Category Archives: બરકત વિરાણી ‘બેફામ’

તું નયન સામે નથી તોપણ મને દેખાય છે – બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ  દુનિયામાં  પ્રણયને  આંધળો  કહેવાય  છે ;
તું  નયન  સામે  નથી  તોપણ  મને  દેખાય  છે.

જ્યાં  જુઓ  ત્યાં  બસ  બધે  એક  જ  વદન  દેખાય  છે ;
કોઇને  એક  વાર  જોયા  બાદ  આવું  થાય  છે.

એમ  તો  એનું  અચાનક  પણ  મિલન  થઇ  જાય  છે ;
શોધમાં  નીકળું  છું  ત્યારે  જ  એ  સંતાય  છે.

આવ  મારાં  આંસુની  થોડી  ચમક  આપું  તને,
તું  મને  જોઇને  બહું  ઝાંખી  રીતે  મલકાય  છે.

એટલે  સાકી,  સુરા  પણ  આપજે  બમણી  મને,
મારા  માથા  પર  દુઃખોની  પણ  ઘટા  ઘેરાય  છે.

હોય  ના  નહિ  તો  બધોય  માર્ગ  અંધારભર્યો,
લાગે  છે  કે  આપની  છાયા  બધે  પથરાય  છે.

હું કરું  છું  એના  ઘરની  બંધ  બારી  પર  નજર,
ત્યારે  ત્યારે  મારી  આંખોમાં  જ  એ  ડોકાય  છે.

પ્યાર  કરવો  એ  ગુનો  છે  એમ  માને  છે  જગત,
પણ  મને  એની  સજા  તારા  તરફથી  થાય  છે.

છે  લખાયેલું  તમારું  નામ  એમાં  એટલે,
લેખ  મારાથી  વિધિના  પણ  હવે  વંચાય  છે.

છે  અહીં  ‘બેફામ’  કેવળ  પ્રાણની  ખુશ્બૂ  બધી,
પ્રાણ  ઊડી  જાય  છે  તો  દેહ  પણ  ગંધાય  છે.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી ‘બેફામ’

‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )

હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )

સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mysore-palace.jpg

.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’

આજે 25 નવેમ્બર, કવિ શ્રી બરકત વિરાણીનો જન્મદિવસ. અને ટહુકો અને મોરપિચ્છ નામના બ્લોગનું નવુ ઘર – ટહુકો.કોમને આજે એક વર્ષ પુરુ થયું.

આ ગઝલ ખાસ ટહુકો ના તબીબ-મિત્રોને .. સપેમ્ર ભેટ 🙂

desert-7.jpg

.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર – બરકત વિરાણી ‘બેફામ’


સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે…. – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર – મુકેશ ; : સંગીત – કલ્યાણજી આનંદજી ; ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી (1964)


.

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

———————————

ફરમાઇશ કરનાર મિત્રો : રમિત, સાક્ષી , જુલિયેટ, બકુલ, અમી, હર્ષવદન મહેતા

જીવનનો જુગાર – બરકત વિરાણી ‘બેફામ’

ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.

જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

( કવિ પરિચય )  

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’

“The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world’s problems.” – Mahatma Gandhi.

“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.” – મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

સ્વર : મનહર ઉધાસ

.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

( કવિ પરિચય ) (આભાર ઃ અમીઝરણું )

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે – બેફામ

સ્વર : આશિત દેસાઇ

.

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

( કવિ પરિચય )