Category Archives: શેર

શબ્દ અને મૌન

silence

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.
-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ

Happy Birthday…!! to ‘શબ્દો છે શ્વાસ મારા’

આજે ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૬ – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો પ્રથમ જન્મદિવસ. ગુજરાતી બ્લોગજગતથી પરિચિત કોઇ પણ વ્યક્તિને ‘ડો. વિવેક મનહર ટેલર’ નામ સાથે બીજી કોઇ ઓળખાણ આપવાની જરૂર નથી.

એમના બ્લોગ પર એક વાર એક comment વાંચી હતી. “હવે ધીમે ધીમે તમારી કવિતાના પ્રેમમાં પડતો જાઉં છું” આ વાત મારા જેવા ઘણા લોકો માટે સાચી છે… !!

એમની ઘણી ગઝલો એવી છે, કે જેમાંથી ગમતા એક-બે શેર શોધી જ ન શકો… આખે આખી ગઝલ જ ખૂબ ગમી જાય… ઘણીવાર તો એવું પણ લાગે, કે આ વિવેકભાઇ મારી અંગત લાગણીને આટલું સુંદર શબ્દ સ્વરૂપ કેવી રીતે આપે છે ? એમની ઘણી બધી ગઝલોની નાયિકા એક સ્ત્રી જ હોય છે, કદાચ એટલે આવું લાગતું હશે .

વિવેકભાઇની ગઝલોમાંથી ગમતા ઘણા બધા શેરમાંથી થોડા આજે અહીં પ્રસ્તુત કરું છું.. આશા છે.. આ સંકલન ગમશે.

SCSM

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
Continue reading →

દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

સાંજ અને જગદીશ જોષી

saanj

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?

———–

સાંજ પડે ને પંખી વળતાં આભ વીટીં પાંખોમાં
અંધારુ પણ લથડે તારા અભાવની આંખોમાં
ઝૂરી રહેલા સગપણને લઇ દંતકથા વાગોળું
———–

નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણ આ ઝૂકે તારે ચહેરે
———–

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
– આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
———–

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે –
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
———–

ઘેરાતી સાંજના છે તમને સોગંદ
હવે વાદળાંઓ વિખેરી નાખો
પીળચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને
એમાં સૂરજનો નંદવાયો રંગ
———–

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
———–

શ્રાવણની આ સાંજ તણા અંધારની ઓથે વૈશાખી આકાશ
વલખતું ધીખે
———–

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !

 (કવિ પરિચય)

એક ખોબો ઝાકળ

‘મરીઝ’ – ગુજરાતી ગઝલોના બાદશાહ, ગુજરાતના ગાલિબ.

નથી હું કહેતો કે સાચા વિવેચકો ન મળે
કલાને એના વફાદાર ચાહકો ન મળે
ભલેને ખોટા ટીકાકારો પણ રહે કાયમ
‘મરીઝ’ને જૂઠા પ્રસંશકો ન મળે

‘રમેશ પારેખ’ – ગુજરાતી કવિતાના ઇન્દ્રધનુષ.

આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !

કહેવાય છે કે આ બંને સર્જકોને એમના જીવનકાળ દરમ્યાન એ પ્રસિધ્ધિના મળી, કે જેના તેઓ ખરેખર હકદાર હતા. ગુજરાતી કવિતા અને ગઝલના વિશ્વમાં આ બંને નામ કાયમ બુલંદ સિતારા બનીને ઝળહળતા રહેશે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સર્જકોની પ્રસિધ્ધિના આશયથી, તેમના જીવન અને તેમની ગુજરાતી ભાષા સાથેનો સંબંધ દર્શાવતા એક નાટક ‘એક ખોબો ઝાકળ’નું સર્જન કરવામાં આવ્યું. આ નાટકના લેખક, નિર્દેશક અને એક્ટર પણ છે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક – કવિશ્રી શોભિત દેસાઇ. શ્રી દેસાઇ, નાટકના પ્રથમ ચરણમાં ‘મરીઝ’ અને બીજા ચરણમાં ‘રમેશ પારેખ’ ની ભૂમિકા કરી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક અભિન્ન અંગને જીવંત કરે છે.

શ્રી શોભિત દેસાઇના પોતાના બેનર ‘ચરિત પ્રોડકશન્સ’ હેઠળ ભજવાતા આ નાટકને મુંબઇ અને કલકત્તામાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ એકી કંઠે વખણાયેલા આ નાટકનું એક મોટુ જમા પાસુ એ પણ છે, કે દરેક શો પછી શ્રી રમેશ પારેખ અને મરીઝ ના પરિવારને Rs. 5000/- મોકલવામાં આવે છે.
મારા, અને ટહુકાના વાચકો તરફથી શ્રી શોભિત દેસાઇને આ પ્રકારનું અત્યંત પ્રશંસનીય કાર્ય કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
સાથે વાચકોને ખાસ વિનંતી : તક મળે તો આ નાટક જોવાનું ચુકશો નહીં

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
– શોભિત દેસાઇ

( આ નાટક વિષે થોડી વધુ માહિતી ટુંક સમયમા ટહુકો.કોમ પર ઉપલબ્ધ્ધ થશે ) :

…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !