Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

ગ્લૉબલ કવિતા : ૨૩૫ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh


ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી જરા,
ને જીરવી લે દ્રાક્ષ પણ હિમપાતને વરસોવરસ;
હરિયાળી ફૂલે-ફાલે, ને પાકેય નિષ્ફળ જાય ના,
ક્યારેક પાસાં સૌ પડે પોબાર, છો ઊંચું હો લક્ષ.

ક્યારેક લોકો પાછી પાની પણ કરી દે યુદ્ધથી;
ઈમાનદારોને ચૂંટે, ને રાખે એ દરકાર કે
કોઈ અજાણ્યો પણ ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જન્મનો જે હેતુ હો એ સર કરે.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે ધાર્યું હો કરવા, એ પૂરું કરવા મળે;
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)


મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

કયા મા-બાપને પોતાનું બાળક પોતાના પેંગડામાં પગ નાંખે એ ન ગમે? સંતાનની પ્રગતિ તો સહુને ગમે, ખરું ને? સંતાન પોતાને ઓવરેટક કરી જાય તો મા-બાપની છાતી ફાટફાટ થાય. પણ આ જ વાત કળાના ક્ષેત્રમાં અલગ પરિણામ આણે છે. સર્જક જન્મદાતા હોવા છતાં ક્યારેક એને પોતાનું જ સંતાન- પોતાનું જ સર્જન પોતાને અતિક્રમી જાય એ ન ગમે એવું બનતું હોય છે. રચનાની આભા સામે સર્જક તો ઠીક, સર્જકનું અન્ય તમામ સર્જન સુદ્ધાં વામણું બનીને રહી જાય ત્યારે આવો અણગમો ખાસ જોવામાં આવે છે. જો કે સર્જન સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે એ કાળાતીત-અમર થઈ જાય છે. ચાલો, આજે આપણે આવી જ એક કવિતાની વાત કરીએ.

શીનાઘ પ્યુ. કવયિત્રી, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. ૨૦-૧૨-૧૯૫૦ના રોજ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે જન્મ. હાલ પતિ સાથે શેટલેન્ડ રહે છે. નિવૃત્તિ સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે,’ હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું.’ શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેના ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એમની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે, જરાક ઉત્ખનન કરતાં જ કંઈક અણધાર્યું જ હાથમાં આવી ચડે એવી. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ તેઓ એંગ્લો-વેલ્શ કવિ કહેવાય પણ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લેતી એમની રચનાઓને જોતાં એમને વિશ્વનાગરિક ગણવા વધુ ઉચિત કહેવાય.

પ્રસ્તુત કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. અસંખ્ય લોકો માટે આ કવિતા આશાનું કિરણ બની છે. ડગલે ને પગલે લોકોએ એને ટાંકી છે. શાળાઓના અભ્યાસક્રમ, પરીક્ષાઓ, શોકસભાઓમાં -આ કવિતા ક્યાં નથી વપરાઈ અને ક્યાં નથી વપરાઈ રહી એ સવાલ મોટો થઈ પડે એમ છે. ‘न भूतो न भविष्यति’ લોકપ્રિયતા પામેલી આ કવિતાને એના સર્જક જો કે બેહદ નફરત કરે છે. તેઓ બ્લૉગ પર લખે છે કે, ‘આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં.’ કવિતા નીચે નામ લખવાનું રહી જાય તો કવિ હોબાળો મચાવી દે એવા જમાનામાં શીનાઘ પોતાનું નામ આ કવિતા નીચે ન લખવા ભારપૂર્વક કહે છે. તેમના મતે આ તેમનું પ્રતિનિધિ કાવ્ય નથી. એ એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. લોકોએ કવિને ઝાટ્ક્યા પણ છે કે, ‘તમારે જ કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી તમારી પાસે. લખો એવી કવિતા જે આને ટપી જાય.’ – કહો તો, કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે? સાચે, લોકોથી મોટો વિવેચક કોઈ નથી. શીનાઘ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!!!

આ જ રીતે આર્થર કોનન ડોયલ શેરલોક હૉમ્સથી વાજ આવી ગયા હતા. એમને મન એમની ઐતિહાસિક નવલકથાઓનું સાહિત્યિક મૂલ્ય વધુ હતું. હૉમ્સની લોકપ્રિયતાથી હારી-કંટાળી-થાકીને લેખકે એક વાર્તામાં આખરે શેરલોકને મારી નાખ્યો. પણ વિરોધનો એવો તો પ્રચંડ જુવાળ ઊઠ્યો કે લેખકે મજબૂર થઈ એને પુનર્જીવિત કરવાની ફરજ પડી. અગાથા ક્રિસ્ટી પણ ‘હરક્યુલ પોઇરો’થી આવી જ રીતે હેરાન-પરેશાન હતાં, કેમકે પ્રકાશકો એ સિવાય કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત રહેતા. ફ્રાન્ઝ કાફ્કાને પણ સળગાવવાના રહી ગયેલ અધૂરાં લખાણ- ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. હવે સમજાયું ને કે શીનાઘને પણ આ રચના સાથે શા માટે લવ-હેટનો સંબંધ છે!

એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડીને કોકેનના વ્યસનથી મુક્તિ અપાવવાની આશાએ એમણે આ કવિતા લખી હતી, એટલે સ્વાભાવિકપણે તેઓ સર્જનકાળે પૂરતા ગંભીર નહોતાં. ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ આખરી બંધને બાદ કરતાં કવયિત્રીએ ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલ રશિયન અનુવાદ શીનાઘને પોતાની મૂળ રચના કરતાં વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અને અપૂર્ણાન્વય (enjambment) ને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

‘ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે આ વાત રોજમરોજની કે કાયમની નથી પણ કદીમદીની છે. કવિતા આમ તો વિધેયાત્મક્તા અને આશાની કવિતા છે, પણ એ ‘હંમેશા’ નહીં, ‘ક્યારેક’ જ પરિપૂર્ણતામાં પરિણમે છે. એટલે પહેલી નજરે હકારાત્મક લાગતી રચના આમ તો નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ ઇશારો કરે છે, પરંતુ લોકોને તો પહેલી નજરે દેખાતી ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત જ વધુ સ્પર્શી છે. જીવનમાં Roses roses all the way ભાગ્યે જ હોય છે, પણ ક્યારેક એવુંય બને કે ચીજો બદમાંથી બદતર નથી બનતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને હિમપાતનું જોખમ કવિતામાં સ્થાન મેળવે છે. કવિએ ગ્રેપ્સના બદલે મસ્કાડેલ શબ્દ પ્રયોજ્યો છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. બીજો અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ કરાયો છે, જોકે વિકીપીડિયાને એનો વિરોધ છે. કવિ કહે છે, ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને જીરવી જાય એવુંય બને. હવામાન સામેની લડાઈમાં ક્યારેક વરસોવરસ દ્રાક્ષ વિજયી નીવડે, ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે, પાક પણ નિષ્ફળ ન જાય, માણસ ઊંચુ નિશાન તાકે અને સફળ થાય. બધું થઈ શકે પણ ક્યારેક, કાયમ નહીં! જીવનમાં સૌ પાસાં પોબારા પડે એવુંય બને, પણ ‘ક્યારેક’, હં કે!

કવિનો આશાવાદ આટલેથી અટકતો નથી. વ્યક્તિગત સફળતાઓથી આગળ વધીને તેઓ સમાજ અને સમસ્ત દુનિયાને પણ સાંકળી લે છે. ઇતિહાસમાં કદાચ એકેય પાનું એવું નહીં હોય, જેના પર યુદ્ધના લોહિયાળ છાંટા ઊડ્યા ન હોય! પણ કવિને તો એવો દિવસ નજરે ચડે છે, જ્યારે માણસજાત યુદ્ધથી પાછી પાની કરે. ક્યારેક આમ થશે એવી કવિને આશા છે. ક્યારેક લોકો ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે એવીય આશા છે. વાસ્તવિક્તા તો એ છે કે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓમાં પ્રામાણિક માણસને શોધવો એ રાતના અંધારામાં ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર કે ખકુસુમવત્ કાર્ય છે. પણ શીનાઘને તો લોકો સામે ચાલીને પ્રામાણિક માણસોને મત આપીને ચૂંટી કાઢતા હોય એવું રામરાજ્ય દૃષ્ટિગોચર થાય છે. વળી કવિ આપણને એ યુટોપિયામાં લઈ જાય છે, જ્યાં લોકો કોઈ અજાણ્યો માણસ પણ ભૂલથીય ગરીબીમાં સબડે નહીં એની દરકાર કરતા હોય. સગાં ભાઈ-બહેન મિલકત માટે કાપાકાપી પર ઉતરી આવતા હોય એવા ઘોર કળિયુગમાં લોકો સાવ અજાણ્યા માણસો અજાણતાંય નિર્ધન ન રહી જાય એની કાળજી લેતાં હોય એવો સોનાનો સૂરજ કવિને ક્યારેક તો ક્યારેક પણ ઊગતો દેખાય છે. વળી, કવિનો આશાવાદ તો માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને ત્યાં સુધી લંબાય છે. આપણી ચોપાસ એવા સેંકડો માણસ નજરે ચડશે, જેઓ બનવા કંઈ માંગતા હોય અને બની કંઈ ગયા હોય. જિંદગી કોને કયા રસ્તે ઢસડી જશે એ કોઈ કહી શકતું નથી. પણ કવિ એ કલ્પદ્વીપ દેખી રહ્યાં છે, જ્યાં દરેક માણસ પોતાની મનોકામનાઓ પૂરી કરી પોતે જે બનવા સર્જાયા હોય, એ જ બને છે.

