Category Archives: ઐશ્વર્યા મજમુદાર

માર્ગ મળશે – ગની દહીંવાલા

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – હૈયા ને દરબાર

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાલા

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

– રમેશ પારેખ

શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

આસ્વાદ – તુષાર શુક્લ
સ્વર – આરતી મુન્શી
સંગીત – ગૌરાંગ વ્યાસ
સંગીત સંચાલન – શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ – મોરપિચ્છ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીતકાર – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – ઐશ્વર્યા

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

કલેજા અમારા એણે વીંધી નાખ્યાં – ગંગા સતી

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.

બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.

બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,

ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.

– ગંગા સતી

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

.

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

.

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.

ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ

બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ – આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત – આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…! 🙂

આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )

સ્વર : ઐશ્વર્યા મજમુદાર

.

સ્વર : ઇસ્માઇલ વાલેરા

.

——————————————————-

Posted on November 8, 2007 (દિવાળી)

અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?

કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

radha.jpg

સ્વર : લતા મંગેશકર

.

સ્વર : પ્રફૂલ દવે

.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

ગનીચાચાની સદાબહાર ગઝલ… ઐશ્વર્યાના મઘમીઠા કંઠ સાથે ફરી એકવાર…

.

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.