Category Archives: સંકલિત

શબ્દ અને મૌન

silence

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.
– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,
સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;
આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,
સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.
-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.
-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે
ને પછી શબ્દથી વ્હેરે છે
આ માણસ કેમ રોજ
જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?
-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ

કવિતા ! – કલાપી

આજે 26મી જાન્યુઆરી, અમર કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મદિવસ. વિવેકભાઇના શબ્દોમાં ‘જેની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે’, એ કવિ પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે.

કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.

( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તક )

અને સાથે જ વાંચો એમની જીવનઝાંખી, અને એમની બીજી રચનાઓ :

એક વેલીને..
ભોળાં પ્રેમી
ફુલ વીણ સખે!
કવિ કલાપીની પુણ્યતિથિ પર….
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં
એક ઘા
ક્લાપી – રખોપીઆને
કલાપીનાં સંસ્મરણો
કલાપીનો કેકારવ – 1
કલાપીનો કેકારવ – 2

Happy Birthday…!! to ‘શબ્દો છે શ્વાસ મારા’

આજે ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૬ – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો પ્રથમ જન્મદિવસ. ગુજરાતી બ્લોગજગતથી પરિચિત કોઇ પણ વ્યક્તિને ‘ડો. વિવેક મનહર ટેલર’ નામ સાથે બીજી કોઇ ઓળખાણ આપવાની જરૂર નથી.

એમના બ્લોગ પર એક વાર એક comment વાંચી હતી. “હવે ધીમે ધીમે તમારી કવિતાના પ્રેમમાં પડતો જાઉં છું” આ વાત મારા જેવા ઘણા લોકો માટે સાચી છે… !!

એમની ઘણી ગઝલો એવી છે, કે જેમાંથી ગમતા એક-બે શેર શોધી જ ન શકો… આખે આખી ગઝલ જ ખૂબ ગમી જાય… ઘણીવાર તો એવું પણ લાગે, કે આ વિવેકભાઇ મારી અંગત લાગણીને આટલું સુંદર શબ્દ સ્વરૂપ કેવી રીતે આપે છે ? એમની ઘણી બધી ગઝલોની નાયિકા એક સ્ત્રી જ હોય છે, કદાચ એટલે આવું લાગતું હશે .

વિવેકભાઇની ગઝલોમાંથી ગમતા ઘણા બધા શેરમાંથી થોડા આજે અહીં પ્રસ્તુત કરું છું.. આશા છે.. આ સંકલન ગમશે.

SCSM

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
Continue reading →

દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

સાંજ અને જગદીશ જોષી

saanj

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?

———–

સાંજ પડે ને પંખી વળતાં આભ વીટીં પાંખોમાં
અંધારુ પણ લથડે તારા અભાવની આંખોમાં
ઝૂરી રહેલા સગપણને લઇ દંતકથા વાગોળું
———–

નીલ ગગનનો દરિયો લ્હેરે
વાયરો સોનલ સાંજને ઘેરે
નેણ આ ઝૂકે તારે ચહેરે
———–

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
– આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
———–

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે –
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
———–

ઘેરાતી સાંજના છે તમને સોગંદ
હવે વાદળાંઓ વિખેરી નાખો
પીળચટ્ટી સાંજનું બેડું તૂટ્યું ને
એમાં સૂરજનો નંદવાયો રંગ
———–

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
———–

શ્રાવણની આ સાંજ તણા અંધારની ઓથે વૈશાખી આકાશ
વલખતું ધીખે
———–

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !

 (કવિ પરિચય)

દરિયો – 2

dariyo

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં !
– ‘શૂન્ય’ પાલનપુરી

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ !
– રમેશ પારેખ
કંઇ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !
– સુરેશ દલાલ

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
– ‘મરીઝ’

સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર.
– નર્મદાશંકર દવે ‘નર્મદ’

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

– મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

– જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

– ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

– એસ. એસ. રાહી

મુક્તકો – રમેશ પારેખ

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