Category Archives: નરસિંહ મહેતા

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને – નરસિંહ મહેતા

સ્વર : ?

krishna

.

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

——–

( આભાર : સ્વર્ગારોહણ )

નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા

સ્વર : આશિત દેસાઇ

krishna

.

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

( કવિ પરિચય )

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂

સ્વર : મન્ના ડે

gandhijee

.

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,

.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

( કવિ પરિચય )