Category Archives: પરેશ ભટ્ટ

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!

bamboo trees Pictures, Images and Photos

(વાંસના વન……..   Photo: http://photobucket.com/)

સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… – સુરેશ દલાલ

આજે (April 22) આખી દુનિયાભરમાં ૪૦મો ‘ધરતી દિવસ’ – Earth Day – ઉજવાઇ રહ્યો છે.. ત્યારે આજનું આ કુદરતને અર્પણ.. જાણે હું કુદરતને કહેતી હોઉં કે – હું મારું (એટલે આમ તો સુરેશ દલાલનું 🙂 ) એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે..!!!

સ્વર : વૃંદગાન
સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : હસ્તાક્ષર – સુરેશ દલાલ

Celebrating the 40th Anniversary of Earth Day on 22nd April, 2010

.

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,

હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

આજની તારીખ કે આ ગીતને કોઇપણ પૂર્વભૂમિકાની જરૂર જ નથી..!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

સૌ મિત્રોને આજે જન્માષ્ટમીની અનેક શુભેચ્છાઓ.. ! અને કવિ શ્રી માધવ રામાનુજની આ કૃષ્ણજન્મના દિવસ યાદ કરાવતી કૃતિ..!!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: પરેશ ભટ્ટ
સ્વર: શ્યામલ મુનશી

.

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ

જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)

હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

લયસ્તરોની – આપણી યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકભાઇએ આ ગઝલનો જે પરિચય આપ્યો છે, એ પછી મારે કશું કહેવાનું બાકી રહેતું જ નથી..! 🙂 (ચલો, આજે હું કોપી-પેસ્ટ નથી કરતી, લયસ્તરોની લિંક આપી છે ત્યાં જઇને વાંચી લેશો ને? )

પણ હા… ગઝલ સાંભળવાની શરુઆત અહીં જ કરી શકો છો..!! 🙂

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

પઠન : રાજેન્દ્ર શુક્લ

.

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

રાધાનું નામ વ્હેતું ના મેલો – સુરેશ દલાલ

.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…

કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.