આગળની પંક્તિઓમાં પણ આ આઠ પંક્તિઓની પુનરોક્તિ જ સંભળાય છે. ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા અને બરફાચ્છાદિત કાયમી દુઃખના મેદાનને ક્યારેક સમયનો સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ હોય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ આ કવિતા ટાઇપ કરતી વખતે કવિથી ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. ટાઇપ કરી દેવાયા પછી કવિને મૂળ વિચાર કરતાં આ ભૂલ વધુ ગમી ગઈ એટલે એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર મારા કી-બૉર્ડને આ રીતે સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કવિતામાં જે સુખની વાતો કરાઈ છે એ હકીકતે કોની પર લગાડેલા ગોળ જેવી છે. વાસ્તવમાં તો જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ જ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની શક્યા નથી, મોટાભાગની કોશિશો વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને ધાર્યું થયું હોવાના સુખ-સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ અર્ધપંક્તિ કવિતાની સફળતાની ગુરુચાવી બની ગઈ. કવિ કહે છે, જીવનમાં જે બધી જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને ફળે! સામી વ્યક્તિ માટે મહત્તમ સુકામનાઓ વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે સફળતાપૂર્વક કંડારાઈ ગઈ.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહેશે. જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળેબેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

સર્જકની સર્જન પરની માલિકી આમેય અલ્પજીવી જ ગણાય. કેવળ સર્જનની પળે જ સર્જક સર્જનનો સ્વામી ગણાય. એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા નથી કે એ પરાયા થઈ ગયા નથી. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું ને! શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠાં પડી જાત છે અને આપણે આ કવિતાને આશ્લેષમાં લેવા દોડતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૨૩૩ : ચોરી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકી માંઈ જાગે રે…

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….

આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

– જીવણ સાહેબ


કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ…

પૂર્વજ વાંદરા રહ્યા એટલે ગુંલાટી મારવાનું આપણા લોહીમાંથી કદી ગયું જ નહીં. સીધા રસ્તે જવાનું કહેવામાં આવ્યું હોય અને આડો રસ્તો અજમાવી ન જુએ એ વળી મનુષ્ય કેવો! જે વસ્તુ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય એ કરવાનું મન પહેલું ન થાય તો જ નવાઈ. ખોટું કંઈ નથી. અવળચંડાઈ આપણી સહજ પ્રકૃતિ જ છે. પૂર્વજોમાંથી જ ઉતરી આવી છે. સીધાના બદલે ઊલટા હાથે કાન પકડવાનું જ આપણને સહુને કદાચ વધારે ફાવે છે. માનસશાસ્ત્રના અભ્યાસુઓ મનુષ્યોની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને ધાર્યું ન કરાવે તો જ નવાઈ, કવિતાની વાત કરીએ તો મનુષ્યની રગ-રગથી વાકિફ સમર્થ કવિઓ આ ગુણધર્મનો સદુપયોગ કરવાનું કદી ચૂક્યા નથી. આ પરિપ્રેક્ષ્યમાં દાસી જીવણની એક કવિતા જોઈએ.

દાસી જીવણ. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે ચમાર જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસ દિવાળીના દિવસે જન્મ અને ૧૮૨૫માં દિવાળીના દિવસે જ જીવતા સમાધિ લીધી. કબીરપંથમાંથી ઊતરી આવેલ રવિભાણ પરંપરાના સમર્થ સંતકવિઓમાં તેઓ એક. પોતાને રાધાનો અવતાર ગણી કૃષ્ણની ભક્તિ કરતા હોવાથી તેઓ જીવણદાસના બદલે દાસી જીવણ તરીકે પંકાયા. લોકો કહેતા: ‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર; દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.’ ચૌદ ભુવનના નાથના પટરાણી હોવાની રુએ તેઓ ખુદને શણગારોથી સજાવતા પણ. સત્તર ગુરુ બદલ્યા પછી ભીમસાહેબ, જેઓ ભાણના શિષ્ય ખીમ અને એમના શિષ્ય ત્રિકમના શિષ્ય હતા, સાથે ભેટો થયો અને મેળ પડ્યો. સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર ઉભય ભક્તિમાર્ગનો સમન્વય એમની રચનાઓમાંથી વહેતો અનુભવાય છે. એમની કૃતિઓ નારીહૃદયની સુકુમાર વેદના અને પ્રભુવિરહની પીડાની છોળ વડે આપણને ભીંજવે છે.

કાવ્યારંભે ‘ચોરી’ શીખવવાની વાત વાંચીને સ્વાભાવિકપણે જ આશ્ચર્યાઘાત અનુભવાય. પણ આ તો સમર્થ કવિની તરકીબ છે. કવિતા આમેય સામાન્ય જનમાનસનો કપ ઑફ ટી નથી. એટલે કવિતાનો ઉપાડ જો હૂક લગાવી બાંધી ન દે તો બનવાજોગ છે કે વાચક કવિતા કોરાણે મૂકી ચાલતો થાય. પ્રથમ પંક્તિ આકર્ષક હોય, ભાવકને આશ્ચર્યનો આંચકો આપવા સક્ષમ હોય અથવા વશીભૂત કરી શકે તો ભાવક અવશ્ય કુતૂહલવશ અટકી જશે. પછી કવિતા વાંચ્યે જ છૂટકો. પ્રસ્તુત રચના આનું ઉત્તમ દૃષ્ટાંત છે. કવિ કહે છે, ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી.’ ગુરુનું કામ તો જ્ઞાન આપવાનું, ભક્તિ-મોક્ષનો માર્ગ દેખાડવાનું, પણ અહીં તો કવિ કહે છે કે ગુરુએ મને ચોરી શીખવાડી. વળી, ગુરુ પણ સામાન્ય નથી, સદગુરુ છે. સદગુરુ તે વળી ચોરી શીખવાડે?ચોંકાવનારી પંક્તિથી કાવ્યનો ઊઠાવ થાય છે. હવે તો આખી કવિતા વાંચ્યે જ છૂટકો. સદગુરુ કયા પ્રકારની ચોરી કરતા શીખવાડવાના છે એ સમજીએ. બીજી પંક્તિમાં ઘટસ્ફોટ થાય છે. ગુરુજીએ ચોરી કરવા માટે ગણેશિયો ઘડાવ્યો છે. ગણેશિયો એટલે ઘરફોડ ચોરી કરવા માટે વપરાતું સાધન. પણ આ ગણેશિયો જ્ઞાનનો છે. મતલબ, આ કાયારૂપી ઘર, જેમાં આપણો આત્મા કેદ છે એમાં જ્ઞાન વડે ખાતર પાડવાનું છે અને આધ્યાત્મિક ઉન્નતિનું રહસ્ય પામવાનું છે. વાહ ગુરુજી! ઉમદા ચૌર્યકર્મ શીખવવાના આપ તો…

કવિતાના ધોરીમાર્ગે ચાલી નીકળતાં પહેલાં થોડું આડવાટે ફરી લઈએ. હિન્દુ તત્વજ્ઞાન અનુસાર મનુષ્યદેહ કેવળ અસ્થિ-મજ્જાનો બનેલ એક પિંડ નથી. આપણા આત્મિક દેહમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેમાં પ્રાણશક્તિનો પ્રવાહ વહે છે. આ બોત્તેર હજાર નાડીઓ, છ ચક્ર અને નવ દ્વાર મળીને એક ઘર –કાયા- બને છે. સપ્તધાતુપૂરિત આ નગરીને ‘પુરી’ પણ કહે છે. ૭૨,૦૦૦ નાડીઓમાં ચૌદ વધુ અગત્યની અને એમાંય ત્રણ સવિશેષ –ઈડા, પિંગલા અને સુષુમ્ણા. યોગ કુણ્ડલ્યુપનિષદ મુજબ ડાબી બાજુએ સ્થિત ઈડા યાને ચંદ્રનાડી ભૂતકાળ અને ભાવાવસ્થા સાથે સંકળાયેલ છે, જ્યારે જમણી નાડી પિંગલા યાને સૂર્યનાડી આપણી કાર્યશીલતા અને ભવિષ્ય સાથે સંલગ્ન હોવાનું મનાય છે. આ બેની મધ્યમાં સુષુમ્ણા નાડી છે, જે બધામાં શ્રેષ્ઠ મનાય છે. શ્વાસ ડાબે-જમણે જવાના બદલે એકસમાન ચાલે એ નાડી તે સુષુમ્ણા. તેનો પ્રવાહ કરોડરજ્જુના નીચલા છેડે (વિષુવ અને કુલાધ સહિત)થી આરંભાઈ આજ્ઞાચક્ર(ભ્રૂકુટિમધ્ય) પર્યંતનો છે. તે શરીરના સાતેય મૂળ ચક્ર – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર- સહિત કુલ્લે પચ્ચીસ ચક્રોને જોડે છે. યોગદર્શનાનુસાર આપણી માનસિક શક્તિનો દશમો ભાગ જ વપરાય છે. બાકીની શક્તિ સુષુપ્તાવસ્થામાં રહે છે. જ્યારે દેહની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે. આમ થાય ત્યારે અલખના ધામભેગા થવાય. (સુરત નુરત ને ઈડા પિંગલા સુષુમણા ગંગ સ્નાન કીજે. – ધીરો)

