Category Archives: ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી

સ્વર – બંસારી યોગેન્દ્ર
સંગીત – હરિશ બક્ષી

.

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

કેમ છો ? – ચિનુ મોદી

હજુ ગઇકાલે જ કવિ શ્રી ચિનુ મોદી પાસેથી આ કવિતા સાંભળી. અમારા ‘ડગલો‘ ના બેનર તળે અમે ચિનુભાઇ જેવા Legendary કવિને બોલાવી શક્યા અને એક મઝાની સાંજ એમની સાથે માણવા મળી એ અમારું સદભાગ્ય. તો વધુ પૂર્વભૂમિકા વગર ફરીથી મમળાવીએ – એમનું આ મઝાનું ગીત..!

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

આટાપાટા અમદાવાદ… – ચીનુ મોદી

ટહુકો શરૂ કર્યો અને થોડા જ વખતમાં સ્મૃતિપટમાં કશેક સંતાઇ ગયેલું આ ગીત યાદ આવેલું.. એને મેળવવામા પ્રયત્નોમાં અમદાવાદ દૂરદર્શનમાં ફોન પણ કરેલો, પણ કોઇક કારણસર આ ગીત ન મળ્યું. ત્યારનું શોધતી હતી આ ગીત – જે થોડા દિવસ પહેલા જ જપને શોધી આપ્યું!!

૯૦ના દસકામાં થોડા થોડા દિવસે અમદાવાદ દૂરદર્શન પર દરરોજ આવતું આ ગીત.. (ત્યારે આ ઝી-સ્ટાર-સોનીનો જમાનો નો’તો! લોકો પ્રેમથી દૂરદર્શન જોતા..!) અને જેટલીવાર આવતું એટલીવાર સાંભળવાનું – જોવાનું ગમતું..! ત્યારે તો મમ્મી-પ્પપા પણ હજુ અમદાવાદ નો’તા ગયા.. પણ તો યે – આ અમદાવાદી ગીત કંઇક ખાસ વ્હાલું લાગતું..!! અમદાવાદની સૌથી પહેલી મુલાકાત કદાચ આ ગીતે જ કરાવેલી 🙂 બાળપણની કેટકેટલી યાદો ફરી તાજી થઇ જાય આ એક ગીત સાથે….

અને આજે આ અમદાવાદી ગીત સાથે બીજા એક મજેદાર સમાચાર (ઘણાને જેના વિષે ખબર હશે જ).

અમદાવાદ શહેર પોતાની ૬૦૦મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે આ ફેબ્રુઆરીની ૨૬ તારીખે..

અને ૬૦૦ વર્ષનું આ લાડીલું શહેર છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું બદલાયું છે – એ ‘આજના અમદાવાદ’થી પરિચિત કોઇ પણ વ્યક્તિ આસાનીથી જોઇ શકશે આ વિડિયોમાં (જપને દેશગુજરાત.કોમ પર એની summary આપી જ છે).

અને હા, બીજા એક મીઠ્ઠા ખબર :

આ ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે – જે જોવા તમને પણ આમંત્રણ છે 🙂
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..

સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – ચીનુ મોદી

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

આટાપાટા આટાપાટા..
આટાપાટ આટાપાટા..

કરે શ્વાસના સાટાપાટા
લાભ સદાયે કભી ન ઘાટા
રોજ રમીને આટાપાટા
દાંત કરી દે સૌના ખાટા

શહેર નહીં યે હૈ સન્નાટા
રોજ રમે છે આટાપાટા
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…

આટાપાટા આટાપાટા..

પાંચ બનાવયા સેતુ
તો પણ કઈ ન વળતો હેતુ
એક બીજાને જરી ન સંમજે
જાણે રાહુ-કેતુ

શહેર નહીં યે હૈ સન્નાટા…

શેરબજારે ભીડ જમાવે
લક્ષમીજી ને પગ નમાવે
(લીધા.. દીધા… લીધા.. દીધા..)
પૂરી પકોડી ખાય ચવાણુ
ઓછે પૈસે ભુખ શમાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

વ્હાલ કરીને પાતા તોલા
નામ પુછો તો સાબરકોલા
(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ… ફાફડા સાથે.. જલેબી જોઇએ.. 🙂 )
ચા અડધી પીવડાવીને
એ ગામમાં પાડે મોટા રોલા

શહેર નહીં યે હૈ સન્નાટા…

દીવસે ગલ્લે પાન બનાવે
રાતે સિરિયલ શૂટ કરાવે
(રોલ વિસિઆર.. સાઉન્ડ.. કેમેરા.. એક્શન)
જૂની ગાડી માંડ ખરીદે
ધક-ધક-ધક ધક
ધક્કા મારી રોજ ચલાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

હૂલ્લડ ના હેવાયા માણસ
કર્ફયુથી ટેવાયા માણસ
લાભ વગર ન કદી એ લોટે
લોભે બહુ લલચાયા માણસ

શહેર નહીં યે હૈ સન્નાટા…

કરે શ્વાસના સાટાપાટા….

******

ધન્યવાદ :  deshgujarat.com

——-

અને હા.. અમદાવાદ માટેના આ બીજા ગીત પણ ફરી ફરી સાંભળવા ગમે એવા છે.

શબ્દને સથવારે – ચિનુ મોદી

(મૌનનો સાગર છલકતો…..  Near Point Cabrillo Lighthouse, Mendocino – Nov 2008)

* * * * * * *

કદી આંસુઓનું લઇ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો

કદી ઓઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તારી જાય શબ્દો

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો

– ચિનુ મોદી

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

કારણ – ચિનુ મોદી

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

ગઝલ – ચિનુ મોદી

આયનેથી ધૂળ ઝાપટજે હવે
તું ત્વચા ફાડીને અવતરજે હવે

પાપણો બાળી ગયા છે એટલે
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર
વીજળીની જેમ ત્રાટકજે હવે

હાથ મારો હાથમાં લીધો તો છે
રોગ શો છે એય પારખજે હવે

જાતને સીમિત કરી ઇર્શાદ તેં
શંખમાં દરિયાને સાંભળજે હવે

હું રાજી રાજી થઇ ગયો છું જોઇ જોઇને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.