેખાવા જોઈએ. જાતને કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ બેસો. હોવાને મહેફિલ કરી દો. જિદગીને ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો… જાત સાથે વાત કરતાં આવડી જાય તો જીવન સફળ થાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે કમ્ફર્ટેબલ થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

અંતે, ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતાના કાવ્યાંશ:

ના માતની, ના તાતની, અર્ધાંગિનીની પણ નહીં,
ઉત્તીર્ણ થાવાનું નથી કોઈ નજરમાં આપણે;
જીવનમાં જેના મતની કિંમત છે બધા મતથી વડી,
એ શખ્સ એ છે જે તમારી સામે ઊભો આયને.

વર્ષો સુધી દુનિયાને છો મૂરખ બનાવ્યે રાખી હો,
ને વાહવાહી ગામ આખાની ભલે અંકે કરી;
પણ આખરી ઈનામ નકરાં દુઃખ હશે ને આંસુઓ,
જો આયને દેખાતી વ્યક્તિને હશે જો છેતરી.

ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho


મને લાગે છે…

પેલો પુરુષ મને દેવતાઓ સમાન લાગે છે,
જે તારી સન્મુખ બેઠો છે
અને ખૂબ નજીકથી સાંભળી રહ્યો છે
તને મીઠું બોલતી

અને મજાનું હસતી, જેના કારણે સાચે જ
મારું હૃદય છાતીમાં ફડફડે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
ત્યારે મારા માટે કશું પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ જ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે,
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ઘાસ કરતાં પણ વધારે
ફિક્કી પડી જાઉં છું, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામી છું.

પરંતુ બધામાં સાહસ તો કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર


ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

– સાચે જ! ગમે એટલો મજબૂત સંબંધ કેમ ન હોય, સમય એમાં આ સાતેય કે વધતા-ઓછા ભાવ ભરવા જેટલું પોલાણ કરી જ દે છે. આ સાતેસાત ભાવોથી પર હોય એવો સંબંધ તો દેવોને પણ નસીબ થયો નથી, તો આપણી તો વાત જ શી કરવી! દુનિયામાં કદાચ એકેય સગપણ એવું નહીં હોય, જેમાં આ સાતમાંથી એકેય હાજર ન હોય. પણ આપણે આજે આ સાતેયની વાત કરવાની નથી. સેફોની પ્રસ્તુત રચનામાં ઈર્ષ્યા કેન્દ્રસ્થાને છે, એટલે આપણે આપણું ફૉકસ એના પર જ રાખીએ. ‘ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.’ (અમર પાલનપુરી)

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦)નું સ્થાન આગવું છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇ.પૂ. ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી. એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસેક હજાર પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. સેફો એટલે જાણે ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય – સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતીક! એના છસો વર્ષ પછી થયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતીત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકાનુસાર સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. આ વાતનો વિરોધ કરનારા પણ છે. હકીકત ચકાસવાનું કામ જો કે ઇતિહાસકારોનું, આપણું કામ તો એની કવિતાઓ પૂરતું.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. એની ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાનાર્હ છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી ગણે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદનની આત્મકથનાત્મક અભિવ્યક્તિ એનો પ્રમુખ કાકુ છે. એ કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ સેફોના ગીતો વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ(સેફો) એકીસાથે થીજાવે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફો આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજપર્યંત કવિઓ-ભાવકોને પ્રેરણા આપતી રહી છે કેમકે એ આપણા મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો હતો.

સેફોની ભાષા લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. સેફોના ગીત અને શૈલી એટલા પ્રભાવક થયા કે જે છંદોલયમાં એ લખતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિ અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિ પાંચ (adonic) શબ્દાંશથી (syllable) બને છે. આપણે ત્યાં મરાઠીમાંથી આવેલ અંજનીગીત આના જેવું જ છે. અંજનીગીતમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ અને ચોથીમાં દસ માત્રા હોય છે. પ્રસ્તુત રચનામાં ચાર સેફિક સ્ટૅન્ઝા અને એક છૂટી પંક્તિ છે. મોટા ભાગના અનુવાદકોએ મુખ્ય રચનાથી છૂટી અને અધૂરી જણાતી આખરી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે.