કવિ કહે છે, પવનરૂપી ઘોડા પર સવાર થઈને ગુરુએ શીખવાડેલ ચોરી કરવા જવાનું છે. પવન એટલે પ્રાણ એ તો સમજાય પણ ઊલટી ચાલે ચલાવવાની સલાહ કેમ ભલા? પ્રાણરૂપી અશ્વ પર સવાર થઈ એને અવળચાલે ચલાવવાનો છે અને ગંગા-જમુનાના ઘાટ ઉલ્લંઘીને અલખના ઘરે પહોંચવાનું છે. ઘોડાની ઊલટી ચાલ વિશે વિચારતાં પહેલાં તો સહજ સમજાય કે અધ્યાત્મની ભાષામાં સામાન્ય મનુષ્યની ગતિ અધોગામી હોય છે, જ્યારે ઈશ્વરપ્રાપ્રિ માટે મનુષ્યે ઉર્ધ્વગામી ગતિ કરવી પડે, એના તરફ આ ઈશારો હશે. પણ જીવણદાસ કબીરપંથી હતા. કબીર કહી ગયા: उलटी गंगा जमुन मिलावउ। बिनु जल संगम मन महि न्हावउ॥‘ હઠયોગમાં ઈડા નાડીને ગંગા અને પિંગળાને યમુના તરીકે ઓળખાવાઈ છે. ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવવને ઊલટી-ગંગા કહેવાય છે. ઊલટી-ગંગાનું તાત્પર્ય એ છે કે સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી. આમ તો યમુના ગંગામાં મળે છે, પરંતુ સંતોના કહેવા મુજબ જેઓ ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવે છે તેઓ (મોહ)જલ વગરના ત્રિવેણી-સંગમમાં સ્નાન કરે છે. રૈદાસ પણ આ મતલબનું કહી ગયા: ‘ઊલટી ગંગા જમુના મૈં લાવૌં, બિન હી જલ મજ્જન હૌં પાવૌં.’ સાધનાના મૂળમાં જે નીચે છે, જે અધોમુખ છે, તેને ઊર્ધ્વમુખ કરીને ઉપર લઈ જવાનું પ્રયોજન હોય છે. ઈડા-પિંગળાના માધ્યમથી બહારની તરફ પ્રવાહિત થતી શ્વાસધારાને પ્રાણાયમ વડે ઉલટાવીને બ્રહ્માંડમાં ચડાવવામાં આવે છે, જેના કારણે સમાધિ લાગે છે. સમાધિઅવસ્થામાં શ્વાસ ઈડા- પિંગળાના સ્થાને તેમની મધ્યમાં આવેલી સુષુમણા નાડીમાં પ્રવાહિત થાય છે. ઈડા, પિંગળા અને સુષુમણા એકાકાર થાય છે, જેને ‘અવધૂતી સ્થિતિ’ કહે છે. ઈડા, પિંગળા અને સુષુમણા (અર્થાત્ ગંગા, યમુના અને સરસ્વતી)ના એકીકરણને ત્રિવેણીસંગમ પણ કહે છે. સંતો આ નિર્જળત્રિવેણીમાં જ સ્નાન કરવાનું કહે છે.

બે પંક્તિમાં કેવી અદભુત વાત કવિ કરી ગયા! બે જ પંક્તિમાં પ્રાણશક્તિની મદદથી કુંડલિની શક્તિ જાગૃત કરી આત્માની ઉન્નતિ કરી પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચવાનો માર્ગ સૂચવી દીધો. છે ને ગાગરમાં સાગર! એ જમાનામાં પદ્ધતિસરનું શિક્ષણ તો કંઈ હતું નહીં. અને એમાંય પશુઓનાં ચામડાં ઉતારનાર ચમારના ઘરે જન્મ લેનારના ભણતર વિશે તો સમજી જ શકાય છે, જીવન જ એમનો સાચો શિક્ષક હશે. ગુરુઓની સંગતિમાં રહીને જમાનાની નાડપરખમાં પીએચડીનેય આંટી જાય એવું ભક્તિજ્ઞાન પ્રાપ્ત કરનાર આવા સંતકવિઓનો ભારતવર્ષમાં કદી તોટો પડ્યો નથી. અદભુત ગુરુશિષ્ય પરંપરાના પરિપાકરૂપે સદીઓ સુધી થતી રહેલ જ્ઞાનવર્ષામાંથી આપણે આવી બે-ચાર બુંદ સાચવી-સમજી શકીએ તોય ઘણું.

અલખનું ઘર કેવું છે? સુષુમ્ણા જાગૃત થતાં એકસમાન શ્વાસની ધમણ ચાલી રહી છે અને પ્રાણશક્તિનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં ઠેરઠેર જ્ઞાનની વીજળી અને આતમજ્યોતનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. અનહદ નોબત વાગી રહી છે. અનહદ નાદ એ આપણી ભીતરનો અવાજ છે. યોગી દુનિયાના અવાજોને પાછળ મૂકી પોતાની ભીતર ઉતરે છે. જેમ જેમ વધુને વધુ ઉંડે પહોંચાય તેમ તેમ બહારના અવાજો કપાતા જાય છે અને ભીતર નિરંતર ચાલ્યે રાખતો અનહદ નાદ સ્પષ્ટ થતો જાય છે. દયારામે કહ્યું હતું: ‘અજપા જપો અનહદ સુણો, પોપલાં સઘળાં વ્યર્થ.’ શાસ્ત્રોમાં દસ પ્રકારના નાદ વર્ણવાયા છે: ચિણિ, ચિંચિણી, ઘંટનાદ, શંખ, તંત્રા, તાલનાદ, વેણુ, મૃદંગ, ભેરીનાદ. આવા દસ પ્રકારે શબ્દના નાદ સાંભળવા યોગીઓ પરમાત્માને પણ ભૂલી જાય છે, પરંતુ નાદ તો કેવળ એક શ્રવણાવસ્થા જ છે. ખરી આધ્યાત્મિક યાત્રા તો ત્યાંથી પ્રારંભાય છે. આમ નોબત એટલે નગારું પણ સંતો જે નોબતની વાત કરે છે એ પાંચ નોબત અથવા પાંચ શબ્દોની વાત છે. ખ્વાજા હાફિઝ કહી ગયા:

खामोश ओ पंज नौबत बिशनौ जि आसमाने,
क-आं आसमां बैरुं जां हफ़्त ई शश आमद|
(પાંચ નોબત સાંભળ, એ આકાશમાંથી, જે છ દિશાઓ અને સાતમા આકાશથી ઉપર છે)

આવી જ વાત રૂમીએ પણ કરી હતી: ‘ब-हफ़तम चरख़ नौबत पंज याबी, चूं ख़ैमा जि शश जिहत बरकंदा बाशी।’ (આ પાંચેય નોબત સાતમા આસમાને પહોંચીએ ત્યારે સંભળાશે. જ્યારે આપણે છ દિશાઓના તંબૂ ઉપાડી ત્યાં લઈ જઈશું.) કબીર કહી ગયા: ‘पंचे सबद अनाहद बाजे, संगे सारिंगपानी॥ कबीर दास तेरी आरती कीनी, निरंकार निरबानी॥’ (પ્રભુના સાક્ષાત્કારથી પાંચેય શબ્દો તથા અનહદ નાદ ગૂંજી રહ્યા છે. દાસ કબીર આમ તારી આરતી કરે છે, હે નિરાકાર!) ગુરુગ્રંથદર્પણમાં પણ ‘पंचे सबदपंज ही नाद; पंज किसमां दे साज़ां दी आवाज़’ (પંચ શબ્દ, પાંચ જ નાદ, પાંચ પ્રકારના યંત્રોનો અવાજ)ની વાત કરવામાં આવી છે. દાદૂ દયાલ પણ ‘પંચૌ કા રસ નાદ હૈ’ એમ કહી ગયા છે. અનહદ અને નોબતમાં વધુ ઊંડે ઉતરવાના બદલે આપણે એટલું સમજીએ કે સદગુરુ પ્રાણના અશ્વને ઊલટી ચાલે ચલાવડાવી આપણને અલખના ધામ સુધી પહોંચાડે છે, જ્યાં પ્રાણશક્તિના પ્રકાશ રેલાઈ રહ્યો છે અને અનહદ નાદ ગૂંજી રહ્યા છે. ચૈતન્ય સાથેનો આ સાધકનો પ્રથમ સાક્ષાત્કાર છે. चित्शक्ति विलास થાય છે. ચિદાકાશમાં સદૈવ જાગૃત ચૈતન્યનો પ્રકાશ પથરાય છે.

મરમી ગુરુએ શિષ્યને જ્યાં લાવી આણ્યો છે એ ઈશ્વરને ધામ પહોંચવા માટેની શેરી વસમા માર્ગવાળી અને સાંકડી છે. ઈશ્વરપ્રાપ્તિનો પંથ તો વિકટ અને વસમો જ હોવાનો. સાંકડી શેરી એટલે આપણું સંકુચિત મન. સત્વ, રજસ્ અને તમસ્ – આ ત્રિગુણથી નિર્મિત ચિત્ત ચંચળ પદાર્થ છે. સદગુરુ ચિત્તની પાંચ ગલીઓ- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-માં હાથ ઝાલીને મુસાફરી કરાવે છે. આ તમામ ચિત્તવૃતિઓ સાંકડી જ છે. ચિત્તવૃત્તિ શૂન્ય બને ત્યારે જ સહજ સમાધિ લાગે છે. શૂન્યાવસ્થામાં તમામ સંકડાશ અને દુર્ગમતાનો લોપ થાય છે. બ્રહ્માંડ સાથે પ્રાણ એકાકાર થાય છે. ચિતિશક્તિ મહામાયાનો સંબંધ સોળ નિત્ય કળાઓ સાથે છે. આ કળાઓનો સંબંધ મંત્ર સાથે, મંત્રનો સુષુમ્ણા સાથે, સુષુમ્ણાનો માતૃકાઓ સાથે છે. આમ, સુષુમ્ણા-ઇડા-પિંગલા સાથે સંબંધિત 14 મુખ્ય અને 72 હજાર અન્ય નાડીઓ થકી સૂર્ય-અગ્નિ-ચંદ્ર ગ્રંથિઓ અને સાત ચક્રો ભેદી નૃસ્વરૂપ પિંડ સાથે અને બ્રહ્માંડ સાથે સંસિદ્ધ થાય છે. કવિ કહે છે કે આટલું ઉપર પહોંચવા માટે નામસ્મરણ જ એકમાત્ર નિસરણી છે. એના સહારે જ સાધનાના સોપાનો ક્રમશઃ સર કરીને પરમેશ્વરના મહેલ સુધી પહોંચી શકાય છે.

