Category Archives: અમૃત ‘ઘાયલ’

દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના – અમૃત ઘાયલ

ટહુકો પર પહેલા ફક્ત પાંચ શેર સાથે રજુ થયેલી આ ગઝલ, આજે બાકીના શેર સાથે ફરીથી પ્રસ્તુત કરું છું.

આવી જ એક ખુમારીભરી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ – અમે રાખમાંથીયે બેઠા થવાના (જેની વાત ધવલભાઇએ commentમાં કરી) – એ પણ ખાસ વાંચવા જેવી છે. અને થોડા દિવસમાં એ ગઝલને ફરીથી માણીશું – હેમા-આશિત દેસાઇના સુમધુર સ્વર સાથે 🙂

river crossing

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

નશાના ધામ તરફ – અમૃત ‘ઘાયલ’

સ્વર : સંગીત – ??

1489667347_90c110bce7_m

.

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

-અમૃત ‘ઘાયલ’

ચોટ ગોઝારી – અમૃત ‘ઘાયલ’

મોરપિચ્છ પર ઘણા વખત પહેલા ફક્ત 4 શેર સાથે મુકેલી ગઝલ, આજે પૂર્ણ સ્વરૂપે.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ – અમૃત ‘ઘાયલ’

‘ઘાયલ’સાહેબની આ ગઝલનું તો એક આગવું સ્થાન છે. આ ગઝલ (ખાસ કરીને એનો મત્લા) એવી છે, કે જેટલીવાર સાંભળો એટલીવાર એક જુસ્સો ભરી દે છે…

સ્વર : મનહર ઉધાસ

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

.

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

—————-

( ફરમાઇશ કરનાર મિત્ર : મિહિર જાડેજા )

હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

શબ્દ અને મૌન

silence

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.
-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

દરિયો – 2

dariyo

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં !
– ‘શૂન્ય’ પાલનપુરી

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ !
– રમેશ પારેખ
કંઇ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !
– સુરેશ દલાલ

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
– ‘મરીઝ’

સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર.
– નર્મદાશંકર દવે ‘નર્મદ’

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

કંઇ ક્યારનો આમ – અમૃત ઘાયલ

સ્વર : મનહર ઉધાસ

.

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

– અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

– મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

– રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

– બાલુભાઇ પટેલ