મનમાં પ્રેમવશ જાગતી સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોવું જોઈએ. તત્કાલીન ગ્રીસમાં જાહેરમાં અને જાહેર પ્રસંગોએ વ્યક્તિગત અને સમૂહગત પ્રણયકેલિઓ સામાન્ય હતી. સમલૈંગિકતા પણ સમાજસ્વીકૃત અભિવ્યક્તિ હતી અને મોટાભાગના પુરુષો સેક્સ તરફ ઉભયલિંગી અભિગમ ધરાવતા હતા. જો કે પુરુષોના સમલૈંગિક સંબંધોમાં એક પુરુષ સામાન્ય રીતે વયસ્ક કે પ્રૌઢ અને બીજો તરુણ જ રહેતો. અહીં, નાયિકા જે સ્ત્રી સાથે સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છીનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને દેવતાઓની સમકક્ષ લાગે છે, કેમકે કાળા માથાના મનુષ્ય પાસે તો આવું દૈવત ક્યાંથી હોય? આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક તો કોઈ દેવતા જ પાર પાડી શકે ને?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને મધુરું બોલતાં ને મજાનું હસતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. એરિસ્ટોટલે કહ્યું હતું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ કોઈપણ સંબંધના શરીરમાં પ્રેમ અને ઈર્ષ્યા બે પગ જેવા છે. એક જ મૂળથી જોડાયેલા હોવા છતાં બંને એકમેકથી સાવ અલગ જ છે. ચાલતી વખતે બંને પગ વારાફરતી આગળ-પાછળ થયે રાખે એવું જ સંબંધ ચાલતો હોય ત્યારે પ્રેમ અને ઈર્ષ્યાનું છે. બંને એકાંતરે આગળ-પાછળ થયા કરે છે. બે પગ અડખેપડખે રાખીને ચાલી શકાતું નથી, એ જ રીતે પ્રેમ અને ઈર્ષ્યા બે એક સાથે આવી જાય ત્યારે ભલભલો સંબંધ ઊભો રહી જાય છે. પ્રેમ અને ઈર્ષ્યા ભેગાં થઈ જાય ત્યારે સંબંધમાંથી ગતિ પગ કરી જાય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પણ આપણામાંથી બહુ ઓછા પ્રેમમાં આઝાદી મેળવી શકે છે. પ્રેમનું વહેતું પાણી તળાવની સ્થિરતાને પામ્યું નથી કે ઉપર ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્ – આ સાતમાંથી એક કે એકાધિકની લીલ બાઝવી શરૂ થઈ નથી. અને લીલ બાઝતાવેંત જ સગપણ લપસણું બનવા માંડે છે.

પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ શેક્સપિઅરના ‘ઑથેલો’માં તો ઈર્ષ્યા કદાચ મુખ્ય પાત્ર છે. ઇઆગો ઑથેલોને કહે છે: ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જેના પર નભે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ (અંક ૦૩, દૃશ્ય ૦૩) શેક્સપિઅરના નાટકો અને કવિતાઓ જ નહીં, દુનિયાભરના સર્વકાલીન સાહિત્ય-કળાઓમાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ? આપણા શાસ્ત્રોમાં જે ષડ્રિપુ કહેવાયા છે એમાં મત્સર યાને અદેખાઈ એક છે. ‘અન્ય કોઈની ઉત્કૃષ્ટતા જોઈને જન્મતી અસહિષ્ણુતાની સ્થિતિ’ને શંકરાચાર્ય ઈર્ષ્યા કહે છે. રામાયણ અને મહાભારતના મૂળ અનુક્રમે કૈકયી અને દુર્યોધનની અદેખાઈમાં રહેલાં છે.

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ અહીં પણ પોતાની પ્રેયસીને અન્ય પુરુષ સાથે પ્રેમાચારમાં લીન જોવા છતાં નાયિકા કોઈ પગલાં લઈ શકતી નથી. પોતાની પ્રેયસીને દેવસમ સંપૂર્ણ પુરુષની સન્નિકટ જોઈને એનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. એ સ્વીકારે છે કે છાતીના પિંજરામાં કબૂતર સમું એનું હૈયું સાચે જ ફફડી રહ્યું છે. એ એની સામે તાકીને જોઈ પણ શકતી નથી, કેમકે ક્ષણાર્ધભર પર જો એ પ્રિયા સામે જુએ છે, તો એના માટે કશું પણ બોલવું સંભવ રહેતું નથી.
જીભ જાણે કે ભાંગી જાય છે. તનબદનમાં આગ લાગે છે. આગ ઝીણી જ છે પણ ઘાસની ગંજીમાં જે ઝડપે ફેલાઈ વળે એ ત્વરાથી એની ત્વચા પર સમગ્રતયા ફરી વળે છે. માત્ર મનમાં જ નહીં, તન આખામાં અસહ્ય દાહ અનુભવાય છે. આંખો આગળ ઝાંખપ ફરી વળે છે. પ્રેમને તો આમેય અમસ્તો આંધળો કહ્યો નથી. ને એમાં અહીં તો ઈર્ષ્યા પણ ઉમેરાઈ છે. એટલે અપ્રિય કશું જોઈ શકવું સંભવ જ નથી. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।

ઈર્ષ્યા નામે મહારથી એક પછી એક ગઢ સર કરી રહ્યો છે. હૃદય કાબૂ બહાર થયું. વાચા હરાઈ ગઈ. તનમન સળગી રહ્યાં છે. આંખો જોતી બંધ થઈ ગઈ છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. કશું જ બાકી રહેતું નથી. પ્રેમ માણસને સાચે જ પરવશ કરી દે છે. પ્રેમ તમારી જિંદગીની બાગદૌર અન્યના હાથમાં સોંપી દે છે. તમામ ઇન્દ્રિયો લકવો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગઈ છે. શરીરે આગની લાહ્ય અનુભવાય છે પણ પરસેવો ઠંડો ફરી વળે છે. ગુણધર્મે સાવ વિપરીત હોવા છતાં આગ અને બરફ બંને જ દઝાડે છે. પણ એકીસાથે ઉભયની દાહકતાનો અનુભવ તો ઈર્ષ્યા નામે જાદુગર જ કરાવી શકે ને! પ્રેમની પરાધીનતામાં નાયિકા એ સ્થળે પહોંચી છે, જ્યાં અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી સ્વીકારી લેવી પડે છે. જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદી કહી ગયા એવું કાશ, આ નાયિકાને કોઈ ન કહે:

तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ એ દિલના હાથે મજબૂર છે. પ્રેમ નામના શખ્સે એને બેબસ બનાવી દીધી છે. એના ગાત્રો ગળી જાય છે. બીજું કશું કરવું શક્ય ન હોવાથી, પ્રણયલાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. ખરું જોઈએ તો કવયિત્રીનું ધ્યાન પ્રેયસી કે દેવપુરુષ તરફ નહીં, માત્ર પોતાની તરફ છે. જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને કાળજીપૂર્વક પૂરી સભાનતા સાથે એ સ્ટેપ-બાય-સ્ટેપ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

નાયિકાને લાગે છે કે લગભગ મરી જ ચૂકી છે. પોતાની પ્રેયસીનું પોતાની ઉપસ્થિતિમાં જ પોતાને અવગણીને અન્ય પુરુષ સાથે આમ મુખામુખ હોવું એક પ્રકારનું મોત જ ને? મૃતપ્રાય અવસ્થાની લાચારીમાં હવે શું કરવું? જવાબ આખરી કડીમાં છે. પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ કરવું જ જોઈએ કેમકે સર્વસ્વ ગુમાવી દીધા બાદ વધુ ગુમાવવા માટે કંઈ બચે છે ખરું? સાહસના ગજવામાં સંભાવનાનો સિક્કો પડ્યો હોય છે. સાહસ જ ન કરો તો એ સિક્કો ક્યાંથી હાથ લાગે? સહન કરી શકાય ત્યાં સુધી સહો, પણ સહન ન કરી શકાય અને સર્વસ્વ દાવ પર લાગ્યું હોય તો સાહસ કહો કે દુસ્સાહસ, કરવું જ જોઈએ. રૂમી કહે છે, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને આસપાસની દરેક વ્યક્તિ કબૂતર પેઠે ઊડી શકશે.’ ઈર્ષ્યાથી ભરેલો સંબંધ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. વાત તો સાચી પણ ઈર્ષ્યાથી પર અને પાર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?! કહો તો…