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે, પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે…. પ્રભુધામ સુધી પહોંચી ગયા. હવે અંદર પ્રવેશ કેમ કરવો એની કૂંચી કવિ આપણને હાથ આપે છે. મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને ઘણી વાતો કરે છે, એમાંની એક શીલ વિષયક છે. બૃહસ્પતિએ રાજ્યભ્રષ્ટ ઈંદ્રને કરેલ આત્મજ્ઞાનના ઉપદેશથી સંતોષ ન થતાં એમણે એને શુક્રાચાર્ય પાસે મોકલ્યો. શુક્રાચાર્યથી પણ સંતુષ્ટ ન થયેલ ઈંદ્રને તેઓએ પ્રહ્લાદ પાસે મોકલ્યો. બ્રાહ્મણવેશે પ્રહ્લાદની લાંબી સેવાચાકરીના અંતે પ્રહ્લાદ એને જ્ઞાન આપે છે કે ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની એકમાત્ર ગુરુચાવી શીલ એટલે કે સત્ય અને ધરમાચરણ છે. વરદાનમાં ઈંદ્રે શીલ જ માંગી લેતાં શીલની સાથોસાથ ધર્મ, સત્ય, વ્રત અને શ્રી –આ તમામ ઈંદ્રને પ્રાપ્ત થયા. આ છે શીલ યાને સદાચાર કે સદ્ચરિત્રનો ખરો મહિમા. બીજી કૂંચી છે સંતોષ. જે મળે એમાં સંતૃપ્તિ અનુભવે એ જ આધ્યાત્મના માર્ગે ઉન્નતિ કામી-પામી શકે. ભગ્વદ્ગીતાના પંદરમા અધ્યાયના પ્રથમ પાંચ શ્લોકમાં જગતને ઉર્ધ્વમૂલ અને અધોશાખાવાળા અશ્વત્થ વૃક્ષનું રૂપક આપતાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે એનાં મૂળ સર્વશ્રેષ્ઠ પરમાત્મામાં છે અને શાખાઓ નીચે સંસારરૂપે છે. અનાસક્તિરૂપી મજબૂત શસ્ત્રથી એનું છેદન કરી આદ્ય પુરુષના શરણે જવામાં જ ખરું શાણપણ છે.

निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्।।૧૫.૫।।

(જેઓ માન અને મોહરહિત થઈ ગયા છે, જેમણે આસક્તિથી થનાર દોષોને જીતી લીધા છે…. …એવા મોહરહિત જ્ઞાનીજન જ એ પરમપદ (પરમાત્મા)ને પ્રાપ્ત કરી શકે છે.) સંતકવિએ ચોરીની વાત માંડી છે એટલે એ ઈશ્વરના મહેલમાં શીલ અને સંતોષના ખાતર દેવાનું કહે છે. શીલ અને સંતોષના બાકોરાંમાં થઈને જ આ ઘર ફોડી શકાય. જો કે આટલી તૈયારી પણ કંઈ પૂરતી નથી. પ્રેમ નીતરતાં હૈયે પ્રવેશ કરવાનો છે. અને આ પ્રેમ એટલે જેને આપણે બુદ્ધની કરુણા કહીએ છીએ એ. વયષ્ટિ નહીં, સમષ્ટિ માટેની પ્રેમદૃષ્ટિ. પ્રેમલક્ષણા ભક્તિનું પ્રમુખ ઘટકતત્ત્વ. આટલી તૈયારી સાથે ઘરમાં પ્રવેશીશું તો પેસતાંવેંત જ કથીરને કંચન બનાવનાર પારસમણિ હાથ લાગશે. એને ત્યાં બધું તમારા સ્વાગત માટે ખુલ્લું જ પડ્યું છે. ઘરમાં કોઈ તિજોરી-તાળાં નથી. એકવાર ઘરમાં ઘુસ્યા નથી કે તમામ ખજાનો તમારો. ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. મોક્ષ લાધશે.

પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે ગુરુ સંત ભીમદાસની રાહબરીમાં કરવામાં આવેલ ચોરીમાં આ વખતે સાધક કશું ઓછું-અધૂરું નહીં, પણ પૂરેપૂરું પ્રાપ્ત કરે છે. આ વખતે સાધકનો ફેરો ફોગટ ગયો નથી. અધ્યાત્મનો આખેઆખો ખજાનો હાથ લાગે છે. અગમનિગમના તમામ રહસ્યોનો પર્દાફાશ થઈ ગયો છે. ચૈતન્યની ઉચ્ચતમ અવસ્થાએ, સાક્ષાત્કારની લગોલગ પહોંચી શકાય છે. પણ આ બધું કેવળ ગુરુચરણમાં પૂર્ણતયા સમર્પિત થવા માત્રથી, ગુરુ ઉપરના અહર્નિશ વિશ્વાસમાત્રથી થઈ શક્યું છે. કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ… બે-બે પંક્તિના કાંઠાઓ વચ્ચે સંતકવિએ કેવળ નદી નહીં, જ્ઞાનના આખાને આખા મહાસાગર સમાવી લીધા છે એ સમજાય તો આપોઆપ નતમસ્તક થઈ જવાય એવી આ રચના છે.

ગ્લૉબલ કવિતા : ૨૩૧ : રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

ચિતના ચંદરવે સીવેલ ઋતુઓનું રંગધનુ…

કાચના પ્રિઝમમાં સફેદ પ્રકાશ એક તરફથી દાખલ થતાં બીજી તરફ સાત રંગ –જાનીવાલીપીનારા- છૂટાં પડતાં દેખાય એ પ્રયોગ આપણામાંથી મોટાભાગનાંઓએ શાળામાં કર્યો જ હશે. અજવાળાંના રંગની આ કહાની છે. રાતના કાળા રંગની કહાની વળી એનાથી સાવ વિપરિત. બ્લૉટિંગ પેપર જેવું અંધારું સાતેય રંગોને વાદળી પાણી ચૂસી લે એમ ગાયબ કરી દે છે. રંગ એટલે દૃશ્યમાન પ્રકાશની નિયત તરંગલંબાઈ. અલગ-અલગ તરંગલંબાઈ મતલબ અલગ-અલગ રંગ. સફેદ અને કાળા રંગ પાસે કોઈ નિયત તરંગલંબાઈ જ ન હોવાથી એમનું રંગ તરીકે વર્ગીકરણ થતું નથી. પણ છોડો એ વાત. તમને થશે કે કવિતાના ક્લાસમાં વળી રંગ અને ભૌતિકવિજ્ઞાન ક્યાંથી આવી ચડ્યાં? તો એનું કારણ પ્રદ્યુમ્ન તન્નાની આજની કવિતા છે, જેમાં કવિ ચિત્તના ચંદરવા ઉપર સરી જતી ઋતુઓના રંગોને સ્મૃતિની સોય વડે સીવવા બેઠા છે. ચાલો, વિશ્લેષણના પ્રિઝમમાંથી કાવ્યકિરણ પસાર કરતાં સર્જાતું ઋતુઓનું આ રંગધનુ આપણે નિહાળીએ…

‘રત્ય’ એટલે ઋતુ ગણવી કે રાત એ સવાલ કાવ્યારંભે જ જન્મે છે. સૌરાષ્ટ્રી બોલી તથા શબ્દકોશ મુજબ તો રત્ય એટલે ઋતુ, પણ કવિતામાં આવતા સંકેત રાતને અર્થ તરીકે સ્વીકારવા પ્રેરે છે. ઋતુ હોય તો વીતે, રાત સરે. રંગોની ઓસરતી છોળ, ચિતનો ચંદરવો, ઊજાગરો વગેરે રાતના સંદર્ભ યાદ અપાવે છે, પણ દા’ડી ને રેણના અલગ ઉલ્લેખ હોઈ રત્ય એટલે ઋતુ જ માની લેવાનું મન પણ થાય. અન્ય એક કવિતા ‘દોહ્યલી રત્ય’માં કવિ લખે છે:

ઝીણાં મોટાં કોડી કાજ આડે સઈ! દંન તો લઈએ ગાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!

અહીં તો પરણ્યો પડખે ન હોય તો દિવસ તો પસાર કરી લેવાય પણ રૂપાળી રાત મુશ્કેલ થઈ પડે છે, એ જોતાં રત્યનો અર્થ રાત જ સ્પષ્ટ થાય. જો કે લોકબોલીમાં રત્યના સંદર્ભ ઋતુ તરીકે જ પ્રાપ્ત થાય છે:

૧. શ્રાવણ આયો હે સખી! ઝાડવે નીર ઝરંત;
અણ રત્ય મહિયર મોકલે, મારો કઠણ હૈયારો કંથ.

૨. અસીં ગિરિવર જા મોરલા, કંકણ ચુણ પેટ ભરોં,
રત્ય આવઈ ન બોલજેં, ત હૈયા ફાટ મરોં

કવિને મન શું અભિપ્રેત હોય એ તો કવિ જ જાણે. રાત કહીએ તો સમયપટ ટૂંકો થઈ જાય પણ ઋતુ કહીએ તો સમયખંડ વિસ્તરી જાય એટલે આપણે રાત મનમાં રાખીને વિસ્તૃત અર્થ ઋતુ ગણીને આગળ વધીએ. શીર્ષક પરથી કાવ્યબાની પણ તળપદી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ બાનીના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં તળપદી ભાષા જે રસાળતાથી પ્રદ્યુમ્ન તન્નાની કવિતાઓમાં ઊતરી આવી છે એવું વાગેશ્વરીનું વરદાન તો ગુજરાતમાં વસતા ઘણા દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. પ્રદ્યુમ્ન તન્નાનું ગુજરાતી કોઈપણ નિવાસી-ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે. ‘રત્ય’ કાવ્યમાં ગીતનું પરંપરાગત સ્વરૂપ કવિએ અપનાવ્યું છે. મુખડું દોઢવેલી પંક્તિઓનું અને ચાર પંક્તિઓ તથા બેકી કડીઓમાં ચુસ્ત પ્રાસ મેળવી પૂરકપંક્તિ (ક્રોસલાઇન)ના તંતુ ધ્રુવપંક્તિ સાથે બાંધી આપતા ત્રણ બંધ. ષટકલનો મજબૂત લય ગીતને અનવરુદ્ધ ગતિ બક્ષે છે. અર્થ અને શબ્દની પરવા કર્યા વિના ગીત ખુલ્લા અવાજે બે’કવાર લલકારીએ તો શબ્દાર્થની પળોજણમાં પડતાં પહેલાં જ હૈયું છાકમછોળ તરબોળ થયા વિના ન રહે એની ગેરંટી. જેટલીવાર વાંચો એટલીવાર કવિતા મનોમસ્તિષ્કનો વધુને વધુ કબજો કરતી પ્રતીત થશે.

