Category Archives: મનહર ઉધાસ

વર્ષો જવાને જોઇએ – અમૃત ‘ઘાયલ’

સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!

પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!

અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!

ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.

– અમૃત ‘ઘાયલ’

નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી

આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…

નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sketch_poster_PH74_l

.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

માનવ ન થઇ શક્યો – આદિલ મન્સૂરી

(છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ………..  Photo: Images.com)

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

તમારા અહીં આજ પગલાં થવાના – ગની દહીંવાલા

ગનીચાચાની ઘણી જ જાણીતી ગઝલ… હેમંત કુમાર અને મનહર ઉધાસના સ્વરમાં… એટલે કે duet નહીં, પણ બે અલગ અલગ રેકોર્ડિંગ છે..!! 🙂

સ્વરઃ હેમન્ત કુમાર
સંગીતઃ કિરીટ રાવલ

.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થઈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થઈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે.

– ગની દહીંવાલા

( સાભાર : મીતિક્ષા.કોમ )

બીજી તો કોઇ રીતે.. – ઓજસ પાલનપુરી

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
– કવિ (?)

.

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

– ઓજસ પાલનપુરી

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ – હેમેન શાહ

સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અક્ષર (મનહર ઉધાસનું 26મું આલ્બમ)

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

– હેમેન શાહ
(આભાર : લયસ્તરો)

કિંતુ મારી લીલા ક્યાં છે – આસિમ રાંદેરી

કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે તારીખ ૦૫-૦૨-૨૦૦૯ના રોજ એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… આપણા તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ …

એમના ‘લીલા કાવ્યો’ ગુજરાતી કાવ્ય જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે. (કંકોતરી, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે ) લીલાની સાથે સાથે એમણે તાપી અને સુરત શહેરને પણ ગુજરાતી ગઝલોમાં અમર સ્થાન આપ્યું.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમનું વધુ એક લીલા-કાવ્ય…

.

એ જ બગીચો,એ જ છે માલી,
એ જ ઉષા ને સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,
કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ બહારો બાગની અંદર,
પ્રેમનાં જાદું રૂપનાં મંતર,
એ જ પતંગા દીપના ઉપર,
એ જ કમળ છે, એ જ મધુકર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ ફુવારો ને ફુલવારી,
રંગબેરંગી પ્યારી પ્યારી,
મખમલ સમ આભાસ પ્રથારી,
જે પર દિલની દુનિયા વારી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ હજી છે ચૂઈ ચમેલી,
આગિયાઓની જ્યોત જડેલી,
આંબાડાળે જુઓ પેલી,
એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

ચાંદ સિતારા એ જ ગગનમાં,
મસ્તી એની એ જ પવનમાં,
તાપી પણ છે એ જ વહનમાં,
એ જ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

વડ પર બંને નામ હજી છે,
થડ પર કોતરકામ હજી છે,
બે મનનો સુખધામ હજી છે,
સામે મારુ ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ છે રોનક તાપી તટ પર,
એ જ છે સામે લીલા ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર,
દૂર જ સંતા મસ્જીદ મન્દર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

આસીમ આજે રાણી બાગે,
ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,
મસ્ત પવનમાં પુષ્પ પરાગે,
કેમ મને વૈરાગ ન જાગે?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

————-
આસિમજીને શ્રદ્ધાંજલિ :
લયસ્તરો પર – ચર્ચામાં નથી હોતી અને કંકોતરી (સંપૂર્ણ નઝમ)

ઊર્મિસાગર.કોમ પર – લીલાનું થાશે મિલન આજ રાતે.

ગગનવાસી ધરા પર…. – નાઝીર દેખૈયા

સ્વર – મનહર ઉધાસ

.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

મહોબ્બતમાં હવે મારો પરિચય – બરકત વિરાણી ‘બેફામ’

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં અને ઘરે-ઘરે ગુંજતી કરવામાં ‘મનહર ઉધાસ’નો કેટલો મોટો ફાળો છે, એ કોઇ ગુજરાતી ગઝલ-પ્રેમીને યાદ કરાવવાની જરા પણ જરૂર નથી..! થોડા વખત પહેલા એમનું 25મું Album ‘આભાર’ પ્રગટ થયું એ પ્રસંગે ઓસ્લિયાના ‘સૂર-સંવાદ’ રેડિયોના આરાધના ભટ્ટે એમની સાથે કરેલો વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.

(મનહર ઉધાસ વિષે થોડું વધુ અહીંથી જાણી શકશો)

અને એ સાથે આપ સૌને જાણતા આનંદ થાય એવા સમાચાર પણ છે… એમનું 26મું Album ‘અક્ષર’ તૈયાર છે, અને સારેગામા એને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં launch કરી રહ્યું છે. તો આપણે આ achievement માટે મનહરભાઇને હાર્દિક અભિનંદન આપીએ..!