રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!
સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ
સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ
મા મને કોઈ દી સાંભરે નૈ….
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
મા મને કોઈ દી સાંભરે નૈ…
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ
મા મને કોઈ દી સાંભરે નૈ…
– રવિન્દ્રનાથ ટાગોર