‘ક’કાર, ‘ર’કાર અને ચિતના ચંદરવાના ‘ચ’કારની વર્ણસગાઈ સાથે ઊઘડતું ગીત પ્રારંભે જ હૂક લગાવી ભાવકને બાંધી લે છે. સામું કોઈક રૂડી ઋતુના સરી ગયા હોવા વિશે કંઈક બોલ્યું હશે, જેના જવાબમાં સવાલથી કાવ્યનો ઊઘાડ થાય છે. કોણ કહે છે કે રૂપાળી ઋતુ સરી ગઈ? સામાની ઉક્તિનો વિરોધ તો છે પણ મીઠો. પ્રદ્યુમ્ન આમેય વહાલા વિરોધના કવિ છે. અનેક દાખલા જડી આવે, પણ ‘હિસાબ’ નામક એક વ્રજગીતમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા’ કહીને ગોપી જે પ્રેમાળ ચાલાકીભરી ફરિયાદ વિરોધસહ નોંધાવે છે એ ચૂકવા જેવું નથી. ‘વેશ,’ ‘શેણે,’ ‘વડચડ’ વગેરેમાં પણ કવિની આ રીતિ દૃષ્ટિગોચર થાય છે. સૃષ્ટિની રેતશીશીમાંથી ઋતુઓ સરતી રહે છે, પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી, કારણ ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ પહેલાં જ કવિએ ચિત્તના ચંદરવામાં એને ભરી-સંઘરી લીધી છે. ‘અમે’ માટે જેમ ‘અમીં,’ એમ ‘પહેલાં’ માટે કવિએ જે ‘મોર્ય’ શબ્દ લોકબોલીમાંથી સેરવી આણ્યો છે, એ મન મોહી લે એવો મધમીઠો છે. છોળ્ય સાથે મોર્યનો આંતર્પ્રાસ પણ ગીતના ઉઠાવને વધુ રણઝણતો કરે છે. ચંદરવો એટલે માંડવા ઉપર બાંધવાનું ભરત ભરેલું લૂગડું. ભાત-ભાતના રંગોના ટુકડાઓને એક કાપડ પર સીવી લેવાથી જે કેલિડોસ્કૉપ સર્જાય એ ચંદરવો. કવિએ પોતાના ભાતીગળ ચિત્તના ચંદરવા ઉપર સૃષ્ટિના રંગોના સ્મરણોના ટુકડાઓ ટાંકી લીધા છે. કઈ રીતે ટાંક્યા છે એની વાત લઈ ગીત આગળ સરકે છે.

આપણે ત્યાં માથેરાન એની લાલ માટીના કારણે અન્ય તમામ ગિરિમથકોથી નોખું પડી જાય છે. પણ કવિ અહીં મધુવનની મજીઠી લાલ માટીની વાત કરે છે. આગળ ચિત્તના ચંદરવાની વાત આવી હતી એના પરથી સમજાય છે કે લાલ માટીવાળું મધુવન એ હૈયાની વાત છે. મજીઠ જેમાંથી નૈસર્ગિક લાલ રંગ મેળવાય એવી એક વનસ્પતિનું મૂળિયું છે. મજીઠિયો લાલ રંગ દાસી જીવણની યાદ અપાવે:

‘ચોળ મજીઠી ચૂંદડી, માંઈ કસુંબી રંગ; અળગા રઈ વાતું કરો, અભડાશે માંઈલા અંગ રે.’

મીરાંબાઈ પણ કેમ વિસરાય?: ‘ફાટે પણ ફીટે નહીં, લાગ્યો મજીઠી રંગ’

દિલની રાતી જમીન પર ઉમંગથી જાતજાતની ભાત કવિએ આળેખી છે. સાંઈકવિ મકરંદ દવે આ માટે આમ લખે છે: “ચિત્તનું એક જ પોત અને તેના પર અનેકરંગી ઋતુ-ઋતુની આળખેલી ભાત. ‘ચિત્ત-ચૈતન્ય વિલાસ તદરૂપ.’ અહીં મધુવનનો મોરલો અને પેલો ‘એ રસનો સ્વાદ જાણનારો જોગી’ શુક જે વાતો કરે છે એને ધરાઈને સાંભળીએ તો જીવનમાં રંગ રહી જાય.” ચારે તરફ કેવડાની મહેંક મહેંક થતી કુંજ છે અને એની વચ્ચે મોર અને પોપટ વાતે ચડ્યા હોય એમ ટહુકાઓની રસલ્હાણ કરે છે. ચિત્તના મૂળે મજીઠી રંગના કપડાંને ચંદરવાકરાર કરવા કવિ એમાં શું શું ગૂંથે છે એ જોવાની મજા છે. ‘એ જી’ના હલકારે ભાવકને એકતાંતણે લયના હિલ્લોળે હિંચકાવતા કવિ એક એક દોરામાં ઉલ્લાસ અને ગૂંજી રહેલ ગીતોની કડીઓ પરોવવાની વાત કરે છે. દોરો અને પરોવવાની વાત પર ગૌરાંગ ઠાકરનો એક શેર અચૂક યાદ આવે:

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.

ચિતના ચંદરવામાં તો વળી આભલાંય ટાંક્યા છે. પણ આ આભલાં કંઈ જેવાંતેવાં નથી. આ આભલાંમાં કવિએ આકાશ ટાંક્યું છે. અને આકાશમાં દિવસ-રાત ટાંક્યાં છે. કપડાં પર આભલાં કે સિતારા ટાંકીએ ત્યાં આમ તો વાત પૂરી થઈ જાય પણ કવિ એનું જ નામ જે દુનિયા અટકી જાય ત્યાંથી આગળ વધે. આભલું એટલે આમ તો નાનકડો અરીસો અથવા ધાતુમાંથી બનાવેલ ગોળ ટીપકી, જે પહેરેલ કપડાં કે ચંદરવામાં રંગરંગીન કપડાંની વચ્ચે અનેકાનેક પ્રતિબિંબો સર્જીને પોશાકને હોય એથીય અદકેરો મનમોહક બનાવે. આભલું ટંકાઈ જાય એટલે દરજીનું કામ પૂરું. આભલાંનો એક અર્થ તે આકાશ પણ ખરો જ તે. પણ કવિ તો આભલું ટાંકી દીધા પછી એમાં આકાશ અને આકાશ ટાંકી દીધા પછી એમાં રાત-દિ પણ ટાંકે છે. દિવસોની અંદર કવિ અજવાળાં ભરે છે અને રાતમાં ચાંદનીનાં મદભર્યાં ઘેન. આંખે ઘેન ભરાય એટલે ઊંઘ આવવા માંડે. પણ કંઈક અદકેરું ન કરે તે વળી કવિ શેના? એ ઘેનની અંદર ઉજાગરો ઘોળે છે અને તેય વળી ગમતીલો. કવિના કલ્પનોની ગાડીમાં જો કે બ્રેક જ નથી. આભલાંમાં આકાશ, એમાં રાત-દિ, એમાં અજવાળાં-ચાંદની, એમાં ઉજાગરા અને છેવટે ઉજાગરામાં ગુલાલની ઝડી કવિ ભરે છે. લ્યો! કરો ગમતાંનો ગુલાલ હવે.. આમ ટાંકણમાં ટાંકણ, એની અંદર ટાંકણ એમ કેટલીયે પરત કવિ ઊભી કરે છે! દેખીતી ભાત તો ઝીણી થતી જાય છે પણ આકાશ અને રાત-દિવસના ઉલ્લેખ એને અસીમકરાર આપે છે. કવિતાનો ચંદરવોય આવો જ નહીં?! એક પડળમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું અને ચોથામાં વળી… અનંત સંભાવનાઓ… એ જ તો છે કવિતા!

જુઓ, ‘ઝબુકિયાં’ ગીતનો ચંદરવો:

રાત જાણે ગેબી ચંદરવાની ભાત
કે ભાત કરે ઝબુકિયાં!
ભાત મહીં ઠેર ઠેર આભલાંનાં ઢેર
કે ઢેર કરે અનગળ ઝબુકિયાં!

રાત-દિવસ અને ઉજાગરા-ઘેનની વાતે ‘વૈશાખી રેણ’ની બે’ક કડી પણ અત્રે સ્મરવા જેવી:

દા’ડો તો જાણે નેણ રાતાં ઉજાગરે
ને રાતલડી જાણે આંખ્ય ઢળી મીઠે ઘેન!

ચિત્તના ચંદરવે પ્રકૃતિ કે સમાજ પાસેથી ઝીણું-મોટું જે કંઈ મળે એને માણીને-સ્વીકારીને ભીતરમાં ભરી લેવાનું છે. કવિ થવાની આ પહેલી શરત છે. વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનો સંસ્પર્શ અહીં અનુભવાશે: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) કવિ પણ ઓસરતી રાતે સર્જેલી અનુભૂતિઓના નાના-મોટા તમામ આયામ પૂર્ણતયા માણી-પ્રમાણીને ચિત્તમાં સંઘરી લેવા કહે છે. કલાપીએ કહ્યું’તું એમ, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.’ હૈયાના ચંદરવાનું પોત તો પાટણના પટોળાથીય વધીને છે, નથી એ ફાટનાર કે નથી કદી ફીટનાર. એવું ને એવું એ જળવાઈ રહેનાર છે. એમાં જરા સરખોય ઘટાડો કદી પણ થનાર નથી. આ જ અનુભૂતિનો ઊભરો ક્યારેક કવિતા બનીને કાગળ પર રેલાશે ને!

દિવસ પછી રાત અને રાત પછી દિવસના સમયચક્ર પર સવાર થઈ અનવરત ચાલ્યે રાખતા ઋતુચક્રના રંગો સ્મૃતિપટ પર એક પછી એક અંકાયે રાખે છે. ઇન્દ્રિયો ખુલ્લી રાખીને આપણી આસપાસ રમણા કરતી પ્રકૃતિનું આકંઠ પાન કરવાનું રાખીએ તો આ એક એવો ખજાનો છે, જે કદી ખૂટનાર નથી. મરઘી પહેલી કે ઈંડું પહેલુંની પળોજણમાં રત રહી જે રીતે માણસ બંનેનો ચાર્મ માણવાનું ચૂકી જાય છે, એ જ રીતે પહેલું શું ને બીજું શું એ ઉખેળીને ખોટી થવા સામે કવિને વિરોધ છે. કહે છે, આપણે શા માટે પ્રથમનો કેડો શોધવામાં ખોટી થવું? જેમ દિવસ પછી રાત અને રાત પછી ફરી દિવસ આવવાનું નક્કી જ છે, એમ જ જે ઋતુ ગઈ છે, તે ફરી આવનાર છે જ. બધું ફરી-ફરીને પ્રગટે જ છે. ‘શ્રાવણી સાંજે’માં કવિ જાણે આ જ વાત કહે છે: ‘ભરી ભરી ઠાલવું ને ફરી ભરું માટ.’ શંકરાચાર્યના ‘पुनरपि जननं पुनरपि मरणं’નો રણકો પણ કાવ્યાંતે ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. એવોય અર્થ કરી શકાય કે ઋતુરમણામાં જે –જે જોયું-અનુભવ્યું એનાથી અભિભૂત થઈને એને જ વશવર્તીને એની જ આંટી ફરી-ફરી ઉખેળ્યા કરવાની કે પછી પહેલાં જેવી ઋતુ-ઋતુના વળવળાંક વાળી વાત પ્રગટે ત્યારે વાત એમ કરીને મન મનાવતા રહેવાનું? ચૌદમાંથી બાર પંક્તિઓમાં મોણ નાંખીને વાત કર્યા પછી જે રીતે સૉનેટ આખરી બે પંક્તિઓમાં ચોટ આપે છે એ જ રીતે પ્રસ્તુત ગીત પણ ભાવકને ક્રમશઃ અર્થાનુભૂતિમાં વહાવ્યે રાખી આખરે પરાકાષ્ઠાએ લઈ જઈને શમે છે…

મકરન્દ દવે કવિના સમગ્ર સર્જન (oeuvre)ની ઓળખ આ રીતે આપે છે: “મેઘાણીના સમગ્ર સાહિત્ય-સર્જનને જે એક જ ગીતમાં સમાવી શકાય, એ છેઃ ‘રાજ! મને લાગ્યો કસુંબીનો રંગ’. પ્રદ્યુમ્નનાં સારાંયે ગીતોની ધ્રુવકડી સાધવી હોય કે તેને નખચિત્રમાં સમાવવાં હોય તો આ સંગ્રહનું કાવ્ય ‘રત્ય’ બસ થઈ પડે એમ છે.” અને એ જ મકરંદા આ જ અંદાજમાં કવિના અન્ય એક ગીતની નાડ પણ પકડે છે: “ઋતુએ ઋતુમાં જાગી ઊઠતી રંગરંગની છોળ ‘રત્ય’ની જેમ એક જ કાવ્ય –‘છોળ’-માં નીખરી આવે છે. આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે.” તો, અંતે ‘છોળ’માં ભીંજાઈને છૂટા પડીએ:

અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઉપર ભૂરાં આભ ને નીચે સોનલવરણાં ખેત,
વચમાં વ્હેતું જાય રૂપેરી વ્હેણ વળાંક લેત;
જાંબળી આંકે રેખ આઘેરા ડુંગરિયાની ઓળ!
આઘેરી ડુંગરિયાની ઓળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઊતરે ઓલ્યું રાન-સૂડાનું ઝૂમખું લેતું ઝોક,
અહીંતહીં ખડમોરની વળી કાબરી ભાળું ડોક;
દીસતું નહિ તોય રે એના ગાનથી જાણું કોક,
પીળચટા થોર વાડની પાછળ સૂર ઝરે ચંડોળ!
ઝીણેરા સૂર ઝરે ચંડોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

હળવી વાયે દખણાદીની ફૂલગુલાબી લે’ર
દૂર પણે ઓ ડોલતો લીલો અમરાઈનો ઘેર;
માંહ્યથી મીઠી મ્હેકની હારે ઊડતી આણી મેર,
જળ-થળે ઝાંય રેલતી આવે ચૂંદડી રાતીચોળ!
હીરાગળ ચૂંદડી રાતીચોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

અબોલા – વિવેક મનહર ટેલર

આજે કવિ મિત્ર વિવેક ટેલરના જન્મદિવસે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એનું આ એક મઝાનું ગીત. અબોલા જેવા આમ થોડા ગંભીર વિષયમાં પણ કવિ પાટણના પટોળાની વાતો લઇ આવે છે..


(एक अकेला…. …જિયા ભોરોલી નદી, નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)

*

આપણું આ હોવું એ બે પળની વાતો ને વાતોના હોય નહીં ટોળા
પછી શાને લીધા તે અબોલા ?

વહેતા પાણીના પગે ઠોકર વાગીને
એ તો ખીલે બંધાઈ થયું લીલ,
મોઢું વકાસીને બેઠેલા ભીતરના
પડછાયા એમાં તું ઝીલ,
લખો, ભૂંસો ને લખાય એવી રેત પર પથ્થરના કેમ પડ્યા ઓળા ?
સાવ અમીટ લકીર છે અબોલા ?

સન્નાટાની બાણશય્યા પર પોઢીને
સપનાંઓ મૂંગું કરાંજે,
વાતનો ઉજાસ લઈ ઉગે એ સૂરજ
રાતની આંખોમાં કોણ આંજે?
ફાટે ન ફીટે, અબોલા છે તારા કે પાટણના મોંઘા પટોળા ?
આવા આકરા તે હોય શું અબોલા ?

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૧)

ગ્લૉબલ કવિતા : ૨૩૦ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડતાં, ને વન ચાલતાં,
અંજીર ઊગતાં કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગામાં મારી જ
ફિરકી લે કાયમ શેતાન!

મારો ભૂખે અને કોરડે,
કરો હાસ, છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

વખત હતો મારોય, મૂર્ખાઓ!
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવી કોઈ ગાળ ખરી? મતલબ, ગાળ પણ આપી દેવાય અને માથે આળ પણ ન આવે… યાદ આવે છે આવી કોઈ ગાળ? ગધેડો! ખરું ને?! કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહો. નકામો કહેવો છે? ગધેડો. મજૂર કહેવો છે? ગધેડો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો લાખ ગાળોની એક ગાળ છે. એકદમ હાથવગી. જો કે લાખ ડીફણાં મારતાંય અળવીતરું ન ચાલે અને કહ્યું કરે એવું પણ આ એક જ પ્રાણી છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. પ્રશ્ન થાય કે ઈશ્વરે મજાક બનીને રહી જાય એવું આ પ્રાણી શા માટે બનાવ્યું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર ચેસ્ટરટન જેવા પંડિત કવિ આખી કવિતા એના માનમાં શા માટે લખે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. પાંચ વર્ષની વયે પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ અગોચરથી પ્રભાવિત. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવી. રુઢિચુસ્ત ખ્રિસ્તી. એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી સંકુચિતતા વધુ ગાઢી બની. પતિ-પત્નીને આજીવન બંનેના ધર્મપંથ અલગ હોવાનો વસવસો રહ્યો. કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. ચિત્રકામનો રસ શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થયો. ૬ ફૂટ, ૪ ઇંચ તથા ૧૩૦ કિલોગ્રામની કદાવર કાયાનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. ચેસ્ટરટને એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને કહ્યું હતું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. બર્નાર્ડ શૉએ જવાબ આપ્યો: ‘તમને જોઈને લાગે છે કે દુકાળનું કારણ તમે જ છો.’ મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે એ ભૂલી જાય તો પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવતા. જીવનના આખરી પાંચ વર્ષોમાં એમની બીબીસી રેડિયોટૉક્સ ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ પુસ્તકો, ૨૦૦ વાર્તાઓ, ૪૦૦૦ નિબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ‘વિરોધાભાસના રાજકુમાર’ ચેસ્ટરટન માટે ટાઇમ મેગેઝીને કહ્યું: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે- પણ કાળજીપૂર્વક ઊલટાવી નાંખ્યા બાદ!’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન સાધન. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં શિરમોર.

‘હાથ કંગન કો આરસી ક્યા’ જેવું શીર્ષક કાવ્યપરિચય આપવા સ્વયંસંપૂર્ણ છે. કવિએ ‘અ ડૉન્કી’ના સ્થાને ‘ધ ડૉન્કી’ લખ્યું હોવાથી સમજાય છે કે કવિતા સમગ્ર ગર્દભજાતિને આવરી લેનાર છે. બૅલડ (કથા-ગાથાકાવ્ય)ના માસ્ટર કવિએ બૅલડ-મીટર પ્રયોજ્યું છે, જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં એકી પંક્તિઓમાં આયંબિક ટેટ્રામીટર અને બેકીમાં આયંબિક ટ્રાઇમીટર વપરાય છે, તથા બેકી પંક્તિઓમાં પ્રાસ મેળવાય છે. કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. નાનીઅમસ્તી કવિતામાં ચેસ્ટરટનની સમસ્ત વિરાટ કાયા દૃષ્ટિગોચર થાય છે: ‘વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોનો ઉપાલંભ.’ ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ પ્રારંભિક અવગણના પછી કાવ્યાંતે હાથ લાગતું સત્ય આપણને દિગ્મૂઢ કરી દે છે.

આત્મકથનાત્મક કાવ્યવિધાનો હાથ ઝાલી ચાલતી કવિતામાં ગધેડો શરૂમાં પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલતાં હશે, અંજીર ઝાડના બદલે કાંટાળા છોડ પર ઊગતાં હશે અને ચંદ્ર લોહી જેવો રાતો હશે ત્યારે હું જન્મ્યો હોઈશ. બ્લડમૂનથી આપણે સહુ પરિચિત છીએ. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક એ જોવા મળે છે. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામતનો ઈશારો ગણાયો છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ ચેસ્ટરટને પણ બ્લડમૂનની ભયાવહ એંધાણીઓને જ ગધેડાના જન્મ સાથે સાંકળી હોવી જોઈએ. દુનિયા આખી તળેઉપર થઈ હશે ત્યારે ગધેડો જન્મ્યો હોવાની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં રહેલ ગધેડાની છબીને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

અંગ્રેજી શબ્દ ‘Ass’ લેટિન ‘Asinus’ પરથી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ થાય છે. અંગ્રેજી ‘Arse’માંથી ‘આર’ ખડી પડતાં ‘Ass’નો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એ પહેલાં ૧૫૫૦માં ‘Asshead’ શબ્દ વપરાયો હતો. અવગણાયેલા પ્રાણીને સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માટે ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી શબ્દ વાપરે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ ક્રૂર ‘ઍસ’ની સરખામણીમાં ‘ડૉન્કી’ સૌમ્યોક્તિ છે. સર્વાન્ટિસની ‘ડૉન કિહોટે’માં સાંચો પાંઝા ડેપલ નામના ગધેડાને વાહન બનાવે છે. એન્ડી મેરીફિલ્ડ ‘વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’માં લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ ખાસ અનુભૂતિ છે, એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન. તમે સ્વને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે.

ગધેડો આત્મનિંદા ચાલુ રાખે છે. પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. કહે છે, મારું માથું રાક્ષસ જેવું છે, ભૂંકવું ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન ફક્ત મારા એકલાની જ ફિરકી ઉતારે છે. હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું ધરતીનો ઉતાર છું. –આમ લગભગ આખર સુધી સુધી ગધેડો પોતાની જાતને હીણી ચિતરવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ રહો! આ ચેસ્ટરટનની કવિતા છે. ચેસ્ટરટન વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો સ્વયંની ભર્ત્સના કરી રહ્યો છે કે સદીઓથી ઉપેક્ષિત રહી હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરી આપણને ચાબખા મારી રહ્યો છે? કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી દલિતોના હક પર તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનના ગધેડાની ભૂંડી ભૂંક એટલે દુનિયાના ખૂણે-ખૂણે પથરાયેલા શોષિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ.

કાવ્યાંતે એટલે જ ગધેડાનો સૂર બદલાય છે. કહે છે, હું ભલે ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્ય સાચવતાં બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે આપણને નથી આવડતું!) એ તડ ને ફડ વાત કરે છે. પોતાના વિશે બોલતાંય એકે શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારેય નિર્મમતાથી ડંકે કી ચોટ પર કહેવું છે એ કહે છે. સીધું જ આપણને ‘મૂર્ખાઓ’નું સંબોધન ચોપડાવે છે. પોણી કવિતા સુધી પોતે પહેરેલી પાઘડી અચાનક આપણને પહેરાવે છે. કહે છે, એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાં ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો. ‘હર કુત્તે કા દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો.

ચાલો, ફરી બાઇબલ ઊઘાડીએ! ઈસ્ટર પહેલાંનો રવિવાર ‘પામ સન્ડે’ તરીકે ઉજવાય છે અને પછીનું અઠવાડિયું પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે જેરુસલેમમાં ઈસુની વિજેતા તરીકેની પધરામણીને વધાવી. નગરમાં પ્રવેશવા ઈસુએ પોતાની જેમ જ ન્યાતબહાર પ્રાણી પર પસંદગીનો કળશ ઢોળતાં સાથીઓને એવી ગધેડી શોધી લાવવા સૂચના આપી, જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત, સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. માદા ગર્દભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે રાજા સફેદ ગધેડી ઉપર બેસીને નગરપ્રવેશ કરશે. નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકોએ પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કર્યું. ઈસુએ સ્વયંને ઈઝરાઈલનો રાજા ઘોષિત કર્યો અને બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવાયા.

આ સિવાય પણ ગર્દભ વિશેના અસંખ્ય સંદર્ભો મળે છે. જુઓ: ઈસુથી હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન ઈઝરાઈલનો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર સવાર થયો હતો. જેકબના પુત્ર જુદાહને આપેલ આશીર્વચનમાંય ગધેડાનો સંદર્ભ છે. બલામ નામના મસીહા વાતો કરતા ગધેડા પર સવારી કરતા. દેવદૂતની તલવારથી ગધેડો બલામને બચાવેય છે. વર્જિન મેરી પણ પેટમાં ઈસુને લઈને ગધેડા પર બેસીને બેથલેહેમ આવ્યાં હતાં. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઊંચું અંકાયું છે. જૂના-નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર, હોંશિયાર પ્રાણી, ડહાપણનો ભંડાર, અને પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ એના પર જ ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો ઈઝરાઈલમાં પોતાના પર સવાર ઇસુપ્રવેશના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે લોકો એમના સ્વાગત માટે તાડપત્રો લઈ સજ્જ ઊભા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુના જેરુસલેમપ્રવેશ પર ચોતરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એકમાત્ર ગર્દભ જ હોવાપણાંના અર્થો ભૂલીને કેવળ ઈસુસંગાથની ક્ષણોને આકંઠ માણે છે. લોકોનું ધ્યાન ઉત્સવ અને ઉજવણી તરફ છે, ગર્દભનું કેવળ ઇસુસ્પર્શ સુખમાં. બે સંદર્ભ ખૂલે છે: એક, ઈસુ જેરુસલેમમાં અને આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશી ભીતરી કોલાહલ શમાવે છે. બીજું, ગર્દભ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર સવાર થઈ ઈસુ એને કાબૂમાં રાખી દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. એ કહે છે, નાનામાં નાની વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડીએ તમને ગધેડો કહેનારા મૂર્ખા સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ એકસમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. ચેસ્ટરટન ગધેડાને માધ્યમ બનાવીને જે કહે છે એ વાત આપણે પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

જો કોઈ નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્તિમ
રાતી ચંદ્રની કિનાર જો

કોઈ નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને એ જ મુખત્રિકોણ પર
પરત ફરતી હોય જો કોઈ

નદી હોય
આનાથીય વધુ બહાદુર
જેમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે
દર્દના ઉછાળા, આવેશ સાથે જો કોઈ નદી

હોય
વધુ પુરાતન
આ ઈવની પુત્રી
કેઇન અને એબલની માતા કરતાં જો કોઈ નદી હોય

આવી બ્રહ્માંડમાં જો
ક્યાંય પણ આ ઉદ્દામ જળ કરતાં
વધુ શક્તિશાળી
જળ હોય, તો
પ્રાર્થના કરો કે તે
સુંદર અને વફાદાર અને પુરાતન
અને માદા અને બહાદુર
પ્રાણીઓમાં થઈને પણ વહે

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્રાવ ની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ્સ. કેલેન્ડર સાથે લગ્ન ન કરી લીધાં હોય એમ પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી જીવનના લગભગ ત્રણ-સાડાત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર પાંચેક દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી પણ અનિયત અને અનિવાર્ય રક્તસ્રાવ નો શિકાર બને છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી ફરજિયાત પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ પ્રાકૃતિક એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ આ કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર. મા ધોબણ હતી પણ કવિતા લખતી. ઓછું ભણેલ મા-બાપે પણ બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતાં રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. લૂસીલને બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરના રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને તેઓ સરળ ભાષામાં લાઘવ સાથે ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’

કવિતાનું શીર્ષક ‘ઋતુસ્રાવ ની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યતઃ કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્રાવવિશે છે અને ત્રીજું એ ઋતુસ્રાવ નું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી? પણ સાફ વાત છે કે કવયિત્રીએ હાથમાં લીધેલ વિષય હજારો વર્ષોથી સાફ દેખાતો હોવા છતાં દુનિયા સતત આંખ આડા કાન જ કરતી આવી છે. કદાચ એટલે જ લૂસીલ આ ‘અસ્પૃશ્ય’ ડાયરામાં પગ મૂકતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિકના પાંચ દિવસની પ્રતિમા કંડારી ન હોય એમ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. મુક્ત માસિકસ્રાવ ની જેમ જ કવિતા છંદ મુક્ત વહે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી અહીં પ્રાસની કેદ પણ નથી. લગભગ દરેક અંતરો ‘જો કોઈ નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્રાવ(Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્રાવસ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થાય તો ફલીકરણ થઈ ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલિનીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયાનો પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પૅડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત એ વાતની સાબિતી છે કે હજી આપણા લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારી નથી. એકવીસમી સદીમાં આ વસમી હાલત હોય તો પ્રાચીન કાળની તો કલ્પના જ કેમ કરવી? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવાયા. ઇતિહાસકારો બહુધા પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી પણ જૂજ જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ઋતુસ્રાવ નું લોહી કેટલીક દવાઓમાં વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સે ઓછું કે વધુ માસિક આવવાને બિમારી ગણી છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ- થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્રાવ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો સમાજ હજીય એટલો પછાત અને ધર્મ એટલો બિમાર-બિસ્માર છે કે મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં હજુ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

એ માહિતી પણ ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પૅડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો, તો ગ્રીક સ્ત્રીઓ ઊનનો પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્રાવપહેરેલાં કપડાંમાં જ થવા દેતી હતી. માસિકસ્રાવકપડાંમાં થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. માસિક માટેના દુઃખદાયક તંગ પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પૅડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટૅમ્પૂન બજારમાં મૂક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે ખરી ક્રાંતિ થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટૅમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ વળીએ. કવિતાની શરૂઆત ‘જો’થી થાય છે. ‘જો’ ભાવકને શરત સાથે જોડે છે. કવયિત્રીએ માસિકને નદી, માફ કરજો, સુંદર નદી કહી છે. સંસારમાં આ નદી અનન્ય છે; એની કોઈ જોડ નથી. કવયિત્રીએ પોતાની ખાતરીની વિશ્વસનીય પ્રતીતિ કરાવવા શરતી ‘જો’ વાપર્યો છે. નદી જે રીતે વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે, એ જ રીતે માસિકની નદી સાથે પણ ગર્ભધારણની ફળદ્રુપતા જોડાયેલી છે. લોહીની નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં એને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. એ લોહીની બની છે અને સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. માસિકની નદીની પ્રસંશા કરતાં લૂસીલ પડકાર ફેંકે છે કે દુનિયામાં આના કરતાં વધુ સુંદર અને ચંદ્રની રક્તિમ રાતી કિનાર કરતાં વધુ તેજસ્વી હોય તો બતાવો. ચંદ્રનો ઉલ્લેખ યાદ અપાવે કે માસિક પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સંકળાયું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે. અંતના આરંભની નિશાની ગણાતો ‘બ્લડ મૂન’ એક નવો જ વિષય છે પણ કવિએ કેવળ ચંદ્રની રાતી કિનારની જ વાત કરી હોવાથી આપણે એને જતો કરીએ.

બીજી કોઈપણ નદી એકવાર છોડી દીધેલા સ્થળે પાછી આવતી નથી, પણ માસિકની નદી દર મહિને નિયત સ્થાને પરત ફરે છે. કેવી વફાદારી! કહો, છે કોઈ બીજી નદી આવી વફાદાર, જે માહોમાહ એના મુખત્રિકોણ પર પરત ફરતી હોય? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી લઈને અસહ્ય સુધીના દુઃખાવામાંથી પસાર થાય છે, પણ સ્ત્રીઓ એને ચુપચાપ સહેતી રહે છે.
માસિક દરમિયાન જે રીતે લોહીના ગઠ્ઠા અને/અથવા સ્રાવઆવતા રહે છે, એ જ રીતે અસહ્ય દુઃખાવો પણ ઊછાળા સાથે આવતો જ રહે છે. બહાદુર વિશેષણ નદી માટે વપરાયું હોવા છતાં સમજાય છે કે એ સ્ત્રીઓ માટે જ વપરાયું છે. વળી, માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતાં કેમકે તેઓ માનતાં કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને ઉદ્દામ પાણી અન્યત્ર ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. શીર્ષકથી લઈને આખી કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યાં, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે. આ નદી એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે, એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે સમુચી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ અને દુનિયાના તમામ પુરુષોએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા છે, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું છે; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્રાવ નો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

ગ્લૉબલ કવિતા : ૨૨૭ : રાત્રિને… – જોસેફ બ્લેન્કો વાઇટ

To Night

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White


રાત્રિને…
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું નામ તારું,
દેવો દ્વારા થઈ ખબર તારા વિશે પેલવેલી;
દેખીને એ થરથર નહીં કાંપી ઊઠ્યો હશે શું-
– તેજસ્વી આ છતર ઊજમાળું અને આસમાની?

ને તોયે લ્યો! હિમ-યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહાજ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
જુઓ, સૃષ્ટિ મનુજ-નજરે કેવી તો વિસ્તરી ત્યાં!

છૂપાયું છે તુજ કિરણમાં આવડું અંધિયારૂં,
વિચારી શું શકત કદી, હે સૂર્ય! કોઈ શું આવું?
જંતુ-માખી-પરણ સઘળું દૃષ્ટ કિંતુ અમોને
કીધા છે તેં અગણિત ગ્રહો-રત્નથી અંધ કેવા!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)


મૃત્યુ – જીવનના અજવાળામાં છૂપાઈ રહેલું અંધારૂં?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જ્ઞાન હોય એ વસ્તુ આપણને ડરાવી શકતી નથી પણ અપૂરતી અથવા શૂન્ય જાણકારી ડર જન્માવે છે. ઈશ્વર, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે આપણે કંઈ જાણતા ન હોવાથી આપણે બીએ છીએ. મનમાંથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. ગુનો આચરવાની એક ક્ષણ પૂરતો માણસ તમામ ડરોથી મુક્ત હોય છે. ડર પરત ફરતાં જ એ પરિણામ કે પ્રાયશ્ચિતનું વિચારે છે. અંધારાનું પણ આવું જ છે. કાળમીંઢ અંધારામાં કોની છાતીના પાટિયા ન બેસે, કહો તો?! ટીપુંભર પ્રકાશેય પહોંચી ન શકે એવા, સગો હાથેય કળી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી બીધા વિના પસાર થવાય ખરું? મૃત્યુ પણ આવો જ ડર છે. અફર અને નિશ્ચિત હોવા છતાં બિલકુલ અકળ હોવાના કારણે જ મૃત્યુ સહુને બીવડાવે છે. મૃત્યુનો અનુભવ કહેવા-વહેંચવા કોઈ પરત ફરી શકતું નથી. મૃત્યુ વિષયક આપણું તમામ જ્ઞાન કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ અંધારામાં લપેટીને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પૅનિશ પણ કર્મે સ્પૅનિશ-અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પૅનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પૅન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પૅનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગતાં કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે ચડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા, જે એમની રચનાઓમાં પ્રતિબિંબાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી લખેલા ‘લેટર્સ ફ્રોમ સ્પૅન’ પુસ્તકમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો એમણે પર્દાફાશ કર્યો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવતા. સરળ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બની છે.

પ્રસ્તુત રચના કોઈ કળાકારની એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ ગઈ હોવાનંિ ઉત્તમ ઉદાહરણ છે. સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે પણ આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

‘નાઇટ એન્ડ ડેથ’ તરીકે પણ જાણીતું આ સૉનેટ પ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાયેલ પેટ્રાર્કશાઈ સૉનેટ છે. કવિના પોતાના હસ્તાક્ષરમાં એનું શીર્ષક ‘ટુ નાઇટ’ જોવા મળે છે. અષ્ટકમાં a-b-b-a/ a-b-b-a પ્રમાણે ચુસ્ત પેટ્રાર્કશાઈ પ્રાસવ્યવસ્થા છે, પણ ષટકમાં c-d-c-d-e-e મુજબ અંગ્રેજી ભાષામાં પાછળથી દાખલ થયેલ પેટ્રાર્કશાઈ પ્રાસગુંથણી છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. શીર્ષક અગોચર તરફની કાવ્યગતિ માટે આપણને તૈયાર કરે છે. રાત્રિને સંબોધીને કવિ મૃત્યુ વિશે વાત કરે છે. રાતનું અને મોતનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. અંધારા અને અટકળની બાબતમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

યુરોપમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં કળાના ક્ષેત્રમાં ‘રોમેન્ટિસિઝમ’ ચરમસીમાએ હતું. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા-ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ આ રચનામાં એની ઝાંય સાફ વર્તાય છે. રૉમેન્ટિસિઝમના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ વળી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા ડરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જેના પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હીમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ યાદ આવે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. આજ પૂર્વે આદમે કદી રાત જોઈ નથી. સ્વર્ગમાંથી નિકાસિત થઈ પૃથ્વી પર આવ્યા બાદની સર્વપ્રથમ રાત્રિ સાથેના આદમના અક્ષુણ્ણ સાક્ષાત્કારથી કાવ્યારંભ થાય છે. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર દિવ્ય અહેવાલો દ્વારા, દેવો મારફત રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે. રાત સાથે કોઈ જ પૂર્વપરિચય ન હોવાથી એ સ્વાભાવિકપણે ડર અનુભવે છે કે દુનિયાને ક્રમશઃ ગળી રહેલું અંધારું એને પણ ગળી જશે. પ્રથમ રાત્રિએ જ આદમને અંતનો અહેસાસ થયો છે. એટલે જ ઉજાસ અને આસમાની રંગથી ભરેલી ભવ્યાતિભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે જાણે કે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યાસ્તની સાથે જ અંધારી રાત રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અગણ્ય તારામંડળ લઈને પધારે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને આદમને સર્જનની વિશાળતાનો પહેલવારુકો અહેસાસ થાય છે. દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં સૃષ્ટિ મનુષ્યની દૃષ્ટિ ઊઘાડે છે અને વિકસાવે પણ છે. કુદરતની આ જ તો કરામત છે અને કુદરતની કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘હે સૂર્ય!’ કહીને સીધું જ પૂછે છે કે, ‘તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે.’ જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાનામાં નાની વસ્તુઓ પણ સૂર્યના અજવાળામાં છૂપી રહી શકતી નથી. દિવસના અજવાળામાં દૃષ્ટિનો વ્યાપ સમષ્ટિને આવરી લે છે. પણ આકાશમાં જુઓ તો કશું નજરે ચડતું નથી. ચંદ્ર-ગ્રહો-તારાઓ-નક્ષત્રો-આકાશગંગા –આ તમામ આકાશની ભૂરી તેજસ્વી છતમાં હાજર હોવા છતાં સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આંખોથી એ રીતે ઓઝલ રહે છે, જાણે અજવાળાંએ એમના અસ્તિત્વને ભૂંસી ન નાંખ્યું હોય! રાતના તમામ રત્નો યથાતથ જ છે. માત્ર અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ ગયાં છે. આમ, અજવાળાંની અંધારી બાજુ અને અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ‘ખરા’ અંધાપાને કવિ ચાક્ષુષ કરે છે. કેવું અદભુત! કવિતા અહીં પૂર્ણ થઈ હોત તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકી હોત. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ તો અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને બીજું જ નિશાન તાકવા ઇચ્છે છે.

ચૌદમાંથી બાર પંક્તિ રાત્રિના નામે છે અને બે જ પંક્તિ મૃત્યુના નામે છે પણ કાવ્યાંતે સમજાય છે કે ચૌદેચૌદ પંક્તિઓ કેવળ મૃત્યુના જ સંદર્ભે છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો ખબર નથી જ પણ એ જ્યાં લઈ જાય છે ત્યાંથી પરત પણ આવી શકાતું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. મૃત્યુની તરફેણમાં દલીલ કરતાં કવિ કહે છે કે જો સૂર્યપ્રકાશ આપણને છેતરીને નભછતરમાં હાજર અલૌકિક રત્નમંડળોથી નાવાકિફ રાખી શકે તો જીવનનો પ્રકાશ મૃત્યુરૂપી અંધકારને છતો ન થવા દે એમાં નારાજગી શા માટે? પ્રકાશ ખુદ ઊઠીને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે ન છેતરે? દિવસના ભરઅજવાળામાં જેમ તારાઓનું અસ્તિત્વ છે જ, એ જ રીતે જીવનઅજવાસમાં પણ મૃત્યુ સદૈવ હાજર જ છે. જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ શકતા નથી. તો આવામાં જિંદગી સાથે ઝઘડો શીદ કરવો? કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

મનુષ્ય સ્વભાવગત આપણે દેખાય એ જોવામાં મશગુલ થઈ જતી વખતે ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની આપણને દેખાતી બાજુને જ એકમાત્ર બાજુ ગણી લેવી એ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એને નકારતા રહેવું એ આપણી પ્રકૃતિ છે. જાણે આવવાનું જ ન હોય એમ મૃત્યુને આપણે અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજના આદમીને આવરી લે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!